પ્રકરણ ૭ : રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો

ભાગ્યના કોઈક મહાપ્રબલને લીધે અનેક અને મહાન્ વિપત્તિઓના ઇતિહાસવાળા રત્નગરીના રાજ્યને સેંકડો વર્ષોથી રાજા અને પ્રધાનોનું સ્થાન સાચવવા મહાપુરુષો જ મળ્યા હતા, એ રાજાએ સૂર્યવંશી લેખાતા અને એક પગે સુવર્ણનો તોડો રાખતા. પ્રાચીન કુલસંપ્રદાય સાચવવાનું તેમને અભિમાન હતું. એ અભિમાનના દીવાને પવિત્ર ઈષ્ટદેવતાનો અંશ – ગુણ ગણી અખંડ જ્વલમાન રાખવામાં આવતો, અને સિંહાસનના સર્વ ભાવી સ્વામીઓને બાલ્યાવસ્થામાંથી આ દીવાની પૂજા કરાવવી એ જ રાજદીક્ષા ગણાતી અને તે દીક્ષા તેમને આપવા ત્યાંના સર્વ રાજાઓ જાતે આગ્રહ રાખતા આ અભિમાન આ ભૂપ-પરંપરાની જુદી જુદી ભૂમિઓમાં જુદા જુદા પુરુષગુણનું બીજ-રૂપ થયું હતું અને જેવા જેવા રાજાઓ તેવા તેવા તેમના ગુણને અનુગુણ પ્રધાનો થયા હતા.

અનેક બીજ-પુટના સંગ્રહરૂપ આ અભિમાનનું સ્વકુટુંબમાં અને પોતાનામાં પોષણ કરવું, અને સમર્થ વિશ્વાસયોગ્ય પ્રધાન તૈયાર કરવા અને અંતે તેમને પ્રધાનપદે આણવા, એ ઉભય વિષયમાં ઉત્કર્ષ પામવો એ રત્નનગરીના ભૂપતિઓનો પ્રાચીન કાળથી સ્વભાવ થઈ પડ્યો હતો.

આ કુલસંપ્રદાયનાં પ્રકરણ બહુ ન હતાં, પણ થોડાંક પણ દૃઢ અને ઉત્તમ હતાં, પ્રજાની સાથે પિતાપુત્રભાવ ગણવો અને પ્રજાનું રક્ષણ તો બુદ્ધિમાન રાજાઓ સ્વાર્થે કરે પણ પ્રજાવત્સલ થવું એ અભિલાષવિના પિતાપુત્ર ભાવની સિદ્ધિ થતી નથી, એ સંપ્રદાયવિના સૂર્યવંશ શુદ્ધ ગણાય નહી એવી શ્રદ્ધા આ રાજકુળનો પ્રથમ સંપ્રદાય હતો. પ્રજાનો શત્રુ તે પોતાનો શત્રુ ગણવો અને એવા શત્રુઓ રાજયમાં અધિકારીરૂપે અને કુટુંબમાં કુટુંબીરૂપે પ્રકટ થાય તો તેને तेने राजा मित्रं केन दृष्टं श्रुतं वा”55 એ સૂત્રનો અનુભવ કરાવવો અને “અમે રાજાએ તો ગુણના સગા ને માણસના સગા નથી” એ ક્‌હેવત ખરી છે એમ સઉની ખાતરી કરી આપવી એ બીજો સંપ્રદાય હતો. દ્રવ્યનો સંચય થાવ કે ન થાવ પણ કુમાર્ગે ખરચાય નહી અને માણસો ખાઈ જાય નહી એ વાત ઉપર નિરંતર ધ્યાન આપવું એ ત્રીજો સંપ્રદાય હતો. સેના જાગૃત રાખવી અને તેને કસવાના પ્રસંગ આપ્યા કરવા, સેનાપતિનું કામ રાજાએ પોતે જ કરવું અને પાટવીકુંવરને શીખવવું; વર્ણસંકર બાળક પોતાની ગાદીને ભ્રષ્ટ ન કરે તે વીશે અત્યંત સાવધાનપણું રાખવું, શુદ્ધ અને નિકટના વારસોમાં પણ યોગ્ય વારસોમાં જે બાલક રાજ્ય-યોગ પુરુષગુણવાળા હોય તેને અપુત્ર રાજાએ યોગ્ય કાળે દત્તક લઈ લેવો—આ અને એવા બીજા થોડાક સંપ્રદાય આ ભૂપતિઓના કુલસંપ્રદાય ગણાતા. રત્નગરીનો રાજા બીજી રીતે સારો હોય કે ખોટો, નીતિમાન હોય કે દુષ્ટ, પ્રવીણ હોય કે મૂર્ખ, પણ આટલા સંપ્રદાય તો તેને જન્મથી વળગાડવામાં આવતા, અને દરેક રાજા પોતાના પુત્રના ગુણને યોગ્ય પણ સમર્થ પ્રધાન થવા જેવા પુરુષોને વેળાસર શોધી રાખી પ્રધાનકાર્યમાં તેમને પ્રથમથી કેળવતા અને પુત્રની સાથે સ્નેહ-બંધનમાં નાખતા.

