પ્રકરણ ૧૮ 
- કારભારી અને કારભાર: દિગ્દર્શન

य: काममन्यू प्रजहाति राजा पात्रे प्रतिष्ठापयते धनं च ॥
विशेषविच्छ्रुतवाङ् क्षिप्रकारी तं सर्वलोक: कुरुते प्रमाणम् ॥1॥

जानाति विश्वासयितुं मनुष्यान् विज्ञातदोषेषु दधाति दण्डम् ॥
जानाति मात्रां च तथा क्षमां च तं ताद्दशं श्रीर्जुपते समग्रा ॥2॥

प्राप्यापदं न व्यथते कदाचिद् उद्योगमन्विच्छति चाप्रमत्त:॥
दु:खं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिता: सपन्ता: ॥3॥

न वैरमुद्दीपयति प्रशान्तं न दर्पमारोहति नास्तमेति॥
न दुर्गतोऽस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्या: ॥4॥

સંધ્યાકાળે જયારે શઠરાયના સમાચાર જુના થઈ ગયા. પ્રમાદધન તર્કપ્રસાદ સાથે લીલાપુર ગયો, અને કાર્યભાર વિવર્તની વાતોમાં વહી ગયેલો દિવસ જતો ર્‌હેતાં થાક્યા પાક્યા આખા સુવર્ણપુરમાં શાંત ઉતરતી રજનિ ગોરજ સમયે ઉડતી ધુળની સાથે મળી જવા માંડતી હતી, ત્યારે ઉપરના શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભૂપસિંહનાં અત્યારે એકાંત બનેલા વિશાળ સભાખંડમાં એકલો એકલો પગલાં ભરતો હતો અને દિવસનો ઉગ્રપ્રકાશ ન્યૂન થતાં અધિક થવા પામતા – અનેક હાંડીયો ‘વાલસેટો,’ વગેરેમાંના દીવાઓના – પ્રકાશથી, થાકેલી આંખોનો શ્રમ ઉતારતો હતો.

ભૂપસિંહ ગાદી પર બેઠો અને પોતે તેના વિશ્વાસનું પાત્ર હતો તો પણ શઠરાયની શંકા ન જાગે એ હેતુથી આજ સુધી બુદ્ધિધન રાજમ્હેલમાં એકલો બેસતો નહીં અને રાણા સાથે એકાંત વાત કરતો નહીં. રાજમ્હેલ મુકી રાજેશ્વર જેવાં સ્થાન ખાનગી વાર્તા સારું શોધવાનું કારણ આ હતું. આજના જેવી નીરાંતે રાજમ્હેલમાં બુદ્ધિધન કદી રહ્યો ન હતો, રાણાનો વિશ્વાસ આજ જગત્પ્રસિદ્ધ થયો, સંતાકુકડી કરવાની અણગમતી કળાને આજ છેલ્લા નમસ્કાર કર્યા. હવે અવિશ્વાસનાં સ્થાન શમી ગયાં લાગ્યાં. રાણો અને કારભારી પરસ્પર વિશ્વાસનું સુખ આજ પ્રથમ જ પામ્યા. ઘણો લાંબો પ્રવાસ પુરો થયો લાગ્યો.

‘કારભારી કુટુંબ’ ના અભિમાનવાળો આજ કારભારી થયો. શુદ્ધ રાજપુત્ર આજ શુદ્ધ રાજા થયો.

શઠરાય અને તેના મંડળનું શું કરવું તે ચિંતા હજી બાકી હતી. પ્રધાન વિવર્ત થતાં રજવાડામાં પક્ષવિવર્ત થાય છે. નવો પ્રધાન આવે એટલે જુના પ્રધાનનાં સર્વ માણસ વર્જ્ય ગણાય છે. એકથી વધારે પક્ષના હાથમાં સત્તા રહેતા નિષ્પક્ષન્યાયનો આભાસ રહે છે અને તે આભાસથી નવી વિદ્યાવાળાઓ અને મુંબાઈવાળાઓ સંતુષ્ટ ર્‌હે છે એ બુદ્ધિધનને લાગ્યું. પણ આ આભાસ રાખવો સરખો પણ દુર્ઘટ માલુમ પડ્યો. એ હાથમાં સત્તા રહી એટલે કોઈથી સંપૂર્ણ સત્તા વપરાય નહીં. આથી નિરંકુશતા ઉપર અંકુશ રહે એ વાત ખરી–પણ સારા કાર્યમાં એ અંકુશ રહે એ અનિષ્ટ. સામા પક્ષનો વિશ્વાસ શી રીતે કરવો? તેનો વિશ્વાસ કરતાં દયાને ડાકણે ખાધા જેવું થાય. લોકમાં નિર્બળતા ગણાય. સામા પક્ષવાળા પણ આપણી નિર્બળતા ગણે – ઉપકાર માનવો તો રહ્યો પણ નિર્બળ ગણી હસે, ખટપટ જારી રાખે, અને ભીતિનું કારણ સદૈવ ઉભું રહે. અકુલીન સ્ત્રી ગરીબ દેખાવના પતિને માન આપતી નથી તેમ આપણા પક્ષનાં – હાથ નીચેનાં – માણસો પણ પરપક્ષથી બ્હીતા દેખાતા ઉપરીનું મનમાં મન રાખતા નથી – પ્રસંગે પરપક્ષમાં પણ જાય છે. આ બધાનું પરિણામ શું થાય? રાજ્ય કેવી રીતે ચાલે? ઉભયપક્ષ પરસ્પરની રુખ રાખે ત્યારે ઉભયના અભિપ્રાય નકામા અને કાંઈ તૃતીય કાર્ય થાય – ૨ાજયનીતિ રાજયનિશ્ચિત રહે! ત્યારે રાજયનું જોખમ કોને માથે રહે? ગુણદોષનો આરોપ કોને માથે મુકાય? ગુણમાં ઉભયપક્ષ ભાગીયા થાય; દોષ સર્વ પોતાને માથેથી ક્‌હાડી નાંખે અને અપૂર્ણ જોઈ શકનાર લોક દેખીતા ઉપરીને માથે જ નાંખે. કોનો અભિપ્રાય નિશ્ચિત ગણવો, કેઈ રાજનીતિ ચાલતી ગણવી, કોની પાસે અંત્ય ઉપાય માગવો એ સર્વ વિષયમાં પ્રજા બીચારી અંધકારમાં ર્‌હે! – એકથી વધારે પક્ષનું રાજ્ય તે તો નક્કી પ્રજાપીડક જ થાય.

ત્યારે ઈંગ્રેજી વિદ્યા ભણેલાઓ ક્‌હે ક્‌હે કરે છે કે પક્ષ ર્‌હેવા જ ન જોઈએ – સર્વ પક્ષને સરખો જ અધિકાર જોઈએ એ શું? એવું શા ઉપરથી ક્‌હે છે? આ પ્રશ્ન બુદ્ધિધને પોતાના મનમાં પુછ્યો અને ઉત્તર ન મળતાં ઘણો જ ગુંચવારામાં પડ્યો. શું ઈંગ્રેજી રીતિમાં એ લોક કાંઈ એવું દેખે છે? – પણ ઈંગ્રેજી રાજસભામાં શું છે? – એક જ પક્ષનું રાજય. આ પક્ષ ખરો તો બીજો નહીં અને બીજો ખરો તો આ નહીં. “હું ધારું છું કે એ લોક માત્ર અનુભવવિનાની – વિચાર વગરની – વાતો કરે છે, માત્ર બોલ્યું જ જાણે છે. ખરી વાત છે – મુંબાઈમાં હાલના સુધરેલા જમાનામાં એ જ વા વાયાં કરે છે કે જે પકડ્યું તે પકડ્યું – જે ભૂત ભરાયું તે ભરાયું – નીકળે નહીં. ભૂત ભ૨વનાર જોઈએ. સાહેબ લોક આપણે જોયા તે તો કાંઈ આવા નથી હોતા – આ લોક કોણ જાણે કયાંથી આવું શીખ્યા? ન હીંદુમાં – ન ઈંગ્રેજમાં. પણ આ નવીનચંદ્ર કાંઈક વિચાર કરનાર છે ખરો. એના કહેવા પ્રમાણે વીલાયતમાં પક્ષ અને વિશ્વાસ બંધાય છે તે અભિપ્રાય અને વિશ્વાસ પ્રમાણે, અને આપણામાં સંબંધ પ્રમાણે; પણ એમાંયે એક વાત છે. વીલાયતમાં પોતાનો એક અભિપ્રાય હોવા છતાં પોતાના પક્ષને બીજો અભિપ્રાય હોય તો તેને ટેકો અપાય છે એવું બસ્કિન્ સાહેબ ક્‌હેતા હતા. એ ક્‌હેતા હતા તે ખરું અને નવીનચંદ્ર કહે છે તે ખોટું – એ બીચારું ભોળું માણસ છે – કોઈ પુસ્તક બુસ્તકમાં વાંચ્યું હશે. બસ્કિન્ સાહેબે તો જાતે જોયેલું – અનુભવેલું. અને ખરી વાત છે, એ વિના બીજે માર્ગ શો? અધિકાર તે એક જ હાથમાં હોય. બે બાયડીનો ધણી સાંભળ્યો છે – બે ધણીની એક જ બાયડી કંઈ દીઠી છે? વળી વીલાયતના કરતાં તો આપણે સારું છે. અભિપ્રાય એક હોવા છતાં ‘વોટ’ કે? વોટસ્તો – વોટ જુદો આપ્યો એ તો જુઠું બોલ્યાને ભાઈ જ કેની? આપણે અહીંયા તો ઉપરી અધિકારીનો જ વોટ – બીજા તો માત્ર સૂચના કરે. અને એમ કરતાં યે પક્ષવિનાનું રાજ્ય સાંભળ્યું છે કંઈ? ઈશ્વરને ઘેર પણ જુવો – દેવ ને દાનવનો પક્ષ અને ઈંગ્રેજોના ધર્મમાં યે શું છે – એમના ઈશ્વરને મન ફીરસ્તાઓ કહે તે ખરું અને શેતાન અને એનો પક્ષ ક્‌હે તે બધું યે ખોટું – એ પક્ષ લુચ્ચો, જુઠો, નીચો અને સઉ રીતે ખોટો, સદા કાળ નરકમાં ર્‌હેવાને સરજેલો. ત્યારે તો આપણો ઈશ્વર એવો પક્ષપાતી નથીઃ દાનવો આ અવતારે નહીં તો બીજે અવતારે સુધરે” – આમ મનમાં ક્‌હેતો ક્‌હેતો બુદ્ધિધન પુષ્કળ હસ્યો અને એક તકીયા આગળ નીરાંતે પડ્યો.

સર્વ વિચારી બુદ્ધિધને વિચાર કર્યો કે જુની રીત જ સારી છે. એટલું તો ખરું કે એમાં કાંઈ ભીતિ તો નથી જ. ત્યારે હવે પોતાનો પક્ષ કોને ગણવો અને પારકો કોને ગણવો?

બુદ્ધિધન ફરી પુષ્કળ હસ્યો અને પોતાને મૂર્ખ ગણવા લાગ્યો: વળી એ તે વિચાર? પોતાના તે પોતાના ને પારકા તે પારકા! આ યે મૂર્ખાઈ જ કેની કે આવા આવા યે વિચાર કરવા?–” વિચારમાળા પડતી મુકતાં મુકતાં કાંઈક ભૂતકાળ સાંભર્યો અને મ્હોં લેવાઈ ગયું. પોતાના મંદવાડમાં દુષ્ટરાયે મોકલેલી વિધવાએ પોતાના કુટુંબનું અપમાન કર્યું હતું – દીકરાની ઉપર બાપની પાસે ફરીયાદી કરવી નિરર્થક હતી – તે સાંભર્યું. પોતાના પક્ષના માણસોના દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરીયાદ કરવા નહીં આવી શકે – બીચારી કચડાશે – પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઈને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે? અધિકારનો નીશો પોતાના માણસોને ચ્હડશે અને કદી જાણ્યો અજાણ્યો જુલમ કરશે તો પ્રમાદધનનો અથવા એવા બીજાનો જ – દોષ “બુદ્ધિધન! ત્હારી પાસે કોણ ક્‌હાડશે?” એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. “હું હતો એવી જ દશામાં આજ કેટલા હશે અને મ્હારાં માણસોથી છુંદાતાં ચંપાતાં તે અનાથ વર્ગનો શો આશરો ર્‌હેશે? અરેરે – શું કારભાર એટલે આવા ગુંચવારા? – ઈશ્વર! મ્હારે તો કારભાર નથી જોઈતો! આ ગુંચવારો – આ પાપ – કોણ વ્હોરે? – મ્હારે તો “દેવી–માતુ:શ્રી! તમારે સારું લીધેલી પ્રતિજ્ઞા હું આજ તરી ઉતર્યો! શઠરાય – દુષ્ટરાય – તમને ફળ ચખાડ્યું. પિતાજી, તમારો અભિલાષ પુરો પાડ્યો – મ્હોટી પદવીએ હું પહોંચી ચુક્યો. ત્યાં કાયમ ર્‌હેવું જ એવું વાક્ય તમે ક્‌હાડ્યું નથી. કારભાર સ્વીકારવો એ પ્રતિજ્ઞા મ્હેં કદી લીધી નથી. ઘરમાં રહી વાનપ્રસ્થ સ્વીકારવું – તો, દેવી, ત્હારો અભિલાષ હજી પુરો થવો બાકી છે. ઈશ્વરે ખાવા જેટલું આપ્યું છે. કારભાર રાણો મરજી પડે તેને આપે: એની ઈચ્છા હશે તો વિદ્યાચતુરને આ જગાએ લાવીશું એટલે પ્રમાદની પણ ચિંતા નહીં ર્‌હે. હું અને મ્હારી દેવી – પુત્રને ગૃહસંસાર સોંપી – વનમાં જઈશું! બસ – આ કડાકુટો ક્યાં સુધી કરવો – વળી ચિંતા કરવી – શું કરવાને?”

