પ્રકરણ પ – 
બુદ્ધિધન (અનુસંધાન, સંપૂર્તિ)

મ્હોટાંમાણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાય છે. અને ન્હાનાંની ખરી વાત ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઈ દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સઉ તેની વાત જ ભુલી ગયાં. જે કારભારીને ત્યાં માનું અપમાન થયું હતું ત્યાં બુદ્ધિધન પ્રસંગે અપ્રસંગે પ્રથમથી જ જતો હતો અને સાજે થયા પછી પાછો જવા લાગ્યો.પણ ઈશ્વરે સઉનાં મગજ અને કાળજાં અપારદર્શક કર્યાં છે. એમ કરતાં મ્હોટાંનાં મન સમજવા ન્હાનાંને અવકાશ મળે છે, પરંતુ ગરીબ બીચારાં ન્હાનાં માણસોનાં મન તો મ્હોટાં માણસોની પ્રમત્ત – અંધ – આંખોને અદૃશ્ય જ રહે છે અને એ આંધળાઓને મન રંક પુરુષોનાં કાર્યો સ્વાભાવિક રીતે અર્થવિનાનાં, અક્કલ વિનાનાં, મૂર્ખતા ભરેલાં, માલવિનાનાં, અથવા તો અસુરંગી, વસે છે. કોઈ વખત આંધળામાં કાણો રાજીયો મળી આવે તો રંક માણસોની બુદ્ધિની પરીક્ષા કરવા યોગ્ય–મૂલ્ય જાણવા લાયક – વધારે બુદ્ધિવાળા આપણે તો છીયે જ એમ માને છે અને આ બીચારામાં આટલી બુદ્ધિ છે એવું કહી કદર બુજવાની હીમ્મત કરે છે. કારભારી-મંડળ ભરાયું હોય, ગપાટા મારતું હોય, બડાશો હાંકતું હોય, નિન્દા કરતું હોય, કોઈને નુકસાન કરવામાં જય પામી અભિમાન અને આનંદ પામતું હોય, નીચ ઉત્સવ કરતું હોય, ખોટા ઢોંગ રચતું હોય, નીતિના નિયમને ઉલટ પાલટ કરી દેતું હોય, અને મૂર્ખતાથી રંગેલાં – દુષ્ટતાનાં ભરેલાં – બુદ્ધિના દુરુપયોગે ધક્કેલેલાં અને ખુશામતે સળગાવેલાં સ્વપ્ન-જાળ જેનું હોય, તેવે વખતે બુદ્ધિધન એકલો સેવકવર્ગ સાથે ભળનાર મુત્સદ્દી વર્ગની છેલ્લી પાયરીના માણસોમાં સઉની પાછળ બેસતો અને આંખ, કાન, અને મનને જુદા જુદા વ્યાપારોમાં રોકી આ સંસારનો અભ્યાસ કરતો અને કારભારી અને તેના દીકરાને જોઈ અંત:કરણમાં પોતાની મેળે હોલાતા ભડકાને ઘડી ઘડી વધારે વધારે પ્રદીપ્ત કરતો. પરંતુ તેના ઉપર કોઈની નજર પડતી ન હતી. માત્ર કારભારીનો દીકરો દુષ્ટરાય, તિરસ્કાર અને અહંકારભરી બાડી આંખે કોઈવાર તેના ભણી આઘેથી જોઈ ર્‌હેતો, છાતી ક્‌હાડતો, અને એના જેવા કંઈ કંઈ રંક માણસોને તેમની અવસ્થાનું ભાન આવે એવાં અટકચાળાં કરી તથા તાબેદાર માણસો પાસે વણ-કહ્યે કરાવી, એમ કરવામાં પોતાની પદવી સાર્થક થતી હોય-પોતાનો હક જળવાતો હોય એવું ડોળ કરી દમભેર ચાલ્યો જતો અને તેની પાછળ તેનાં પુંછડાં ચાલ્યાં જતાં. તેનો બાપ શઠરાય તેના કરતાં કંઈ વધારે સારો અને અક્કલવાળો હતો. દીકરાના જેવાં કામ તે ન કરે એમ ન હતું પરંતુ પ્રયોજન હોય ત્યારે જ કરતો અને ચાલતા સુધી સ્વાર્થ શિવાય બીજું પ્રયોજન રાખતો ન હતો. આથી બુદ્ધિધનને અને તેનો પ્રસંગ જવલ્લે જ પડતો પરંતુ પડેલા પ્રસંગ સમયે તેણે પરીક્ષા કરી હતી કે આ છોકરો ચંચળ અને બુદ્ધિવાળો છે – અલબત ‘ચંચળ’ અને ‘બુદ્ધિવાળો’ એટલે શઠરાયના પોતાના જેવો તો નહીં જ. પરંતુ આ પરીક્ષાથી બુદ્ધિધનને કાંઈ લાભ-હાનિનો સંભવ ન હતો. કારણ ‘બુદ્ધિ,’ અને ‘ચંચળતા’ એ બે ગુણને લીધે કારભારી કાંઈ લાભ કરે એમ ન હતું, તેમ બુદ્ધિધનની અવસ્થામાં કાંઈ એવું પણ ન હતું કે શઠરાયને કાંઈ બ્હીકનું કારણ ર્‌હે. તે તેનો સગો અથવા વેરી એમાંથી એક પણ ન હતો. જે વેર હતું તે માત્ર રંક અવસ્થાવાળા બુદ્ધિધનના અંતઃકરણમાં ગુપ્તરીતે બળ્યાં કરતું હતું અને તેને બાપ-દીકરે અજાણતાં સળગાવેલું હતું. સ્વાભાવિક સદ્ગુણ વિનાના માણસો બધે ઠેકાણે વિવેક રાખી શકતા નથી અથવા રાખવાનું કારણ જોઈ શકતા નથી. પરંતુ ઈશ્વર તો અજાણ્યે ઠોકર ખાનારના પગમાંથી પણ લોહી ક્‌હાડે છે અને અવિવેકનાં ફળ જાણ્યે અજાણ્યે દેખીતાં કે અણદેખીતાં પણ સર્વ જમીનમાં પોતાનાં મૂળ નાંખે છે. ફળ દેખાયે અજ્ઞાની માનવ કારણ ન સમજાવાથી ઈશ્વરને માથે આરોપ મુકે છે અને પોતાનો પાછલો અવિવેક ભુલી જાય છે અથવા તો તે અવિવેક અને તેનાં ફળનો સંબંધ જોઈ નથી શકતાં.

विवेकप्रध्वंसान्द्रवति सुखदुःखयतिकर:॥

ધન્ય છે તેમને કે જેનાં અંતઃકરણ સ્વાભાવિકરીતે જ સદ્ગુણ અને વિવેકનાં કવચ ધારણ કરનાર હોય છે અને જેમની વિવેક-બુદ્ધિ દુ:ખના અંધકારમાં પણ અંતર્દીપ સળગાવી એકાંત આનંદનો પ્રકાશ ભોગવે છે! શઠરાય અને દુષ્ટરાયને જોઈ તેમના અપરાધનો અવસર વિચારી, તેનાં ભાવિફળ અને પોતાનો કોપ વિચારી, કોપની શાક્તિના વખતમાં શાસ્ત્ર- સંસ્કારી બુદ્ધિધન વિસ્મય પામી આવા આવા વિચાર કરતો હતો.

એક સમયે કારભારીના ઘરમાં તેના મંડળની પાછળ બેઠાં બેઠાં બુદ્ધિધન આજ વિચારમાં ગરક થઈ ગયો હતો. એટલામાં સઉ મંડળ ઉઠી ચાલ્યું ગયું અને વિચારમાં ને વિચારમાં, નજર આગળથી સ્વપ્ન ચાલ્યું જતું હોય તેમ આ સઉ મંડળનાં પ્રવાહને વહી જતો શૂન્ય નયનથી જોતો જોતો, બુદ્ધિધને એક બારીનાં પગથીયાં પર બેસી રહ્યો, ઉઠવું ભુલી ગયો, અને એકલો પડ્યો. એટલામાં વાસીદું ક્‌હાડનાર એક ચાકર સાવરણી વીંઝતો વીંઝતો આવ્યો અને તેણે હવામાં સાવરણી ઝાપટી માંહ્યનો કસ્તર ઉરાડ્યો કે બુદ્ધિધન ચમકીને જાગૃત-નિંદ્રામાંથી જાગ્યો. સર્વેને ગયેલ જોઈ આળસ મરડી, હળવે હળવે દરવાજા બહાર નીકળ્યો.

દરવાજામાંથી નીકળતાં એક રજપુત ગરાસીયો સામો મળ્યો. તેને માથે મ્હોટું કસબી લપેટાવાળું પાઘડું, હાથમાં રુપેરી હુક્કો, કસકસી પ્હેરેલું ઝીણું? બુટ્ટા બુટ્ટાવાળું એક અંગરખું, કેડે બાંધી લીધેલા વસ્ત્રમાં જમૈયો, છરો, તરવાર અને એમ કેટલાંક હથીયાર બાંધેલાં, પગે કસકસેલો પાયજામો જેને એડી ઉપર બોરીયાં ઘાલી દીધેલાં હતાં, અને રાતી ભરેલી મોજડીઓ આ સર્વ પ્હેરી ગરાસીયો બુદ્ધિધનના સામો આવતો હતો? તે ગરાસીયા પાછળ બીજે એક યા એથી સાધારણ ડોળનો ગરાસીયો, અને એક બે માણસ હતાં, સઉ મંડળ હળવે હળવે ચાલતું હતું. બુદ્ધિધનને જોઈ અગ્રેસર ગરાસીઓ બોલ્યો?

“કેમ, બુદ્ધિધનભાઈ, ક્યાં ચાલ્યા? કામદાર છે કે?”

“પધારો, પધારો ભૂપસિંહજી! કામદાર હમણાં જ ગયા.”

મ્હોં કસમોડું કરી ભૂપસિંહ બોલ્યો: “ઠીક! ત્યારે અમને ફેરો શા માટે ખવરાવ્યો? ઠીક, ભાઈ, ઠીક. આજ એનો પણ ‘દી છે. બુદ્ધિધન, તમે કેમ હાલ દેખાતા નથી? હવે અમારે ઘેરે કોઈ દિવસ આવતા ર્‌હો. કારભારીના ઘરમાં સોનું લાખ મણ હશે, પણ તમારે એમાંથી કાંઈ કામ આવવાનું નથી. આ કામદારને ઉમ્મરે જોડા ઘસવી નાંખશો તેના કરતાં અમારા જેવાને ઘેર કોઈ વખત આવતા ર્‌હો તો તમારા જેવાને અમે તો કાંઈ કામ લાગીયે હોં! પછી તો, ભાઈ તમારી મરજી!”

“એમ શા વાસ્તે? ઘણા દિવસથી હું પણ, તમારે ત્યાં આવવાનો વિચાર રાખું છું.”

