પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને આજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને કીયો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાન કલ્પવું પણ કઠિણ છે. પ્રતિદિવસે વધતા શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના આ સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાલ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દૃષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઊભરાવા લાગી છે, એ જ આનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હૃદયમાં કીર્તિનો લોભ આમ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાલની એક ઉત્સાહક દશા છે. માલનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધાર રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છેડી દીધેલા આસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્ય–દેશોની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભુલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના–પ્રત્યક્ષ માયાથી અંતર તત્ત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતમાં વધારે પચે છે; માયાની સુંદરતા ચિત્તની રસજ્ઞતાને અતિસૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મુકે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનને અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે. સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય તત્ત્વમાં થઈ જાય છે. – માયા એ માત્ર તત્વની સાધક છે – માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઈએ – માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઈએ–માયા–અંડ ફૂટતાં તત્ત્વ–જીવ સ્ફુરવો જોઈએ; એ વાત ભુલવી જોઈતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથિયું છે–એ પગથિયે ચ્હડીને પછી ત્યાં અટકવાથી તે ચ્હડવું નકામું થાય છે–હાનિકારક પણ થાય છે.

ત્યારે નવલકથાનું હાર્દ શું જોઈએ? નવલકથા કોના હાથમાં જશે – તેનો ઉપયોગ કોણ કેવી દૃષ્ટિથી કરશે – તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીયે તો સફળબોધક થાય તે સમજશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતાઆદિ પોતાને રુચતાં તત્ત્વ શોધે છે અને શેષભાગ પડતો મુકે છે.

આ ઉભય વર્ગ સાથે વ્યવહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના લ્હાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભુલવા જેવું નથી, કારણ વાંચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા-તેમનું બ્રહ્મવર્ચસ્-સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે:

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસા૨સ. આ રસ સર્વે બાળકોમાં હોય છે, સ્ત્રીયોનું તે લક્ષણ ગણાય છે, અને ચ્હડતી અવસ્થામાં ઘણાકમાંથી તે જતો નથી.

(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. આવાં ચિત્ત નવલકથાઓ જોઈ વિહ્વલ બની જાય છે, અને એવી કથાઓના અતિસંભોગથી અંતે નિર્વીર્ય થાય છે.

(ગ) કથાઓ વાંચવાનું વ્યસન–અફીણ, દારુ વગેરેનાં વ્યસન જેવું જ; તે છોડ્યું છુટતું નથી.

(ઘ) શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ. ઘણાંક ભણેલાઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છુટતાં, વારનાર કોઈ હોતું નથી.

(ઙ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.

(ચ) નિરક્ષરતા, અને નવરાશ.

ભણેલા તેમ જ અભણ વર્ગનો મ્હોટો ભાગ આ છેલ્લા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ આજકાલ દિગ્વિજય પામી દેખાય છે. આ સર્વ વિચારી, ભિન્ન ભિન્ન સર્વ આવા વાંચનારને જમે ઉધાર કરતાં સરવાળે હાનિ ન થાય અને લાભ થાય એવી રચના કરવી એ એકેએક કથાકરનો ઉદ્દેશ હોવો જોઈએ; અને વાંચનારની રુચિ શોધી તેને અનુકૂળ પોતે થવું તેના કરતાં તેની સદ્રુચિને જ અનુકૂળ થવાનું રાખી, બીજી રીતે પોતાની અભીષ્ટ સદ્રુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવામાં વીર્યવાન્ ગ્રંથકારનું પુરુષત્વ સફળ થાય છે.

જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો; પરવશ થતાં જ સુમાર્ગે ચાલે એવાં પુરુષત્વહીન ચિત્તોને સન્મૂર્તિઓની ઉચ્ચ સુન્દરતાના મોહપાશમાં નાંખી સદ્‍વૃત્તના ઘેનમાં ગતિમાન્ થવાનો અવકાશ આપવો; કથાના વ્યસનીને સુકથાની મદિરા પાઈ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો; આળસુ વિદ્વાનોમાં સત્પ્રતિભા જગાડવી; સુચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્ત્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર ભરવો; અવકાશવાળાના અવકાશરૂપ ભુંગળામાં સન્મોહની ફુંક મારવી; અને નિરક્ષર જનને તેના ગજા પ્રમાણે અક્ષરલભ્ય જીવનના રસિક ક૨વાઃ આ અને એવા ઘણાક કાવ્યકથાના ઉદ્દેશ આર્ય કથાકારોથી અજાણ્યા નથી અને યુરોપમાં પણ પ્રશસ્ત વર્ગમાં પ્રશસ્ત ગણાય છે. આપણા શાસ્ત્રકારો તો ક્‌હે છે જ કે આવી કથાઓ મિત્રની પેઠે-સ્ત્રીની પેઠે-ઉપદેશ કરે છે.

સાધારણ વર્ગની આ સેવા દુસ્તર નથી એટલી સત્ય અને સારના શોધકોની સેવા ગહન છે; કારણ મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. પંડિતવર્ગ દેખીતી કલ્પનામાંથી સત્ય ચાળી ક્‌હાડે છે અને તેમના હાથ તેમને યોગ્ય સદ્વસ્તુથી ભરવા એ જ્ઞાન શ્રીમંતની જ શક્તિથી બને એવું છે. જડ વ્યવહારમાં જ પલોટાયેલાં દેખાતાં કેટલાંક ચિત્ત અન્ય ચેતનને અગોચર ર્‌હેતાં સ્થાનોમાં પળવાર સંચાર પામી ઉંડી કવિતા અનુભવે છે; તેવાં ચિત્ત દેખીતા વ્યવહાર–ગદ્યની વચ્ચોવચ હૃદયનાં ગાન સાંભળવા ઉત્સુક થાય છે. તેમને તૃપ્ત કરવાં એ પણ કોઈ શુદ્ધ કવિના પ્રાસાદિક મહિમાથી જ સાધ્ય છે. સંસારપંડિત મનુષ્યો નવલ કલ્પનાનાં મંડપવચ્ચે કીયો ઇતિહાસ, વરરાજા પેઠે, ઉભો છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી જુવે છે, અને કેઈ નીતિ, કન્યા પેઠે, વરાવાની છે તે શોધે છે; ટુંકામાં માનવીના બ્રહ્માંડ જેવા ચિત્તની હજારો હજારો વીગતો પંડિતવર્ગ નવલકથાઓમાં શોધે છે તે વીગતનું આ માત્ર દિગ્‌દર્શન જ છે. એ વર્ગને કવચિત્ પણ તૃપ્તિ અપાય તો તે મહાસંતોષની વાત છે.

નવલકથાનું શુદ્ધ હાર્દ આવું છે. કથાનું સ્વરૂપ માયિક હોવું જોઈએ તે ખરું, પરંતુ ગૌણ પક્ષે જ. હૃદયવિના સ્વરૂપ નિર્જીવ છે–તેના ઉપભોગથી હાનિ જ છે.

આ નવલકથામાં હાર્દ અને સ્વરૂપ કેટલાં સચવાયાં છે તેની તુલના પરીક્ષકને જ હાથે થવી યોગ્ય છે. તથાપિ ગ્રંથકર્ત્તાના કેટલાક વિશેષ ઉદ્દેશ સૂચકરૂપે અત્રે પ્રગટ કરવા તે પણ કથાની સંપૂર્તિ કરવા જેવું છે.

આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની ફુલગુંથણું છે. ગ્રંથના નાયકનો સ્ફુટ આવિર્ભાવ થતાં પ્હેલાં, ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તુટે છે, પરંતુ એક વાર્તાની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઈશ્વરે રચેલા ઈતિહાસોને નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ નથી. ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે.

માનવીના મલિન વિકારોથી આખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથોનું કર્મ હોય છે. ઈશ્વ૨સૃષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં આપણા જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્રથી અભણ વર્ગને લાભ નથી અને હાનિ છે, તે વિકારોનાં ચિત્ર જાણવાનાં સાધન વિદ્વાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર ક્‌હાડવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતાસુધી ઘણે અંશે દૂર રાખ્યું છે.