આનંદમાં મગ્ન થતો થતો, પ્રસન્ન થયેલા ભાગ્ય પાસેથી વિશેષ પ્રસાદ માગી નિરાશ થવાનો સંભવ ન ર્‌હે એવી ઈચ્છા કરતો કરતો, સ્મશાન – વૈરાગ્યના ભાઈ ઉત્સવ – વૈરાગ્યમાં મગ્ન થતો થતો, બુદ્ધિધન ઉઠ્યો. તપાસ કરતાં માલુમ પડ્યું કે રાણાજી હજી વાળું કરી રહ્યા નથી. ચૈત્રી રાત્રે પરસેવો થતો હતો. ‘રાણા ક્‌હે એટલે બોલાવજો’ કહી બાગમાં એક ફુવારા પાસે બેસવા સારું ચાલ્યો અને ચાલતાં ચાલતાં અંધકાર ભરેલા જગતને માથે વિશાળ આકાશમાં ચમકારા કરતા તારામંડળને જોતો જોતો ચાલ્યો અને ન્હાનપણમાં પોતાના પાડોશી શાસ્ત્રીમહારાજ પાસેથી મ્હોંયે કરેલા શ્લોક સ્મરવા લાગ્યો.

“भ्रान्तं देशमनेकदुर्गविपमं प्राप्तं न किञ्चित्फलम्
त्यकत्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फ्ला ॥
भुक्तं मान्विवर्जितं परगृहे साशंकया काकवत्
तृप्णे दुर्मतिपापकर्मनिरते नाद्यापि संतृप्यसि ॥”

શઠરાયને ઘેર બાળપણમાં જમતો ને એ અવસ્થા સાંભરી આંખમાં આંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબાઈથી મંગાવેલા લોખંડના બાંક હતા તેમાંથી એકપર બેઠો

“खलोल्लापा: सोढा: कथमपि तदाराधनपरै-
र्निग्रुह्यान्तर्वाप्यं हसितमपि शून्येन मनसा॥
कृतश्चित्तस्तम्भ: प्रहसितधियामन्ञ्जलिरपि
स्वमाशे मोधाशे किमपरमतो नर्तयसि माम्॥”

હજી શઠરાય સાંભર્યા કર્યો. આજ સવાર સુધીના દિવસ સ્વપ્ન પેઠે દૃષ્ટિ આગળ ખડા થયા બાંકડા ઉપર સુતો – ફુવારાના પાણીવાળો શીતલ પવન પ્રિય લાગવા માંડ્યો. પોતે મૂળ એક રંક માણસ તે આજ સુવર્ણપુરના મહારાજના વૈભવનો અંશભાગી છે એ ભાન થયું. આ સર્વ ઘસાઈ ભવિષ્ય ભૂત જેવું થનાર લાગ્યુંઃ પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો!

“भ्रात: कष्टमहो महान्स नॄपति: सामंतचक्र च तत्
पार्श्वे तस्य च सापि राजपरिषत्ताश्चन्द्रबिम्बानना: ॥
उद्रिक्त: स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ता: कथा:
सर्वं यस्य वशादगात् स्मृतिपदं कालाय तस्मै नम:।”

“પ્રાત:કાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો – સ્મરણશેષ થઈ ગયો. જ કેની – અત્યારે એમાંનું કાંઈ છે?”

“रम्यं हर्म्यतलं न किं वसतये श्राव्यं न गेयादिकम्
किं वा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये ॥
किं तूभद्रान्तपतत्पतंगपवन्व्यालोलदिपाङ्कर-
च्छायाण्ञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गता:॥

આ વિચારમાં ને વિચારમાં શીતલ પવનલહરીથી – ચારે પાસથી આવતા પુષ્પપવાસથી – આંખ મીંચાઈ અને બુદ્ધિધન પળવાર ચિન્તામુક્ત થઈ આ સ્વપ્નમાંથી નિદ્રાસ્વપ્નની સૃષ્ટિવચ્ચોવચ ઉભો. રાજેશ્વર મહાદેવના વાડા જોડે ઓટલા ઉપર શરદ પુનમની રાત્રે સૌભાગ્યદેવી જોડેના તલાવમાં નાચતું ચંદ્ર પ્રતિબિમ્બ જોઈ રહી છે, અને સાથે જ બેસી, વાનપ્રસ્થ બુદ્ધિધન પતિવ્રતાને સમજાવે છે: “પ્રિય દેવી, આ રમણીય પ્રતિબિંબ જેવો જ તને આપણો સ્નેહ – સંસાર નથી લાગતો? જો, પાણીપર કરચલીયો, વળે છે તેમાં એ પ્રતિબિમ્બની લેખા દેખાય છે! પણ આખું પ્રતિબિમ્બ દેખાય છે અને હાલે છે. આપણો સંસાર પણ આવો જ છે. ખરું જોતાં પ્રતિબિમ્બ જુઠું છે, તે પણ જતું ર્‌હેવાનું: ખરો ચંદ્ર તો આકાશમાં છે: તેમ જ આ આપણો સંસાર જુઠો છે, અને જતો રહેવાનો છે. ખરો સંસાર તો બ્રહ્મમાં છે – એ સંસારનું નામ મોક્ષ: મ્હારે ત્હારે અન્તે એ જ પામવો છે. દેવી! તું અજ્ઞાન છે, પણ તું જેવી સુન્દર છે, ત્હારી કાન્તિ જેવી નિર્મળ છે, તેવું જ ત્હારું અન્ત:કરણ સુન્દર છે અને ત્હારી બુદ્ધિ નિર્મળ છે. પતિવ્રતા, ત્હેં એક જ યોગ સાધ્યો છે, તું એક જ જ્ઞાન પામી છે; ત્હારા જેવા સુન્દર પવિત્ર આત્માને વાસ્તે જ મોક્ષ છે – તું મોક્ષ પામીશ – તું બ્રહ્મરૂપ થઈશ!”

“દેવી, મ્હેં પણ ત્હારી જ સુરત – પરસ્તી કરી છે – હું પણ ત્હારી સાથે જ છું – તું બ્રહ્મમાં મળીશ અને ત્યાંયે હું ત્હારી સાથે જ! દેવી, સર્વત્ર સાથે જ!”

અન્તર્માં આ સ્વપ્ન ચાલતું હતું તે સમયે મુખ ઉપર અન્ધારામાં સ્મિત ફરકતું હતું. સર્વ જગત પોતાનામાં સંકેલી દેઈ શેષશાયી આનન્દમય નિદ્રા પામે તેમ સર્વ સંસારની ઈયત્તા આવા સ્વપ્નમાં સંભારી (સંભૃત કરી – સંભાર પેઠે ભરી) પોતાના બાલ્યથી આજ સુધીના પ્રયાસને અન્તે બુદ્ધિધન ઝાકળથી શીતળ થયેલા બાંક ઉપર સુતો સુતો આ આનન્દમય નિદ્રા પળવાર પામ્યો.

ભૂપસિંહ વાળું કરી રહ્યો કે એક જણ બુદ્ધિધનને બોલાવવા જતો હતો તેને ન જવા દેતાં ભૂપસિંહ પોતે જ ફુવારા પાસે માણસો સાથે ગયો. હજામે ફાનસ ઉચું કર્યું અને રાણાએ જુના મિત્રને નિદ્રામાં પડેલો દીઠો. જુવે છે એટલામાં જ નરભેરામ, નવીનચંદ્ર, વિદુરપ્રસાદ, અને જયમલ્લ આવી પહોંચ્યા. નરભેરામ બુદ્ધિધનને ઉઠાડવા જતો હતો તેને રાણાએ અટકાવ્યો – “નરભેરામ, બુદ્ધિધન બહુ જાગ્યા છે – ઘણા વર્ષને અંતે આજ સુખમાં સુતા છે. એમને સુખમાં સુવા દ્યો.” ઓથારે ચાંપેલા માણસના હાથ છાતી ઉપરથી અચીન્ત્યા આઘા પડે અને ભયંકર સ્વપ્ન જતું ર્‌હેતાં જાગી તે સ્વસ્થ થાય તેમ બુદ્ધિધનની શીખામણથી ઘણા વર્ષથી સ્વભાવવિરુદ્ધ ધૈર્ય રાખી મનમાં ધુંધવાઈ રહેલો રજપૂત શઠરાય દૂર થતાં આજ સ્વસ્થ બન્યો હતો. લીલાપુરમાં પોતાના ન્હાના સરખા ઘરમાં આવી બુદ્ધિધન નીરાંતે બેસતો હતો અને સ્વતન્ત્રતા ભોગવતો હતો તેમ જ આજ પોતાના મ્હેલમાં કરતો તેને જોઈ રાણાએ પોતાના વૈભવને સફળ થયો માન્યો. જુના દિવસ સ્મરણમાં આવ્યા અને જેમ બ્હારનો ફુવારો શરીરને શીતળ કરતો હતો તેમ બુદ્ધિધન ઉપરની પ્રીતિનો ભરેલો ફુવારો ઉભરાઈ ઉઘડી અંતઃકરણને શીતળશીકરથી ન્હવરાવવા લાગ્યો.

“જયમલ, એમના માથા નીચે એ જાગે નહીં એમ એક અશીકું ગોઠવ અને આપણે વાસ્તે આજ અહીયાં જ બેસવાની ગોઠવણ કર.”