હવેથી બુદ્ધિધને ભૂપસિંહ સાથે પોતાનો પ્રસંગ વધારવા માંડ્યો. ભૂપસિંહ રાણા જડસિંહનો પાસેમાં પાસેનો પિત્રાઈ હતો. સગીર વયને લીધે આજ સુધી તેના વંશનો ગરાસ રાણાના કારભારીયોના વહીવટ તળે હતો અને ગરાસનો વહીવટદાર તથા કારભારી મળી તેની ઉપજમાંથી ખવાય એટલું ખાઈ ગયા હતા. રાણાને પણ પીત્રાઈપણું સાચવવા ભણાવી મુક્યો હતો. અત્યાર સુધી ભૂપસિંહને ગરાસમાંથી જીવાઈ જોગ મળતું હતું અને સગીર ઉંમરમાં જીવ જોખમમાં ન રહે માટે તે મોસાળ જઈ રહ્યો હતો. હાલ તે ઉમ્મરમાં આવવાથી ગરાસનો સ્વતંત્ર વહીવટ પાછો મેળવવા તજવીજ કરતો હતો, અને જીવ જોખમમાં નાંખી સુવર્ણપુર આવ્યો હતો. પરંતુ તેને કોઈ દાદ આપતું ન હતું અને સઉ ધક્કેલે ચ્હડાવતા હતા: આથી રાણા અને કારભારીયો ઉપર તે મનમાં પુષ્કળ વેર રાખતો હતો પણ તે વેર નપુંસક હતું, કારણ તે કાંઈ કરી શકે એમ ન હતું. હલકા મુત્સદ્દીઓ પાસે બેસી કામ ફહાડવાના રસ્તા ખોળતો અને કારભારીને લાંચ આપવા વિના બીજો માર્ગ તેને કોઈ બતાવતું ન હતું. કારભારી અને તેના જુદા જુદાં પાસવાનો મળી સઉને ઓછામાં ઓછા પચાસ હજાર લાંચના જોઈતા હતા અને એટલો જ દરબારને નજરાણો જોઈતો હતો.

આવા વખતમાં શત્રુનો શત્રુ તે મિત્ર એમ થયું. બુદ્ધિધને ભૂપસિંહને અર્થે કારભારીયો સાથે બાથ ભીડવા હીંમત કરી. ભૂપસિંહને પઈસે ટકે મોસાળમાંથી આશ્રય હતો અને તેમાંથી બુદ્ધિધનને પણ ઘરના નિર્વાહની ચિંતા દૂર થઈ અને કારભારીયો સાથે લ્હડતાં ‘હળવટ કે જળવટ’ કરવા તત્પર થયો. ભૂપસિંહને પણ બીજું કોઈ કારભારીની બ્હીકે મળતું ન હતું એટલે એ ઠીક પડી ગયું. ગરાસીયો અને મુત્સદ્દી રાત્રે રાત્રે મળતા, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરતા, અને હજીસુધી કોઈની નજર ચ્હડે એટલું તેમનું વજન થયું ન્હોતું.

એમ કરતાં કરતાં બુદ્ધિધન અને ભૂપસિંહનો પ્રસંગ પ્રસિદ્ધ થયો, અને એક સાથે બીજો પણ કારભારીયોનો શત્રુમાં લેખાવા લાગ્યો. પોતે કાંઈ પણ દેખીતું કામ કરી શક્યો ન હતો એટલામાં આ પરિણામ થયું જોઈ બુદ્ધિધનને સારું ન લાગ્યું. આખરે સામા શસ્ત્ર વાપરવા સજ્જ ર્‌હેવાની તેને જરુર લાગી. સુવર્ણપુરમાંથી ઘર તથા જમીન વેચી ઈંગ્રેજી હદમાં જમીન લીધી અને લીલાપુર નામના ઈંગ્રેજી થાણામાં બે જણ જઈ ૨હ્યા. બુદ્ધિધને કુટુંબ પણ સાથે લીધું. કુટુંબ નીકળ્યું તે દિવસે દુષ્ટરાય ત૨ફથી સૌભાગ્યદેવીને પકડવા નીચ હુમલો કરવા ધારેલો પાછળથી માલમ પડ્યો તે ઉપરથી કુટુંબ સાથે લેઈ લીધું સાર્થક થયું લાગ્યું.

લીલાપુરમાં બન્ને જણાએ જુદાં જુદાં ઘર ભાડે રાખ્યાં. ગામથી એક બે ગાઉને છેટે સરકારી એજંટ કર્નલ મસ્કિન સાહેબ રહેતા. તેમના તાબામાં સુવર્ણપુર, રત્નપુરી તથા બીજાં બેચાર સંસ્થાનો અને સાત આઠ તાલુકા હતા. તે સંસ્થાનો દશથી પચાશ લાખ સુધીની જુદી જુદી ઉપજનાં હતાં. સાહેબ જાતે લશ્કરી માણસ હોવાથી આનંદી મીજાજના હતા, શીઘ્ર વિચાર પસંદ કરતા, અને હુકમનો અમલ થતાં ક્ષણ પણ ઢીલ થતી અથવા સામું કારણ કોઈ બતાવે તો અધીરા થઈ જતા અને તપી જતા. સિદ્ધો રસ્તો લેવાની જાતે ટેવ રાખતા, સામું માણસ આડે રસ્તે જાય છે એમ હંમેશા વ્હેમાતા, અને તેવા માણસ સામે સર્વ જાતના ઉપાય લેવામાં ન્યાયબુદ્ધિને નિરુપયોગી ગણતા. જાતે કામ કરવું હોય ત્યારે સ્વાભાવિક ડહાપણ ભરેલા અને દૂરદર્શી વિચાર કરી શકતા પરંતુ ઘણું ખરું કામ શીરસ્તેદાર મારફત લેતા. શીરસ્તેદારને ઘણી બાબતમાં સામા માણસના સારા નરસાપણા વિશે પૂછતા અને તેનો તથા પોતાનો મત મળ્યે ખુશી થતા અને શીરસ્તેદારને હોંશીયાર તથા સારાં માણસમાં ગણવા લાગ્યા હતા, શીરસ્તેદારની જગા ઉપર હાલમાં એક દક્ષિણી ગૃહસ્થ સદાશિવપંત નામનો હતો. તે ઈંગ્રેજી સારું જાણતો, ચાલાક હતો, અને સાહેબનો મીજાજ જાળવી સ્વતંત્ર દેખાવ કરવામાં પ્રવીણ હતો. સાહેબની મહેરબાનીથી એક વખત તેણે શાન્તિગઢની દીવાનગીરી મેળવી હતી. પરંતુ સાહેબની મહેરબાનીથી આ પદ મળ્યું એટલે એ સંસ્થાનના ઠાકોર પ્રતિ પોતાનો કાંઈ પણ ધર્મ હોય એમ માનતો ન હતો. કેટલાંક કામમાં દરબારી માણસોની ગરજ પડતી તે વખત તેમને ખુશી કરતો હતો પણ ગરજ સર્યે તેમની પરવા પણ ન રાખતો. આથી એક પણ મંડળ તેને પોતાના વર્ગનો ન ગણતું. ન્યુસ્પેપેપરોવાળામાં આ રીતથી તેણે નિષ્પક્ષપાત અને ન્યાયીપણાની કીર્તિ મેળવી હતી અને સાહેબ પાસે પ્રતિષ્ઠા વધારી હતી. આથી એના સામી ફરીયાદ કરવાનાં દ્વાર સર્વત્ર બંધ થઈ ગયાં હતાં અને પોતાની ગુપ્ત ઈચ્છાઓ પુરી પાડવામાં અને લોભ તથા – ઉદ્ધતપણાનો પુરો અમલ કરવામાં, નિરંકુશ બની ‘નામીચો સાહુકાર ૨ળી ખાતો હતો.’ દેશી માણસો લાયક નથી અથવા તો સ્વતંત્રતા જાળવી શકતાં નથી અથવા તો તેમનું વજન પડતું નથી એવે એવે બ્હાને ઘણીક જગાઓ પરદેશી માણસોથી ભરી દીધી હતી અને તે પરદેશીયોમાં દક્ષિણીવર્ગ કરતાં બીજી જાતનાં માણસો જડી આવ્યાં ન હતાં. આખરે ઠાકોર, દેશી મુત્સદ્દિવર્ગ, ગરાસીયાઓ અને રૈયત – સર્વેના તરફથી જુલમની બુમ ઉઠી. પરંતુ રાજ્યના અને ઠાકોરના શત્રુઓ સાહેબપાસે જતા અને પોતે દેશી છતાં દીવાનસાહેબના ન્યાયથી સંતોષી છીએ, એમ બતાવતા એટલે બીજા લોકોની બુમને સાહેબ ગણકારતા નહીં. પણ એક વખત તો ઠાકોરને અપમાન મળવાથી સાહેબને જાતે મળી ફરીયાદ કરી અને કેટલીક ખટપટ જાગી. તેમાંથી સાહેબનો અભિપ્રાય એવો બંધાયો કે દીવાન પ્રમાણિકપણાને લીધે આ સર્વને ‘મૅનેજ’ કરી શકતો નથી એટલે તેને પાછો અસલ જગા ઉપર બોલાવી લીધો. તેનો ‘જાત દ૨માયો’ વધારી આપ્યો, અને પ્રસંગ મળ્યો મ્હોટી જગા અપાવવા કહ્યું.

સાહેબની પાસે ન્યાયનું પણ કામ હતું. તે તથા રજવાડી કામ સંબંધમાં વકીલ મુખત્યારો રાખવામાં આવતા. બુદ્ધિધને સાહેબને મળી પોતાની બુદ્ધિથી ખુશ કરી સનદ મેળવી અને સ્વતંત્ર ગુજરાન જોગ પઈસો તથા એજંસીના અમલદારોમાં જવા આવવા જોગ મોભો મેળવ્યો. સદાશિવપંત સાથે મિત્રતા કરી અને ભૂપસિંહનું તથા તેનું ઓળખાણ કરી આપ્યું. પંતને સમજાવી દીધું કે ભૂપસિંહને જતે દિવસે ગાદી મળવાનો સંભવ છે અને તરતમાં ગરાસ વાસ્તે કાંઈ ખરચી શકે એમ છે. પોતે પણ ધંધા પ્રસંગે સાહેબપાસે જવર અવર વધાર્યો અને ધંધામાં પોતાની પ્રામાણિકતા, ચાલાકી, અને વિવેકબુદ્ધિથી સાહેબની પ્રીતિ મેળવી. તે એટલે સુધી કે સઉની બાબતમાં સાહેબ પંતને પુછી ન્યાય કરતો, અને બુદ્ધિધનની હકીકત સાંભળે ત્યારે કોઈને પુછવાપણું રહેતું નહીં. શીરસ્તેદાર અદેખાઈ કરી પોતાના કામમાં વચ્ચે ન પડે માટે બુદ્ધિધન તેને પણ પ્રથમથી મળતો અને તેનું મન રીઝવતો. અને એટલું કરવામાં પોતે કાંઈ દોષ કરે છે એમ તેના મનમાં ન આવતું. સદાશિવનો ભૂપસિંહ સાથે સંબંધ વધતો ગયો તેમ તેમ એને બુદ્ધિધનની આડખીલ લાગવા માંડી અને એને ખસેડી જાતે પરભાર્યો સંબંધ કરવા લાગ્યો. ઉદારતાની રીત બુદ્ધિધને ભૂપસિંહને શીખવી હતી અને એ શીખામણનો અમલ કરવાને પ્રત્યેક પ્રસંગે બુદ્ધિધનને પુછવામાં આવતું હતું તે બંધ થયું. બુદ્ધિધને આ સંબંધ બાંધી આપવામાં જુદો જ વિચાર કર્યો હતો. ભૂપસિંહને તરત ગરાસ મળશે તો તે મોજશોખમાં પડશે, તેના મનના ઉભરા નરમ પડશે, અને સાહેબ લોકોમાં તેનો પરિચય વધવાનો પ્રસંગ નહીં રહે, માટે ગરાસને બ્હાને તેને લીલાપુરમાં વધારે વાર રાખવો, સાહેબલોકોમાં તેને જતો આવતો કરવો, પોતે ત્રાહીત દેખાઈ સાહેબની પાસે તેનાં વખાણ કરવાં, અને શીરસ્તેદારો લાંબા તથા ઉદાર પરિચયની શરમે તથા અગાડીની આશાએ પ્રસંગ પડ્યે કામ લાગે, એવા એવા વિચારથી ગરાસ મેળવવાના ખરા ઉપાય બુદ્ધિધન મુલતવી રાખતો અને સર્વ પ્રસંગનો લાભ લેઈ ભૂપસિંહની સાધારણ સમજણ સુધારવાની મ્હેનત કરતો, તેવામાં સદાશિવ તરફથી આ અનર્થ થયો અને જે બુદ્ધિધને તેને લાભ કરી આપેલો તે જ બુદ્ધિધન અને ભૂપસિંહની વચ્ચે ભેદ પડ્યો. આ બાબત જાણે પોતાના કળ્યામાં ૫ણ આવી નથી એવો વેશ તેણે ધારણ કર્યો.