પૃથ્વી ઉપરનાં માનવીને ઉંચે ચ્હડાવવું હોય તો નીસરણીનું છેક ઉપલું પગથીયું બતાવવું એ તેની હીમ્મત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યાં નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણનો વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યાં નથી કે ઉત્કર્ષને ઉત્સાહક પગથીયું જ જોવામાં ન આવે. આપણા સાધારણ વિકારો–ક્ષમા કરવાયોગ્ય નિર્બળતા–તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. નિર્બળ માનવીમાં નિર્બળ માનવીપર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડીયાં મારવાના ઉપાય સુઝે: એ માર્ગનું દિગ્દર્શન અત્રે ઇચ્છ્યું છે. તેમ કરવામાં મલિન માણસોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે કવચિત્ આણવાં પડ્યાં છે; કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે.

વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ: એ સર્વના પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ ર્‌હેતાં મનુષ્યોની સ્થિતિયો અને સંક્રાતિયો દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણસારુ ઉપમાન મળે.

માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. આ જગતમાં સર્વ રીતે સારું જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઈ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઇચ્છ્યો છે.

વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગૂર્જર વસ્તીનો રાખેલો છે. એટલે, હજીસુધી આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની, આજથી આપણી કલ્પનાપર પડતી, પ્રતિચ્છાયા:–એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવી કલ્પના છે.

આ વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.

વસંતમાસ,
વિક્રમાર્ક ૧૯૪૩.
મુંબાઈનગરી.

} ગો. મા. ત્રિ.

ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના

શબ્દોની લેખનપદ્ધતિના વિષયમાં આ આવૃત્તિમાં કેટલાક નિયમ પાળવા યોગ્ય ગણ્યા છે. તે નિયમોનો વિવેક “સમાલોચક” નામના મુંબાઈના ત્રૈમાસિક પત્રમાં આપેલો છે. તેને વિસ્તાર પ્રસ્તાવનાને જોઈએ તેથી વધારે છે એટલે અત્ર આપ્યો નથી. પણ તે નિયમોની ટીપ નીચે પ્રમાણે છે.

૧. ગુજરાતીમાં વાપરવાના સંસ્કૃત શબ્દોનું લેખન મૂળ સંસ્કૃત પ્રમાણે જ રાખવું.

૨. ગુજરાતીમાં વાપરવાના ઈંગ્રેજી શબ્દોનું લેખન ઈંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે સાંગોપાંગ રાખવું.

૩. મૂળ સંસ્કૃત શબ્દમાં લ હોય ને તેને સ્થળે આપણે ળ વાપરતા હઈએ તો લ તથા ળ ઉભય વાપરવા અને બીજી બાબતમાં મૂળ સંસ્કૃત પ્રમાણે જ લખવું.

૪. સંસ્કૃત इ ई उ ऊ ને સટે ઇ ઈ ઉ ઊ લખવાં.

પ. સંસ્કૃત તથા ઈંગ્રેજી શુદ્ધ શબ્દોમાં કાંઈ પણ વિકાર અથવા ફેરફાર થઈ બંધાયલા તથા એ શુદ્ધ શબ્દો શીવાયના બાકીના બીજા બધા શબ્દોને ગુજરાતી ગણી તેમાં નીચેના નિયમ પાળવા. પ્રત્યયાદિને વિકાર ન ગણવા.

(અ) ગુજરાતના કોઈપણ પ્રાંતમાં ઉચ્ચારવામાં ન આવતું રૂપ સાક્ષર લેખમાં ચાલી ગયું હોય તો તજવું અને સટે સર્વત્ર ઉચ્ચારનું રૂપ લખવું. જેમકે, દ-હાડો, મ–હેતાજી તજી દ્‌હાડો અને મ્હેતાજી લખવું.