આજ્ઞાનું પાલન તરત થયું. બુદ્ધિધનના માથા નીચે ધીમે રહી રેશમી અશીકું મુકી દેવામાં આવ્યું. રેશમી ગાદીવાળો કોચ રાણાને વાસ્તે આવ્યો. બીજાઓને વાસ્તે ગલીચો આવ્યો. રાણાની આસપાસ શુદ્ધ રુપેરી સોનેરી તેમ જ “ગિલ્ટ”વાળી અને કાચની વીલાયતી દીવીયો ગોઠવી દેવામાં આવી અને જુદા જુદા દીવાનો પ્રકાશ ફુવારાના ઉડતાં બિન્દુઓમાં ચળકવા લાગ્યો. રાણાએ કોચપર બેસી સોનેરી હુક્કાની લાંબી નળી મ્હોંમાં લીધી. સઉ આસપાસ ગોઠવાઈ ગયા. ચોબદારો અને ચાકરો ચારપાસ વીંટાઈ સ્તબ્ધ – અંદર અંદર ગુપચુપ વાતો કરતા – ઉભા રહ્યા. રાણાની આજ્ઞા થઈ અને એક તરુણ ગવૈયો આવ્યો, રાણાના સામો બેઠો, અને મ્હોંયે ગાયા વિના સતારનાં અતિ સૂક્ષમ સ્વરમાં ગાન ઉતારવા લાગ્યો. એક ચાકરે તાજાં ચિત્ર વિચિત્ર ફુલો, રુપેરી સંપુટો, થાળો, અને છાબોમાં ગોઠવી સર્વ વચ્ચે મુક્યાં અને તેની સુવાસના ચારેપાસ પ્રસરવા લાગી. આસપાસના બાગમાંથી અને પાસેના પાત્રોમાંથી પુષ્પોના પરાગ અને સુવાસથી પ્રકુલ થયેલો, ફુવારાની નીચે કુંડામાં ટપકતાં બિન્દુઓના અને સતારના મિશ્રિત સુસ્વરને પોતાનો કરી લેતો, શીતલતાને – કુંડમાંથી ઉપાડી લેતો – ફુવારાના વર્ષાદમાંથી અદ્ધર ચોરી લેતો – ઝાકળમાંથી પી જતો – અને આકાશમાંથી ઘસડી આણતો અનેક સ્થાનથી શૂંડમાં એકઠું કરેલું પાણું હાથી પાછું એક સ્થાને વર્ષાવે તેમ સુવાસ સુસ્વર – અને શીતલતાને મનુષ્યસૃષ્ટિ ઉપર સાથે લાગાં વર્ષાવતો અનેક ઝાડનાં પાંદડાંને હલાવી ખખડાવી અંધકારમાં પણ પોતાની સત્તા છે એવું માનવીના કાનને ગર્વ સાથે ક્‌હેતો, ઉંચા ગગનમાં પણ મ્હારી આણ વર્તે છે એવું વાદળમાં લ્હેરીયાં પાડી ઉચું જોનારી આંખને જણવતો, અને ગાઉ બે ગાઉ ઉપરનાં વનોમાં પોતે નાંખેલા સુસવાટા રાણા જેવાના કાનના પડદાપર અફળાવતો:- દામ્ભિક વાયુ માનવીના શરીર પાસે આથી દમ્ભ તજી મન્દ પડી જતો હતો, મધુર થઈ જતો હતો, તેને ફોસલાવતો હોય – તેને કરગરી પડતો હોય – તેને સવાસલાં કરતો હોય – તેમ તેના અંગરખામાં ધીમે રહી પ્રવેશ કરી – તેમાં કરચલીયો પાડી – તેવા શરીરને પંપાળતો હતો, શરીરમાંનાં છિદ્રોમાં પેંશી જઈ ચિત્ત આગળ પ્હોંચી જતો હતો, ચિત્તના ગર્ભદ્વારની અંદર ઉભો રહી માનવીના આત્મા ઉપર આનંદનો અભિષેક કરતો હતો, અને પોતાની સાથે આણેલી સર્વ રમણીય સામગ્રી તેના જ ઉપર ચ્હડાવતો હતો. એમાં દોષ માત્ર એટલો હતો કે તે જડ હોવાથી મ્હોટા ન્હાનાનો ભેદ સમજતો ન હતો અને ભૂપસિંહની તેમ જ તેના હલકામાં હલકા દાસની સરખી રીતે સેવા કરતો હતો અને જાગતા ઉંઘતાંનો પણ ભેદ રાખતો ન હતો. પવનની, પ્રકાશની, સુવાસની, સુસ્વરની, શીતલતાની – અર્થાત્ જડ હોવા છતાં સંચાર કરનાર સર્વ પદાર્થોની – અસર નિદ્રાયમાણ બુદ્ધિધનના મસ્તિકમાં પણ પ્હોંચી જતી અને તેનાં રમણીય સ્વપ્નોની કારણભૂત થઈ પડતી હતી – પોષક પણ થતી હતી.

એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં ખસતું બુદ્ધિધનનું મસ્તિક અન્તે અર્ધજાગૃત થયું અને સુતી વેળા કરવા માંડેલા વિચાર પાછા મસ્તિકમાં આવી ઉભા. છાતી ઉપર હાથ રાખી, આંખો મીંચેલી જ રાખી, ઈન્દ્રિયો અકર્મ જ રાખી, સૂર્ય ઉગતા પહેલાં – સૂર્યકિરણના સ્પર્શબળે જ – પક્ષિયો માળામાં ને માળામાં જ કીલકીલાટ મચાવી મુકે તેમ, જાગતા વિચાર નિદ્રાયમાણ દેખાતા પુરુષના મગજમાં સાકાર થયા. પોતાના માણસોને પક્ષ બાંધવામાં જે હરકતો ભાસી હતી તે એકદમ દૂર થઈ હોય એમ નિદ્રાએ સ્વચ્છ કરેલા મગજે ગુંચવારા ભરેલી ગાંઠ છોડી દીધી? “કંઈ નહીં, કંઈ નહીં; કારભાર કરવો હું જાણું છું; હું જાતે પ્રમાણિક રહીશ, મ્હારાં માણસોને જ મ્હારો – રાણાનો – તાપ દેખાડવામાં શિથિલ નહીં રહું, હું મ્હારાં માણસોને અધિકાર સોંપુ છું તે છતાં તેમની ગેરવર્તણુંકની ફરીયાદ સાંભળવા અને શિક્ષા કરવા અંતર્થી તત્પર છું એવો સર્વેને અભિપ્રાય બંધાશે તો મ્હારાં માણસો બ્હીંતાં રહેશે, અયોગ્ય કાર્યમાં મ્હારા તરફથી ઉત્તેજનની અથવા ક્ષમાની આશા નહીં રાખે. પ્રજા વિશ્વાસથી ફરીયાદ કરશે અને તેમને યોગ્ય ન્યાય આપીશ જ. અધિકાર સોંપવો અને ન્યાય કરવો એ બે જુદા પદાર્થ છે – એકમાં વિશ્વાસ અને પોતાપણું જ કામમાં લાગે છે, બીજામાં નિષ્પક્ષપાત તીવ્ર જોઈએ છીયે. ન્યાય કરવાનું આટલું બળ રાખનાર ઈંગ્રેજ વર્ગ અધિકાર સોંપવામાં કીયે દહાડે ન્યાયનું ધોરણ રાખે છે જે! મ્હારી પ્રજામાં વિશ્વાસનાં પાત્ર મળતાં તેમને અધિકાર સોંપતાં, હું આંચકો ખાઉં તો હું ઈશ્વરનો અપરાધી.”

“શઠરાયના પક્ષમાં દેખાતાં બધાં માણસ એના પક્ષનાં નથી. એનો વિવેક એમ થાય કે છેક ટોચ વિના બાકી ર્‌હેતાં સર્વ માણસોને છે એમનાં એમ જ રાખવાં અને સખત સાવચેતી આપવી કે ભૂતકાળ ભુલી યોગ્યતા પ્રમાણે તેઓપર વિશ્વાસ રાખવામાં આવશે. એની સંપત્તિમાં એના પક્ષમાં દેખાતાં હતાં તે સર્વે હજી એના પક્ષનાં રહેશે જ એ કલ્પના બળવાન નથી, પેટને અર્થે એનાં થએલાં માણસ પેટને અર્થે મ્હારાં થશે. મ્હારે જાતે તેમનું કામ નથી – જાતે તેમનો ડર નથી. તેનાંયે નહીં –મ્હારાંયે નહીં – ભૂપસિંહનાં માણસ બને તો બસ.”

“અધિકારના શિખરનાં માણસો સારાં થાય એ સાવચેતી જાતે રાખશું તે નીચેનાં માણસ અનુકરણ કરશે જ. સારાશનો પ્રતાપ તેમને લાગશે જ.”

“અધિકાર સોંપતી વેળા વિશ્વાસનો સંબંધ – પછીથી તેમના ગુણદોષનો જ સંબંધ રાખવો. આટલી પ્રીતિ રાખનાર રાણાને આ સમયે છોડી દેવા – એ અપકાર ક્‌હેવાય. એનાં રાજયચક્ર બરોબર ગોઠવાઈ ચાલે પછી હું ક્યાં સ્વતંત્ર નથી?”

આ વિચારની સાથે આંખ ઉઘડી અને જુવે છે તો નવીન જ દેખાવ! સુતો ત્યારે તો આમાંનું કાંઈ ન હતું! આ સર્વે માણસ, રાણો, આ સર્વે ઠાઠ, દીવા – આ શું? હજી સ્વપ્ન તો ચાલતું નથી? એ ભ્રાંતિથી આંખો ચોળતો બેઠો થયો અને ચારે પાસ જોવા લાગ્યો. રાણાના સ્નેહનો આવિર્ભાવ કળાતાં અમાત્યઉરમાં પ્રતિધ્વનિ થયો. હુક્કાની નળી મ્હોંમાંથી ક્‌હાડી રાણાએ પુછ્યું? “કેમ, બુદ્ધિધન, જાગ્યા? નિદ્રા ઠીક લીધી.”

આભો બનેલો બુદ્ધિધન ઉભો થયો? “જી, આપ ક્યાંથી અંહીયાં?”

“તમે સુતા હતા એટલે જગાડ્યા નહીં. અમે પણ સઉ અંહીયાં જ બેઠા કે અહુણાં જાગશે. આવો બેસો.” – પૂર્વાવસ્થાનો અભ્યાસ સંભારી પોતાની સાથે કોચ ઉપર જગા બતાવી. બુદ્ધિધન કોચ પર હાથ દેઈ નીચે જ બેઠો અને સાન કરી. ચાકર – વર્ગ દૂર ખસી ગયો.

ચારે પાસ જોતાં એકાંત લાગ્યું એટલે વિશ્રંભકથાનો આરંભ થયો. રાણાએ પુછ્યું. “બુદ્ધિધન, આજ મને નીરાંત વળી. પણ ક્‌હો હવે કાંઈ ચિન્તા બાકી છે?”

બુદ્ધિધન હસ્યો: “રાણાજી, ચિન્તાનો અંત આવ્યો કંઈ દીઠો છે? સંસાર એટલે જ ચિન્તાની પરંપરા – એક ચિન્તા જાય કે બીજી આવી જ છે.”

અભણ અમાત્યને આમ પર્યેષક રીતે બોલતો જોઈ નવીનચંદ્ર વિશેષ રસથી સાંભળવા લાગ્યો.

રાણો બોલ્યો: “ક્‌હો ને ભાઈ હવે શું છે? હું તો જાણું છું કે મ્હારી ચિન્તા તો ગઈ જ. જે બાકી હોય તે તમારે વાસ્તે છે.”

“રાણાજી, શઠરાયનું શું કરવું?”

“શું કરવું? અપરાધીને ઘટે શિક્ષા.”

“બુદ્ધિધનભાઈ, દુષ્ટરાય મરી ગયો તે સંબંધમાં ખરી વાત ડુબી ગઈ છે અને કાંઈ કાંઈ વાતો ચાલે છે. એનો મામો લીલાપુર ગયો છે. ગરબડ સંતાતો ફરે છે અને ઘણું કરી ધીરપુરના બ્હારવટીયાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છેઃ” નરભેરામે સમાચાર કહ્યા.

“રાણાજી, સાંભળ્યું?”

“હા, પણ એ ચિન્તા હવે મ્હારે કરવાની નથી. જોઈતા હોય તો હું તો સર્વ વાતના ટુંકા ઉપાય બતાવું. લાંબા ઉપાય રજપુતોને ન આવડે. એ સોંપ્યા તમનેઃ” નિશ્ચિતપણે રાણાએ હુક્કો ફુંકવા માંડ્યો.

નરભેરામે સૂચના કરી: “મને તો લાગે છે રામભાઉને એ લોક હાથમાં લેશે. બહારવટીયાને આશ્રય આપી નવા કારભારની નિંદા કરાવશે અને લીલાપુરમાં નવા સાહેબ આવશે તેનો અભિપ્રાય પ્રારંભમાંથી ફેરવવા યુક્તિ કરશે. બીજો ઘાટ શઠરાય કરવતરાયનું શું થાય છે તે જોયા પછી ઘડશે.”

“તે, બુદ્ધિધન, ધારો કે રામભાઉની ખટપટથી નવો સાહેબ ખોટી રીતે ભરવાયો તો આપણે તેની ચિન્તા રાખવી? ખરી રીતે ક્‌હે તે ખરું, પણ આપણું સાંભળ્યા વિના શું અન્યાય કરશે? અથવા શું આપણે, સાહેબ ને રામભાઉ, ને એનો સીપાઈ અને એવી એવી ચિંતા રાત દિવસ કર્યા ક૨વી? આપણી પ્રજાની ચિન્તા હવે શઠરાયને માથે નથી – એ ચિન્તા કરવાની શું ઓછી છે કે આવી આવી ચિન્તા આપણે જન્મારો કર્યા જ કરવી?” રાણાએ પુછ્યું. “રાણાજી, આપ ક્‌હો છે તે સાચું છે, પણ આપણા જ જુના દિવસ સંભારો, આપણી આગગાડીનું એન્જીન સાહેબ વિના ચાલ્યું નથી. આજ એ લોક કર્તા હર્તા છે – કર્તા ને હર્તા બે”

“ત્યારે તો એમ કે ગાદી મળ્યા પછી આજ સુધી શઠરાયે રાજ્ય કર્યું અને હવે સાહેબ કરશે. આપણે તો કેવળ પુતળાં જ. સરકારનું કામ એ કે આપણે પ્રજાપીડક થઈએ ત્યારે માથે અંકુશ પેઠે વર્તવું. પણ આવા વિષયમાં એ સરકાર? – ને તે પણ સરકારના ગુલામ સીપાઈ સુધી!”