આ સર્વનો પ્રતીકાર કરવા અને ખોટામાંથી સારું ક્‌હાડવા હવે તેણે યુક્તિયો રચવા માંડી. ‘સારો અર્થ અને સારાં સાધન’એ નિયમ તેણે સાંભળ્યો પણ ન હતો. સ્વભાવિક રીતે અંતઃકરણ શુદ્ધ હોવાથી હમેશાં સારાં સાધન ખોળતો, પરંતુ સારા અર્થને વળગી રહેવાથી જ તેનું અંતઃક૨ણ તૃપ્ત થતું અને ‘સારે અર્થે ગમે તે સાધન’ લેવું તેમાં તેને કાંઈ દોષ સમજાય એવો ઉપદેશ મળ્યો ન હતો અને એમ સુઝાડે એવું કાંઈ પણ તેના સંસારમાં ન હતું. સારાં સાધન મળ્યે ખોટાં સાધન લેવાની તેને જરુર લાગી. ભૂપસિંહના ઉપર પોતાની સારી અસર કરવી તરત તો છોડી દીધી અને વાતચીતને માત્ર મોજશોખના વિષયનું જ સંગ્રહસ્થાન થવા દીધી. સદાશિવ દારુનો વ્યસની હતો. તે વ્યસનમાં ભૂપસિંહને પડવા દીધો. સદાશિવ સ્ત્રીલંપટ હતો અને નિશાચરવૃત્તિ રાખતો. આ નિશાચરવૃત્તિનો લાભો લેવા ભૂપસિંહને પોતાની મેળે સુઝે એવા પ્રસંગ બુદ્ધિધને જાતે તટસ્થ ૨હી ઉત્પન્ન કર્યા. ગરાસીયો દક્ષિણીને ત્યાં રાતદિવસ પડી રહેવા લાગ્યો, અને સદાશિવ દિવસે કચેરીમાં જાય અને રાત્રે બહાર જાય તે વખત તેની સ્ત્રી ૨માબાઈ સાથે ભૂપસિંહે ગાળવા માંડ્યો. બુદ્ધિધન ભૂપસિંહને ઘેર જાય તો મેળાપ થવો મુશ્કલ થવા લાગ્યો અને ત્યાં ઘડી બે ઘડી એકલો બેસી વાટ જોઈ પાછો જતો અને માત્ર શું થાય છે તે નજરમાં રાખતો. ભૂપસિંહની સ્ત્રી રાજબા આજસુધી તો સુપાત્ર રહી હતી. બુદ્ધિધન બાબત તેના મનમાં ઉંચો વિચાર હતો, અને બેમાંથી એક્કેના મનમાં કુબુદ્ધિ હતી નહીં. પરંતુ ભૂપસિંહ બ્હાર રહેતો એટલે હવે આ બેની એકાંત વધારે થવા લાગી. પતિની કુચાલ સાંભળી રાજબાને અસંતોષ અને ઈર્ષ્યા ઉત્પન્ન થયાં, અને મનના વલણે તેને એવી બુદ્ધિ સુઝાડી કે હવે પત્નીધર્મ પાળવા હું બંધાઈ નથી. આથી તેને મોહ થયો અને એક દિવસ બુદ્ધિધન એકલો બેઠો છે અને રાજબા બેઠી છે, વાતો કરતાં કરતાં થોડીકવાર તે છાની રહી, અને કાંઈક મનમાં આવ્યું એટલે થોડીવાર બુદ્ધિધન સામું જોઈ ૨હી અને બુદ્ધિધન તેના સામું જોતાં તેના વિકાર કળી ગયો – અને તેની પવિત્રતા ડગમગવા લાગી. તે ઉઠ્યો – તે ઉઠી. પોતાની ઈચ્છાવિરુદ્ધ – કોઈકનાં ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય તેમ બન્ને જણે એકમેકની હાથેલીમાં હાથેલી મુકી. બન્નેની નાડીયો વેગવાળી થવા લાગી અને છાતીયો ધબકવા લાગી, બન્નેનાં શરીર કંપવા લાગ્યાં, વિચાર-વિવેક હોલાઈ ગયાં, મ્હોં બ્હાવરાં બની ગયાં, શરીર તાવવાળાં થઈ ગયાં, અને સમયનો પ્રેર્યો રાજબાની છાતીપરનો છેડો સરી ગયો. એટલામાં કાંઈક આકસ્મિક ધબકારાનો અવાજ થયો – પરવશ થયલાં બન્ને જણ ચમક્યાં, હાથમાંથી હાથ પડી ગયો. ‘કાલ આવીશ’ કહી બુદ્ધિધન વિચારમાં પડી ઘરભણી ચાલ્યો અને તેને પાછો ખેંચવા-બોલાવવા દિઙ્‌મૂઢ અને પરવશ રાજબાએ હાથ લાંબો કર્યો – મ્હોં પહોળું કર્યું અને વળી તુરત જ બંધ થઈ ગઈ અને પોતાને ઠેકાણે જઈ બેઠી તથા થોડીવાર વિચારશુન્ય પડી – વિચારમાં પડી આખરે છાની માની રોઈ પડી, અને અંતે નવો અવતાર લીધો હોય એવી મનમાં બની – વિહ્‌વળ મનથી પોતાને કામે પડવા યત્ન કરવા લાગી.

બુદ્ધિધન આ બનાવને આપત્તિરૂપ ગણી શોકમાં ડુબી ફીક્કે મ્હોંયે ઘેર ગયો. તેના અંતઃકરણમાં પશ્ચાત્તાપ અગ્નિ પેઠે સળગ્યો. બાઈમાણસ સાથે એકાંતમાં હવે ન રહેવું એવી મનમાં ગાંઠ વાળી. વળી કલ્પનાશક્તિ જાગી અને બનેલા બનાવનો ચીતાર પ્રત્યક્ષની પેઠે મન આગળ ખડો થયો અને સરી ગયલા છેડાવાળી- ટકટક જોઈ રહેતી- ઉઠતી – હાથમાં હાથ મુકતી – આતુર મુખવાળી રાજબા તેના મન આગળ આવી ઉભી રહેતી અને તેના સુવિચારને હાંકી મુકતી. આમ કરતાં કરતાં ઘરમાં આવ્યો. માતુ:શ્રી બેઠાં હતાં તેમનું મુખ એવું ને એવું છતાં બુદ્ધિધનને જુદું લાગ્યું. પોતે ભ્રષ્ટ અને અપરાધી હોય તેમ છેટે ઉભો રહ્યો અને માતુ:શ્રીના પવિત્ર પ્રતાપી મુખ સામું જોઈ ન શક્યો. શયનગૃહમાં ગયો ત્યાં નિર્દોષ સૌભાગ્યદેવી હસતી હસતી સામી આવી અને કણ્ઠે હસ્તદાન કરી પતિવ્રતા પતિને સ્નેહસત્કાર દેવા લાગી. પોતાના સ્પર્શથી તેને દૂષિત કરતો હોય તેમ આ સત્કારનો પ્રત્યાઘાત ન વાળતાં પોતે સ્તબ્ધ ઉભો રહ્યો અને મનમાંથી સ્પર્શ ન કરતો હોય એવી વૃત્તિ અનુભવવા લાગ્યો. આ મ્હારી દેવી–મ્હારી ધર્મપત્ની એની મ્હેં અવગણના કરી એમ ગણી પશ્ચાત્તાપના અગ્નિમાં બળવા લાગ્યો. વળી એના પવિત્ર નિર્દોષ મુગ્ધ મુખ સામું જોઈ રહ્યો. તેને પોતે છેતરી એ વિચાર તેને સાલવા લાગ્યો. હજુ સુધી આ મ્હારીપાસે ઉભેલો પતિ આવો દુષ્ટ છે એ આ જાણતી નથી એવી પ્રતિભા જાગી. વળી એના મુખ ભણી જોઈ રહ્યો – તેમાં કાંઈક નવીન સુંદરતા લાગવા માંડી. તેની સાથે રાજબાનું મુખ સરખાવવા લાગ્યો – આખરે નક્કી થયું કે સૌભાગ્યદેવીની કાન્તિ આગળ રાજબા કાંઈ લેખામાં નથી. આવી હલકી સ્ત્રીપ૨ પોતે ઘડીક પણ મોહિત થયો તે સારુ પોતાની કમઅક્કલ પર તિરસ્કાર કરવા લાગ્યો. બુદ્ધિ શાથી ગુમ થઈ ગઈ અને આ હંસીને મુકી કાગડીપર મન કેમ ગયું એ બાબત બહુ આશ્ચર્ય લાગવા માંડ્યું. અંતે આ પવિત્ર પતિવ્રતા – મ્હારી દેવી – તે જ મ્હારા નેહને યોગ્ય છે એમ ગણી તેના સ્નેહને ઉત્તર દેવા બુદ્ધિધનનું અંતઃકરણ તત્પર થયું. હવેથી ભૂપસિંહને ઘેર જવું નહીં અને જવું તો રાજબા પાસે અથવા એકલાં બેસવું નહીં એવો પાકો ઠરાવ કર્યો અને ઈશ્વરે આવી રીતે ગમે તેમ પણ મહાપાપમાંથી ઉગાર્યો માટે તેનો આભારી બની ગયો અને મન મર્દન કરાવી સ્નેહ–તેલ–ચોળાવી ન્હાયું હોય તેમ નિદ્રાવશ જેવું લાગતાં – મનનો ધણી – મનસ્વી પતિવ્રતાની પવિત્ર પાવક અને શાંત સોડમાં ઘસઘસાટ ઉંઘી ગયો. ઉંઘમાં માત્ર તેને જ જોઈ રહ્યો. એના એક સ્વપ્નમાં તો “હૃદય-મન્દિર” નામનાં વિશાળ મન્દિરનાં સિંહાસન પર સૌભાગ્યદેવી બેઠેલી, તેના મુખ આગળથી ચંદ્રમાના જેવા કોમળ કિરણ ફૂટતા હતા, બુદ્ધિધન પોતે પોતાને કૃતાર્થ અને ભાગ્યશાળી માનતો દેવીને ઘડીવાર ચામર ઢોળતો હતો, ઘડીક તેનો છડીદાર થતો હતો, અને ઘડીકમાં મન્દિરના દ્વાર આગળ કલબલાટ મચાવી મુકી પચાશેક રાજબાઓ આવી ઉભી રહેતી તેને આઘેથી ક્‌હાડી મુકતો હતો. “ઉભો ર્‌હેજે, શઠ!” કરી તેને હસવામાં મન્દ પ્રહારે ધોલ મારતી હોય તેમ દેવીનો કોમળ હાથ ઉંઘમાં બુદ્ધિધનના લમણા ઉપર રહ્યો હતો અને તેના રમણીય બિંબાધર નિદ્રામાં મલકતા હતા.

