નવનિર્માણ

ગુજરાતી-ભાષી સામે કોઈ માણસ ‘નવનિર્માણ’ શબ્દ બોલે તો પેલો જરા ચિન્તામાં પડી જાય, થોડો એ ભડકે પણ ખરો કેમકે ‘નવનિર્માણ’ શબ્દ એના કાને પડતાં, એના ચિત્તમાં તો તોફાનો, દોડાદોડી, મારામારી, ખૂનામરકી, આગ, લૂંટફાટ જેવાં તોડફોડ અને ભાંગફોડનાં બિહામણાં દૃશ્યો જ ખડાં થવાનાં…
આ વાતને પ્રાસંગિક ગણીને બાજુએ મૂકીએ તો પણ, તેમાં છુપાયેલું એક કાયમી સત્ય પોતાની ચાડી ખાધા વિના રહેતું નથી. તે એ કે દરેક નવનિર્માણને એક તોડફોડની, ભાંગફોડની કે એક અવ્યવસ્થાની, અંધાધૂંધીની જરૂર રહે છે. નવનિર્માણ એટલે નવી નૂતન વ્યવસ્થા, ન્યુ ઑર્ડર, ન્યુ વર્લ્ડ. એ ખરું પણ દરેક નવી રચના જૂનીના વિનાશમાંથી, તેના ભંગારમાંથી પ્રગટે છે, તેમાંથી આકારિત થાય છે. જેમકે, આજનું જપાન બીજા વિશ્વયુદ્ધની હોનારતમાંથી પ્રગટ્યું છે, ‘નયા ભારત’ સ્વાતન્ત્ર્ય માટેના સંગ્રામની સરજત છે, વગેરે.
જોકે, તેથી કરીને, હોય તેને તોડીફોડી ફેંકી દો કે નવાની લ્હાયમાં જૂનાનો નાશ કરો એમ સિદ્ધાન્ત ન બનાવાય. એવો ગાંડો નિયમ કોઈ કરે, કે સમજે, તો તે તો દેખીતી રીતે જ, ગાંડપણ! અહીં સમજવાનું એટલું છે કે નવનિર્માણ પૂર્વવર્તી કશીક જીર્ણ, જરી-પુરાણી અવસ્થા પછીની અવસ્થા છે.
‘નવનિર્માણ’ શબ્દમાં નવું નિર્માણ કરવું, નવાની રચના કરવી એવો એક ગર્ભિત સંકલ્પ પણ છે. એવા સંકલ્પને પાર પાડવા અમુક જાતનો પુરુષાર્થ જોઈએ, તો નવનિર્માણમાં, તેવા પુરુષાર્થની એક ગૅરન્ટી પણ છે. તેવા પુરુષાર્થ માટે શ્રમનિષ્ઠા, કર્તવ્યબુદ્ધિ જોઈએ, તો એમાં, તેવાં ભાવ-ભાવનાની ભરતી પણ છે. એ રીતે ‘નવનિર્માણ’ આપણામાં ઉત્સાહ જાગ્રતિ ન્યાયપ્રિયતા યુયુત્સા સંહાર જેવા અનેક ઉદ્રેકો પણ જગવે છે. એટલે કે એ એક શક્તિશાળી શબ્દ છે –જ્યોતિ જેવો! અમુક સંજોગો હોય, ત્યારે તો, એ જાદુના જેવી ઝડપી અસરો કરે છે, ચમત્કારો સરજે છે. જૂનાથી ઘેરાયેલો-ધૂંધવાયેલો માણસ નવનિર્માણનું આહ્વાન સાંભળતાં, સક્રિય થઈ ઊઠે, નવું રચે, ને તેના નૂતન પ્રકાશમાં ઝૂમી ઊઠે. નવનિર્માણ આ રીતે સંકલ્પ પુરુષાર્થ ભાવના ઉદ્રેક વગેરેના પરિણામે પ્રગટતું નવસર્જન છે. એનો સર્જક મનુષ્ય છે.
