ભાગ ચોથો

૩૧. ઉપવાસ

દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિ. કૅલનબૅક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દૃષ્ટિએ. દેહદમનને સારુ ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજ્યો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલાં, પણ તે દેખાદેખીએ અથવા માતાપિતાને રીઝવવાના હેતુથી. તેવાં વ્રતોથી કશો લાભ થાય છે એમ ત્યારે નહોતો સમજ્યો, માનતો પણ નહોતો. પણ મજકૂર મિત્રના પાલન ઉપરથી અને મારા બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા સારુ મેં તેનું અનુકરણ શરૂ કર્યું અને એકાદશીને દિવસે ઉપવાસ કરવાનું ઠરાવ્યું. સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે દૂધ અને ફળ લઈને એકાદશી રાખી ગણે છે. પણ ફળાહારનો ઉપવાસ તો હવે હું હમેશાં પાળતો થઈ ગયો હતો. એટલે મેં પાણીની છૂટ રાખીને પૂરા ઉપવાસ શરૂ કર્યાં.

ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષ રમજાન અને શ્રાવણ માસ સાથે હતા. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે શૈવ વ્રતો પણ પળાતાં. કુટુંબીઓ જેમ વૈષ્ણવ દેવાલયોમાં જતાં તેમ શિવાલયોમાં પણ જતાં. શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઈક તો દર વર્ષ રાખતું જ. તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઇચ્છા કરી.

આ મહત્ત્વના પ્રયોગનો આરંભ ટૉલ્સ્ટૉય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓનાં કુટુંબો સાચવીને કૅલનબૅક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચારપાંચ મુસલમાન હતા. તેમને ઇસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો. નિમાજ વગેરેની સગવડ કરી આપતો. આશ્રમમાં પારસીઓ અને ખ્રિસ્તીઓ પણ હતા. આ બધાને પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલવાનું પ્રોત્સાહન આપવાનો નિયમ હતો. એટલે આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા. પણ હિંદુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિંદુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલાં જમી લેતા, કે જેથી મુસલમાનોને તેઓ પીરસે તે તેઓને સારુ ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું. અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા.

આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્ત્વ સહુ સમજવા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિમયનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિંદુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારુ કરતા.

મારા ઉપવાસનું વર્ણન કરતાં આ વિષયાંતર મેં ઇરાદાપૂર્વક કર્યું છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત. અને તે વિષયાંતર કરીને મારી એક ટેવનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે. જે સારી વસ્તુ હું કરું છું એમ મને લાગે તેમાં હું મારી સાથે રહેનારાને હમેશાં ભેળવવાનો પ્રયત્ન કરું. આ ઉપવાસ અને એકટાણાના પ્રયોગો નવી વસ્તુ હતી, પણ પ્રદોષ અને રમજાનને મિષે મેં બધાને તેમાં સંડોવ્યા.

આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા. અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. સંયમની અસર બધાનાં હૃદય ઉપર કેટલી થઈ, બધાના વિષયો રોકવામાં કેટલો ભાગ ઉપવાસાદિએ લીધો, એ હું નિશ્ચયપૂર્વક નથી કહી શકતો. પણ મારી ઉપર તો આરોગ્ય અને વિષયની દૃષ્ટિએ ઘણી સરસ અસર થઈ એમ મારો અનુભવ છે. છતાં ઉપવાસાદિની એવી અસર બધા ઉપર થાય જ એવો અનિવાર્ય નિયમ નથી એ હું જાણું છું. ઇંદ્રિયદમનના હેતુથી થયેલા ઉપવાસની જ વિષયોને રોકવારૂપ અસર થાય. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે, ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમિયાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સખત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. હેતુ વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજશે. એમ માનવું કેવળ ભૂલભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છેઃ

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ,

રસવર્જં રસો।઼પ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે.

ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમિયાન) શમે છે; તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વરદર્શનથી જખ્ર્ઈશ્વરપ્રસાદથી જ શમે.

એટલે કે, ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે. પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.

License

Icon for the Public Domain license

This work (સત્યના પ્રયોગો by મોહનદાસ કરમચંદ ગાંધી) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.