બીજે દિવસે બુદ્ધિધન રીતસર કામકાજમાં ગુંથાયો. પણ સંધ્યાકાળ પડી અને ભૂપસિંહને ઘેર જવાનો સમય થયો એટલે રાજબા સાંભરી, મન ઉત્સુક થયું, પ્રથમ દિવસનો ઠરાવ ભુલી ગયો અને કપડાં પહેરી બહાર જવાનો વિચાર કરે છે એટલામાં સૌભાગ્યદેવી કાંઈક પુછવા આવી. તેને જોતાં જ પવિત્ર વિચાર પાછા ઉત્પન્ન થયા અને આટલા સરખા બનાવથી એનું પત્નીવ્રત સદાકાળ અમર રહેવા બચ્યું! ‘હટ! હું કાંઈ નથી જતો રાજબાને ઘેર!’ કરી તે બીજે રસ્તે બીજે કામે ગયો અને તે સમયથી એ વિચાર–રાહુ એના મન આગળ કદી પોતાની મેળે પાછો આવ્યો નહીં. પરંતુ રાજબા સ્ત્રીબુદ્ધિવાળી હતી. તેનું મન આગ્રાહી હતું અને તેમાં પકડાયેલી વાત ત્યાંથી ખસતી ન હતી. રજપુતાણીમાં હીમ્મત પણ જબરી હતી. વચન આપવા છતાં બુદ્ધિધન આવ્યો નહીં. આજ રોકાઈ ગયો હશે – કાલે આવશે. કાલ થઈ ન આવ્યો. પરમ દિવસ થયો અને ન આવ્યો: એમ સાત આઠ દિવસ થયા. અંતે એક દિવસે ભૂપસિંહ ઘરમાંથી રમાબાઈને ઘેર ચાલ્યો એટલે રાજબા પણ તેની પાછળ જોતી જોતી ઈર્ષ્યા ભરી જવા વિચાર કરી વિહ્‌વળ બની ઉઠી પુરુષનો વેશ લીધો. કેડે હથીઆર બાંધી લીધાં અને બુદ્ધિધનના ઘર આગળ રાતના આઠ વાગે આવી ઉભી અને સંદેશો ક્‌હાવ્યો કે “ભૂપસિંહના દોસ્ત રાજસિંહ તમને મળવા આવ્યા છે – કાંઈ એકાંત કરવાની છે.” બુદ્ધિધન આ નવીન નામ સાંભળી ચમક્યો – ઉભો થયો અને એકલો આગળ આવી “આવો, આવો રાજસિંહ” કરી તેને પોતાના દીવાનખાનામાં લઈ ગયો. તેનું મ્હોંડું અને પોશાક ન્યાળતાં ન્યાળતાં – ઘણાક તર્ક વિતર્ક કરવા લાગ્યો અને અદ્દભુત આશ્ચર્યમાં મગ્ન થતો બોલ્યો:

“આ શું? તમે – અત્યારે – આમ ક્યાંથી?”

“બુદ્ધિધન! તમે સારું ન કર્યું. ભૂપસિંહને તો સદાશિવપંતને ઘે૨થી મદદ મળવા માંડી અને મને વચન આપ્યા છતાં તમે મદદ ન આપી એ શું મ્હારા તમારા સ્નેહ-”એમ ક્‌હેતાં ક્‌હેતાં રાજબા અટકી પડી – પુરુષનો ચાળો કરી અક્કડ અને ટટાર થઈ હાથ જમૈયાપર મુકવા ગઈ, પણ તે સ્ત્રીની પેઠે કેડે અર્ધચંદ્ર કરી મુક્યો. છાતી કહાડવા ગઈ, પણ અણધાર્યો દેખાવ દીધો અને છેતરાઈ. વળી આંખ ઢાંકી ન ૨હી.

“રાજસિંહ! હું તમારે વાસ્તે દીલગીર છું. ભૂપસિંહને લીધે મ્હારો તમારો સંબંધ છે અને ભૂપસિંહને અળગા રાખી તમારીસાથે સ્વતંત્ર સંબંધ બાંધવાથી તમારા કે મ્હારા હકમાં સારું નથી. તમે ભૂપસિંહને પાછા હાથમાં લ્યો અને હું તમો બન્ને દોસ્તોને અધીન છું. ભૂપસિંહ તમને જાતે જ મદદ આપે તે વધારે સારું છે.” ઘણીક હીમ્મત આણી બેશરમ જેવો દેખાઈ બુદ્ધિધન બોલ્યો.

“અને તમારો કોલ! તમારો બોલ! તમારું વચન!”

“હું બહુ દીલગીર છું. ભુલમાં બોલેલું પળતું નથી. વધારે મ્હોટા કોલને લીધે આ બોલ તોડવો પડે છે.”

“પણ કાંઈ મ્હારો વિચાર કર્યો?”

“તમારો પણ સારો જ વિચાર કર્યો છે.”

“તમે નક્કી કહો છો? સરત રાખજો.”

“હા. નક્કી.”

“ફરી વિચાર કરો.”

“પુરો વિચાર કર્યો છે. રામ રામ”– કરી ગભરાયલો બુદ્ધિધન ઉઠવા લાગ્યો.

“હવે જાણ્યો જાણ્યો તમારો વિચાર” – કરી રાજબાએ બુદ્ધિધનનો હાથ ઝાલી એક ઉંચો તકીયો પડ્યો હતો તે પર બેસાડ્યો અને તેના શરીર સરસી જઈને શરીર ચાંપતી ઉભી. કોણ જાણે ક્યાંથી તેનામાં આ હીમ્મત આવી. રજપુતાણી! ગજબ કર્યો! બેસતો બેસતો, હાથ લેઈ લેતો, શરીર સંકોચતો બુદ્ધિધન બોલ્યો: “રાજ – હવે બસ થયું. મને ભૂપસિંહ મારફત બોલાવજો. હું આવીશ.”

“એની બ્હીક લાગે છે?” કહી રજપુતાણીએ ભ્રુકુટી ચ્હડાવી અને તિરસ્કારભર્યું હાસ્ય કરવા લાગી અને નીચી નમી, બેઠેલા ઉઠતા બુદ્ધિધનના ખભા ઉપર હાથ અને હડપચી મુકતી અડોઅડ ઉભી.

“બ્હીક ઈશ્વરની! બીજા કોઈની મને નથી.”

નહીં ચાલે જાણી રજપુતાણી ડોળા ફેરવતી ઉઠી.

“ઠીક છે. ઈશ્વરની બ્હીક રાખો. ભૂપસિંહના બોલાવ્યા આવજો. પણ કોલ પળાવું ત્યારે હું રજપુતા–ખરો. વારી જાઉ છું.” એમ કહી હાથ તરછોડી, પોતાને શરીરે બુદ્ધિધનના શરીરને ધક્કો મારી રુઆબબંધ ૨જપુતાણી ચાલી ગઈ.

સહજ વિચાર અને આશ્ચર્યંમાં પડી બુદ્ધિધને આ સ્વપ્ન સ્મરણમાંથી હાંકી મુક્યું અને કામે લાગ્યો – જાણે કે કાંઈ બન્યું જ ન હોય! ભૂપસિંહને ઘેર જવું તરત તો એકદમ બંધ કરી દીધું. છેક સુવર્ણપુર સુધી કર્ણોપકર્ણ આ ન્હાની સરખી વાત ઉડી. જગત માનવા લાગ્યું કે કાંઈક કારણથી ભૂપસિંહ અને બુદ્ધિધનની મિત્રતા તુટી, અને કારણ વિષે ગણદેવીએ શેષનાગ જેવા લોકની જીભો ઉપર હજારો ખુલાસા મુક્યા. બન્ને મિત્રો રસ્તામાં મળતા તે માત્ર લટકસલામ થતી.

ભૂપસિંહ અને સદાશિવ બેને જુદા શી રીતે પાડવા અને ગરાસીયાને ગરજીલો શી રીતે કરવો તે હવે બુદ્ધિધનનું ગુરુકાર્ય થઈ પડ્યું. એ બેનો સંબંધ કરવામાં પોતે ભુલ કરી એવું સ્પષ્ટ દીસવા લાગ્યું. અને હવેથી કોઈનો પણ વિશ્વાસ ન રાખવો, કોઈને પણ સારો ન ગણવો, અને પોતાનું તંત્ર કોઈના હાથમાં જવા ન દેવું એવો મ્હોટો ઉપદેશ આટલી ન્હાની બાબતમાંથી લીધો. ગરાસીયાને પોતાના કાર્યનું સાધન બનાવવા હાથમાં લેવાની જરુર લાગી પરંતુ તેને પણ પોતાનો ન ગણવો એવો નિર્ણય કર્યો. તેમ જ એ પણ શીખામણ મળી કે ભૂપસિંહને ખોટે ૨સ્તે ન પાડવો, કારણ ખોટે રસ્તે પડનાર માણસ પાડનારની પણ લગામમાં આગળ જતાં રહી શકતું નથી એ અનુભવસિદ્ધ થયું. કદાચિત્ લગામમાં રહે પણ તેમ કરવાને પોતાને નીચે રસ્તે જવું પડે એ પણ ખરાબ વાત. જો બુદ્ધિધન રાજબાની વૃત્તિમાં સામેલ થયો હત તો ભૂપસિંહને આંગળીના ટેરવા પર રમાડી શકત, પરંતુ તે વિચાર શુદ્ધ અંતઃકરણમાંથી પારાની પેઠે સરી જતો.

એક દિવસ બુદ્ધિધન સાહેબની કચેરીમાં ચાલ્યો જાય છે ત્યાં પોતાનાથી આગળ ભૂપસિંહને જતો દીઠો. રસ્તામાં સદાશિવનું ઘર આવ્યું. મેડીયે બારી પર રમાબાઈ ઉભી હતી. નીચે આવી તેણે બારણું ઉઘાડ્યું, ભૂપસિંહ અંદર ગયો. બારણું બંધ થયું, અને બુદ્ધિધન તેની આ દશા જોઈ નિ:શ્વાસ નાંખી ચાલતો થયો. કચેરીમાં જઈ પોતે બેઠો તો ખરો પણ મન ચંચળ થયું હતું. એટલામાં સાહેબે બુમ પાડી- “બુદ્ધિધન!” એકદમ ઉઠી બુદ્ધિધન ત્યાં ગયો.

સાહેબ એક ટેબલ પાસે ખુરસી પર પીછું મ્હોંમાં ઘાલી બેઠા હતા અને એક દફતર લેઈ સામે બીજી ખુરસી પર સદાશિવ? બેઠો હતો. મ્હોંમાંથી પીછું ક્‌હાડી સાહેબ બોલ્યાઃ “બુધ્ધિધન, તમને ખબર છે કે સુવર્ણપુરના ગરાસીયાનો જવાબ રાણાએ કીયા વરસમાં આપ્યો?”

બુદ્ધિધન વિચારમાં પડી બોલ્યો. “પંત, બેચાર દિવસ ઉપર જે દફતર તપાસ સારું આપ ઘેર લઈ ગયા છો તેમાં એ જવાબ હશે ને તેમાં તારીખ હશે.”

સાહેબઃ–“જાઓ, માણસ મોકલી મંગાવો.”

પંત તાબેદારીથી–નરમાશથી બોલ્યો: “સાહેબ, આજ હું ઑફિસમાં જોઉ છું, ત્યાં નહીં હોય તો કાલ ઘેર જોતો આવીશ.”

સાહેબઃ–“નહીં નહીં, અત્યારે જ માણસ મોકલો કે તમે જાઓ.”

પંત:–“બુદ્ધિધન, મ્હેરબાની કરી કોઈને મ્હારે ત્યાં મોકલશો?”

