૬૨. નવલ નિવેદન

[રાગિણી આશાગોડી]

આપે મને નવરાવ્યો, ઓ તાતજી
આપે મને નવરાવ્યો!
રંક ગરીબ હું ભાવ્યો, ઓ તાતજી
આપે મને નવરાવ્યો!

શબ્દ સરોવર : તારક ભર્તા;
સ્નેહસુધા છવરાવ્યો, ઓ તાતજી
આપે મને નવરાવ્યો!

ભૂખ હતી શિવની કરુણાની :
ભાખર શો ખવરાવ્યો, ઓ તાતજી!
આપે મને નવરાવ્યો!

અદ્ભુત પાઈ શરાબ કશાનો,
રાગ નવો ગવરાવ્યો, ઓ તાતજી!
આપે મને નવરાવ્યો!

મારા મહીં નિજ સ્નેહે સુવાડી,
નર્મદાને ધવરાવ્યો, ઓ તાતજી!
આપે મને નવરાવ્યો!

રંક ગરીબ હું ભાવ્યો, ઓ તાતજી!
આપે મને નવરાવ્યો,
આપે મને નવરાવ્યો, ઓ તાતજી!
આપે મને નવરાવ્યો.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.