નરભેરામ ક્‌હે, “મહારાણા, નવા સાહેબ આવે છે તે લશ્કરી ખાતાના છે. ડોબક સાહેબના ભત્રીજા થાય છે. જલદ મીજાજના છે. વેર રાખે એવા છે. કાનના કાચા છે. કામ કરવાના ઉત્સાહી નથી. આજ્ઞા–ભંગ થયેલો જોઈ શકતા નથી. ખુશામત કરતાં કરતાં પ્રસન્ન થાય તો મ્હોટી વાત. રામભાઉને હવે ઘીકેળાં સમજવાં.”

ભ્રુકુટી ચ્હડાવી રાણો બોલ્યો. “બુદ્ધિધન, આનો અર્થ એ કે એ લોક રાજા અને આપણે ગુલામ. આવી આવી વાતો સાંભળવાને હું ઈચ્છતો નથી. ભલમનસાઈની રીતે થાય એટલું કરવું એની ના નથી પણ એથી વધારે નરમાશ રાખવી હોય તો તે વાત મ્હારી પાસે ન કરવી. તમે તેમની સાથે ભરી પીજો, આપણે આપણી વાત ચલાવો. બોલો, શું કરવું ધાર્યું?”

બુદ્ધિધન બોલ્યો? “ન્યાયની રીતે શઠરાયની તપાસ ચલાવવી અથવા એને એવી શિક્ષા કરવી એ તો મને વ્યાજબી નથી લાગતું.”

“હેં!–” રાણો જોઈ રહ્યોઃ “કાલે પોશાક આપીયે પાછો એને?”

“નાજી, એને શિક્ષા ઓછી નથી થઈ. દુષ્ટરાય મરી જ ગયો. રુપાળીયે કુટુંબનું નાક કાપ્યું: કારભાર ગયો. હવે જે વધારે શિક્ષા કરવાની તેનો હેતુ એટલો કે એ વધારે ખટપટ ન કરે અને આપણું રાજયતંત્ર નિશ્ચિંત ચાલે.”

“નિશ્ચિંત ચાલવાનો રસ્તો – મને લાગે છે કે એના સાળાયે શોધી ક્‌હાડ્યો તે હશે.”

“રાણાજી, એટલાં ઉકળવાથી કાંઈ લાભ નથી. આ ઉપરથી તો એટલું જોવું કે જયારે દરબારનાં સર્વ માણસ એનાં હતાં તે પ્રસંગે એને ક્‌હાડ્યો હોત તો કેટલી ખટપટ ઉભી કરત. મ્હારા મનમાં જુદો રસ્તો યોગ્ય લાગે છે. દીલ્હીના બાદશાહોમાં એવી રીતિ હતી કે કોઈ ઉમરાવ સત્તાલોભી થાય તો એને કોઈ ગામડામાં સુબો કરી મોકલવો એટલે તે પોતાને જ પૂર્ણ સત્તાવાન દેખી – પોતાનાથી કોઈને મ્હોટું ન દેખી – વધારે મ્હોટા થવાનો લોભ ન કરે અને આત્મસંતુષ્ટ થાય. આત્મસંતુષ્ટ થયો તેનો લોભ મરે – તેના તરફથી ભીતિ પછી ર્‌હે નહીં. બીજુંઃ શત્રુને સંન્યાસી જેવો કરી દીધો એટલે તે નિ:સ્પૃહી અને નિર્બન્ધન થાય – તેના જેવો ભયંકર શત્રુ કોઈ નહીં. પોતાનું સારું તો કરે કે ન કરે પણ પારકાને નુકસાન તો તે કરી શકે જ. આથી મ્હારા મનમાં એમ છે કે શઠરાયની પાસે તેનું ગામ ર્‌હેવા દેવું પણ જુની સનદ લઈ લેવી અને નવી આ૫વી. તે એની જાતને જ કરી આપવી અને અંદર લખવું કે તે પોતે આપને સંતોષ આપશે તો તેને વંશપરંપરાની નવી સનદ કરી આપવામાં આવશે. વળી એવી સરત કરવી કે તેણે અને કરવતે એ જ ગામમાં વસવું અને તેને આબાદ કરવું, રજા સિવાય ગામ છોડવું નહીં, અને રાજયપ્રપંચમાં પડવું નહીં. ગમે તેવો હશે તોપણ ઉદર–સ્વાર્થથી બન્ધાશે, એ બન્ધનમાંથી છુટવાનું જેખમ નહીં વ્હોરે, સદૈવ બ્હીતો રહેશે, અને આપણે વશ ર્‌હેશે. ઈશ્વર એને વ્હાલા તો નથી જ પણ વ્હાલા હશે તો ઉપકાર માનશે. લોકમાં આપની ક્ષમાની પ્રશંસા થશે. રામભાઉ કે સાહેબ કે કોઈને પણ બોલવાનું નહીં ર્‌હે. પ્રતિપક્ષી વર્ગ સર્વશાન્ત પડશે અને આપની કૃપાને અશક્ય નહીં ગણે. અને મ્હોટામાં મ્હોટી વાત એ કે ઈશ્વર આપના ઉપર પ્રસન્ન ર્‌હેશે. કાર્યસિદ્ધિ થાય; ઉદ્દીપન પામેલું વેર શાન્ત થાય; આત્મા, લોક, અને ઈશ્વર સંતુષ્ટ થાય – એથી બીજું ફળ કીયું?”

૨ાણો ઓઠ કરડી બેસી રહ્યો હતો. તે સર્વ સાંભળી રહ્યો, વિચારમાં પડી ગયો, અને અન્તે શાંત થયો: “વારુ, ભાઈ કહે તે ખરું; ઠીક છે; એમ કરો.”

“ક્ષમા અને ડહાપણને મિશ્ર કરી કાર્યસિદ્ધિ શોધે તે પ્રધાનને ધન્ય છે – ડાહ્યા અને વિશ્વાસપાત્ર પ્રધાનને વશ પોતાની વૃત્તિ રાખે એ રાજાને ધન્ય છે!” – નવીનચંદ્રના ચિત્તમાં વિચાર – ઉર્મિ ઉઠી: “આવી–સ્વતંત્ર–તોફાની વૃત્તિવાળો રાજા પળવારમાં બાળક પેઠે ડહાપણને વશ થયો! – સર્વ રાજાઓ આવા હતા હશે? એમ હોય તો જોઈએ જ શું? રાજાઓ ગમે તો પોતાનાથી વધારે ડહાપણ કોઈનામાં જોતા જ નથી, અથવા તો પોતાના અથવા પારકાના ડહાપણનો વિચાર જ ન કરતાં ઉંઘે છે એવું વાંચ્યું છે – એનાં દૃષ્ટાંત પણ જગતમાં હશે જ. ઈશ્વરે – માણસ અને માંકડાં – ઉભય સર્જેલાં છે.”

નરભેરામે કહ્યુંઃ “ભાઈસાહેબ, એ તો આપે સારાઈને માર્ગ શોધી કહાડ્યો – પણ હું ખાતરીથી કહું છું એ લોક એનો અર્થ એમ જ લેવાના કે એમને શિક્ષા કરતાં આપણે ડરીયે છીયે અને એ શિક્ષાપાત્ર છે. એવું સ્પષ્ટ બતાવી આપવા આપણે અશક્ત છીયે.”

બુદ્ધિધન હસ્યોઃ “નરભેરામ, એટલો પણ વિચાર નહીં કર્યો હોય? પ્રમાદ અને તર્કપ્રસાદ ગયા છે તે રસલસાહેબ પાસે સર્વ વાત રજેરજ ઉઘાડી કરી દેશે એટલે સામી ખટપટનો પાયો ભાંગ્યો સમજવો. સાહેબને આપણાપર વિશ્વાસ છે અને નવા સાહેબ આવશે તેમને સર્વ વાત કરી મુકશે. પછી થવા દ્યો જેનાથી જેટલી થાય તેટલી ખટપટ. રામભાઉને હળવે હળવે સીદ્ધો કરી દેવો પડશે – એને તો ગમે તેમ ભરી પીશું. શઠરાયનું એ કરવાનું કે લીલાપુરમાં અને બીજે બધે ઠેકાણે એની કળા થાકશે ત્યાં સુધી એને છે એમ ને એમ જ રાખવામાં આવશે અને જયારે એ જાણશે કે હવે મ્હારા હાથ નીચા પડ્યા અને કાંઈ દાવ હાથમાં નથી જ ત્યારે – એની ઈચ્છા હશે તો જ – એ ચરણે પડી, માગશે તો જ – રાણાજી કૃપા કરશે. સુવર્ણપુરના મહારાજની કૃપા કાંઈ રસ્તામાં નથી પડી. શિક્ષા અને ક્ષમા ઉભય કાર્ય એમને આવડે છે તે જગત જોશે જ. એવા એવાથી ડરતાં રહેવું એ મહારાણા સમજતા નથી.”

ભૂપસિંહ ટટ્ટાર બેઠો, પ્રસન્ન થયો. એનો ક્ષાત્રઉદ્રેક સંતુષ્ટ થયો, અને અમાત્યપર સ્નેહભરી ઉત્સાહભરી ચળકતી આંખે મુછે હાથ દેતો જોવા લાગ્યો. સર્વને આત્મોત્કર્ષક વચનની અસરમાં જ કાંઈક ઐન્દ્રજાલિકમાયા છે.

નવીનચંદ્ર આ નવીન નાટક જોઈ જ રહ્યો. રાણો અમાત્ય–બુદ્ધિને પ્રતિકૂળ થતો પ્રથમ અટક્યો હતો પરંતુ કાંઈક અનિચ્છાથી અટક્યો હતો. નરભેરામ તે અનિચ્છાને વધારે એવા શબ્દ બોલ્યો. બુદ્ધિધનના શબ્દથી તે અનિચ્છા વધતી અટકી એટલું જ નહીં, પણ વાયુના અચીંત્યા ઝપાટાથી માર્ગપરની ધુળ સાફ થઈ જાય તેમ અમાત્યના અચીંત્યા ઉત્તેજિત પ્રતિભાનથી રાણાની મૂળની પ્રસન્ન કરવાના જ અથવા તેને અપ્રસન્ન ન થવા દેવાના હેતુથી પોતાના અંત:કરણને ઢાંકી નવીન–અભિત્તિ ચિત્ર જેવું-શબ્દજાળ રચવું પડે, જરી પણ વૈતથ્યવાળી વૃત્તિ બતાવવી પડે:- આ સેવક-ભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તનો અપભ્રંશકર લાગ્યો. જે સેવ્યભાવ જાણ્યે–અજાણ્યે પણ આ દશાનો ઉત્પાદક થઈ પડે છે તે સ્વ-પર-પાતક લાગ્યો. આ અપભ્રંશ અને પાતકતાના હેતુ ઉભય ભાવના સ્વભાવભૂત-પ્રકૃતિસ્થ–લાગ્યા અને પળવાર પ્રત્યક્ષ સ્વપ્નમાંથી દૃષ્ટિને અંત:સંક્રાત કરી પાસે કોઈ ન હોય તેમ મનમાં બોલી ઉઠ્યો, “ખરી વાત છે!”

“The man
“Of virtuous Soul commands not, nor obeys.
“Power, like a desolating pestilence,
“Pollutes whate’er it touches; and obedience,
“Bane of all genius, virtue, freedom, truth,
“Makes, slaves of men, and of the human frame
“A mechanized automation.”