બુદ્ધિધનને લાગ મળ્યો. નરભેરામ કરી એક બંદો, મશ્કરો, અટકચાળો, અદેખો, બહુબોલો, કોઈની શરમ ન રાખે એવો કારકુન હતો. રમાબાઈને સ્વતંત્રતા આપવા સારું પંતની પુઠ પાછળ તે ટોળ કરતો, દક્ષિણીઓને ધિક્કારતો, અને પંતની કડવી મશ્કરીયો કરતો. તે પોતાના બીજા કામમાં બહુ લાગતો એટલે પંત આ સઘળું માફ કરતો અને તેને પોતાનો ગણતો. બુધ્ધિધને દસ્તાવેજ ખોળવા તથા લાવવા નરભેરામને શોધી ક્‌હાડી મોકલ્યો. નરભેરામ જઈ જુવે છે તો પંતનાં બારણાં બંધ. કોઈને બોલાવવાને બદલે ઉલાળાકુંચીના કાણામાંથી નીચો પડી જોવા લાગ્યો તો ભૂપસિંહને અંદ૨ દીઠો. કોઈને ખબર કર્યા કે બોલાવ્યા વિના એકદમ પાછો ફર્યો, બુદ્ધિધનના કાનમાં ગમત પામી સમાચાર કહ્યા. એણે પંતને કહેવા કહ્યું, અને પંત સાહેબનાથી જુદી ઓરડીમાં ગયો હતો ત્યાં જઈ નરભેરામ ઉભો રહ્યો અને મ્હોંપર શોક આણી – ગુસ્સો આણી, મનમાં આનંદ પામી, જાણે કે જીભ ઉપડતી ન હોય તેમ ડોળ કર્યો. આખરે સઉ સમાચાર કહ્યા. સદાશિવનો ચહેરો બદલાઈ ગયો, માથું ફરી ગયું, અને નરભેરામની સલાહ માંગી. નરભેરામ કહે “બુદ્ધિધનને પુછો તો સારું, એ ઉપાય સુઝાડશે. મને તો લાગે છે કે આ લુચ્ચા ભૂપસિંહની ફજેતી કરવી ને મારવો.” મનમાં જાણ્યું કે “ઠીક લાગમાં આવ્યો છે – ભૂપસિંહ તો મરદ છે. બચ્ચા, ફજેતી તો ત્હારી બાયડીની થશે ને સાથે ત્હારી!” ગભરાયલા સદાશિવને બુદ્ધિધને ગંભીર, ચિંતાવાળું અને અજાણ્યું મ્હોં રાખી શીખામણ આપી કે “દસ્તાવેજ જડતો નથી માટે જાતે શોધવાની પરવાનગી લેઈ ઘેર ચાલો.” ત્રણે જણ ચાલ્યા. ગરાસીયાનું કામ અને મારામારી થાય કરી એક બે સીપાઇઓને પણ સાથે લીધા. બારણાના કાણાંમાંથી જુવે છે તો ભૂપસિંહ દાદરે ચ્હડતો જણાયો. કાણાંમાં જુવે છે એટલામાં વાંકા વળેલા નરભેરામે હાથ પાછળ રાખી નિશાની કરી રસ્તે જનાર આવનારને પણ ઉભા રાખ્યા. નરભેરામની સૂચનાથી પાડોશીનું ઘર ઉઘડાવી વંડેથી સઉ ચ્હડી ઉતર્યા અને ભૂપસિંહ તથા રમાબાઈ બેઠાં હતાં તે મેડીની જોડની મેડીમાં સઉ ભરાયા અને પાટીયાં ભરી દીધેલાં હતાં તેનાં વચાળાંમાંથી ત્રણે જણ જાતે અને સીપાઈઓ નજર કરવા લાગ્યા. સદાશિવની આંખ ફરી ગઈ- લાલચોળ થઈ, તેના હોઠ ધ્રુજવા તથા ફરફડવા લાગ્યા અને ગાંડા જેવો દેખાયો. “મારું કે મરું” એ એનો નિશ્ચય થયો તે એણે જણાવ્યો. નરભેરામ પાછળ ઉભો ઉભો કાખલીયો કુટવા મંડી ગયો અને બુદ્ધિધનના કાનમાં કહે “હાશ! ઠીક સ્વતંત્રતા લેવાય છે. મડમ સાહેબ સાહેબને લાયક છે.”

બારી બ્હાર લોકો વધારે ભરાયા અને શોર બકોર થયો. રમાબાઈનું ધ્યાન ખેંચાયું અને તેણે ભૂપસિંહને ખબર કરી. ગરાસીયો ચમક્યો, રાતો પીળો થઈ ગયો, મુછ પર હાથ નાંખ્યો અને લોક ઉપર આવે છે એમ સમજી એક હાથે રમાબાઈને બગલમાં ઘાલી બીજે હાથે તરવાર મ્યાનમાંથી અર્ધી બ્હાર ક્‌હાડી અને બોલી ઉઠ્યો, “લુંડીયાં, ક્યાં કરને વાલી હેં – આ સદાશિવ જાતે આવે કની તો એને તો ખીસામાં ઘાલું અને તને મ્હારા ઘરમાં રાજબાની સાથે રાખું. મ્હારી તરવાર અચળ છે!” સદાશિવ ભયભીત થઈ ગયો, ક્રોધ ઉતરી ગયો, બુદ્ધિધનના હાથ વચ્ચે દયામણે મ્હોંયે પડી ગયો, અને બુદ્ધિધનને તેની ખરેખરી દયા આવી.

“સદાશિવ! તમે આને નહીં પ્હોંચો. અત્યારે દીઠું ન દીઠું કરો. ગમે તો ગરાસીયો મારશે કે ગમે તો બાયડી ઝેર દેશે. ચાલો, લોકોને કહીયે કે કંઈ નથી એટલે વેરાઈ જાય અને ફજેતી બંધ થાય. સાહેબની પાસેથી બેચાર માસની રજા લેઈ દેશ જાઓ. દસ્તાવેજ ન જડ્યો કહીશું. દેશ જઈ રમાબાઈને ગમે તે કરજો. જીવ જોખમમાં ન નાંખો.” સઉ ગયા, લોકો ‘હો! હો!’ ક૨તા વેરાયા. કેમ વેરાય છે તે અધઉઘાડી બારી કરી રમાબાઈએ જોયું, અને સઉની વચ્ચે પાઘડી ઉપરથી સદાશિવને ઓળખ્યો. સઉ ગયા પછી ભૂપસિંહ છાનોમાનો ઘેર ગયો અને રાજબા તો જાણે પોતાની જ હોય તેમ તેના ઉપર રોજની પેઠે અમલ ચલાવવા લાગ્યો. પણ રાજબાએ તો રુસણું લીધું. રમાબાઈની ફજેતી કોઈ માણસે રાજબાને કરી હતી અને તેણે ઠરાવ કર્યો કે હવે ઝગડો મચાવી બુદ્ધિધનને ઘેર બોલાવવો.

“ઠકરાળાં! હુક્કા ભરો.” “અમારું કામ તો એ જ છેસ્તો. બીજા કામમાં બીજાં.”– કરી રાજબા રોઈ પડી અને બોર બોર જેવાં આંસું આણ્યાં.

“આ શું?”

“નહીં જાણતા હો? બુદ્ધિધન જેવા સારા દોસ્તની સોબત છોડી; ગરાસ પાછો મેળવવાનું તો મનમાં જ શાનું હોય! સદાશિવ જેવા લુચ્ચાની સોબત શોધી અને–”

“અને શું?”

“શું તે એ કે હવે તમારે મ્હારું કામ રહ્યું નથી. હાસ્તો, દક્ષિણી જેવાં રુપાળાં અમે તે ક્યાંથી હઈએ?”

એકપાસ આ સંવાદ શરુ થયો. બીજી પાસ સદાશિવે રજા માગી. તરત તેનું કામ ઉપાડી લે એવું કોઈ ઑફિસમાં ન હોવાથી સાહેબે રજા આપવા આનાકાની કરી. સદાશિવને મન હવે બુદ્ધિધન તેનો પોતાનો થયો હતો તેને વિનંતિ કરી અને બુદ્ધિધને ઉપકાર કરતો હોય તેમ તે કબુલ કરી તેની અવેજીમાં કામ કરવા સ્વીકાર્યું. સાહેબે પણ તે ગોઠવણ પસંદ કરી. બુદ્ધિધનને ધાર્યો અર્થ સાધવામાં એક પગથીયું ચ્હડવા મળ્યું.

ભૂપસિંહ હવે એકલો પડ્યો. રમાબાઈ ગઈ. રાજબા બમણું જોર કરી ચાલવા લાગી. રમાબાઈમાં અને સદાશિવમાં ભૂપસિંહનો પઈસો તણાઈ ગયો હતો અને ગરાસ સાંભરવા લાગ્યો. ગરાસ સાંભર્યો એટલે બુદ્ધિધન પણ પાછો સાંભર્યો અને તેની ગરજ પાછી પડી; પણ ટેક છોડી તેને ગરજ બતાવવી તે મરવા જેવું હતું. પણ રાજબાને ૨ઢ લાગી. તેણે ધણીને મોસાળ સમાચાર મોકલ્યા. મામાએ ક્‌હાવ્યું કે, “બુદ્ધિધનને શોધો: એ હવે શીરસ્તેદાર થયો છે. આમ બાયલા થઈ બેસી રહો છે અને કુછંદે પડો છો તે ઠીક નહીં.” ઘરમાં વધારે વખત રહેવાનું થયું અને રાજબાએ પણ પોતાની વાત છોડી નહીં અને કહ્યું કે, “બુદ્ધિધન સાથે ટેક હોય નહીં; તે આપણા હિતેચ્છુ છે. તમારી કચાલને લીધે તેણે તમને છોડ્યા છે. તમે સુધર્યા જાણી તે રાજી થશે. હવે તે પદવી ઉપર છે અને તમને કામ પણ લાગશે.” આખરે ગરાસીયણે જય મેળવ્યો અને એનાથી કાયર થઈ ગરાસીયો ઉદાસી બની બુદ્ધિધન પાસે પાછો જવા આવવા લાગ્યો. એવામાં કાંઈક રોગથી રાજબા અચિન્તી એકાએક ગુજરી ગઈ એટલે બુદ્ધિધન પણ ભૂપસિંહને ઘેર નિર્ભય બની જવા લાગ્યો, તેને પઈસે ટકે મદદ કરવા માંડી, બન્નેનો સંબંધ પાછો થયો, અને બુદ્ધિધનમાં આવેલી સાવચેતીથી એ વાત ઉઘાડી પડવા ન પામી. આ સમયે લીલાપુર આવ્યે બુદ્ધિધનને પાંચેક વરસ થઈ ગયાં હતાં. સૌભાગ્યદેવીને વર્ષ દિવસની એક દીકરી થઈ હતી. પડોશમાં એક બંગાળી બાબુ મુસાફરીએ આવેલો રહેતો હતો તેની વહુનું નામ સઉને નવું નવું લાગતું હતું અને ગમી ગયું હતું એટલે તે ઉપરથી ડોસીએ દીકરીનું નામ અલકકિશોરી રાખ્યું. વળી થોડાક દિવસ થયાં એક પુત્ર પ્રસવ્યો હતો. તેની રાશિ પપ્પા ઉપર હતી. એટલે બાપના નામ સાથે મળતું આણવાને ‘પ્રમાદધન’ નામ રાખ્યું. છોકરો ન્હાનપણુમાં માતુ:શ્રીના ખોળામાં હાલવા ચાલવા વગર ઘેનમાં પડી રહેતો એટલે પ્રમાદધન નામ બાપને પણ ગમી ગયું. આ સર્વ વર્તમાન પછી બુદ્ધિધનને શીરસ્તેદારની જગા મળી જોઈ માને સંતોષ થયો અને પોતાને ભાગ્યશાળી ગણતી ડોસી પુત્ર પૌત્ર અને વહુની નજર આગળ ગુજરી ગઈ અને ગુજરતાં પ્હેલાં દીકરાયે, હવે કારભારની બાબતમાં જીવ ઉંચો ન રાખવા, માને કહ્યું કે તેનો જીવ ગતે જાય.