પરન્તુ પ્રકૃતિ પણ સર્જક છે, તે નવનિર્માણ કર્યા જ કરે છે. આપણને ખબર છે કે પ્રકૃતિમાં સર્જન વિસર્જન અને વળી સર્જનની એક અવિરત પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. મનુષ્યે કરેલા નવનિર્માણની સરખામણીએ પ્રકૃતિનું નવનિર્માણ સહજ છે, ‘કુદરતી’ છે: જેમકે, વરસે વરસે વૃક્ષ પોતાનાં જૂનાં થઈ ગયેલાં પર્ણ ખેરવીને નવાં ધારણ કરે છે. સદીઓના ગાળા દરમ્યાન પર્વતો મેદાનો બને છે કે સાગરો પર્વતો. ધરતીકમ્પ વર્ષા ચક્રવાત બધું બહુ ચુપકીદીથી થયા કરે છે. પ્રકૃતિ એની કશી ઉદ્ઘોષણાઓ નથી કરતી. કુદરતમાં ઢંઢેરા નથી, મેં કહ્યું તેમ, ‘વિનાશ’ વેરનારી ઘટનાઓ પણ શાન્તિથી –જાણે ઠંડે કલેજે– થતી રહે છે. કાલું-ઘેલું બોલતી ને તેવું જ વર્તતી એક કિશોરી એકાએક ઠાવકી ગમ્ભીર યુવતીમાં ફેરવાઈ જાય છે. મૂછનો દોરો ફૂટતાં એક તરુણ ઊઘડીને નવયુવક બની આવે છે. આ બધી સહજ નવનિર્માણની ઘટનાઓ છે. પ્રાકૃતિક નવનિર્માણના નિયમો પણ એવા જ સહજ છે, સિદ્ધાન્તો પદ્ધતિઓ પણ એવાં જ સહજ છે. આ કારણે પ્રકૃતિમાં આપણને હમેશાં સંવાદ જોવા મળે છે, સંવાદી સંગીત અને તેમાંથી રેલાતી-ફેલાતી મુદા વરતાય છે.
સહજતા સંવાદ સંગીત મુદા –તેથી મળતાં સુખ– વગેરેની માણસને ઘણી સ્પૃહા છે. માણસ જો કુદરતી રહ્યો હોત, એટલે કે મનુષ્ય જો પ્રકૃતિમાં, પ્રકૃતિ સાથે, જોડાયેલો રહ્યો હોત, તો એ બધું એને મળ્યા કરત, મળ્યા જ કરત. પરન્તુ માણસથી પ્રકૃતિ સાથે સુયુત રહેવાયું નહીં. એણે એની સાથેનો છેડો ફાડી લીધો અને પોતાની દુનિયા વિકસાવી. પેલી પ્રકૃતિ છે, તો આ દુનિયા મનુષ્યકૃતિ છે, સંસ્કૃતિ છે, સભ્યતા છે, વિજ્ઞાન છે, તન્ત્ર છે, વ્યવસ્થા છે, ઑર્ડર છે.
પણ બન્યું છે એવું કે માણસની બનાવેલી દુનિયા, શી ખબર, પહેલથી જ બરાબર ચાલતી નથી. એમાં વારંવાર ગરબડો થાય છે. સિદ્ધાન્તો-નિયમો સચવાતા નથી. વ્યવસ્થાઓમાં ગાબડાં પડે છે. તન્ત્રો ખોટકાઈ પડે છે. ઑર્ડર ઝંખતા મનુષ્યને વારે વારે ડિઝ્ઑર્ડર અને અંધાધૂંધી લાધે છે. શાન્તિસુખ અનુભવવાનું તો દૂર, બાજુએ રહી જાય છે, ઊલટું, અરાજકતાનો સામનો કરવો પડે છે. પરિણામે, મનુષ્યોમાંનો કોઈ વીર નવનિર્માણ ઝંખે, ત્યારે નવનિર્માણ એક અકાટ્ય અને અનિવાર્ય ઉપાય રૂપે ઝૂમવા લાગે છે. અને આપણે જોઈએ છીએ તેમ એના જ્યોતિ-પ્રભાવથી છેલ્લે બધું બદલાઈને રહે છે. એવું અનિવાર્ય નવનિર્માણ આપદ્ ધર્મ છે. સંસારમાં એથી ક્રાન્તિ પ્રગટે છે. ક્રાન્તિ નહીં પ્રગટાવતું નવનિર્માણ, જુદા નામે અંધાધૂંધીથી વિશેષ કંઈ નથી…

= = =

License

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.

Share This Book