રત્નનગરીનું રાજ્ય પ્રાચીન કાળમાં એટલે ચંદ્રગુપ્ત, અશોક, આદિ ચક્રવતી રાજાઓના કાળમાં પણ ઉદયદશા ભોગવતું હતું એ તેની આસપાસ ખોદાયેલી માટી અને પત્થરોમાંનાં ચિન્હોથી અને શીક્કાઓથી સિદ્ધ થયું હતું. શક રાજાઓની સામે રત્નનગરીના રાજાઓએ યુદ્ધ કરેલાં, તેઓ હારેલા અને જીતેલા અને વચમાં શક રાજાઓનું રાજય પણ આ ભૂમિમાં થયેલું તે સર્વ ઈતિહાસ—કીલ્લા, દેવાલયો, સ્તંભો, વાવો, અને એવાં બીજાં પ્રાચીન સ્થળોમાંથી-વિદ્યાચતુરના સમયમાં નીકળ્યો હતો બૌદ્ધધર્મ, જૈનધર્મ, શ્રોતસ્માર્ત સંપ્રદાય, ઇત્યાદિના જય પરાભવ પણ એવાં જ સ્થાનોથી જણાઈ આવતા. પાછલા કાળમાં રાજપુત્રો ઈર્ષ્યા, મૂર્ખતા, આદિ દોષને બળે પરસ્પરને કાપતા હતા તે કાળનું ચિત્ર પણ ક્વચિત્ સમજાતું હતું, મુસલમાન બાદશાહો અને સુલતાનોની ક્રુર ચ્હડાઈઓ પણ અનેકવાર થયેલી, પણ ક્વચિત શૌર્ય બતાવી તો ક્વચિત સામદામભેદ સાધી રત્નનગરીના રાજાઓ પોતાનું સ્વતંત્રપણું જાળવી શક્યા હતા. આ રાજ્યનું એક રીતે ઈશ્વરે રક્ષણ કરેલું હતું. પશ્ચિમમાં સમુદ્રને તીરે અને સુંદરગિરિની બેપાસ આ રાજય પાઘડીપને આવેલું હતું, અને એના ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણમાં બીજાં રજપુત રાજ્યો આવેલાં હતાં તેમની સાથે સંપ રાખી, પરદેશીયો સામે યુદ્ધપ્રસંગે તેમને ગુપ્ત અથવા ઉઘાડો આશ્રય આપી, તેમના બળથી પોતે સુરક્ષિત અને સુગુપ્ત રહેલા આ રાજાઓ પોતાના દંભ કરતાં પોતાની કુશળતાનું મૂલ્ય વધારે ગણતા; અને તેથી પરદેશીયોનો ડોળો પોતાના ઉપર પડે નહી, અને પડે તો પોતાને જીતવા આવતાં અનેક સંકટો દેખે અને તેને પાર પડતાં ખરચ વગેરેનો જમે ઉધાર કરી જાતે જ લોભાતાં ડરે, ઇત્યાદિ યુક્તિયોથી રત્નનગરીનો મધ્યકાળનો ઇતિહાસ ભરાયો હતો. દ્રવ્યના લોભી મરાઠાઓના લોભને તૃપ્ત કરવો એ તો આ રસાળ રાજ્યને કઠણ હતું જ નહીં. ઈંગ્રેજી કંપનીનું રાજ્ય પેશવાઈને ઠેકાણે પથરાયું ત્યારથી આ રાજ્યનો ખરો પરાભવ આરંભાયો. પેશવાઈ ગઈ તે વેળા ત્યાં મલ્લરાજનો પિતા નાગરાજ રાજ્ય કરતો હતો અને તે જીવ્યો ત્યાં સુધી ઈંગ્રેજોની સાથે પોતાની ન્હાની સરખી સેના લઈ ઘડી ઘડી યુદ્ધમાં ચ્હડતો અને યુદ્ધકાળે પોતાના સફળ સૈનાપત્યથી તેમ ઇતરકાળે પ્રવીણ સામ-વ્યવહારથી ઈંગ્રેજ સેનાપતિઓમાં પ્રીતિ અને પ્રતિષ્ઠા પામ્યો હતો. કર્નલ બ્રેવ નામના સેનાપતિ સાથે એનો છેલામાં છેલો વિગ્રહ (war) થયો. પેશવાઓના વિશ્વાસરાવ નામના સરદારને ઘણીવાર ક્‌હાડી મુક્યા પછી તેને ઠેકાણે કંપની સરકારની આણ વર્તાવવા પેશવાને નામે આ ઈંગ્રેજ સરદાર આવવા લાગ્યો. નાગરાજ અને કર્નલ બ્રેવ વચ્ચેનો વિગ્રહ છ માસ ચાલ્યો. સુન્દરગિરિ ઉપર પોતાના મુખ્ય કીલા હતા ત્યાં એણે રત્નનગરીની ધનવાન વસ્તીને મોકલી દીધી. પોતાનું મુખ્ય સ્થાન (Head quarters) પર્વત ઉપર રાખી, ઘડીકમાં પર્વતની પૂર્વ ખીણેમાંથી, ઘડીકમાં ઉત્તરમાંથી, અને ઘડીકમાં દક્ષિણમાંથી એ નીકળી આવતો. બે ત્રણવાર ઈંગ્રેજ સેનાની તોપોમાં એણે ખીલા માર્યા અને બે તોપો અણીશુદ્ધ પકડી શત્રુના સામી વાપરવા લાગ્યો. ઉઘાડા યુદ્ધમાં ચાલતા સુધી પડતો નહીં, પણ શત્રુ તોપો મુકી આઘા પાછા આવ્યા હોય ત્યારે તેમની સાથે લ્હડવાનું ચુકતો નહી. ઈંગ્રેજ સેનાના ભોજનપદાર્થ પૂર્વમાંથી આવતાં ત્યાં જઈ પડાવી લેવાની તેણે એક વખત સફળ છાતી ચલાવી. અંતે બ્રેવ સાહેબે એને શોધી ક્‌હાડી યુદ્ધ કરવાની જરુર પાડવાનો પ્રયત્ન કર્યો, અને નાગરાજની સેના લેઈ એને મ્હોટો અને પ્રિય પુત્ર હસ્તિદંત સુન્દરગિરિ ઉપર ચ્હડવાં જતો હતો તેની પર્વતની વચ્ચેની જગા બ્રેવની સેનાએ રોકી. હસ્તિદંતની પાસે માણસ થાકેલાં અને થોડાં હતાં; છતાં યુદ્ધ શીવાય છુટકો ન રહ્યો. વીરહાક મારી એણે ઈંગ્રેજ સેના ઉપર હુમલો કર્યો. નાગરાજને આ વાતની ખબર પડી અને ખબર પડતાં પર્વત ઉપરથી બાકીની સર્વ સેના લઈ સુભદ્રાની એક બાજુએથી ઈંગ્રેજી સેનાની પુઠ આગળ અચીન્ત્યો આવી ઉભો, અને એ સેના પાછી ફરે તે પ્હેલાં પાછળથી હુમલો કર્યો. બ્રેવનાં માણસો આ કાળે હસ્તિદંતની સેનાને કાપી નાંખી પરવાર્યા હતાં અને આઠ દશ માણસો તથા હસ્તિદંત એટલાં જ જીવતાં રહેલાં હતાં તેમના ઉપર ઈંગ્રેજી સેના ત્રુટી પડવા ઉન્મુખ થઈ તેવામાં તે આ પાછળની વીરહાકથી ચમકી, અને દ્વૈધીભાવ પામી, અને તે દ્વૈધીભાવ પામતાં તેનું શૌર્ય ન્યૂન થવા લાગ્યું. કર્નલે આ જોયું, અને તે દ્વૈધીભાવ અટકાવવા એકદમ એક બાજુથી ત્રુટી પડી, બીજાં માણસ પડતાં મુકી, હસ્તિદંત ઉપર નીશાન તાકવા લાગ્યો. બીજી પાસથી નાગરાજે તે દીઠું, અને તેનો પ્રતીકાર કરે તે પ્હેલાં તે કર્નલની બન્ધુકમાંથી છુટેલી ગોળી ધડાક લઈને છુટી અને હસ્તિદંતની છાતીમાં વાગી. રાજપુત્ર પડ્યો, પણ કર્નલ નિરાશ થયો. પુત્રના મરણથી નિરાશ અને નિસ્તેજ ન થતાં શૂર નાગરાજ મહાબલ કરી કુદ્યો. પુત્રને ધન્યવાદ આપતો હોય એમ પ્રૌઢી વીરહાક મારી ઉછળ્યો તે એક છલંગે પાંચ હાથ લાંબો અને બે હાથ ઉંચો એક ખડક ઓળંગ્યો અને ભીંડમાં બીજે અવકાશ ન મળતાં મરેલા પુત્રનું શરીર જોઈ મરેલા પુત્રની છાતી ઉપર પગ મુકી, કુદ્યો અને બ્રેવના ઉપનાયકને કાપી નાંખ્યો. એનાં માણસો પણ ઊછળ્યાં અને તુમુલ યુદ્ધ મચ્યું. એટલામાં રાત્રિ પડી, સેનાઓ પાછી ગઈ અને રાત્રિએ યુદ્ધમાં અંતરાય નાંખ્યો. કોઈ હાર્યું નહી, જીત્યું નહીં. પણ પોતપોતાની સેના બે સેનાપતિઓએ તપાસી. નાગરાજની સેના નાશ પામી; બ્રેવની સેના પણ નાશ પામી. પરંતુ સરકારી સેનામાં નવો ઉમેરો પાછળથી તૈયાર થઈ આવે છે એવી બાતમી નાગરાજને પણ મળી, ત્યારે એની સેના સર્વ ખપી ગઈ માલમ પડી, છતાં એણે હીમ્મત ખોઈ નહી. રાત્રિએ માણસ મોકલી કીલ્લાઓનાં દ્રાર વસાવ્યાં અને યુદ્ધ સારુ તેમાંની સેનાઓને સાવધાન કરી. પ્રત્યેક કીલ્લામાંથી થોડાં થોડાં માણસ રાતોરાત મંગાવી, બીજા વૃદ્ધ અને જુવાન રજપુતોને શસ્ત્ર બંધાવી, એ રાતમાં—પ્રાત:કાળ થતાં પ્હેલાં,—નાગરાજ નવી સેના લઈ ગાજ્યો અને એનાં યુદ્ધવાદિત્રો જનરલના કાનમાં શબ્દ પ્હોચાડવા લાગ્યાં.