દીકરાવહુને માતુ:શ્રી ગયા પછી ઘર સુનું લાગવા માંડ્યું અને બન્નેને ઘણું દુ:ખ થયું. પણ દીકરાને કચેરીના કામમાં અને વહુને છોકરછૈયાંની જંજાળમાં સઉ ભુલી જવું પડ્યું. ચકોર, બુદ્ધિશાળી, અને ડાહ્યાં માતુ:શ્રી વગર છોકરાં બરોબર ઉછરવાનાં નથી એ વિચાર બુદ્ધિધનના મનમાં ઘણી વાર ઉઠતો. પોતાને એ બાબતમાં કાંઈ કરવા નવરાશ ન હતી, અને સૌભાગ્યદેવી પતિવ્રતા અને હેતાળ હતી પરંતુ સંસારવ્યવહારમાં તેની બુદ્ધિ ઝાઝી ચાલતી નહીં અને ડોશી હતાં ત્યાંસુધી કાંઈ ચિંતા માથે પડી ન હતી. ડોશી પાસે ઘરકામમાં માહેર થઈ હતી પરંતુ છોકરાં કેમ ઉછેરવાં તે શીખવાનો પ્રસંગ આવ્યો ન હતો અને પોતાને ઉછેરી તે સરત રાખવા જેટલી બુદ્ધિ ન્હોતી તો પોતાની મેળે ચલાવવા જેવી બુદ્ધિ તો ક્યાંથી હોય? તે બીચારી સાદી, ભોળી, સારા વિચારની, સાધારણ સમજવાળી, અને જગતને સાસુ ને વરના જેવાં સારાં માણસોથી ભરેલું માનનારી હતી. પતિવ્રતાપણું તેને સ્વાભાવિક થઈ ગયું હતું અને જગતની ગાડી પોતાની મેળે જ ચાલી જાય છે તેને ધકેલવાની જરુર કદાપિ પણ પડતી હશે એનું તેને ભાન પણ ન હતું. આવી સ્ત્રીથી બુદ્ધિધન પોતાને સુખી માનતો. શીરસ્તેદારની જગા અને આવો નિષ્કંટક સંસાર એ બે જેટલા દિવસ નભ્યાં ત્યાંસુધીના જેવા દિવસ બુદ્ધિધનના આખા જીવતરમાં પહેલાં કદી જોવામાં આવ્યા ન હતા. કચેરીમાંથી આવ્યા પછી વહુની પાસે બેસી છોકરાંને રમાડતાં રમાડતાં, રાત્રે ઉંઘેલાં છોકરાંનાં મ્હોં ન્યાળી ન્યાળી દેવી સાથે આનંદ ભોગવતાં, સવારે પવનની મીઠી લ્હેર બારીમાં આવતી હોય તે વખતે તેના ગાલ ઉપર કોમલ હાથ મુકી દેવી જગાડે અને છોકરાંને હળવે રહી જાગે નહીં એમ આઘાં ખસેડી ઉઠતાં ઉઠતાં – આવા રમણીય દિવસો ફરી આવવાના નથી એ વિચાર ઘણી વાર બુદ્ધિધનને થતો અને તે વિચારના આનંદનો ઉભરો સૌભાગ્યદેવીને અથવા છોકરાને આલિંગન થઈ ક્‌હાડતો.

સદાશિવપંત રજા ઉપર ગયો અને પોતાના દેશમાં એક સારી નોકરી શોધી ક્‌હાડી. બાસ્કિન સાહેબે સારું સર્ટીફીકેટ મોકલ્યું, અને બુદ્ધિધનને કાયમ કર્યો. રજવાડાઓમાં એનું માન વધ્યું. ભૂપસિંહનો અને એનો સંબંધ તુટ્યો હતો એટલે સુવર્ણપુરમાં પણ આ નીમણુંક પસંદ કરવામાં આવી અને ત્યાંના મંડલ સાથે બુદ્ધિધને સંબંધ વધારવા માંડ્યો. પ્રસંગે પ્રસંગે નવા શીરસ્તેદારે સુવર્ણપુર જવા માંડ્યું અને કારભારી મંડળ તરફથી માન અને પઈસા મળવા માંડ્યા. દુષ્ટરાય તેની ખુશામતમાં અગ્રેસર થયો અને જડસિંહના દરબારમાં શઠરાયની જોડની જગા ઉપર તેને બેસાડવામાં આવતો. પ્રસંગે પ્રસંગે સઉની પાસે બુદ્ધિધન પઈસા ક્‌હડાવતો અને આ દુષ્ટ લોકો સાથે આવો વ્યવહાર રાખવામાં તેને કાંઈ અણઘટતું ન લાગતું. વળી આ સઉનો લાભ લઈ સુવર્ણપુરના રાજમહેલની ખટપટો જાણી લેવાય એવા સંબંધ બાંધવા માંડ્યા અને તે કાર્યમાં શઠરાય પાસેથી મળતા દ્રવ્યનો ઉદાર હાથે ઉપયોગ કરતો. હજુ સુધી શઠરાયનો સંપૂર્ણ વિશ્વાસ તેના ઉપર થયો ન હતો.

જડસિંહને એક મોટો દીકરો પર્વતસિંહ નામનો હતો. શઠરાય તેને તેનાં ખરાં માબાપ બતાવી ક્‌હાડી મુકાવવાની ધમકી આપી કબજામાં રાખવાનું કરતો તેથી તે કંટાળેલો હતો. શઠરાયના પ્હેલાંના કારભારીનો દીકરો ગરબડદાસ નામનો આજ વહીવટદાર હતો અને તેણે પર્વતસિંહને સાધ્યો હતો. ગરબડદાસ ઘડીયે ઘડીયે લોકો પાસે શઠરાય સામે સરકારમાં અ૨જીઓ કરાવતો અને રાજમહેલમાં રાણીયો અને ગોલાઓ પાસે કંઈકંઈ ખટપટ ઉભી કરાવતો. આ લોકોએ પણ બુદ્ધિધનને સાધવા માંડ્યો. ભૂપસિંહને ગાદીએ બેસવામાં આ ખોટા પર્વતસિંહની આડખીલ હતી. બુદ્ધિધને પોતાની પાસે આવતી ખટપટનો ભેદ શઠરાયને તેનો પોતાનો થઈ જણાવ્યો અને ત્યારપછી શઠરાયને બુદ્ધિધન ઉપર વિશ્વાસ ચ્હોંટ્યો; પોતાની ખાનગી બાબતોમાં તેની કંઈક સલાહ લેવા લાગ્યો, અને કામનો માણસ ગણી દરબારમાંથી પઈસા ખવડાવવા લાગ્યો. શઠરાયે આખરે પર્વતસિંહનું કાટલું કરાવ્યું અને ગરબડદાસને બરતરફ કર્યો. ગરબડદાસ બુદ્ધિધન ઉપર વિશ્વાસ રાખતો, કારણ પોતાનો ભેદ એનાથી ફુટ્યો હશે તેની એને ખબર ન હતી. હવેથી ગરબડદાસ પોતાની વાતો તથા શઠરાયની વાતોની બાતમી બુદ્ધિધન પાસે મુકતો. શઠરાય એમ સમજતો કે બુદ્ધિધન મ્હારું માણસ છે અને ગરબડદાસ સાથે માત્ર ઠગાઈનો સંબંધ રાખે છે. બુદ્ધિધન આ બન્ને લુચ્ચાઓને ઠગવામાં પાપ ન ગણતો અને પોતાનું છેવટ કાર્ય વ્યાજબી હતું એટલે शठं प्रति शाठ्यं कुर्यात् એ ધોરણને અનુસરતો.

હવે પર્વતસિંહ ગયો એટલે જડસિંહને બીજો કુંવર ઉભો કરી આપવાની જરુર કારભારી મંડળને લાગી. માત્રાઓ, ધાતુઓ અને રસાયણો ખાઈ ખાઈ આતિભોગ કરી કરી જડસિંહે પુરુષત્વ હીન કરી દીધું હતું અને રાણીયો યથેચ્છ વર્તતી હતી. કોઈ પણ રાણીને ખરો પુત્ર થાય તો તે રાણીનું તેમ જ તેના યારનું જોર વધે અને પોતાનું જોર કમી થાય એ શઠરાયને અનિષ્ટ હતું, અને પોતાના કબજામાં રહે એવો ખોટો પુત્ર ઉભો કરવા તેણે યુક્તિયો કરવા માંડી. આ વાત બુદ્ધિધનને કાને આવી હતી પરંતુ કારભારીયોની મારફત આવી ન હતી. ભૂપસિંહ સાથે ઉઘાડો સંબંધ પોતે રાખી શકે એમ ન હતું તેમ એ માણસ બીજાના હાથમાં જાય એ સારું નહીં એ અનુભવે સિદ્ધ કરી આપ્યું હતું. કારભારી મંડળથી વિરુદ્ધ ન દેખાવું પણ વિરોધ કરવાનાં સાધનની આવશ્યકતા હતી. ગરબડદાસ કાંઈ કામ પ્રસંગે લીલાપુર આવ્યો ત્યારે બુદ્ધિધનને મળ્યો અને બે જણ ભૂપસિંહને મળ્યા. રાણીની ઈચ્છા શિવાય ખોટો પુત્ર થાય નહીં માટે તે કાર્યમાં પટરાણીને સામીલ કરવા યુક્તિયો ચાલતી હતી તે ગરબડદાસે કહ્યું. પર્વતસિંહ ગયો એટલે ભવિષ્યનો લોભ કરી સુવર્ણપુર ખાતે ભૂપસિંહના ગુપ્ત દૂતનું કામ કરવા ગરબડદાસે માથે લીધું અને ભૂપસિંહને હાથમાં લઈ શકે નહીં એમ છેટે રહી તેનું કામ કરનાર માણસ મળ્યું જોઈ બુદ્ધિધનની ઈચ્છા સફળ થઈ. ગરબડદાસને સલાહ પુછવાનું ઠેકાણું બુદ્ધિધન થયું.

જડસિંહની પટરાણી ઉંચા કુળની હતી અને કારભારીયોની ખટપટ પસંદ કરતી ન હતી. પરંતુ આખરે તે લોભમાં લેવાઈ અને જગતમાં પ્રસિદ્ધ થયું કે તેને દિવસ છે. ભૂપસિંહ અને ગરબડદાસ ઉપરાઉપરી સાહેબ પાસે અ૨જીયો કરવા લાગ્યા કે સીમંત ખોટું છે, પણ કારભારીયો મુછે તાલ દેઈ ફરતા પરંતુ મનમાં ડરતા. એક પ્રસંગે શઠરાય લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની પરીક્ષા કરવા વાત ક્‌હાડી, અને ગરબડદાસની અ૨જીઓ બાબત ફરીયાદ કરી. બુદ્ધિધન ક્‌હે, “જખ મારે છેઃ એમ તો હાથી પછવાડે કુતરાં ઘણાં ભસે. આ તો ઠીક છે કે આપણી વાત સાચી છે, પણ કોઈ વખત એવોએ હોય કે આપણે એમ કરવુંએ પડે. આપણે પણ આપણો સ્વાર્થ છે.” આટલી વાતથી કાંઈ શઠરાયે ભેદ આપ્યો નહીં અને બુદ્ધિધનના બોલ્યામાં તેને કાંઈક વહેમ પડ્યો પણ તે જતો રહ્યો.