કોણ જાણે ક્યાંથી આ કવિતા તેના સ્મરણમાં સ્ફુરી આવી અને વિચારમાં પડી પાછળના ઝાડને ટેકો દેઈ તે પોતાના ઘરમાં હોય તેમ કવિતાના છેલાં ચરણ બોલતાં બોલતાં તેના હાથ છાતી ચાંપી પાછો અચીન્ત્યા પ્હોળા – છુટા થઈ બે પાસ પડ્યા. ઈંગ્રેજ કવિનો તીવ્ર વેગ પળવાર આર્યમસ્તિકને તીવ્ર સુરા પેઠે ચમકાવવા લાગ્યો. “રાણાને અનુકૂળ કરી દેવા અમાત્યે નાટક ભજવ્યું! વિશુદ્ધિનો એ જ અપધ્વંસ! પોતાની સત્તાએ આ નાટક ઉત્પન્ન કરવા સમય આણ્યો – રાણા! એ ત્હારી સત્તાનું દુષ્ફલ! માનવી માનવી પર આજ્ઞા કરે – માનવી માનવી પાસે ક્ષુદ્ર બની જાયઃ એ ઉભય પરિણામ અનિષ્ટ છે!” વિચારની ચમક મસ્તિકના આખા ક્ષિતિજમાં વીજળીની ત્વરાથી દોડાદોડ કરવા લાગી. અન્તે ચમક થાકતાં મન્દ ચંદ્રિકા પેઠે આર્ય કોમળતા સ્ફુરવા લાગી. “ઈશ્વર, તને ગમ્યું તે ખરું. તને લાગી તે ઘટના યોગ્ય.” “મને લાગે છે કે મ્હારી દૃષ્ટિ જ એવી છે. આવો સારો રાજા અને આવો સારો પ્રધાન – તેની વચ્ચેયે આવું થાય ત્યારે ઇશ્વરેચ્છા જ મ્હારા જેવા વિચારના સર્વ હોય તો જગત્ કેમ ચાલે?”

વિચારનિદ્રામાંથી જાગ્યો અને પ્રત્યક્ષભણી અક્ષગણ (ઈંદ્રિય-સમૂહ) વળ્યો. “સેવ્યસેવક પોતાને અને પરસ્પરને અન્યોન્યસમાન અને સ્વતંત્ર માનવી ગણી, ઈચ્છાને દર્શાવે અને અનુસરે તેમ કયાં નથી થતું? મિત્રો અને શુદ્ધ દંપતી શું કરે છે? શું સૌભાગ્યદેવી બુદ્ધિધન પાસે સ્વરૂપ ઢાંકે છે? સ્વતંત્ર નથી ર્‌હેતી? અને તેમ છતાં પતિની ઇચ્છાને નથી અનુસરતી? શું બુદ્ધિધનની સત્તા તેને સવાસલાં કરવાની જરુર પાડે છે? એમ છતાં શું એની ઈચ્છાને અનુસરતાં દેવી પાછળ ર્‌હે છે?-ના, કા૨ણ ઉભયની ઈચ્છાએ સંગત થાય છે – પતિનાથી જુદી ઈચ્છા પત્નીની થતી જ નથી અને થાય છે તો તે બેધડક મીઠાશથી ઉઘાડી કરે છે અને અંતે એક ઈચ્છા થાય છે. શું સેવ્ય–સેવકોમાં પણ એમ ન થઈ શકે? આ નાટક અમાત્યે ન કર્યું હત તો ન ચાલત! એ નાટક વિના કાર્યસિદ્ધિનો બીજો માર્ગ શું ન હતો? – પણ – પણ ભય અસત્યને જન્મ આપે છે- માબાપનો ત્રાસ બાળકને અસત્ય બોલતાં શીખવે છે – સેવ્ય જન અપ્રસન્ન થશે એ ભય સેવકને અસત્ય કરી દે છે. સત્યથી, અપ્રસન્ન થાય એવો સેવ્ય – અને ભય પામે એવા સેવક–ઉભય અનિષ્ટ છે”

અનુમાનનો એ ઉપસંહાર થતાં અંતઃસ્વપ્ન અદૃશ્ય થયું. આ સર્વ મનમાં વિચારતાં વિચારતાં શૂન્ય અક્ષથી પ્રત્યક્ષને લક્ષ્ય કરતો હતો તેને ઠેકાણે અક્ષ-પ્રત્યક્ષનો શુદ્ધ સંયોગ થયો અને અક્ષદ્ધારના છજામાં મન પણ આવીને બેઠું. કારભારીની વાર્તા નવીનચંદ્ર જોવા સાંભળવા લાગ્યો.

વિચારોને શાન્તિશય્યામાં સુવાડતાં સુવાડતાં તપ્ત મસ્તિક કપાળે કરચલીયો રચી વળી અંતર્ગર્જના કરી ઉઠ્યું: “સેવ્ય જનો! બોલતાં, ચાલતાં, કાંઈ પણ કરતાં, પ્રતિપળ લક્ષમાં રાખજો – ભુલશો નહીં – કે તમારા ક્ષુદ્રમાં ક્ષુદ્ર સેવકો પણ તમારા જેવા જ માનવી છે – તમારા જેટલી જ સ્વતંત્રતાના વારસ છે – તમને ઈશ્વરે ઉપલે માળ બેસાડ્યા તે નીચલા માળવાળાને કચડી નાંખવાને નહીં!” “સેવકોને શ્વાનની પેઠે નહીં પણ હસ્તીની પેઠે રાખજો” –“સેવકો, ઉદરને નિર્ભય રાખવા કરતાં પણ બીજા ગુરુત્તર ધર્મ તમારે છે – સેવકધર્મમાં જ સર્વે ધર્મની સમાપ્તિ થતી નથી – સેવક ધર્મ સાચવવા એ પળવાર ઉદરનિમિત્તે તમારો ધર્મ થયો માટે અન્ય સનાતન ધર્મ નષ્ટ નથી થતા!”

વિચારોનો હવે ખરેખરે અંત આવ્યો. ઉછળતી ઉર્મિ કીનારાપર ૫છડાઈ શાંત થઈ ગઈ.

આ વિચાર થયા એટલામાં તો રાણા અને અમાત્યાદિ વચ્ચે કંઈ કંઈ વાતો થઈ ગઈ. શઠરાયનું શું કરવું તે નક્કી થઈ ગયું. ખલકનંદા અને રુપાળીની વાત પડદા રાખી નરભેરામે કરી – અમાત્યે તે વાતમાં ભાગ ન લીધો. જમાલના ઉપર ધર્માસન આગળ કામ ચલવવામાં લાભ ન હતો – કામ ચલવી શિક્ષા થાય તેમાં પણ કાંઈ લાભ ન હતો. ધર્માસન આગળ, લોક વચ્ચે, અથવા વર્ષ બે વર્ષની કેદમાંથી – છુટી કોઈની પાસે પણ, મુસલમાનને અમાત્યપુત્રીનું નામ પોતાના મલિન મુખ ઉપર આણવાની સ્વતંત્રતા અંતે કદી પણ આવે તે અભિજાત આર્યને સર્વદા અનિષ્ટ જ હોય એમાં કાંઈ નવાઈ ન હતી. ગમે તેવું પણ મહારાણાનું અંતઃપુર, તેની વાર્તાયે બહાર જાય એ પણ અનિષ્ટ જ. રઘી, મ્હાવો આદિ મંડળને પણ દેખીતી શિક્ષા ન કરવાનું આવું કારણ હતું. રણજીત અમાત્યનું માણસ હતું. તેને શિક્ષા કરવી અયોગ્ય હતી. જુના કાળની સુરંગની માહીતી શઠરાયને હતી તેમ જ શુક્રાચાર્ય રણજીતને પણ હતી. રણજીતની પાસેથી એ વાત જાણતાં રાણીનું ચિત્ત ભરવનારનો પત્તો અમાત્યને લાગ્યો – કારણ સુરંગનું મ્હોં અંતઃપુરમાં હતું. આ ભેદ જાણી ઉઘાડો કરવાનો તેણે માર્ગ શોધ્યો જમાલ વગેરે શઠરાયના મંડળને એ સુરંગમાં મોકલ્યા; તેમને તથા તેમની જીભોને વશ રાખવા તેમ જ પાપશંકા પોતાની મેળે જ ઉત્પન્ન થાય એ બેવડા હેતુથી – અંતર્થી પોતાના પણ બ્હારથી શઠરાયના – રણજીતને ઉઘાડી તરવાર સાથે આ મંડળમાં અગ્રેસર કર્યો. સુરંગમાં તેણે પોતાનું રૂપ પ્રકાશ્યું અને કંઈપણ શબ્દ બોલશો તો આ તરવાર સાથે કામ છે એવું તેણે સર્વને કહ્યું. ગોઠવણ પ્રમાણે સુરંગની છત ત્રુટી અને અંતનું સર્વ મંડળ – કોઈને એક શબ્દ બોલવાનો અવકાશ આવે તે પ્હેલાં – વિજયસેનના હાથમાં ગયું. નિઃશબ્દ નાટક જોનારાઓએ દેખાવ ઉપરથી થયાં તે અનુમાન કર્યા. જુની સુરંગ, તેનું રાણાના અંત:પુરમાં મ્હોં, દ૨બારની – રાજમ્હેલની – સર્વ જુની વાર્તા જાણનાર અને તેનો ઉપયોગ કરવાની શક્તિ ધરાવનાર રાજ્યપ્રપંચનો અનુભવી આચાર્ય શઠરાય, ઉઘાડી તરવારવાળો રણજીત અને બીજાં શઠરાયનાં જ જુનાં વિશ્વાસુ માણસો એ સુરંગમાંથી આમ નીકળે, પોતાની સત્તા રાણાની ઈચ્છાથી ઓછી થાય છે એવું શઠરાય જાણે છે એવી લોકખ્યાતિ, તેના પ્રતિસ્પર્ધી અમાત્ય ઉપર રાણો દિવસે દિવસે વધારે પ્રીતિ દેખાડે છે એવી જનચર્ચા, અને પર્વતસિંહના દૃષ્ટાંત ઉપરથી શઠરાય ખુન કરતાં ડરે એવો નથી એ અપવાદઃ આ સર્વે વાર્તા ઉપરથી સર્વનાં મનમાં એક જ અનિવાર્ય અનુમાન થાય એવું હતું અને કોઈ જડ મસ્તિક અનુમાન ન કરી શકે તો મેરુલાની સૂચનાઓ જોઈએ એવી સ્પષ્ટ હતી. આ સર્વ પ્રકરણનો કવિ રચનાને અંતે અંતઃકરણમાં ઉપસંહાર કરી દેખાતા દોષનું નિવારણ કરવા લાગ્યો. “દેખે તેવું અનુમાન લોક કરે તો હું શું કરું? આ સર્વ ગોઠવણ જ કરવામાં હું કાંઈ દોષ કરતો નથી. કોઈની પાસે કાંઈ નિન્દા કર્મ કરાવતો નથી – અસત્ય ભાષણ ક્‌હડાવતો નથી. માત્ર ખાડો ખોદનારને તેમાં પડવાની સુગમતા કરી આપું છું – અને તે પણ મ્હારા પ્રાણના રક્ષણને અર્થે – મ્હારા કુટુંબના રક્ષણને અર્થે – મ્હારા યોગ્ય વૈરના તર્પણને અર્થે – મ્હારા રાણાની ઈચ્છા પુરી ક૨વાને – તેની જ આજ્ઞા પાળવા હું આટલું કરું છું. શઠરાયનાં જ પાપની દ્વારભૂત સુરંગમાં શઠરાયનાં માણસને મુકી જગતની દૃષ્ટિએ પાડું એમાં દોષ શો? સારવાનો અર્થ સર્યો એટલે કોઈને હવે નકામી શિક્ષા કરાવવી એ દોષ હું વહોરતો નથી. ઈશ્વર, તું જુએ છે કે હું ત્હારો અપરાધી નથી થતો.” આ પ્રમાણે અમાત્ય બળાત્કારે અંતઃકરણને શાંત કરી દેતો હતો અને ઈશ્વરને ફોસલાવવા પ્રયત્ન કરતો હતો. “એમ કરતાં પણ મ્હેં કાંઈ દોષ કર્યો હોય તો હવે કોઈને શિક્ષા નહીં ખમવા દેઉં – એ જ મ્હારું પ્રાયશ્વિત્ત.” “આજ શઠરાયની વ્હલે તે કોઈ દિવસ આપણી; ક્ષમા આજ રાખીશું તો કોઈ પ્રસંગે માગી શકીશું! રાજાઓનો વિશ્વાસ કયાં સુધી?” આવી રીતે કારભાર-સમુદ્રમાં વિશુદ્ધિનૌકા ખેડતો બુદ્ધિધન ચારે પાસ હલેસાં મારતો હતો; અશુદ્ધ ખારું પાણી પાછળ ધકેલાતું હતું તે છતાં કદી કદી નૌકામાં ભરાતાં તેને ઉલેચવા પ્રયત્ન કરતો હતો, અને એવા પાણીમાં ધક્કા ખાઈ પોતાનો માર્ગ કરતો હતો. એની નીતિને દિગ્દર્શન આપવામાં અદૃષ્ટ અને દૃષ્ટ અનેક વસ્તુઓ આમ કારણભૂત થઈ પડતી હતી. કોઈને તેની કલ્પના પણ ન હતી – માણસનાં મસ્તિક અને અંત:કરણ ઈશ્વરે પારદર્શક નથી કર્યાં એમાં એણે કાંઈ શુભ પરિણામ જ વિચાર્યું હશે. શુદ્ધ આત્મા અને મલિન દેહ – ઉભયની અર્ધ – દૃષ્ટ અર્ધ-અદૃષ્ટ એકત્ર ઘટના ચર્મચક્ષુથી અગમ્ય છે તે સદર્થે જ. સુજ્ઞ! શુદ્ધિ અને મલિનતા – એ ભેદ, માનવીની સૃષ્ટિ છે – ઈશ્વરના અંત્ય ઘરનો નથી. પૃથ્વી છોડી કે પૂર્વ પશ્ચિમ નથી. જે સૃષ્ટિમાં તું ઉભો હોય તેનાં દેશકાલ સ્વીકાર. વ્યવહારમાં ઉભો ૨હી ભેદમયી શુદ્ધિશોધક વ્યવહાર દૃષ્ટિ રાખ અને પરમાર્થમાં ઉભો ૨હી અનવિચ્છન્ન પરમાર્થ દૃષ્ટિ રાખ. જાગૃતદશાના ભાનવાળા સ્વપ્નસ્થ પેઠે પળવાર ઉદાસીન વૃત્તિ રાખી શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રીભૂત માનવીને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ લે અને પરસ્પરવિપરીત ઉત્તર– દક્ષિણ ધ્રુવ વચ્ચેની ધરી આસપાસ ફરનાર ગ્રહો જેવા માનવીને પણ ઘડીભર તટસ્થતાથી જોઈ કાંઈ સદ્બોધ પામ. તું પણ માનવી સ્વરૂપ જ છે.