કર્નલ પોતાનું બળ સમજતો હતો અને હવે નાગરાજ ટકી શકનાર નથી એ પણ જાણતો હતો. છતાં એના શૌર્યથી, એના ધૈર્યથી, એની સમયસૂચક પ્રતિભાથી, અને એની પ્રવીણતાથી ઈંગ્રેજ નાયક અત્યંત પ્રસન્ન થયો અને આવા શત્રુને નષ્ટ કરવા કરતાં સરકારનો મિત્ર કરી તેને પ્રતિષ્ઠિત રાખવામાં વધારે લાભ અને શૌર્ય માનવા લાગ્યો. ક્ષાત્ર ઉદ્રેક નમ્યું નહી આપે સમજી પોતે જ નાગરાજ પાસે દૂત મોકલ્યો અને તેની સાથે પત્ર મોકલ્યો:–

“પ્રિય શૂર મિત્ર—જો આપણે હજી શત્રુપણે વર્તીશું તો એક પ્રાચીન રાજ્યનો અને તેના પ્રતાપી શૂર રાજાનો નાશ થશે તે શૂર બ્રેવને નહીં ગમે. ઈચ્છા હોય તો હું મિત્ર થવા અને તમારી ભલામણ સરકારને કરવા તૈયાર છું. હું સરકાર નથી, પણ સરકાર મ્હારા જેવા સેવકોપર વિશ્વાસ રાખે છે. એ વિશ્વાસનો ઉપયોગ કરી યુદ્ધને ઠેકાણે શાંતિ અને શત્રુતાને ઠેકાણે મિત્રતા કરવી હોય તો એકદમ ઉત્તર ક્‌હાવજો. પછી યુદ્ધ ઉપર જ દુરાસંગ હોય તો કંપની સરકારની સેના સજજ છે.—તમારો મિત્ર બ્રેવ.”

“તા. ક.—તમે શરણ થાવ એ હું માગતો નથી. તમારા શસ્ત્રનો તેમ તમારા શબ્દનો મને પૂર્ણ વિશ્વાસ છે.—બ્રેવ.”

નાગરાજે ઉત્તર લખાવ્યો: “કંપની સરકારની સેનાઓ નદીની રેલ જેવી છે તે અમને ખબર ન હોય તો અમે આંધળા ક્‌હેવાઈએ. પણ અમે આગના તનખા જેવા છઈએ. અમને જે અડકે તે દાઝે એટલો અમમાં તાપ—તે ભુંડો છે. અમારામાં તેજ છે તે જોવાનું છે. હવે રેલથી તનખો હોલવશો તો તેજ ને તાપ બે ભેળાં જશે. તમારે અમારું તેજ જાળવવું હશે ને તાપ હોલવવો હશે તો બનવાનું નથી ને લ્હડાઈ કર્યા વગર ચાલવાનું નથી. પણ અમમાં તાપ રાખશો તો તેજ જવાનું નથી ને જશે તો કોઈ દી પાછું આવશે. માટે અમારો તાપ ર્‌હેતો હશે અને રેલને ઠેકાણે રેલને કોરામાં તનખો ર્‌હે એવી વાત કરશો તો થશે. તેમ ન કરો તો રાજા રામ ને રાણો રાવણ ગયા તેમ કોઈ હારીને અને કોઈ જીતીને પણ તમે અમે ને બધી પૃથ્વી સઉ આખર જઈશું તેમાં કાંઈ ડર નથી. એ તો જન્મ્યું તે જાય ને લ્હડે તે ઘવાય. એટલું મનમાં રાખી કરજો. પછી સરકારને પુછો કે ન પુછો. ઉલટું કરશો તો પુછયું નકામું ને સુલટું પુછશો તો વગર પુછે છે તે છે જ. તમારા માંહોમાંહેના કાયદાથી અમે બ્હારના માણસ ભોમીયા નથી તેમ બંધાતા નથી. દાદો સુરજ તપશે ને તેના દીકરા હમો કોઈ જીવતા હઈશું ત્યાંસુધી રત્નનગરીની ધરતીનો કડકો પરહાથે જવાનો નથી ને હમારું માથું નમવાનું નથી. બાકી દોસ્તીનો વાંધો નથી ને કંપની સરકાર ઉપર અમારે મમતા છે. તે મમતા રાખવી કે ભાંગવી તે તમારી મરજીની વાત છે.”

આણી પાસથી નાગરાજે બ્રેવ સાહેબને આ ઉત્તર પોતાના વિશ્વાસુ પુરુષો સાથે મોકલ્યો, અને આ વ્યવહારનિમિત્તે મળેલા અવકાશનો ઉપયોગ કરી લેવાના હેતુથી પોતાના ન્હાના પુત્ર મલ્લરાજને બોલાવી આજ્ઞા આપી કે “આપણી ત્રણે પાસ રાજાઓ છે તેમને જઈને મળો અને કહો કે બાપુ, હજી ચેતવું હોય તો ચેતો. ત્રણ પાડા ભેળા થશે તો શીંગાળા છે તે સાવજને ભારે પડશે ને નોખા હશે તો એકે એકે બધાને સાવજ ખાશે. જાંગલાનું ને નાગરાજનું શું થાય છે તે હાલ તો તમારો જોવાનો ખેલ છે પણ આ ખેલ પુરો થશે એટલે તમારો ખેલ પણ એવો ને એવો થવાનો તે તમારા જેવી અકલવાળા બીજા જોશે ને તેમનો ખેલ ત્રીજા જોશે. માટે વેળાસર ચેતવું હોય તો તમે જાણો. અમે કંઈ અમારે મરવાના ડરથી બોલાવતા નથી, પણ વાણીયાના દીકરા જમે ઉધારનું સમજે એટલું આપણે ગાદીના ધણી નહીં સમજીયે તો સમજનાર જાંગલાઓને ગાદી વરે એ જુગતું છે. ગાદી તો ઈન્દ્રાણી જેવી છે ને જીતે તેને વરે. મ્હારા તમારા મ્હોટેરાઓને મેળવતાં આવડી તો તેમને વરી. આપણને મેળવવાનું તો રહ્યું પણ સાચવતાં એ નહી આવડે તો જંગલાઓ બળે ને કળે તેના પર અલાખો કરે તે બરોબર છે. જો સાચવવી હોય તો અમારી વાત સાંભળજો. ન સાચવવી હોય તો મરજી.” મલરાજ આ આજ્ઞાનો અમલ કરવા ગયો, પાડોશી રાજાઓમાં ઈર્ષ્યા અને મત્સર હોવા છતાં નાગરાજનાં વાક્યબાણથી તેમની જડતા વીંધાઈ. નાગરાજના પૂર્વયાયી રાજાઓએ ઘણીવાર આવી જ કળાથી ચોપાસના રાજાઓને એકઠા કરી તેમનું અને પોતાનું રક્ષણ કર્યું હતું અને આજ પણ એ જ સંપ્રદાયના આચારથી સઉ રાજાઓ એકઠા થયા, અને મલ્લ્લરાજનો ફેરો સર્વ ઠેકાણે સફળ થયો.