ભૂપસિંહનો ગરાસ હજીસુધી દરબાર પાસે હતો. ભૂપસિંહ અને એનાં ભાઈ બહેનનાં લગ્ન, તેમના માબાપના ક્રિયા ખર્ચ ઈત્યાદિમાં ઘણું ખરચ કરવું પડ્યું છે, દુકાળ ગયા, અને એવાં નિમિત્ત ક્‌હાડી જડસિંહનો કારભારી ભૂપસિંહ પાસે દરબારનું લ્હેણું ક્‌હાડતો હતો અને તે વસુલ કરવાને નિમિત્તે પોતાનો વહીવટ લંબાવતો હતો. બુદ્ધિધને ચાલતા અરસામાં ભૂપસિંહ પાસે આ વહીવટ પાછો લેવા બાસ્કિન્ સાહેબને અરજી કરાવી: બુદ્ધિધને તે અરજી શઠરાયને દેખાડી. હા ના કરતાં સુવર્ણપુરના દરબારમાંથી બુદ્ધિધનને પચાસ હજાર રુપીઆ મળ્યા અને ભૂપસિંહને ગરાસ ન મળવા દેવાનું તેણે માથે લીધું. વાતમાં વાત કરતા અને પોતાને ભરોસો ઉપજ્યો હતો તેવી કારભારીયોએ કીયા કીયા ચોપડા કેવી કેવી રીતે જુઠા રાખ્યા હતા અને હીસાબ કેવી રીતે જુઠો રાખ્યો હતો તે સમજવાની તક મળી અને તે તકનો ઉપયોગ કર્યો. સાહેબને અષ્ટપષ્ટં સમજાવ્યો, હીસાબમાં કુંડાળાં વાળ્યાં, અને બીજાં પાંચ વરસ સુધી ગરાસ દરબારના હાથમાં રહે એવો ફેંસલો થયો. પચાશે હજાર ભૂપસિંહને ગાદી મેળવવામાં વાપરવાના હતા તે એને ખબર હતી એટલે એ લોકમાં બડબડ્યો પણ મનમાં સંતોષ પામ્યો.

ભૂપસિંહ અને બુદ્ધિધનને કાંઈ સગપણ નથી અને બુદ્ધિધન પઈસાથી જીતાય એવો છે એવું હવે શઠરાયને સ્પષ્ટ લાગ્યું અને તેને હઈએ નીરાંત વળી. હવે તો સુવર્ણપુર આવે ત્યારે શીરસ્તેદારને આગ્રહ કરી કારભારી એક બે વાર પોતાને ઘેર જમાડે અને તેની સાથે ગપાટા હાંકે અને બીજાં માણસો પણ શીરસ્તેદાર સાથે હળી ગયાં. હળવે હળવે કારભારીના ઘરનાં સઉ માણસો અને તેમની ઘણીક વાતો બુદ્ધિધન જાણી ગયો. નરભેરામ પણ તેની સાથે આવતો અને એ ઘરનાં છિદ્ર શોધી ક્‌હાડી, જાણી, આનંદ પામતો.

દુષ્ટરાયની બ્હેન ખલકનંદા હતી અને વહુ રૂપાળી હતી. ખલકનંદા સાસરે જાય ત્યારે એક જમાલખાન નામનો સીપાઈ ફાનસ લઈ તેને મુકવા જતો. જમાલખાન ગાતો તથા ચિત્ર ક્‌હાડતો અને વાળબાળની ટાપટીપ કરતો. સાસરે જતાં જતાં ખલકનંદા કોઈ વખત જમાલખાનને ઘેર પણ જાય અને ઘડી બે ઘડી ક્‌હાડે. કોઈ વખત મરદનો લેબાસ પહેરી જમાલખાનને હાથે વળગી ગેલ કરતી કરતી રાત્રે ફરવા પણ જાય. રૂપાળી વહુને જુદો રસ્તો સુઝાડ્યો હતો. દુષ્ટરાય ફોજદાર હતો એટલે ગામ પરગામ ફરવા જતો અને ઘરમાં રુપાળીવહુ સાથે મેરુલો નામનો રજપૂત સીપાઈ ર્‌હેતો. ઘરમાં એકાંત પડે એટલે મેરુલો દુષ્ટરાયના શૃંગારગૃહમાં બીરાજતો. ચિકિત્સાખોર નરભેરામને આ બન્ને નાટક કંઈક જોયામાં અને બાકી સાંભળ્યામાં આવ્યાં હતાં અને બુદ્ધિધનને તેણે કહ્યાં હતાં. બઈરાંના વિશ્વાસુ, પુરુષોના વિશ્વાસુ થઈ ગયા હતા. જમાલખાનપર શઠરાયનો અને મેરુલા ઉપર દુષ્ટરાયનો વિશ્વાસ હતો અને પટરાણીને છુટા છેડાના દિવસ પાસે આવ્યા એટલે કુંવર શોધવાનું કામ આ બન્ને વિશ્વાસુ ગૃહસ્થો ઉપર પડ્યું. જમાલખાન અને મેરુલો સ્વાભાવિક રીતે એકબીજાના પ્રતિસ્પર્ધી હતા અને આ કામમાં વધારે થયા. જમાલખાને એક તરકડીનો છોકરો શોધી ક્‌હાડ્યો અને મેરુલાએ એક કોળી શોધી ક્‌હાડ્યો. તરકડો રુપાળો હતો અને શઠરાય પાસે જમાલખાનનું ચાલતું હતું માટે તરકડો પસંદ પડ્યો અને મેરુલો નિરાશ થયો.

બુદ્ધિધનની સૂચનાથી ગરબડદાસે આ બે જણા સાથે પરિચય કર્યો હતો અને એક દિવસ મેરુલો ખીજવાયલો નિરાશ બનેલા ગરબડદાસ સાથે ગપ્પાં મારવા બેઠો અને વાએ ચ્હડ્યો તેમાં કાંઈક લવી ગયો. લાલચ આપી વધારે ભેદ લીધો. એકદમ ગરબડદાસ લીલાપુર આવ્યો અને બુદ્ધિધનની સલાહ અને સૂચનાઓ વધતી ગઈ આ તક ન જવા દેવી – વખત ખોવો નહીં એમ ઠરાવ થયો. સાહેબની પાસે અરજી થઈ અને તેમાં ભૂપસિંહે બંદોબસ્ત માંગ્યો. એકદમ સવારો મળતાં તેને લઈ ભૂપસિંહ અને ગરબડદાસ જડસિંહને મ્હેલ ગયા, સાહેબનો કાગળ દેખાડી અંદર ધસ્યા, અને જડસિંહ સાથે એકાંત માગી જડસિંહને સમજાવ્યો: “સાહેબને બધી ખબર પડી છે. તમે આ કામમાં સામીલ રહેશો તો જીવતાં ગાદી જશે. મરતાં ગાદી કોને જાય તેની તમારે શી ચિંતા છે? પિતરાઈને મુકી તરકડાને ગાદી જાય તેમાં તમારી આબરુ નથી – અને પરલોકમાં તમને લાભ નથી. કાલ સવારે તમારે ખરો છોકરો થશે તો તેને મુકી ખોટાને સોંપવું પડશે. અમને સાહેબે મોકલ્યા છે. દેવો હોય તે જવાબ દેજો. તમે જાણો. તમારે માથે જુમ્મો છે.” જડસિંહ સાહેબનું નામ સાંભળી ગભરાઈ ગયો. કાગળમાં સાહેબના નામનો શેરો હતો અને ભૂપસિંહની વાત સાંભળી તેને યોગ્ય ખુલાસો કરવામાં આવશે એવી આશા બતાવી હતી. જડસિંહ કહેઃ “આ બાબત હું કાંઈ જાણતો નથી. કારભારીને પુછી જોઈશ, અને ખુલાસો લખી મોકલાવીશ. ભૂપ- સિંહના કરતાં કોળી તરકડાંનાં છોકરાં મને વધારે વહાલાં નથી. હું મ્હારાથી ચાલતો બંદોબસ્ત કરીશ.”

ગરબડદાસ:– “પણ આજ રાત્રે જ સઉ નક્કી થઈ જાય તો?”

જડસિંહ – “ભાઈ, કોણ જાણે. હું તો કારભારીને કહીશ એ જાણું. હું બીજું શું કરું?”

ગરબડદાસ:– “ત્યારે તમારાથી જાતે મદદ નહીં થાય?”

જડસિંહઃ– “જાતે તે કાંઈ હું પોલીસનું કામ કરું? મળો કારભારીને.”

આવ્યા હતા તેવી જ ઝડપથી સઉ જણ ઘોડા દોડાવતા પાછા દોડ્યા. સુવર્ણપુરમાં ગભરાટ થઈ રહ્યો અને કારભારી રાજમ્હેલે આવ્યો. રાણાએ વાત કહી તેથી સંતોષ ન વળ્યો અને આમ આવ્યા અને આમ ગયા તે કંઈ આટલાથી સંતોષ પામી ન જાય એમ ધાર્યું. લીલાપુર અને સુવર્ણપુર વચ્ચે ઝાઝું છેટું ન હતું. ગરબડ તરત પહોંચ્યો અને બુદ્ધિધનને સમાચાર કહી બોલ્યો: “રાણો જાતે કાંઈ કરી શકે તેમ નથી તે તમને ખબર છે. કોળી ને તરકડાં એટલું તો એના મ્હોંમાંથી નીકળી ગયું. વાત મુદ્દે ખરી છે. ત્યાં વધારે ર્‌હેવાથી લાભ નથી જાણી અમે પાછા આવ્યા.”

થોડી વારમાં શઠરાયનું માણસ દોડતે ઘોડે આવ્યું અને તેની સલામ કહી બુદ્ધિધન પાસે બાતમી માગી. બુદ્ધિધન ક્‌હે: “મ્હારાથી આ બાબતમાં ઝાઝો ભેદ ખોલાય નહીં. કંઈક ગોલાં તરકડાંના છોકરાંની વાત અને કારભારી જાણે છે એવી વાત રાણાજીએ કરી છે. બીજુ સઉ સાહેબ જાણે. શઠરાય તરત સઉ માંડેલી વાત બંધ કરશે તો ઠીક છે.” માણસ ગયું. બુદ્ધિધન પાસેથી બે હજાર રુપીયા લેઈ ગરબડદાસે મેરુલાને આપ્યા અને તેની મદદથી તરકડીનું ઘર શોધી ક્‌હાડ્યું અને એક બે સ્વાર ત્યાં રાખ્યા અને પોતે, ભૂપસિંહ અને એક એ સ્વાર રાણીના મહેલની પડોશમાં સંતાઈ રહ્યા. કારભારી ગભરાઈ ગયો. વધારે વાર લગાડ્યાથી વધારે તપાસ થશે અને માણસ ફુટ્યાં એટલે ભોપાળું બ્હાર પડશે અને સાહેબ આગાડી તપાસ કરાવશે તો રાણાનું ઠેકાણું નહીં એટલે કોણ જાણે શું પરિણામ થાય. રાણીને દિવસ છે એવું જાહેર કર્યું હતું માટે પોતાનું મંડળ એકઠું કર્યું. રાત્રે ને રાત્રે વિચાર કર્યો અને એક બે દિવસમાં ૨ાણીને મુવેલી દીકરી આણી દટાવી દીધી તથા જીવતો કુંવર આણવાનો વિચાર સઉ વાત ત્હાડી પડ્યા પછી કરવાનો રાખ્યો.