સુવર્ણપુરથી આશરે એક ગાઉને છેટે જંગલમાં ‘મુસાફર-બંગલો’ હતો. તેમાં સાહેબ લોકોને જ ઉતારો આપવામાં આવતો. કમતી પગારે જમાલને ત્યાં મોકલવાનું કર્યું અને વર્તણુકમાં સુધારો થયે પગાર વધારવાની આશા આપવામાં આવી. ૨ઘીને પણ એવી રીતે જ દૂર કરવામાં આવી. મ્હાવાને દુરનાં ગામડાં વચ્ચે દરબારી ટપાલના કાસદનું કામ સોંપવાનું ઠર્યું. શઠરાયનું ગામ જે ટપ્પા નીચે આવતું હતું તેના પોલીસસુબેદારની જગા રણજીતને આપવામાં આવી તે એવા હેતુથી કે બ્હારના દેખાવથી શઠરાય ખુશ થાય કે “ના, આપણો માણસ આવ્યો તે ઠીક થયું” અને અંતર્ખણ્ડેથી (અંદરખાનેથી) પોતાનાં પણ બહા૨થી શઠરાયનાં દેખાતાં માણસ દ્વારા શઠરાયની ખટપટની ચોકી થાય. એ હેતુ રણજીતને કહી દેવામાં આવ્યો હતો અને હળવે હળવે એનો પગાર સારી પેઠે વધારી દેવામાં આવશે એ સૂચના પણ કરવામાં આવી હતી. રાણી શઠરાયની ખટપટમાં ભળી તેથી મહારાણાને કોપ ચ્હડ્યો હતો અને તેનું મ્હોં પણ ન જોવું એવી પ્રતિજ્ઞા કરવા તત્પર થયો હતો. બુદ્ધિધનની શીખામણથી રાણાએ ઠરાવ કર્યો કે છેક આમ ન કરતાં નવી રાણી પરણી જુનીને માથે શોક્ય આણવી અને જુનીને જણાવવું કે સારી વર્તણુંકના પ્રમાણમાં ત્હારા માનમાં વધારો કરવામાં આવશે.

આર્યમાતાઓની એવી પ્રકૃતિ છે કે દોષ કરનાર બાળકને શિક્ષા કરી પછી પોતે જ રોવું. આર્યપ્રજા પણ એવી જ છે. દુષ્ટ મલ્હારરાવના સામી આટલી યોગ્ય ફરીયાદ કરી તેને અત્યંત શિક્ષા થતી જોઈ અનુકંપાભરી ફરીયાદ કરનાર જ પ્રજા આટલી ઉલટી અને પડતા રાજા ઉપર દયા રખાવવા આટલો પ્રયાસ કર્યો તે વાતથી દેશી પ્રજાની પ્રકૃતિ ન સમજનાર પરદેશી રાજયકર્તાઓ મનમાં ગુંચવાયા હતા. પણ બુદ્ધિધન એ પ્રકૃતિથી ભોમીયો હતો અને તેના મનમાં એમ નક્કી હતું કે અત્યાર સુધી તો શઠરાયના સામો પોકાર ચોપાસથી ઉઠી રહ્યો છે પણ જો એને કેદની કે એવી શિક્ષા થઈ તો એનો એ પોકાર બેશી જશે અને તેને ઠેકાણે મ્હારા સામે પોકાર થશે. વાઘનું પણ મરણ બ્રાહ્મણવાણીયા જોવા ઈચ્છતા નથી; આથી આ સર્વ પરિણામ જોવા વારો ન આવે અને શઠરાય સામે ઉલટેલી ભરતી ઓટરૂપ થઈ એને જ અનુકૂળ પાછી ન થઈ જાય તે પણ બુદ્ધિધનનું લક્ષ્ય હતું.

આવાં આવાં કારણોથી વર્ણવ્યા પ્રમાણે શિક્ષા અને ક્ષમાનો યોગ્ય લાગતો સંકર બનાવી તેની માત્રા શિક્ષાપાત્ર વર્ગને પાવાનો નિર્ણય ભૂપસિંહની પાસે થયો. એ નિર્ણય પ્રસિદ્ધ થતાં, પ્રજાનો કોપ અને અનુકંપ – ઉભય સંતુષ્ટ થશે અને મહારાણા ઉપર પ્રજાના ચિત્તમાંથી પ્રીતિનો અને મુખમાંથી ‘વાહ! વાહ!’ ને વર્ષાદ વર્ષશે એવી કેટલાક પ્રમાણમાં ત્રિકાલ-જ્ઞાની બનેલા અમાત્યે ખાતરી કરી આપી. સિદ્ધવચન પેઠે અમાત્યના વચને ખરી પડવા નિર્મેલી શ્રદ્ધાને જન્મ આપ્યો.

બુદ્ધિધન રાજનીતિમાં પ્રવીણ છે, રાજ્યકાર્યનો ધુરંધર થવાની યોગ્યતા ધરાવે છે, અને ઈંગ્રેજી વિદ્યા વિના આ સર્વે પરિણામ આવી શકે છે એટલી નવીનચંદ્રની ખાતરી થઈ પરંતુ હજી તેને સર્વતઃ સંતોષ ન થયો. એટલામાં પ્રસ્તુત વિષય બદલાઈ નવીન વિષય નીકળ્યો. વિપરીત પક્ષનો નિર્ણય પુરો થયો. આત્મપક્ષમાં પારિતોષિકનું લ્હાણું લ્હાવાનું બાકી હતું. આ આનંદક૨ વિષયમાં સર્વેને વધારે રસ પડ્યો અને બુદ્ધિધને નવા ‘કેબિનેટ્’ની (શિષ્ટાધિકારી–મંડલની) સંઘટના કરવાનો આરંભ કર્યો. સર્વ સાવધાન થઈ ગયા.

ક૨વતરાયવાળી જગા તર્કપ્રસાદને આપવાની એમાં કાંઈ વાંધો ન હતો. મહાલકરીઓના ઉપરીનું કામ શઠરાય પોતાના હાથમાં રાખતો; બુદ્ધિધને તે કામ જુદું પાડ્યું અને નરભેરામને ‘મહાલખાતાનો ઉપરી’ બનાવ્યો. આવી જગાથી નરભેરામને સર્વે રીતે સંતોષ વળ્યો. બહુ દિવસ રાણાની પાસે રહેવાથી વિશ્વાસુ છતાં વિશ્વાસઘાત કરવા લલચાવાનો પ્રસંગ નરભેરામને ન આવે એવી બુદ્ધિધનની અંતિમ ઈચ્છા હતી તે તૃપ્ત થઈ. ક્‌હાડેલી જગાને વાસ્તે નરભેરામ યોગ્ય હતો એ બાબતમાં મતભેદ પાડવાનો સંભવ ન હતો. નરભેરામની મૂળ જગા પ્રમાદધનને આપવાની ઠરી. દુષ્ટરાયવાળી જગા જયમલને આપી અને વિજયસેનને એનો ઉપકારક (એસિસ્ટેણ્ટ) બનાવ્યો. વિદુરપ્રસાદને તરત લીલાપુરવાળી જગા પર મોકલવાનું ઠર્યું. પરગામની નીમણુક એને પસંદ ન પડી પણ તરત બોલ્યો નહીં: કાંક જયમલ્લની ઈર્ષ્યા તેના મનમાં થઈ બુદ્ધિધને પોતાનું જુનું કામ કર્યા જેવું, અમાત્ય એ જગા અને નામ ક્‌હાડી નાંખવાં, અને અમાત્યના કામ સિવાય કારભારનું બાકીનું બધું કામ કારભારીનું નામ ધારી બુદ્ધિધને જ કરવું. આ વ્યવસ્થા સર્વને ગમી.

આટલી પ્રસિદ્ધ નીમણુંકો થઈ નવીનચંદ્રના ઉપર બુદ્ધિધનની પ્રીતિ હતી – ઈશ્વરે ઉત્પન્ન કરી હતી. પણ તરત તો નવો જ અને અનુભવહીન પરદેશી તેને સ્વતંત્ર જગા આપવી બુદ્ધિધનને યોગ્ય લાગી નહીં. આથી તરત તેને વિદુરપ્રસાદ સાથે લીલાપુર મોકલવો અને બેચાર માસ પછી કામમાં ભોમીયો અને લોકમાં પ્રખ્યાત થાય ત્યાર પછી વિદુરપ્રસાદને સુવર્ણપુર બોલાવી લેવો અને એ જગા નવીનચંદ્રને આપવી એવું બુદ્ધિધનના ચિત્તમાં હતું. રાણા પાસે દાખલ કરવાને રામભાઉવાળા વર્તમાનપત્રો વાંચવાને નિમિત્તે આજ એને આણ્યો હતો. પોતાનો માણસ છે એવી રાણાની ખાતરી કરી હતી.

