ભાગ પાંચમો

૯. આશ્રમની સ્થાપના

કુંભની યાત્રા એ મારી હરદ્વારની બીજી મુલાકાત હતી. સત્યાગ્રહાશ્રમની સ્થાપના ૧૯૧૫ના મેની ૨૫મીએ થઈ. શ્રદ્ધાનંદજીની માગણી એવી હતી કે મારે હરદ્વાર વસવું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટ વસવાનો હતો.

પણ જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી   લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું.

અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.

અમદાવાદના મિત્રોની સાથે સંવાદોમાં અસ્પૃશ્યનો પ્રશ્ન ચર્ચાયો હતો. મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો કોઈ લાયક અંત્યજ ભાઈ આશ્રમમાં દાખલ થવા માગશે તો હું તેને જરૂર દાખલ કરીશ.

‘તમારી શરતનું પાલન કરી શકે એવા અંત્યજ ક્યાં રેઢા પડ્યા છે?’ એમ એક વૈષ્ણવ મિત્રે પોતાના મનનો સંતોષ વાળ્યો. અને અમદાવાદમાં વસવાનો છેવટે નિશ્ચય થયો.

મકાનોની શોધ કરતાં, મને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર શ્રી જીવણલાલ બારિસ્ટર હતા, તેમનું કોચરબમાં આવેલ મકાન ભાડે લેવાનું કર્યું.

આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠયો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયા હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જોકે તપશ્ચર્યા પ્રિય હતી છતાં નામ ભાર પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો. અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે એ જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો.

આશ્રમને ચલાવવાને સારુ નિયમાવલિની આવશ્યકતા હતી. તેથી નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગ્યા. ઘણા અભિપ્રાયોમાં સર ગુરુદાસ બૅનરજીએ આપેલો અભિપ્રાય મને યાદ રહી ગયો છે. તેમને નિયમાવલિ ગમી, પણ તેમણે સૂચના કરી કે વ્રતોમાં નમ્રતાના વ્રતને સ્થાન આપવું જોઈએ. આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ છે એમ તેમના કાગળનો ધ્વનિ હતો. જોકે નમ્રતાનો અભાવ હું ઠેકઠેકાણે અનુભવતો હતો, છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો આભાસ આવતો હતો. નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા-નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.

આશ્રમમાં આ વખતે લગભગ તેર તામિલ હતા. મારી સાથે દક્ષિણ આફ્રિકાથી પાંચ તામિલ બાળકો આવ્યા હતા, ને બીજાં અહીંથી લગભગ પચીસ સ્ત્રીપુરુષોથી આશ્રમનો આરંભ થયો હતો. બધાં એક રસોડે જમતા હતાં, ને એક જ કુટુંબ હોય એવી રીતે વર્તવાનો  પ્રયત્ન કરતાં હતા.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.