એવામાં બસ્કિન સાહેબ તરફથી પત્ર આવ્યો તેમાં જડસિંહને ખોટા પુત્રની બાબતમાં લખ્યું હતું કે,– “આ બાબત સાંભળી હું ઘણો દીલગીર થયો છું. મ્હારે તમને ક્‌હેવું જોઈયે કે આ ખટપટમાં તમારા કારભારીયો સાથે તમે પણ સામીલ હશો એવો વહેમ આણવાનું અમને તમારા તરફથી મજબુત કારણ મળ્યું છે. આ વખત તો આ બાબત સરકારમાં લખવામાં નથી આવતું પણ બીજી વખત આવો પ્રસંગ આવશે તો તમારા હકમાં સારું નહીં થાય એ યાદ રાખવું. વળી તમને સૂચના કરવામાં આવે છે કે હવેથી તમારા અંતઃપુરમાં કોઈપણ રાણીને દિવસ હોય તો પ્રથમથી આ એજંસીમાં સમાચાર આપવામાં આવે. આ સૂચનાનો અમલ કરવામાં કાંઈ પણ શિથિલતા દેખાડવામાં આવશે તો તમારા વિરુદ્ધ શંકા સબળ થશે અને સરકારને ખબર કરવામાં આવશે. માટે આશા રાખવામાં આવે છે કે આ વિશે તમારા કારભારીયો તરફથી સખત બંદોબસ્ત થશે. આ તુમારની નકલ એજંટના ખાસ દફતરમાં રાખવામાં આવશે.”

આ પત્રથી સર્વ મંડળ નરમ બની ગયું અને તેના ઉત્તર પ્રત્યુત્તર થોડાક થયા પરંતુ મૂળ પત્રના અસરનો પટ સઉના મનમાં કાયમ બેસી ગયો.

કારભારીની આ સઉ વાત તથા ત્યાર પછી થતી સઉ બાતમી મેળવવાનાં સાધન હવે બુદ્ધિધને ગરબડદાસ મારફત કરી આપ્યાં અને શઠરાયે આપેલા રુપીયા તેનું જ ઘર ફોડવાના કામમાં લાગવા માંડ્યા. નવો કુંવર કરવાનો વખત આવતા પહેલાં કોણ જાણે કાંઈ ખટપટથી કે કોણ જાણે કાંઈ રોગથી જડસિંહ અચિન્ત્યો ગુજરી ગયો. તેની બાતમી એકદમ લીલાપુર પ્હોંચી, અને સુવર્ણપુર ઉપર જપ્તી બેઠી. ૨ાણીયોના મહેલ, તીજોરી, દફતરખાનું, સઉ ઠેકાણે ચામડાનાં અને જીવતાં તાળાં દેવાયાં. ભૂપસિંહને રાજય મળવાની સામગ્રી ચાલવા માંડી. તેના ઝુંપડા જેવા ઘર આગળ ચોબદારો અને અમલદારો જઈ ઉભા રહેવા લાગ્યા. પોતે કરેલા અપરાધ માફ કરાવવા શઠરાય જાતે બુદ્ધિધનને ત્યાં ફેરા ખાવા લાગ્યો. ગરબડદાસનો દોર વધ્યો. મહા-સંપત્તિનો સૂર્ય ઉગતો જોઈ બુદ્ધિધનની ગંભીરતા ખસી નહીં અને તેના મનના ઉદ્યોગને ઉત્સાહને ઉભરે ઢાંકી દેવાયો નહીં. તે મોહમાં પડ્યો નહીં, ઉતાવળો થયો નહીં, અને આંધળો બન્યો નહીં. સંપત્તિના સૂર્યને વગર ઝાંઝવે, વણ અંજાયે, સ્થિર વૃત્તિથી જોવા લાગ્યો. ભૂપસિંહની સંપત્તિ સાથે એને સંબંધ છે તે એના અને ભૂપસિંહના વિના બીજું કોઈ જાણતું નહીં. સર્વની આંખે એ ત્રિકાળમાં શીરસ્તેદાર જ ભાસતો.

સાહેબના તરફથી અભિનંદન પત્ર લેઈ બુદ્ધિધન ભૂપસિંહને મળ્યો. ભૂપસિંહનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું.. “મ્હારા રાણા! “સુવર્ણપુરના સ્વામી!” એટલા શબ્દ ગદ્‌ગદ કંઠે બોલી બુદ્ધિધન હર્ષનાં આંસુ સારતો ભૂપસિંહના સામું જોઈ ઉભો રહ્યો. ભૂપસિંહ એકદમ તેને ભેટી પડ્યો અને જોરથી બાઝ્યો. “બુદ્ધિધન! તમારે લીધે આ દિવસ આવ્યા! તમારો આભાર મ્હારાથી નહીં ભુલાય! હા! હવે હું રાજા અને તમે પ્રધાન, અને પાછલા દિવસ ભુલી નવા દિવસ બન્ને જણ જોઈશું.” નવા રાણાના મનના આ વેગને તેમ જ પ્રસંગે સ્મરણમાં આણેલા પોતાના વૈરભાવને મનસ્વી પુરુષે રોકી રાખવાનું યોગ્ય ધાર્યું. અભિષેકકાળનું મંગળાચરણ કોઈનું નુકસાન કરી કરવું, નવો રાણો પોતાની ખાનગી સ્થિતિનાં જુનાં વેર તાજા કરશે એ આશા સાહેબના મનમાં ઉત્પન્ન કરવી, અને સત્તાથી ન ખસેલા જુના અમલદારોની મનમાંની બ્હીક ખરી પાડી તેમને બુમાટો કરવાનું દેખીતું કારણ આપી તેમની પ્રપંચબુદ્ધિના વીર્યને ઉત્તેજિત કરવું? આ અને બીજાં પરિણામોના વિચાર બુદ્ધિધનના મગજ આગળ તરી આવ્યા અને તે પરિણામો ન થાય એવો તેણે માર્ગ પકડ્યો. “કાલે તમે સાહેબને મળવા આવો, લીલાપુરમાં રહ્યા તેના સ્મરણવાસ્તે અહીંયાં ઈંગ્રેજીશાળા ક્‌હાડી અને સુવર્ણપુરમાં “બસ્કિન્ બાગ” કરાવી તમારા અભિષેકનું મંગળાચરણ કરવાની વાત ક્‌હાડો, જુના અમલદારોને કાયમ રાખવાનો વિચાર જણાવો, અને તમારે વિશ્વાસ રાખી શકવા લાયક પ્રમાણીક અને સારું બ્હારનું માણસ તમારા અંગનું કરી રાખવા સાહેબ પાસે માગો, અને બુદ્ધિધન ઉપર આપનો વિશ્વાસ અનુભવથી થયો હોય તો તેને આપો નીકર બીજા કોઈને” એમ સૂચના કરો;” આ રીતે બુદ્ધિધને કહ્યું. તે પ્રમાણે થયું. ભૂપસિંહ વાસ્તે બાસ્કિન સાહેબનો અભિપ્રાય ગરાસના પ્રસંગમાં કાંઈક ઠીક બંધાયો હતો અને તેની અવસ્થા જોઈ દયા ઉપજી હતી. તેમાં આ પ્રસંગે તેના મુખમાંથી આવા સારા વિચાર નીકળતા જોઈ સાહેબ ઘણા જ પ્રસન્ન થઈ ગયા, તેને વાસ્તે સરકારમાં બહુ સારો રીપોર્ટ કર્યો, જોઈએ તેટલી મદદ આપવા સ્વીકાર્યું, પોતાની આફીસનો બંદોબસ્ત કરી બુદ્ધિધનની મરજી હોય તો રાણાની નોકરીમાં તેને જ જવા દેવાની હા કહી, અને સરકારનો હુકમ આવતાં સુવર્ણપુર જઈ ઠાઠમાઠથી અભિષેક કર્યો. આ પ્રસંગે મુંબાઈના વર્તમાનપત્રોવાળાઓને બુદ્ધિધનની સૂચનાથી બોલાવવામાં આવ્યા હતા. તેમની ખાતર બરદાસ્ત અચ્છી રીતેથી કરી. પરાયા માણસ તરીકે બુદ્ધિધન તેમને મળતો અને રાણાનાં વખાણ કરતો. મુંબાઈનાં ઈંગ્રેજી અને દેશી સઉ પત્રોમાં રાણા ભૂપસિંહના રાજ્યાભિષેકની લાંબી લાંબી અને છટાદાર હકીકત આવી, તેની બુદ્ધિ વગેરેનાં વખાણનાં બણગાં ફુંકાયાં, અને જગતના ઘણા ભાગે સઉ ખરું જ માન્યું. બુદ્ધિધનને ઠેકાણે બીજો માણસ આવ્યો એટલે એ સુવર્ણપુર આવ્યો અને “હુઝુર સેક્રેટરી”ની નોકરી લીધી. ગરબડદાસ રાણાની પ્રીતિનું બીજું પાત્ર હતું તેને હીસાબી ખાતું સોંપાવ્યું. બીજા અમલદારો કાયમ રહ્યા. જતે દિવસે બુદ્ધિધનની પદવીનું નામ ફેરવી તેની ઈચ્છાથી એના એ કામ ઉપર રાખી તેને “અમાત્ય” બનાવ્યો અને પગાર વધાર્યો. સર્વ મામલો હળવે હળવે શાંત થઈ ગયો હતો. કોઈ કોઈ વાર ખટપટ-વાયુથી મોજાં ઉછળતાં તો અમાત્યની બુદ્ધિ તેલ પેઠે તે ઉપર રેડાઈ તોફાન શાંત કરી દેતી. કેટલાક ન્હાના મ્હોટા બનાવો બનતા, અંદર અંદર ઈર્ષ્યા, વૈર, આદિ રહેતાં પરંતુ પરદેશી જોનારને મન કાંઈ દેખાય એમ ન હતું.

અમાત્ય પોતાનું કામ શાન્તિથી કરતો. સઉને સારે રસ્તે પાડી કોઈના કામમાં બહુ વચ્ચે ન આવી કારભારી વગેરેને સમઝાવી કામ લેવા યત્ન કરતો અને બધા એકઠા મળતા ત્યારે કોઈના મ્હોં ઉપર અસંતોષનો લેશ દેખાતો ન હતો.

અમાત્યનું માન દિવસે દિવસે વધતું હતું. પોતાના પૂર્વજોના બંધાવેલા રાજેશ્વર મહાદેવનો તેણે જીર્ણોધ્ધાર કર્યો. લોકો તેના ઉપર આશાથી જોવા લાગ્યા. મુંબાઈ જવાના પ્રસંગ મળતા ત્યારે ત્યાંના સાહેબ લોકોમાં જતો અને પ્રતિષ્ઠા પામી કાર્ય સાધી ઘેર આવતો. શાસ્ત્રીયોનો પરિચય રાખતો અને કર્મકાંડ પર શ્રદ્ધા બતાવતો. આ સર્વે તેનાં ભૂષણ થઈ પડ્યાં, અને રાણા પાસે એનું વધારે વધારે ચાલતું દેખાયું તેમ તેમ આ સઉ ભૂષણનાં વધારે વધારે વખાણ થવા લાગ્યાં.

રાજેશ્વર મહાદેવમાં રાણો અને અમાત્ય આવ્યા તે પ્રસંગે રાજયકાર્યની આ વ્યવસ્થા હતી અને અભિષેક થયે ત્રણ ચાર વર્ષ વીતી ગયાં હતાં.

રાજેશ્વરમાં આ બન્ને જણને બેસારી, અને નવીનચંદ્ર વાડામાં હતો તે સમયે અલકકિશોરી અને કુમુદસુંદરીને એ જ વાડામાં કેદ કરી, અત્યાર સુધી આપણું ધ્યાન આડી વાતોમાં ગુંચાયું અને બુદ્ધિધનનો ઇતિહાસ જાણવામાં વાર્તાનો પ્રસંગ આપણી આંખ આગળથી આટલી વાર દૂર રહ્યો તે બનાવ, વાંચનાર, જો તને સકારણ અને સફળ ન લાગે તો હવે એ ન જ બન્યો હોય એમ ત્હારી નજર આગળથી ક્‌હાડી નાંખી, ગઈ ગુજરી વિસારી દે અને ભૂતકાળને ભુલી વર્તમાન કાળની વાર્તામાં ડુબવા નીચલા પ્રકરણના પ્રવાહમાં વહ્યો જા.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.