ગરબડને તરત એની એ જ જગા પર રાખવો એવો વિચાર હતો. એણે રામભાઉને શળી કરી હતી કે: “આ સર્વના બદલામાં તું આ રાજયમાં કાંઈ માગી લે! માગ્યું ન આપે તો લીલાપુરમાં ત્હારી સત્તા ચલાવવાની ધમકી આપ, માગ્યું આપે તો તે જગા પર આવ, અને પછી જાતે કારભારી થવાનું મ્હારું પોતાનું તો ગજું નથી પણ ત્હારા જેવા સત્તા અને મોભાવાળાને કારભાર અપાવવા સફળ શ્રમ કરી શકું એમ છે. બુદ્ધિધન એ જ માર્ગ અને મ્હારા આશ્રયથી ચ્હડ્યો એટલે હવે ગરજ સરી વૈદ્ય, વેરી જેવું કરે છે ૫ણ ત્હારા જેવાની સાથે મળી હું વેર વાળી શકીશ. તું એજંસી સાચવજે. રાણાનું અને મ્હારું અંત:કરણ એક છે.” રામભાઉને આ શીખામણ ગમી અને તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન પર સંદેશો મોકલ્યો. એને દ્રવ્યનો ખપ હતો તો બુદ્ધિધનને અડચણ ન આવત પણ આ માગણી ભયંકર હતી. રામભાઉ ગરબડને બળે અને ગરબડ રામભાઉને બળે કુદે છે તે સ્પષ્ટ જણાતાં તેનો પ્રતીકાર શોધી ક્‌હાડ્યો. ભીતિનો માર્યો ગરબડ મથે છે જાણી તેની ભીતિનું કારણ દૂર કર્યું. તેના ઉપર વિશ્વાસ જણાવવા તેને ક્‌હાવ્યું: “પ્રાતઃકાળમાં શઠરાયના સમયનાં હીસાબી દફતર વીશે તમારી પાસે રિપોર્ટ માગવામાં આવશે અને તેમ કરવા પછી આગળ પણ તમારી સહાયતા જોઈશું: આપણા લાંબા પ્રયાસનું ફળ ભોગવવાનો શુભ અવસર આવે છે; એટલું કે આજસુધી તો અમારી ઇચ્છાથી સામા પક્ષમાં તમે દેખાયા પણ હવે અમારા પક્ષમાં ઉઘાડાં થવું પડશે અને અવિશ્વાસનાં સર્વ કારણ દૂર કરવાં પડશે. પોતાના અને પારકાઓનો વિવેક કરી યોગ્ય ફળ સર્વને અવિલંબે આપી દેવા રાણાજીની પ્રતિજ્ઞા છે. તમારે હવે સમય ચુકવા જેવું નથી.” રામભાઉને શો ઉત્તર મોકલવો તે શોધવાનું અને આખર ઉત્તર પહોંચાડવાનું ગરબડને માથે જ રાખવું એવો બુદ્ધિધને ઠરાવ કર્યો. પરંતુ ગરબડે ચકલી ઉરાડી ખરી – પણ પાછી બોલાવી શકશે કે નહીં એ ચિંતા રહી. રામભાઉ અને બ્હારવટીયા બેને એણે ઉશ્કેર્યા હતા – હવે તેમને ઠેકાણે લાવવા એ ગરબડની શક્તિ ઉપરાંતનું કામ છે એવું બુદ્ધિધને ભયસાથે ધાર્યું. બુદ્ધિધન આ વિચારોમાં હતો તેટલી વારમાં સાહેબ પાસેથી આવેલા એક બે પત્રોનું ભાષાંતર નવીનચંદ્રે રાણા પાસે કરી બતાવ્યું. બીજું સર્વ વાંચવાનું રાણાની આજ્ઞાથી મુલતવી રાખ્યું – રાણાને તેમાં કાંઈ સ્વાર્થ ન હતો. તે પાછો વિચારમાં પડી, અધીરો બની પુછવા લાગ્યોઃ

“બુદ્ધિધન, આ બધી ગોઠવણ તો થઈ હવે બીજી પરચુરણ ગોઠવણ તમે તમારી મેળે કરજો. મ્હારે માત્ર ત્રણ વાત જાણવાની છે: એક તો એ કે શઠરાયની વ્યવસ્થા કરવી ધારી તે કેવી રીતે પાર ઉતારવી – તે તો તમે ક્‌હો છો કે તર્કપ્રસાદ આવ્યા પછી થશે. ઠીક. બીજું એ કે તમને પોશાક આપવાનો – એ તો પ્રાત:કાળે પ્રથમ કામ રાખો. ત્રીજું તમે ક્‌હેતા હતા કે જગતમાં ઝળકી નીકળે એવાં કાંઈ કામનો આરંભ કરવો – એ પણ સારું કામ છે – એવો કાંઈ માર્ગ શોધી ક્‌હાડો કે જેથી આપણી નામના ચારે પાસ ફેલાય અને અમર થાય. એ ધીમે ધીમે જોજો. સાહેબ લોક નામનાથી જ વશ થાય છે.”

આમ અનેક વાતો કરતાં કરતાં રાત્રિ યુવાન બનવા લાગી અને તેના સબળ આષ્લેષથી દિઙ્‌મૂઢ બનતો સંસાર આંખો મીંચવા લાગ્યો. નિદ્રાએ રાણાને હાથ પકડી મદનવશ કરી અંતઃપુરમાં ખેંચી લીધો અને અંધ બનાવી અણગમતી રાણીને ભુજ-વશ કરવા મોકલ્યો. અમાત્ય, નરભેરામ, જયમલ્લ, અને નવીનચંદ્ર એક બે ઘોડાની ગાડીમાં બેસી અંધકાર સાગર તરી જવા ઈચ્છતા હોય પણ તેમ કરવાનો ઉપાય ન દેખતા હોય તેમ અંધકારમાં જ ગાડીવાનને વશ થઈ ગાડી સાથે અંધકારમાં લીન થયા. માત્ર આગળ ચાલતા સવારોના ઘોડાની ખરીયોના પડઘાના અને પોતાની તથા પાછળની ઘોડાગાડીયોના અવિચ્છિન્ન નિર્ઘોષ કાનપર પડતા હતા. એ સિવાય સર્વ ઇન્દ્રિયોને અન્ધકારે જ નિષ્ફળ કર્યા જેવું થયું.

નવીનચંદ્રના મનમાં ગર્જના થઈ ઉઠી: “અંધકાર! અંધકાર! સુવર્ણપુરની દીન પ્રજા! ચાર ચાર કલાકની વાર્તામાં ત્હારે સારું પા કલાકનો પણ અવસર ન મળ્યો. અથવા–તો મ્હારી જ ભુલ હશે. આ કામ પણ પ્રજાનું કેમ ન ક્‌હેવાય? નઠારા કારભારીને ક્‌હાડવાનો પ્રયાસ તે પણ પ્રજાનું હિત જ.” આ ઠરાવ તેના મને બરોબર ન સ્વીકાર્યો.

ગાડીના ફાનસના દીવાનો ઝીણો પ્રકાશ ગાડીમાં આવતો હતો અને અંધકારના વિશાળ આભોગમાં છાનોમાનો લપ્પાઈ ગાડીમાં પ્રવાસ કરતો હતો. એ પ્રકાશનો એક કિરણ પાછળ બુદ્ધિધનનાં આંખપર પડતો હતો. ગાડી મ્હેલમાંથી નીકળી રસ્તાપર ગડગડાટ કરતી ચાલી અને ઘોડાગાડી સાથે અદ્ધર ઉડતો હોય એવો આભાસ અંધકારે કલ્પનાને આપવા માંડ્યો એટલે બુદ્ધિધને વાત ક્‌હાડી. તેનો સ્વર અંધકારને ભેદી સર્વના કર્ણપટ સાથે અથડાવા લાગ્યો – અંધકારમાંથી જ નીકળતો હોય એમ લાગ્યું.

“નરભેરામ, જો, કાલે શું શું કરવાનું તે સરત રાખ. જાણે કે તર્કપ્રસાદ પ્રાત:કાળે આવશે અને ઈચ્છેલા વિષયોમાં સાહેબની અનુમતિ ઈશ્વર કરશે તો આવશે. રામભાઉને ના ક્‌હાવી નથી પણ તર્કપ્રસાદ ક્‌હેશે કે તમારી બાબત રાણાજીને ક્‌હાવ્યું છે અને મ્હોટી બાબતોની વ્યવસ્થા સાહેબની અનુમતિથી થઈ જશે એટલે કારભારીના હાથ નીચેની સર્વ નીમણુંકોનો વિચાર થશે તે પ્રસંગે તમારો વિચાર ઘણું કરીને થશે. વિચાર કશો કરવાનો નથી – પણ અત્યારથી ખરી વાત જણવવાની જરુર નથી. આશામાં ને આશામાં એકાદ માસ કહડાવીશું, પણ અંતે લીલાપુરમાંથી નીકળી રામભાઉ સદાશિવને પન્થે પળે એ ઉપાય યોજવો પડશે. એ સાપ ઉછેરવા જેવો નથી – તરત છંછેડવા જેવો પણ નથી. એક મ્હોટી જગા થોડા દિવસ ખાલી રાખીશું એટલે એ જાણશે કે મ્હારે વાસ્તે જ રાખી છે. ગરબડ બાબત મ્હેં તને ક્‌હેલું જ છે. ત્હારે ઘેર ગયા પછી એને મળવું. બ્હારવટીયાનો બંદોબસ્ત કરવા વિજયસેનને સૂચના આપી હશે.”

“હાજી,” નરભેરામ બોલ્યો; “શઠરાયના કેટલાક મિત્રો પણ એ ખટપટમાં છે. જુલમ કર્યો છે – છ કલાકમાં આટલું ૨મસ્તાન મચાવી મુક્યું છે. લીલાપુર પણ સર્વે સમાચાર પહોંચ્યા હશે.”

“શઠરાયનો સાળો તો ડોબક સાહેબને મળવા દોડ્યો સંભળાય છે.” જયમલ્લ બોલ્યો.

“એમ કે?” બુદ્ધિધને કહ્યું. થોડી વાર સઉ બોલતા બંધ પડ્યા.

“શઠરાયનું નક્કી થશે એટલે ઉજળીયું ગામ આપને આપવાનું છે. એવું રાણાજી ક્‌હેતા હતા:” જયમલ્લે સમાચાર કહ્યા. બુદ્ધિધને જયમલ પાસે સૂચના કરાવી હતી અને રાણાએ તે સૂચનાનો પ્રતિધ્વનિ કર્યો હતો.

અજાણ્યો હોય તેમ બુદ્ધિધન બોલ્યો: “રાણાજીની કૃપા છે – પણ એ વિચાર તરત એમના મનમાંથી દૂર કરવો પડશે. કાંઈ સારું કામ આપણે હાથે થાય પછી એ વખત આવે તો ઠીક.” નરભેરામ બોલ્યો: “બુદ્ધિધનભાઈ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તેને તો ના ક્‌હેવી જ નહીં, રાણાજીનું મન કાલે ફરી જાય. धर्मस्य त्वरिता गति:- “ધર્મ કરવા બેસે તેને અટકાવવો નહીં. મ્હારા મનમાં તો આવ્યું હતું કે માગ્યા વિના મા પણ પીરસે નહીં – રાણાજીને જાતે જ સુઝ્યું તો પછી વિવાહથી રળીયામણું શું?”

“નરભેરામ, પણ મને લાગે છે કે છેક ઠીક નહીં. દેખાય.”

“હવે. ઠીક ને બીક. હું કહું તે માનો. હા ના કરતાં કુમારા ર્‌હેશો. વખત વીત્યો ફરી આવતો નથી- ને હું તો, ભાઈસાહેબ, કાંઈ તમારા જેવો સાધુ નથી – માટે કહી મુકું છું કે ત્યારસોરો પ્રસંગ આવ્યે મ્હારો પણ કાંઈ જોગ કરાવજો – હું અંતઃકરણથી કહું છું તેનો હવે વિશ્વાસ આવ્યો કની?”

નવીનચંદ્ર આ શાંત લુટાલુટનો વિચાર દેખી આભો બન્યો પણ વિચાર કર્યો કે “આ અભણ લોકનો શો દોષ ક્‌હાડવો? ભણેલા ઇંગ્રેજ બીજું શું કરે છે? સિવ્હિલસર્વ્હિસ એનો અર્થ લુટાલુટ કે બીજું? વિના કા૨ણ બ્હાનાં ક્‌હાડી પ૨૨ાજ્ય હોઈયા કરવું એટલે બીજું શું? હશે, કરોડો રુપીયાનાં પોટલે પોટલાં દરવર્ષે રંક આર્ય પ્રજાને તજી હનૂમાનની પેઠે સમુદ્ર ઓળગ્યાં કરે – અને સમુદ્રમાં ડુબી ગયાં હોય એમ આપણે મન તો ગયાં જેવાં જ થાય – અને એવી બીજી અનેકધા; હાનિ થાય તેના કરતાં આ લુંટની વ્હેંચણી તો સુવર્ણપુરની પ્રજામાં જ થવાની! – ખીચડીનું ઘી ખીચડીમાં જ!”

સ્વદેશ-વત્સલ હૃદયમાં લુટાતો આર્યદેશ સાંભરી આવ્યો અને અંધકારને સમયે અંતઃકરણ ભરાઈ આવતાં આંખમાંથી ખરખર આંસુની ધારા પડવા માંડી. “બુદ્ધિધન, હું ત્હારો દોષ નથી ક્‌હાડતો. હું તને શુદ્ધ જોવા ઈચ્છું છું – જગત્ ચોર છે વાસ્તે તું પણ ચોર હોય એ હું ઈચ્છતો નથી–પણ આ

“साक्षरा विपरीता राक्षसा भवन्ति”

“તેના આગળનું એ છે હાનિકારક છે!” સર્વે વિચાર શોકમાં લીન થયા – અદૃશ્ય થયા અને તકીયો દેઈ બેઠેલો પરદેશી સુવર્ણપુરના રાજ્ય- તંત્રીયોથી સર્વ વાતે જુદો પડ્યો. “રંક આર્યબન્ધુઓ! હું તમારે વાસ્તે શું કરું? મને કાંઈ સુઝતું નથી.” એ શબ્દ મુખમાંથી નીકળી ગયા; પણ ચિન્તાઓના સલવાટમાં, સ્વાર્થશોધના આવેગમાં, વાર્તાની લ્હેમાં, અને ખટપટના આવેશમાં પડેલાં ક્ષુદ્રચિત્તોમાં તે શબ્દ પ્રવેશ કરવા ન પામ્યા– ચિત્તમાં તો શું પણ કર્ણમાં એ જવા ન પામ્યા. આ પરિણામનું જોખમ ઘોડાગાડીના નિર્ઘોષને માથે ન હતું, કારણ નિર્ઘોષ છતાં બુદ્ધિધન અને નરભેરામ પરસ્પરની વાતો સાંભળી શકતા હતા.

