પ્રસ્તાવના

મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે.

સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ.સૌ. સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો.

આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે.

સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી, એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું નથી. આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચારઆચાર, અને આપણા આધિ-ઉપાધિ: એ સર્વનાં વર્તમાન ચિત્ર વચ્ચે ઉભાં રહીને, આપણી ભાવી પ્રજાનું એ જ વિષયોના રંગોથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે. કલ્પિત ચિત્ર પ્રમાણે જ ભવિષ્ય બંધાશે એવો સિદ્ધાંત મનુષ્યથી બંધાય એમ નથી. એ ચિત્ર તો માત્ર, વ્યાપારી ભવિષ્ય લાભહાનિની વ્યર્થાવ્યર્થ કલ્પના કરે તેવી જ કલ્પના છે, ચિત્રની એક છાયામાંથી બીજી છાયામાં થતી સંક્રાન્તિ ક્રમે ક્રમે પરખી ક્‌હાડવી અને તેની શુદ્ધિ-અશુદ્ધિની કલ્પના કરવી એ વિદ્વાન વાચકોનું કર્તવ્ય છે. આ ચિત્રલેખનો ઉપક્રમ તો એ છે કે સર્વ છાયાઓના સંક્રમ નશ્વર ગણી તેમની મેળવણી કરી નાંખવી, સર્વ છાયાઓનું સહચરિત પ્રતિબિમ્બ એક આદર્શમાં પાડવું, અને સંક્રમને અંતે ત્રિવિક્રમપેઠે અવતરનાર અને વિક્રમ પામનાર ભાવી યુગની જન્મકુંડળી જેવી છાયા આલેખવી.

આ કાર્યમાં, ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદ્દેશ એક એવો છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડુબતાં અને તરતાં આર્ય – આર્યા – ગણનાં હૃદયોને કોઈક જાતનું દેશકાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું. એ ઉચ્ચગ્રાહ કોઈ ભૂમિકાઓમાં થાય એમ છે? કુટુંબજાળોની ગાંઠોમાં ગુંચવાયલા ગંઠાઈ ગયેલા ઘેરઘેર અનુભવાતા પણ પરસ્પરથી ગુપ્ત ગૃહસંસારમાં, મનસ્તાપથી એકાંતમાં પીડાતાં ન્હાની મ્હોટી વ્યક્તિયોના મિત્રશુન્ય હૃદયોમાં, આત્મસત્વના અને લોકહિતના ઉચ્ચાભિલાષી પણ સાધનહીન જનોના—સમુદ્રતરંગના જેવા—ઉછાળાઓમાં, અંતર્વ્યાધિથી પીડાતાં દેશીરાજ્યોમાં, વિકસતા અંતર્ગર્ભને સંકોચાવતાં—પણ નવીન પ્રાણનું આધાન કરાવવા સમર્થ—ઈંગ્રેજી સત્તારૂપ પક્ષિણીના ભાર નીચે સેવાતા સુવર્ણ–અંડમાં હિરણ્યગર્ભપેઠે બંધાતા (દેશી રાજાઓ, પ્રધાનો, વ્યાપારીઓ, કૃષી–આદિ કલાના પ્રવીણ વર્ગો, દેશવત્સલ વિદ્વાનો આદિ અવયવવાળા) ગર્ભદેહને—સૂક્ષ્મ આત્મસ્વરૂપના બળથી થતા વિકાસકાળે – થતા ઉલ્લાસોમાં અને અંડભિત્તિના બળથી એ જ ગર્ભને થતા સંકોચની વેળાએ થતા અવસાદોમાં, તેમ જ એ વિકાસ અને સંકોચની પરસ્પર સંઘટ્ટક મન્થનક્રિયાઓને કાળે થતી પ્રસવવેદનામાં, આર્યાવર્ત્તની પ્રાચીન અને સાત્વિક વિદ્યાઓ તથા યુરોપની નવીન અને રાજસી વિદ્યાઓના વિસંવાદી સંગ્રહ-પ્રદર્શનમાં, અને આ દેશના અનુભવને અનુકૂળ થતાં કાળક્રમે રૂઢ થયલા—રૂઢિરૂપ થયલા વ્યવસ્થારક્ષક લોકાચાર અને પરદેશી સંસ્કારોથી ઉદય પામતા અને નવા યુગના ચમકારાથી ચમકાવનાર સ્વતંત્રતા વિકાસક પાશ્ચાત્ય આચાર: એ ઉભય આચારના વેગના – ગંગાયમુનાના જળના જેવા—નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં:- એ સર્વ ભૂમિકાઓમાં વર્તમાન સંક્રાન્તિકાળની તીવ્ર અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કષ્ટમયી દુ:સ્થિતિ સુદૃશ્ય છે. તેવી જ રીતે એ સર્વ ભૂમિકાઓમાં, આ આવા કાળનાં કષ્ટોના ભ્રામર વચ્ચે, વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન અને ક્ષણમાં મોહિત ચિન્તાઓની ભીંડાભીંડના ડબાણ વચ્ચે, સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટિગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાન ચિત્ર અને એ કિરણોનું ભાવિ ચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે.

સંક્રાતિકાળના આ ખગ્રાસે મોહમાં અને શોકમાં પાડેલાં જુનાં અને નવાં, તરુણ અને વૃદ્ધ, અશિક્ષિત અને શિક્ષિત, અજ્ઞ અને પ્રજ્ઞ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ, સર્વ ચિત્તોમાં મોક્ષકાળનાં આ ઉદયમાન કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્ત—એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેંદ્રસ્થ ઉદ્દેશ છે. ચોથા ભાગમાં આલેખવા યોજેલા સરસ્વતીના મનોરાજ્યની પૂર્ણાહુતિ સાથે બે ઉદ્દેશોનો ઉદ્દેશ અંશત: પણ સિદ્ધ થાવ એવી આ લેખકની એષણા છે. किं बहुना? मन एव मनुश्याणां कारणं बन्धमोक्षयो: એ શાસ્ત્રવચનનો અનુભવ જ સુખસાધક છે અને પ્રિય વાચકવર્ગની સર્વ શક્તિઓનાં અને વાસનાઓનાં પાત્ર તેમનાં મન જ છે, તો એ પાત્રોમાં એ ભુખ સિદ્ધ થાવ, અને इष्टं धर्मेण योजयेत એ આજ્ઞાને અનુસરી અને સર્વ વાચકોને ઉદ્દેશી લખેલી આ કથા છે તે કથારૂપનિમિત્તથી, ઈષ્ટ વાચકજન સુખધર્મથી યુક્ત થાવ, અને એ ઈષ્ટ, એ પાત્ર, અને એ ધર્મ, એ ત્રણનો શુભ યોગ પરિણામ પામતાં,

सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यंतु।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु॥

મુમ્બાપુરી, વિક્રમાર્ક 1954.

ગો. મા. ત્રિ.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.