કર્નલ બ્રેવને નાગરાજનો ઉત્તર મળ્યો તે તેણે ફરી ફરી વાંચ્યો અને તે વધારે વધારે પ્રસન્ન થયો. પણ એના ઉપરી અધિકારીઓ એના જેવા ઉદાર ન હતા અને પેશવાઈને નામે ચોથ પણ ન મળે અથવા કાંઈ લાભકારક સન્ધિ ન થાય અને માત્ર લુખી મિત્રતા કરી પાછા જવું એ તો મૂર્ખતા ગણાય અને અનુમત પણ ન થાય એમ હતું. આવા શૂર અને ઉદ્રિક્ત રાજાની મિત્રતામાં જ લાભ છે એવો બ્રેવનો પોતાનો અભિપ્રાય ઉપરી ઈંગ્રેજો સમજે એમ ન હતું. તેમની ઈચ્છાનું અનુવર્તન પણ આવશ્યક હતું તેથી પોતાની ઈચ્છાવિરુદ્ધ આ સરદારને વર્તવું પડ્યું, અને એણે નાગરાજનાં માણસોને ઉત્તર દીધો કે, “સરકારને તમારી ધરતી જોઈતી નથી પણ પેશવા સરકારનો અધિકાર કંપની સરકારને મળ્યો છે અને તે તમે સ્વીકારો.” આના ઉત્તરમાં નાગરાજના પ્રધાને કહ્યું કે “અમે પેશવાને કદી નમ્યા નથી અને મરાઠાઓને આ હદ સુધી કદી આવવા દીધા નથી; અમે પેશવાને ઓળખતા નથી; પણ કંપની સરકાર સાથે મિત્રતા કરવા તૈયાર છીયે.”

આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાત:કાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર56 સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત57 છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે “આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે આપણે ચુડીયો પ્હેરી: લ્હડવાનું ગયું, બઈરાંનું રક્ષણ આપણે કરીએ તેમ આપણું રક્ષણ ઈંગ્રેજ કરશે. ધરતી, શાંતિ, અને નામરદાઈ એ ત્રણ સ્ત્રીયો હવેથી સુહાગણ થશે અને રજપુતાઈ દુહાગણ થશે.” આવી નિરાશાથી મલ્લરાજ પિતાની ગાદીએ બેઠો. કાળક્રમે ધીમે ધીમે ઈંગ્રેજ સત્તાની રેલ નીચે સર્વ રાજ્યો ડુબી જતાં એણે દીઠાં. નાનાસાહેબનાં બંડને પ્રસંગે તે પ્રથમ તટસ્થ રહ્યો. આખા દેશમાં સમુદ્ર-મન્થન થતું હતું તેમાંથી તેણે ઉપદેશ શોધ્યો; દેશનું રક્ષણ કરવા એકલું બળ, સમર્થ નથી કળ પણ જોઈએ, તે દયા અને ક્ષમા વિના આવે એમ નથી, અને તે ઉભય સદ્ગુણોને ઇંગ્રજોનો આવિર્ભાવ અને સ્વદેશીઓમાં તિરોભાવ જોઈ મલ્લરાજ નિરાશ અને દુ:ખી થયો. વિદ્યાચતુરના મામા જરાશંકરનો પ્રસંગ તેને આવામાં જ સજડ થયો હતો. જરાશેકરે દુ:ખી રાજાને સુખનો માર્ગ બતાવ્યો. “મહારાજ, સમર્થ અને સદ્ગુણીનો વિશ્વાસ અને સંબંધ કરવો યોગ્ય છે. પોતાની તરવાર, માટે પેટમાં ઘોચાતી નથી. પોતાના દેશી, માટે તેની પાસે દેશનો દાટ વળાવવો એ અકાર્ય અને મૂર્ખતા છે. દશા પ્રમાણે સુબુદ્ધિ અને કુબુદ્ધિ થાય છે. આપે જેટલી જેટલી હકીકત મને કહી છે તે સર્વ ઉપરથી મને એમ લાગે છે કે કેવળ આપના રાજ્યનું નહી પણ સર્વ રાજ્યોનું કલ્યાણ આ શાણા પરદેશીઓને પગલે છે, તેમની આંખમાં અમીદૃષ્ટિ છે, અને અંતે જય પણ તેમનો જ થશે. આ મરાઠાઓ અને મુસલમાનો ઈંગ્રેજ સામા ફાવ્યા તો સામાન્ય શત્રુનો નાશ થતાં પરસ્પર યુદ્ધ કરશે, અને તેમાં જે ફાવશે તે સર્વ રજવાડાને કનડશે અને શીયાળ અને વરુનું કામ કરશે.”

મલ્લરાજ સૂક્ષ્મ દૃષ્ટિ કરી તાકી જોઈ રહ્યો. “હા, એમાં તો કાંઈ સંશય નથી. પણ ત્હારા જેવા બ્રાહ્મણો શાંતિ ઈચ્છે અને મ્હારા જેવા ક્ષત્રિયો યુદ્ધ ઇચ્છે અને શીકાર ઇચ્છે. જો આમાં ઈંગ્રેજ જીત્યા તો ક્ષત્રિયોને નામે પોક મુકવાનું થશે એમાં કાંઈ વાંધો લાગે છે?”

“ના.”

“ત્યારે?”

“ત્યારે શું? ધન્ય દ્હાડો ધન્ય ઘડી કે રાજાઓમાં ને પ્રજાઓમાં શાંતિ શાંતિ થઈ જાય! મને ઈંગ્રેજોની અમીદૃષ્ટિનો બહુ વિશ્વાસ છે.”

“પણ સરત રાખજે કે એ પણ માણસો છે, એમને પણ પેટ છે, ને વાણીયા જેવાના હાથમાં આખો દેશ જશે એટલે એકલહત્થા વાણીયા જેવું ભૂંડું કોઈ નથી.”

“મહારાજ, એમ ગણો પણ ઉપાય શો છે? તમે ક્ષત્રિયો એકઠા થઈ જાવ એમ હો તો પરદેશીને ક્‌હાડવા લ્હડનારાઓને બંડખોર ક્‌હેવા વારો કેમ આવે? કંઈક આપણામાં જ અસાધ્ય રોગ હોય નહીં તો જમનાં પગલાં આમ સંભળાય નહી.”

“શું ત્હારા મનમાં એમ છે કે અમે ક્ષત્રિયો જ નકામા થઈ ગયા છીયે?”—મલ્લરાજની આંખો રાતી થઈ ગઈ અને બ્રાહ્મણને ખભે હાથ મુક્યો.

બ્રાહ્મણ હસી પડ્યો, “મહારાજ આપના જેવા સર્વ ક્ષત્રિયો હોય તો તો નકામા નહી. પણ સો ભુંડા કૌરવમાં એક રુડા ભીષ્મપિતામહને કોણ પુછે? હજી તો કંઈક ક્‌હેવા જેટલા આપ છો ને કોઈ બીજા હશે. પણ ઈંગ્રેજ હારે કે જીતે ત્હોયે જતે દિવસે શું થશે તે જોશો.”

“શું થશે?”

“મહારાજ, જોતા નથી કે કેટલીક રાણીયો વાણીયા બ્રાહ્મણને રાજાને ઠેકાણે ગણે છે અને કેટલીક રાણીયોએ ઘાંચીમોચીને પોતાના કુંવર બનાવી દીધા છે? આ લુટારુ ધાડપાડુ બંડખોરોમાંથી હવે કોઈ ચક્રવર્તી મહારાજા થશે—પછી મુસલમાન હો કે સ્વામીદ્રોહી મરાઠી બ્રાહ્મણ પેશવા હો! પણ વર્ણસંકર રાજાઓની ઉતરણને માથે જુગતો આવે એવો મેર મુકાશે ને તે જોઈને આપના જેવા શુદ્ધ એકરંગી ક્ષત્રિયો ખુણે ખોચલે સંતાઈ જઈ બળી મરવાના.”

“ને ઈંગ્રેજ જીતશે તો શું થશે?”

“મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન હજાર ગણો સારો. મહારાજ, મરીચિ રાક્ષસને દુષ્ટ રાવણે કહ્યું કે રામને હાથે મરવા તું મૃગનું રૂપ નહીં ધરે તો હું તને મારીશ, ત્યારે મરીચિયે વિચાર્યું કે બેમાંથી એક મારશે એ સિદ્ધ હોય ત્યારે તો રામને હાથે મરવું સારું –

“रामादपि हो मर्त्तव्यं मर्त्तव्यं रावणादपि|
“रामरावणयोर्मध्ये वरं रामो न रावणः॥”

મલ્લરાજ તરવાર લેઈ ઉઠ્યો, બીજા ખંડમાં જતો રહ્યો, અધઘડી પછી પાછો આવ્યો અને મુખ ઉપર દૃઢતા તથા ધૈર્ય ધારી બોલ્યો: “જરાશંકર, તરત ઉઠ. બ્રેવસાહેબને મ્હારા નામનો પત્ર લખી લાવ કે મલ્લરાજ કંપનીસરકારને આશ્રય આપવા પોતાની સેનાસાથે સજ્જ છે.”