આ અરસામાં રાજ્યતંત્રીયોએ ઘણી ઘણી વાતો કરી. કંઈ કંઈ યોજનાઓ થઈ કંઈ કંઈ સંકલ્પ-વિકલ્પ થયા, કંઈ કંઈ તર્ક થયા, કંઈ કંઈ ઘાટ ઘડાયા, કંઈ કંઈ ભાગ્ય ઉઘડ્યાં, કંઈ કંઈ ચિંતાઓ થઈ અને કંઈ કંઈ ઉપભોગ થયા. સ્મરણશક્તિને થકાવે, કલ્પનાને હંફાવે, અને સાધારણ બુદ્ધિને તો મૂર્ચ્છા પમાડે એવી યોજનાઓએ કરવી હજી બાકી રહી જણાઈ. આશા અને અનાશા, ભય અને અભય, ઉત્સાહ અને અવસાદ: એવાં એવાં અનેક દ્વંદ્ધ સાત્વિક શાન્તિને હજી અદૃશ્ય રાખતાં દેખાયાં અને સંકલ્પ- વિકલ્પ આનંદનિદ્રાના શબ ઉપર ગૃધ્રગણ પેઠે ભમતા નજરે પડ્યા. વામન તર્ક વિરાટ સ્વરૂપ ધારી પૃથ્વીથી આકાશ સુધી બે પગલાં ભરી ઉભેલો પ્રત્યક્ષ થયો. કંઈ કંઈ મનુષ્યોનો ન્યાય તેમની પરોક્ષે થતો અને શિક્ષાનો નિર્ણય થતો હજી અટક્યો નહીં. કંઈક મૂર્ખાઓ વ્હેમનાં પાત્ર ગણાયા, કંઈક લુચ્ચાઓ ઉઘાડા પડી ગયા, કંઈક શુદ્ધજનો સંગતિને લીધે અશુદ્ધમાં ખપ્યા, જાણ્યે-અજાણ્યે પ્રસંગે અપ્રસંગે કંઈક ઉદ્ધત શબ્દ કોઈથી બોલાયલો- કંઈક અવિનીતતા થઈ ગયેલી – તેના ફળમાં તેને આજ કંઈ સારી નોકરી મળતી અટકી, અને એ જ રીતે ભિન્ન ભિન્ન ન્હાના મ્હોટા દોષવૃક્ષ ઉપર ધાર્યા અણધાર્યા ફળફુલ આવ્યાં એ જ શ્રેણિયે ગુણના પરિપાક થયા. કંઈક દોષ – કંઈક ગુણ – ઢંકાયા પણ ખરા – ફળદાતા છેતરાયા પણ ખરા. અધિકારે શુભ અશુભ કરવાની શક્તિનો માનવીઓમાં આમ આવિર્ભાવ કર્યો – અને તે અંધકારના ઉદરમાં ગર્ભરૂપે સ્ફુરવા લાગ્યો.

એટલામાં નરભેરામ પોતાના ઘર આગળ ઉતરી પડ્યો અને જયમલ્લ પોતાના ઘરના દ્વારમાં વૃદ્ધ પિતાને ઉભેલા જોઈ ઉતર્યો, તેને ઉતરતો જોઈ દયાશંકર સાથે બે બોલ બોલી, પોતાના આપત્તિ સમયમાં ઉપયોગી થઈ પડનારના પુત્રને આજ પોતે સારું ફળ આપે છે એ વિચાર થતાં બુદ્ધિધન ઉંડો સંતોષ પામ્યો અને ગાડીવાનને ‘ચલાવ’ કહી આજ્ઞા કરી.

ઘોડાઓએ અંધકારમાં ફાળ ભરી કે બુદ્ધિધનના શબ્દે નવીનચંદ્રને વિચારનિદ્રામાંથી જગાડ્યો.

“નવીનચંદ્ર, તમારે વાસ્તે મ્હેં એક વ્યવસ્થા ધારી છે” કહી તેને વાસ્તે પોતે કરેલો વિચાર કહી બતાવ્યો, નવીનચંદ્ર સર્વ વાત સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો, પોતે એક અજાણ્યો પરદેશી તેના ઉપર આટલી મમતા બતાવતા બુદ્ધિધનને જોઈ મનમાં ઉપકારવૃત્તિની સેર છુટી, અને પોતાને નોકરી તો લેવી ન હતી એટલે આ ઉપકારનો બદલો શું બોલી વાળવો તે સુઝ્યું નહીં. મ્હોંયે ઉપકાર માની બતાવવો એ તેની પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ હતું – ન બતાવવો એ આ દેશમાં આચારવિરુદ્ધ હતું. અંતે વિચાર કરી, કંઈક સ્મિત કરી, તે બોલ્યો: “ભાઈસાહેબ, આ આપની મમતા કાંઈ ન્હાનીસુની નથી, પરંતુ હું પરદેશી પ્રવાસી છું એ આપ જાણો છો. થોડા સમયમાં મ્હારો એક મિત્ર અત્રે આવવાનો છે તેને મળી – આપને પોશાક મળે એ આપનો સંપૂર્ણ ભાગ્યોદય જોઈ હું આપની રજા માગી મ્હારા પ્રવાસને પાછો આરંભ કરવા ઈચ્છું છું.”

પોતાનો પ્રસાદ ન સ્વીકારે એવું આજ સુધી બુદ્ધિધનને કોઈ મળ્યું ન હતું. તેને કાંઈક માઠું લાગ્યું અને પોતાનો કાંઈક તિરસ્કાર થયો ભાસ્યો. પ્રીતિ અસ્થાને દર્શાવી હોય, કારભારીએ ન કરવા જેવી ચુક કરી હોય, – એવી વૃત્તિ મનમાં થઈ અને કાંઈક વિષાદ પણ થયો. આખર ઠરાવ કર્યો કે ભુલ થઈ તો થઈ પણ ફરી ન કરવી – ગમે એટલું પણ એ પરદેશી – એના ઉપર યોગ્યતા કરતાં વધારે વિશ્વાસ થઈ ગયો, વધારે મમતા દેખાડાઈ ગઈ. હવે એમ કરવાની જરુર નથી, નવીનચંદ્રને નોકરી આપી હત તો એક મ્હોટી ભુલ થાત, નવીનચંદ્રની પોતાની જ મૂર્ખતાથી આ મ્હારી ભુલ થતી અટકી – ઈત્યાદિ વિચાર કારભારીયે કર્યા અને નોકરીની વાત પડતી મુકી. શુદ્ધ ચળકતા લોખંડ ઉપર મ્હોંવડે કુંક મારવાથી શેવાળ વળે તેમ અંતઃ- કરણની નિર્મળતા ઉપર અધિકારની ફુંકે આમ પાણી ફેરવ્યું, અને ભૂતકાળની સર્વ સુંદરતા ધોવાઈ ગઈ હોય એમ આટલી મમતાના પાત્ર થયેલા ભણી ઉદાસીનતા થઈ પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી એ ભાન થયું. આ સર્વ દેખાઈ આવે નહીં એમ વાત કરવા માંડી.

“નવીનચંદ્ર, કોણ આવવાનું છે અને તમારે ક્યાં જવાનું છે?” આ પ્રમાણે આડી અવળી વાર્તા થતાં ઘર આવ્યું, ગાડી અટકી, અને બેસનાર ઉતર્યા. દ્વારમાં બન્ને જણ પેંઠા.

બુદ્ધિધન સાંઝે દરબારમાં જવા નીકળતો હતો ત્યારે, તેની મેડી આગળ અલકકિશોરી આવી, કાંઈક લાડ કરી, કહી ગઈ હતી કે “પિતાજી, આજ તો મ્હારે એક વાનું માગવાનું છે તે એ કે વનલીલાના વરનો કાંઈ સારી જગા પર જોગ કરજો. એ બીચારી જો કાંઈ બોલતી નથી તેથી મ્હારા મનમાં આવ્યું છે. પેલી કાળકાના વરની તો તમે તે દિવસે ના કહી હતી – પણ આજ તો નહીં ચાલે – હા! મોઈ રાંડ કાળકા- એના પરથી તો મ્હારો ભાવ ઉઠી ગયો છે.–” બુદ્ધિધને ઉત્તર આપ્યો – “એના ઉપરથી ઉઠી ગયો – ત્યારે આના ઉપર કેમ ર્‌હેશે?”

“પિતાજી, બેમાં ફેર છે. કાળકા તો રાંડ નઠારી છે. વનલીલાપર તો ભાભીનાયે ચારે હાથ છે. ના, આટલું તો મ્હારું કર્યા વિના નહીં ચાલે!”

“ભાભીનું નામ દે છે ત્યારે તો જોઈશું – જા!” કરી હસતો હસતો બુદ્ધિધન ચાલ્યો હતો. અત્યારે દાદર પર ચ્હડતાં આ સર્વ વાત સાંભરી અને નવીનચંદ્રે ના કહેલી જગા કોને આપવી તે સુઝતું ન હતું તે સુઝી આવ્યુંઃ દાદર પર ચ્હડતાં ચ્હડતાં સૌભાગ્યદેવી મનમાં આવતાં મન પાછું શુદ્ધ બનતું હોય તેમ બુદ્ધિધન બોલ્યો:

“નવીનચંદ્ર, તમે જવાનો વિચાર રાખ્યો તે ઘરમાં તો કોઈને નહીં ગમે – પ્હેલી તો અલક જ મ્હારી જોડે વ્હડશે કે કેમ જવા દ્યો છો?”

“હાજી. હું પણ કોઈની પ્રીતિ વીસ૨ના૨ નથી. હું મ્હારા ઘરમાં રહ્યો હઉં તેમ સર્વેયે મ્હારી આગતાસ્વાગતા કરી છે. પણ શું કરીયે? આવ્યું તે જવાને.”

દાદર આગળ સમરસેન બેઠો હતો તેને છેક ઉપર ચ્હડ્યા પછી બોલાવી બુદ્ધિધને આજ્ઞા કરી:

“સમરસેન, આજ વિદ્યાચતુરનો પત્ર આવ્યો છે તેમાં લખે છે કે મુંબાઈથી એક ચંદ્રકાંત નામના ગૃહસ્થ અત્રે આવનાર છે. ઘણું કરી કાલે સવારે આવી પહોંચશે. હું દરબારમાં, હઈશ માટે ઘેર આવે તો સંભાળ રાખજો બરાબર.”

નવીનચંદ્ર સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો, અને બોલ્યો: “ભાઈ સાહેબ, હું એમને કાંઈક ઓળખું છું. રત્નનગરીથી આવવાનો માર્ગ તો રાજેશ્વરભણીથી જ છે ને?”

“હા, પણ કાંઈ કીયે વખતે આવશે તે નક્કી નથી – નીકર તો કોઈને રાખત ત્યાં.”

“હું જ જઈશ. જમવા વખતે ઘેર આવી જઈશ.”

“કાંઈ જરુર નથી – કયાં સુધી ત્યાં બેસી રહેશો?”

એમ કરતાં કરતાં બે જણ જુદા પડ્યા. નવીન વિચારમાં પડી નવીનચંદ્ર પોતાના ખંડમાં ધીમે ધીમે ગયો, દ્વાર વાસ્યાં, અને મધ્યરાત્રિના બાર વાગવા આવ્યા હતા તે છતાં નિદ્રા ન આવવાથી, એક બારી ઉઘાડી, પવન ખાતો, એકાંત આકાશ અને અંધકાર જોતો જોતો, પાઘડી લુગડાં ક્‌હાડી, એક ખુરશી પર બેઠો.

બારણે રાત્રિનો પ્રવાહ નિરંકુશ રેલાઈ ગયો હતો તેને તળીએ ડુબી જઈ ડુબેલા માણસના જેવા વિકાર પોતે અનુભવતો હોય એમ નવીનચંદ્ર કલ્પવા લાગ્યો.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.