(આ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય અને તેમાંનો એક સાક્ષર લેખમાં ચાલતો હોય તો તે જ લખવો, જેમકે, “સું” અને “કહીસું” ને ઠેકાણે અમદાવાદનાં “શું” અને “કહીશું” વગેરે રૂપ વાપરવાં, અને “આંખ્ય” અને “લાવ્ય”ને ઠેકાણે સુરતનાં “આંખ,” “લાવ” વગેરે રૂપ વાપરવાં.

(ઈ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય ને સાક્ષ૨ લેખોમાં તેમાંનો એક પણ પરિપક્વ ચલણ પામ્યો ન હોય તો તે સર્વ ઉચ્ચારમાંથી જેને જે ફાવે તે લખવા.

(ઉ) લૌકિક લિપિને આધારે ગુજરાતી શબ્દોમાં ઈ હમેશ દીર્ઘ કરવી અને ઉ હમેશ હ્રસ્વ કરવું. આ નિયમમાં વ્યગ્રતા ન આવે માટે લોકલિપિમાં દીર્ઘ ઊ સમેત ર્ કરી લખાતા રૂને પણ રુ લખવું. શ. અને ષ ને ઠેકાણે લોકલિપિમાંનો શ લખવો. આ વિષયમાં શુદ્ધાશુદ્ધના કાંઈ પણ તર્કવિતર્ક ન કરવા.

(એ) જે શબ્દોમાં હ સર્વત્ર બોલાતો હોય ત્યાં લખવો અને હ પ્હેલાંનો સ્વર ન બોલાતો હોય ત્યાં તે સ્વર ન લખવો. જેમકે, ત્હારું, ર્‌હેવું, ઇત્યાદિ તેમ જ મ્હેં, ત્હેં વગેરેમાં “હેં” ઠેકાણે “એં” કરી નાંખવાનો પ્રચાર ઉચ્ચારવિરૂદ્ધ છે તે ન સ્વીકારતાં (અ) નિયમથી મ્હેં, ત્હેં લખવું. પણ અમારા, અમ્હારા, એવા બે ઉચ્ચાર થાય છે તો (આ) નિયમ પ્રમાણે “અમારા” લખવું.

(ઓ) પદ્યલેખકો હ્રસ્વ દીર્ઘ ઉચ્ચારવાની સંજ્ઞાઓ (– તથા–) ભલે વાપરે, પણ લેખન પદ્ધતિ બદલવાની તેમને અગત્ય નથી. માત્ર “ર્‌હેવું” વગેરેમાં “ર્” ને સ્થાને “૨” વાપરવા, એટલે તેમાંનો “અ” વિકલ્પે લખવા ન લખવા, સ્વતંત્રતા લેવી હોય તો તેઓ ભલે લે પણ ગદ્યમાં તે સ્વતંત્રતાનું કારણ નથી.

આ નિયમો થોડા, સ્હેલા, અપવાદ વિનાના, નિશ્ચયે અને સર્વથી સમજાય તથા નિત્ય પાળી શકાય એવા લાગે છે. પછી તે કોઈને ગમે ન ગમે એ જુદો પ્રશ્ન છે.

મુંબાઈ
શ્રાવણમાસ,
વિક્રમાર્ક ૧૯૫૨.

} ગો. મા. ત્રિ.

पञ्चदशीના શ્લોક

इच्छा नेच्छा परेच्छा च प्रारब्धं त्रिविधं स्मृतम्॥
अपथ्यसेविनश्चोरा राजदाररता अपि।
जानन्त इव स्वानर्थमिच्छन्त्यारब्धकर्मतः॥
न चात्रैतद्वारयितुमीश्वरेणापि शक्यते।
यत ईश्वर एवाह गीतायामर्जुनं प्रति॥

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति॥

अवश्यंभाविभावनां प्रतीकारो भवेद्यदि।
तदा दुःखैर्न लिप्येरन् नलरामयुधिष्ठिराः॥
अनिच्छापूर्वकं चास्ति प्रारब्धमिति तच्छृणु॥

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः॥

स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत्॥

नानिच्छन्तो न चेच्छन्तः परदाक्षिण्यसंयुता:।
सुखदुःखे भजन्त्येतत्परेच्छापूर्वकर्म हि॥        पञ्चदशी.

*

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.