“મહારાજ, મ્હારી બુદ્ધિ બ્રાહ્મણભાઈની—અંતે મ્હારા કહ્યા પ્રમાણે કર્યું કહી મ્હારો દોષ ન ક્‌હાડશો. જાતબુદ્ધિથી વિચારી જોજો.”

મલ્લરાજે હાસ્ય કર્યું: “મ્હારી નોકરી કરે તેણે પોતાના ગુણદોષની વાત સાંભળવા તત્પર ર્‌હેવું જોઈએ.”

“તેની ના નથી. પણ મ્હારી બુદ્ધિના દોષનું ફળ આપને મળવાનું તેની આપને સૂચના આપવી એ મ્હારો ધર્મ છે.”

“હવે બરોબર. તો જો. જે ઠરાવ હું કરું છું તેમાં દોષ ઘણા છે. ઈંગ્રેજી વાણીયા રજપુતોને વાણીયા કરી દેશે ને વાણીયાવિદ્યા રજપુતોને આવડવાની નહીં એટલે આખરે હારવાનું. પણ આ આપણા ભાઈઓ જીત્યા તો વાંદરાના હાથમાં ન્હાનું છોકરું જાય તે છોકરાના જેવી સઉ નબળાઓની દશા થવાની.”

“મહારાજ, હું તો એટલું સમજું કે ઈંગ્રેજો ઉંદરની પેઠે આપણને નિદ્રામાં રાખી ફુંકી ફુંકીને કરડશે ને આપણા લોક રીંછની પેઠે ઝેરી લાળ ચોપડતા ચોપડતા ઠેકાણે ઠેકાણે બચકાં ભરશે ને રીબાવી રીબાવીને મારશે.”

“ત્યારે આપણે કાંઈ ઠગાતા નથી. બેના દોષ જોતાં ઓછા દોષ લાગે તેની સાથે કામ પાડતાં કાંઈ બાધ નથી. ઈંગ્રેજને સાકર જાણી ખાતા નથી, પણ મરચાં કરતાં મરી સારાં ગણી ચાવીયે છીયે.”

જરાશંકર મલ્લરાજની આજ્ઞા પાળવા ઉઠ્યો અને જતાં જતાં મનમાં બોલ્યો:

“આહા! શું કાળબળ છે કે રજપુતોની ભૂમિમાં ઈંગ્રેજોને રાજાના રાજા થવાનો પ્રસંગ આવે છે? પણ નક્કી મ્હેં મ્હારા રાજાને યોગ્ય અભિપ્રાય જ દર્શાવ્યો છે ને આ પ્રસંગે રાજનીતિને અનુસરીને જ માર્ગ લીધો છે. કારણ પ્રથમ તો

“असहायः समर्थोपि तेजस्वी किं करिष्यति।
निर्वाते ज्वलितो वह्निः स्वयमेव प्रशाम्यति॥”58

“સદ્દગુણી શુધ્ધ મલ્લરાજ પણ આમ અસહાય જ છે. આ તોફાની લુટારાઓ રાજપદ પામે તો તેની મિત્રતા—ખલપ્રીતિ—કેટલો કાળ છાજવાની?”

“अम्रच्छाया खलप्रीति: सिद्धमन्नं च योषित:।
“किञ्चित्कालोपभोग्यानी यौवनानि धनानि च॥59

“વળી એ લોક ઉપરી થયા તો રત્નનગરીની શી દશા?

“क्षुद्रमर्थपतिं प्राप्य न्यायान्वेषणतत्परौ।
“उभावपि क्षयं प्राप्तौ पुरा शशकपिञ्जलौ॥60

“ત્યારે ઈંગ્રેજો ઉપરી થાય તો કેમ? જરાશંકર, હવે વલંદા, ફિરંગી, ફ્રાંસવાળા ને બીજાઓ આગળ આ ઈંગ્રેજના નામનો પણ મહિમા છે—એ સઉને આજસુધી પ્હોંચી વળ્યા ને હવે પછી પ્હોંચી વળશે; ન્હાનાં રાજયોને એ જ ઢાલ યોગ્ય છે.

“गुरुणां नाममात्रैऽपि गृहीते स्वामिसंभवे।
“दुष्टानां पुरतः क्षेमं तत्क्षणादेव जायते॥61

“વળી આ તો ઈંગ્રેજ એટલે એક ચક્રવર્તી અને આ તોફાની લોક એટલે બાર પુરભૈયા અને તેર ચોકા:

“एक एव हितार्थो यस्तेजस्वी पार्थिवो भुवः।
“युगान्त इव भास्वन्तो वहवोऽत्र विपत्तये॥62

“થોડુંક જીત્યા અને સામાન્ય શત્રુ હજી પ્રત્યક્ષ છે એટલામાં ફુલી ગયા તે આ લોક વિજય સંપૂર્ણ થતાં મલ્લરાજ જેવાઓની અને પ્રજાની શી પરવા રાખવાના હતા? કાગડાએ ઘુવડની પરીક્ષા કરી હતી કે–

“स्वभावरौद्रमत्युग्रं क्रूरमप्रियदर्शनम्।
“उलूकं नृपतिं कृत्वा का नः सिद्धिर्भविप्यति॥63

“એ એવા છે તો કંપની સરકારની મિત્રતા કેવી છે? કંપની આગળ મલ્લરાજ અસ્ત થશે ને મ્હોટાની પાછળ ન્હાનો ઘસડાશે ને લુટાશે.

“ययोरेव समं वित्तं ययोरेव समं कुलम्।
“तयोमैंत्री विवाहश्च न तु पुष्टविपुष्टयोः॥64

“ત્યારે મલ્લરાજને તટસ્થ રાખું ને આ નવા સંબંધનું માંડી વળાવું? જો જય પરાજય કોનો થશે એ સમજી શકાય એમ ન હોય તો તો એકની મિત્રતા તે બીજાની શત્રુતા, માટે તટસ્થતા જ સારી. આપણે તો આ મહાવિગ્રહના ગુણદોષ સમજી શકતા નથી, પણ મલ્લરાજ પરીક્ષા કરે છે કે અંતે કંપની જીતશે એ નિશ્ચિત છે- એમની પરીક્ષા કદી ખોટી પડી નથી. આ પ્રસંગે કંપનીને આશ્રય અપાય તો બે અર્થ સરશે. પ્રથમ તો તેમની જયતુલામાં કાંઈ સંદેહ હશે તો એમના ભણીની તુલામાં ભાર આવશે તે કર્તવ્ય છે. બીજું એ કે મ્હોટાઓની સાથે મિત્રતા કરી કામની નહીં એ નિયમનો અપવાદ એવો છે કે મ્હોટાઓને માથે સૂક્ષ્મ પ્રસંગ આવે ત્યારે ન્હાનાએ કરેલો ન્હાનો સરખો ઉપકાર મ્હોટાઓને આમરણાંત બાંધી લે છે, માટે ન્હાનાએ આવો પ્રસંગ ચુકવો નહીં, આ ઉભય વિચાર ભવિષ્યના છે અને એવા ભવિષ્યને ડાહ્યા માણસો પોતાના ભણી ખેંચે છે. મ્હોટાઓને ન્હાનાની મિત્રતા કામની છે:–

“अपि संपूर्णतायुक्तैः कर्तव्याः सुह्रदो बुधैः।
“नदीशः परिपूर्णेपि चन्द्रोदयमपेक्षते॥65

“તો મ્હોટાની પ્રીતિ સંપાદિત કરવાનો પ્રસંગ ન્હાનાઓ ચુકે તો

“તો મૂર્ખતા કે નહી! કારણથી મિત્રતા ને કારણથી વૈર-મ્હોટાની મિત્રતાનું કારણ આવે એટલે તે ઝડપી જ લેવું.

“कारणान्मित्रतां यान्ति कारणाद्यान्ति शत्रुताम्।
“तस्मान्मित्रत्वमेवात्र योज्यं वैरं न धीमता॥66

“મલ્લરાજે ઈંગ્રેજની પરીક્ષા કરી તે ખોટી તો ન હોય—એમની ક્ષત્રિય – દૃષ્ટિ પ્રબલ છે—એમને ઈંગ્રેજનો પ્રસંગ બહુ નથી પણ ચતુર માણસો એક ચોખો ચાંપી પરીક્ષા કરે છે.–

“सकृदपि द्दष्ट्वा पुरुषं विबुधा जानन्ति सारतां तस्य।
“हस्ततुलयाऽपि निपुणाः पलप्रमाणं विजानन्ति॥67

“અને તેમાં ઇંગ્રેજની ચતુરાઈ તો આંધળાંથી પણ સમજાય એવી છે. મોરનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી-

“विज्ञायते शिशुरजातकलावचिन्हः।
“प्रत्यक्पदैरपसरन् सरसः कलापी॥68

“એમ છતાં ઈંગ્રેજ હારવાને સરજેલા હશે તો પણ આ લાભ માટે આ જોખમ વ્હોરવા જેવું છે.”

“ઈંગ્રેજ જીતશે ને ઉપકારને બદલે અપકાર કરશે, સર્વ આશા નિષ્ફળ થશે, તો પણ એવા લોકના પ્રસંગથી તેમનાં છિદ્ર અનુભવવા જેટલો તેમનો પરિચય પડવાનો તે પણ લાભ જ છે. એમને શત્રુ ગણો તો પણ તે આપણને મિત્ર જાણે તો તેટલાથી પણ લાભ છે. સામેનાં છિદ્ર જાણવાં એ તેમને જીતવાનો માર્ગ છે.

“सुसूक्ष्मेणाऽपि छिद्रेण प्रविश्याभ्यन्तरं रिपुः।
“नाशयेश्च शनैः पश्चात्प्लवं सलिलपूरवत्॥69

“વળી,

“भीतभितः पुरा शत्रुर्मन्दमन्दं विसर्पति।
“भूमौ प्रहेलया पश्चाज्जारहस्तोऽङ्गनास्विव॥70

“ઈંગ્રેજોને તો આ ક્રિયા આવડે જ છે, પણ તેમના પ્રત્યે આપણને એ ક્રિયા આવડવાનો પ્રસંગ પણ આમ જ છે. આવડીને કાંઈ આપણે તેની સાથે પ્હોંચી વળવાના નથી—પણ પ્રસંગ છે, આજ નહીં ને સો વર્ષે શું થશે તેની સમજણ નથી—પણ તેવે કાળે પટા રમતાં આવડતા હશે તે તરવાર વીંઝશે. એવાની સાથે પટા રમવાનો લાભ મળે તે જ મહાલાભ છે.”

“મિત્રતા કરવી એટલે વિશ્વાસમાં લેવાવું એમ નથી. વિશ્વાસના પેટામાં અવિશ્વાસ રાખી જાગૃત ર્‌હેવું એ સર્વ રાજનીતિનું પ્રથમ પગલું છે.”

“न विश्वसेदविश्वस्ते विश्वस्तेऽपि विश्वसेत्।
“विश्वासाद्भयमुत्पन्नं मूलान्यपि निकृन्तति॥71

“न वध्यते ह्यविश्वस्तो दुर्बलोऽपि चलोत्कटैः।
“विश्वस्ताश्चाशु वध्यन्ते बलवन्तोऽपि दुर्बलैः॥72

“ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઈએ–

“सुकृत्यं विष्णुगुप्तस्य मित्रात्पिर्भार्गवस्य च।
“बृहस्पतेरविश्वासो नीतिसन्धिस्त्रिधा स्थितः॥73

“વળી,

“अविश्वासं सदा तिष्ठेत्संधिना विग्रहेण च।
“द्वैधीभावं च संश्रित्य पार्श्वे शत्रोर्वलीयसः॥74

“આ મહાસાગર જેવી કંપની, તેને પાર પામવાને તો એવો આરો બાંધવો જોઈએ કે તેનાં પગથીયાં છેક તળીયે પ્હોંચે અને ર્‌હે.”

“कृत्वा कृत्यविदस्तीर्थैरन्तः प्रणिधयः पदम्।
“विदांकुर्वन्तु महतस्तलं विद्विषदम्भसः॥75

“આવી રીતે કંપનીસરકારનાં મર્મછિદ્ર જણાશે તો તો તેમાં બીજું કાંઈ નહી તો મિત્રભાવની દોરી પરોવી લઈશું! ઈશ્વર કરે ને શત્રુભાવ ન થાય પણ મિત્રતા રાખીને પણ તેમના – આપણા સ્વાર્થમાં વિરોધ આવતાં આપણું કામ કેમ ફહાડી લેવું એ પણ તેમનાં છિદ્રમાં સૂત્ર પરોવવા જેવું જ છે.

“अत्यच्छेनाविरुद्धेन सुवृत्तेनातिचारुणा।
“अन्तर्भिन्नेन संप्राप्तं मौक्तिकेनापि बन्धनम्॥76

“આવાં અનેક ફળ આપનારું કાર્ય સાધવાનો પ્રસંગ આવે છે – તેમાં રાજાનું તેમ પ્રજામાત્રનું કલ્યાણ લાગે છે—એ મહાકાર્ય છે – તેમાં કડવાટ માત્ર એટલો છે કે દેશીનો દ્રોહ કરવા પરદેશીને ભેટવું પડે છે”—જરાશંકરે ઉંડો નિ:શ્વાસ મુક્યો અને તેની આંખમાં આંસુ આવ્યાં.

“અહો! રાજયધર્મ અતિ દુસ્તર છે—એમાં પોતાનાં તે પારકાં કરવાં પડે છે ને પારકાં તે પોતાનાં કરવાં પડે છે—એમાં માત્ર રાજ્યના હિતનો—પ્રજાના હિતનો—સંબંધ છે અને તે સંબંધને અંગે સો કૌરવના કરતાં પાંચ પાંડવનો સંબંધ પ્રિયતર છે – વિશેષ ફલદાયી છે –

“सत्यधर्मविहीनेन न संदध्यात्कथंचन।
“सुसंधितोऽप्यसाधुत्वादचिराद्याति विक्रियाम्॥77

“ત્યારે આવા કાર્યને અર્થે વિષ પીવું પડે તો શું થયું?

“कार्यस्यापेक्षया भुक्तं विषमप्यमृतायते।
“सर्वेषां प्राणिनां यत्र नात्र कार्या विचारणा॥78

“એમ જ? ત્યારે રાજકાર્યમાં દીર્ધસૂત્રી થવું અને કાળક્ષેપ કરવો એના જેવું પાપ અને હાનિકારક કાંઈ નથી.

“शीघ्रकृत्ये समुत्पन्ने विलम्बयति यो नरः।
“तत्कृत्ये देवता तस्य कोपाद्विघ्नं प्रयच्छति॥79

“यस्य यस्य हि कार्यस्य सफलस्य विशेषतः।
“क्षिप्रमक्रियमाणस्य कालः पिवति तद्रसम्॥80

“ત્યારે તો,

“अनागतं यः कुरुते स शोभते।
“स शोचते यो न करोत्यनागतम्॥81

“આગામિ બુદ્ધિ રાખી વેળાસર ચેતવું, અને

का हानिः समयच्युति?82

“હવે તો એવા ધૈર્યથી કામ કરવું કે વટ – વાનરને અભિનંદન મળ્યું હતું તેવું મને મળે અને મલ્લરાજ કહે કે –

“हतः शत्रुः कृतं मित्रं रत्नमाला न हारिता।
“नालेनास्मादितं तोयं साधु भो वटवानर॥”83

આવા અનેક સંકલ્પ કરી, અંતે આવો સિદ્ધાંત કરી, શૂર મલ્લરાજનો નીતિપ્રવીણ પ્રધાન સ્વામીની આજ્ઞા પ્રમાણે પત્ર લખવા ચાલ્યો.

આણી પાસ મલ્લરાજે પણ ધારેલી રચના સ્થાણુખનન ન્યાયે ફરી ફરી તપાસી અને અનુકૂલ ગણી.

“રાજાઓને આખરનો સંબંધ ભૂમિ સાથે પણ નથી. કીયા રાજાના પૂર્વજો પરદેશી ન હતા? કીયા રાજાના વંશજો બાપદાદાની ભૂમિને યાવચ્ચંદ્રદિવાકર વળગી કે સાચવી રાખવાના છે?

The Minister Azeem Ul Omrah had, however, no easy task to conquer the prejudices of his sovereign, the Nizam, against such an alliance which, that Monarch argued, would, from the inequality of the parties, early terminate in rendering his dominions virtually dependent for their future security upon the British Government. This the Minister admitted, but he contended * * * that, as it was clear that the situation of the State of Hyderabad was such as to make it impossible to remain without the alliance of some one of those Powers, it was assuredly wise to prefer a connection with a Government which brought with its protection the substantial blessings of security and peace to the nominal friendship of Powers, whose professed objects were plunder and conquest, and who had repeatedly shown that they held in contempt even the forms of public faith. The Nizam’s prejudices and fears were at last subdued by this reasoning: –John Malcolm’s Political History of India. બ્રાહ્મણોના અને ક્ષત્રિયોના ધર્મ ઘણી રીતે મળતા છે. એકનો એક આત્મા એક ખોળીયું બદલી બીજા ખોળીયામાં પેસે એવો ધર્મ બ્રાહ્મણો સમજાવે છે તેમ અમારો વંશ એ અમારો આત્મા અને દેશ એ ખોળીયું. તે એક ખોળીયાનું આયુષ્ય પૂર્ણ થાય અને એ ખોળીયું પડે એટલે બીજું ખોળવું અને ખોળીયાનું આયુષ્ય બને એટલું વધારવું.”

“રાજાઓનો સંબંધ માણસો સાથે પણ નથી. શાસ્ત્રી મહારાજ શ્લોક ક્‌હે છે કે રાજા કોઈના મિત્ર નથી. જરાશંકર આ ઉપરથી મશ્કરી કરે છે કે રાજાઓનો વિશ્વાસ ન કરવો. ખરી વાત છે. માબાપને મન દીકરો ગાંડો મૂર્ખ કે લુચ્ચો હોય તોપણ એ લોહીનો સંબંધ છુટતો નથી ને દીકરાના દોષ વસતા નથી. દીકરાઓ આથી માબાપનો વિશ્વાસ કરે તે બરોબર, પણ રાજા તો ગુણના સગા અને દોષના શત્રુ, તેને મન પાટવીકુમાર પણ એક લોહીનો નથી તો સેવક—ક્યાંથી હોય? માણસમાત્રે એમ ગણવું કે રાજા મ્હારા ગુણનો સગો છે—મ્હારી જાતનો સગો નથી. તેના ગુણ વિશ્વાસયોગ્ય હશે ત્યાં સુધી તેની ને રાજાની વચ્ચે વિશ્વાસ; બીજી રીતે વિશ્વાસ નહી. જે રાજા રાણીને કે કુમારને કે પ્રધાનને સગાં માને છે તે રાજા નથી. માણસમાત્રમાં ગુણ કરમાય એટલે વાસના વગરના કરમાયલાં ફુલ પેઠે તે માણસને રાજાએ રાજકાર્યમાંથી દૂર કરવો અને દોષ હોય તો શિક્ષા સુદ્ધાંત કરવી.”

“જયારે આમ છે તો આ ગર્ભચોર બંડખોરો સાથે કે આખા હીંદુસ્થાન સાથે મલ્લરાજને સંબંધ નથી: રાજા રાજકાર્યનો સગો છે. કંપની સરકારને દેશ જીતતાં આવડ્યો, દેશ રાખતાં આવડ્યો, સામ દામ ભેદ અને દંડ આવડ્યાં, વેરને ઠેકાણે વેર અને મિત્રતાને ઠેકાણે મિત્રતા આવડી, પઈસા કમાતાં આવડ્યા, ખરચતાં આવડ્યા, ખુશામત આવડી, મુસલમાની આવડી, વાણીયાવિદ્યા આવડી, બ્રાહ્મણપણું આવડ્યું, યુદ્ધ-કળા આવડી, યુદ્ધબળ અજમાવતાં આવડ્યું, રાજનીતિ આવડી, રક્ષણ કરતાં આવડ્યું અને મુંબાઈ જેવા ગામડાને વિશાળ નગરી કરતાં આવડી. એમના પાંચ હજાર માણસો—બળથી નહી પણ કળથી—પંદર હજારને હઠાવે છે. એમને ઉદારતા આવડે છે, કંજુસાઈ આવડે છે, લુચ્ચાઈ આવડે છે, લુટતાં આવડે છે, સ્વાર્થ સમજે છે, ને પરમાર્થ પણ સમજે છે. એ જીતવાના નક્કી, એમની સાથે સંબંધ બાંધવામાં ચતુરાઈ છે અને રજપુતાઈ છે. એ નહી જીતે તો રત્નનગરી જાળવવા મહારે લ્હડવું પડે અને લ્હડતા ખોવી પડે—એમાં શી મ્હોટી વાત છે? જીતશે તો એ મહાગુણવાળાના સંબંધથી મ્હારા વંશજોમાં ગુણ આવશે, મ્હારી રત્નનગરીમાં મનુષ્યરત્ન પાકશે. સારું થશે તો એ મહાફળ છે; ખોટું થશે તો આ શરીરને રણની રેતીમાં પડવું એ મહાફળ છે. એમની સાથે સંબંધ બાંધી બળવાન પાડોશીના નબળા પાડોશીની દશા થશે તો કંપની સરકાર જેવા રાજયોદ્ધાઓ સાથે મ્હારા પુત્રો અને પ્રધાનો બુદ્ધિબળની યુદ્ધકળા અજમાવશે, અજમાવતાં ઘડાશે અને વધશે, અને એ માનસિક રણજંગના જંગી થશે. ફુલ સર્વ લોકને માથે ચ્હડે કે વનની ધુળમાં પડે84 તેમ કરવાનો લોભ મ્હારાં બાળકોને થાય તો એ પણ રાજાઓને ખેલ છે!”

55 “રાજાને કોઈએ કદી મિત્ર દીઠો કે સાંભળ્યો?”

56 થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce

57 2ખાનદાન; ઉંચા કુળના.

58 તેજસ્વી સમર્થ હોય તો પણ જો સહાય વગરનો હોય તો શું કરી શકે? પવન વિનાના દેશમાં બળતો અગ્નિ પોતાની મેળે જ શાંત થાય છે.-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

59 વાદળાંની છાયા, ખલપુરુષની પ્રીતિ, રાંધેલું અન્ન, સ્ત્રીઓ, યુવાવસ્થા, અને ધન: એમનો ઉપભોગ કિંચિત્ કાલસુધી જ કરવાનો છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી

60 ક્ષુદ્ર અર્થપતિને પામે તેની પાસે ન્યાય ખોળવા બેસનાર સસલું અને કપિંજલ પક્ષી એ બેનોએ પ્રાચીનકાળમાં નાશ થયેલો છે. (આ એકવાત છે, તે પંચતંત્રના ત્રીજા તંત્રના 91 મા શ્લોકમાં જોવી.)

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

61 સ્વામીના સંભવનો પ્રસંગ નીકળે ત્યારે દુષ્ટાની સામે મ્હોટાઓના નામથી તત્ક્ષણ જ ક્ષેમ થાય છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

62 પૃથ્વીનો રાજા જો તેજસ્વી અને એક હોય તો તે જ હિતકારક છે, પ્રલયકાલના સમયમાં તેજવાળા ઘણા સૂર્ય હોય છે, પણ તે વિપત્તિના હેતુ હોય છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

63 સ્વભાવથી ક્રોધી, અતિઉગ્ર, ક્રૂર, અને અપ્રિય જેનું દર્શન છે એવાં,ઘુવડ (दिवान्ध) ને રાજા કરીશું તો આપણી શી સિદ્ધિ થવાની હતી?

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

64 જે બે ધનમાં સમાન છે અને કુલમાં પણ સમાન છે તે બેની મધ્યેમિત્રતા તથા વિવાહ થાય તે યોગ્ય ગણાય; પરંતુ કોઈ ધનથી અથવાકુલથી મ્હોટો હોય અને બીજો એથી ન્યૂન હોય તો તે બેની જોડી બનતીનથી

– પંચતંત્ર: જીવરામ રાસ્ત્રી.

65 જેનામાં કોઈ પ્રકારની ન્યૂનતા નથી એવા પણ શાણા માણસોએ મિત્રો કરી રાખવા આવશ્યક છે, જેમકે નદીઓનો ધણી સમુદ્ર પરિપૂર્ણ છે તે પણ ચંદ્રોદયની અપેક્ષા રાખે છે.

– પંચતંત્ર: જીવરામ રાાસ્ત્રી.

66 પંચતંત્ર.

67 વિદ્વાનો એક વેળા સામા પુરુષને જોને તેનો સાર જાણી જાય છે.જેમ કે હાથથી જોખવાની કળાથી પણ નિપુણ માણસ એક રતિપૂર ઓછુંવધતું જાણી શકે છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

68 જેને કળા કરવાનાં પીછાંનું ચિહ્ન પણ ઉત્પન્ન થયું નથી અને જાતેબાળક છે તે પણ સામાં પગલાં ભરવા માંડે તે પગલાંઓથી જ રસવાળોએવા જે મોર તે આ છે એમ ઓળખાઈ આવે છે.

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

69 સામા પક્ષમાં મ્હોટા માર્ગથી જવાનું પ્રથમ જો ન બને તો ઘણેસાંકડે રસ્તેથી પણ અંદર જઈ શત્રુ તેનો નાશ કરે, જેમ કે ન્હાના છિદ્રથીનૌકાની અંદર પેઠેલું જલ મ્હોટી નૌકાને ડુબાડે છે.તેમ.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

70 શત્રુ અત્યંત ભય પામતો પામતો પ્રથમ ધીરે ધીરે ભૂમિપર પગલાંભરી પ્રવેશ કરે છે અને પછી ખોંખારાબંઘ ચાલે છે; જેમ જારપુરુષનો હાથસ્ત્રીઓમાં કરે છે તેમ.

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

71 જે માણસ સદા અવિશ્વાસુ છે તેનો વિશ્વાસ કરવો નહીં, તેમવિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહી; વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છેઅને તે મૂળને પણ કાપી નાંખે છે.

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

72 દુર્બલ છતાં અવિશ્વાસુ હોય તો તે બલવાનોથી પણ બંધાતો નથીઅને વિશ્વાસુ પુરુષો બળવાલા હોય તો પણ દુર્બલ પુરુષોથી પણ તેઓતરત બંધાઈ જાય છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

73 વિષ્ણુગુપ્તનું સુકૃત્ય, ભાર્ગવની મિત્રપ્રાપ્તિ, અને બૃહસ્પતિનો અવિશ્વાસ, એ ત્રણ પ્રકારથી નીતિના સંધિની સ્થિતિ છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

74 બલવાન્ શત્રુ પાસે હોય ત્યારે સંધિ ને વિગ્રહનો માર્ગ રાખી નિરંતર અવિશ્વાસથી ર્ હેવું:– સદા અવિશ્વાસ રાખવો, સંધિ પણ રાખવો; અને વિગ્રહ પણ રાખવો ને દ્વૈધીભાવને સંશ્રય કરી વસવું.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

75 શત્રુરૂપ સરોવરજળમાં અંદર ઉંડાં તીર્થ (રાજાના અંગના પુરુષ અથવા પગથીયાં) રાખી, તે દ્વારાએ જળમાં પગપેસારો કરી કામ કરી લેવાનું જાણનાર દૂત પુરુષોએ આ મ્હોટા શત્રુ – જલનું તળીયું જોઈ લેવું:

-પંચર્તત્ર: જીવરામ શાસ્ત્રી.

76 અતિસ્વચ્છ, કોઈનો વિરોધ ન કરે એવું સુંવાળું, સારી રીતે, વૃત્ત (ગોળ અથવા સારી વર્તણુંકવાળું) અને અતિ સુંદર, એવું મૌક્તિક (મોતી મુક્તિવાળું) છે પરંતુ અંદર છિદ્ર છે તો તે બંધનને પ્રાપ્ત થાય છે.

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી

77 સત્ય તથા ધર્મથી જે રહિત છે તેની સાથે કોઈ દિવસ સંધિ કરવો નહીં; તેની સાથે કદાચિત સાદી રીતે સંધિ કરીએ તો પણ પોતાની અસાધુતાને લીધે તે પુરુષ તરત વિક્રિયાને પ્રાપ્ત થાય છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી

78 જ્યાં સર્વે પ્રાણીઓના કાર્યની અપેક્ષાથી ખાધેલું વિષ પણ અમૃત થઈ જાય છે, ત્યાં કાંઈ વિચાર કરવો નહી; (અર્થાત્ તે વિષે કાંઈ પણ વિચાર કર્યા વિના પી જવું.)

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

79 ઉતાવળથી કરવાનું કાર્ય પાસે આવે તેમાં જે મનુષ્ય વિલંબ કરે છે તેના તે કાર્યમાં દેવતા કોપ કરી વિઘ્ન નાંખે છે.

-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

80 જે જે કાંઈ કર્તવ્ય—કરવા જેવું—છે અને તેમાં વળી વિશેષે કરીને જે કાર્ય સફલ થતું આવે છે. તે કાર્ય જે શીઘ્ર કરવામાં આવતું નથી તે તે કાર્યને રસ કાલ પોતે પી જાય છે (અર્થાત્ તે કાર્ય રસવગરનું થાય છે ને પરિણામમાં બગડી જાય છે.)

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

81 જે કાર્ય અનામત છે—પાસે આવેલું—નથી, તેની જે પુરુષ તે કાળે એટલે પ્રથમથી યોજના કરે છે તે શોભાનું પાત્ર થાય છે અને તેવી રીતે જે નથી કરતા તે શોકને પાત્ર થાય છે.

– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.

82 સમય ખોયે તો પછી એથી મ્હોટી શી હાનિ થવાની હતી?

83 શત્રુ હણાયો, મિત્ર કર્યો, રત્નની માળા ગુમાવી નહીં, અને કમળનાળથી જળપાન કરી લીધું. એ સર્વ કાર્ય સાથે લાગાં સાધનાર હે વડના ઝાડ ઉપરના વાનર! તને વાહવાહ છે. -પંચતંત્રના ત્રીજા તંત્રમાં આ વાનરની કથા છે:–જીવરામ શાસ્ત્રી.

84 નીતિશતક ઉપરથી.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.