કૃતિ-પરિચય

‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬)માં તાજા અને ઉત્કટ કવિ-અવાજનો રણકો છે – જાણે તમે ભૂપેશની કવિતા વાંચી રહ્યા નથી પણ સાંભળી રહ્યા છો. પહેલું જ દીર્ઘ કાવ્ય ‘એક ઈજન’ એના પ્રલંબ માત્રામેળી લયના વેગીલા પ્રવાહમાં તમને અંદર ખેંચી લે છે ને એના વિલક્ષણ સંવેદનજગતનો આનંદ-અનુભવ આપે છે. વ્યવહારની ટિખળથી વિચાર-સંવેદનની સંકુલ વાસ્તવિકતાને આલેખતું ‘હું ચા પીતો નથી’; તથા અદ્યતન ચિત્રકલાની કલ્પકતાવાળું, શબ્દદૃશ્યોની સાથે જ ભાષાની અનેક તરાહોથી વાસ્તવનાં અર્થદૃશ્યો ઊપસાવતું ‘બૂટકાવ્યો‘ પણ પ્રભાવક દીર્ઘ કાવ્યો છે. એવી જ સર્જકતા એનાં લયવાહી છતાં સંવેદનના અરૂઢ આલેખનવાળાં ‘પ્રથમ સ્નાન’, ‘નાથ રે દુવારકાનો’, વગેરે સુંદર ગીતોમાં છે. માત્રામેળ, છાંદસ, અછાંદસ, ગીતરચના એ બધા પ્રકારની કાવ્યરચનાઓમાં ભૂપેશનો કવિ-અવાજનો તથા ભાષાની સર્જકતાનો આહ્લાદક અનુભવ વાંચનારને થવાનો.

દ્રુતવિલંબિત છંદમાં રચાયેલું ૩૦૦ ઉપરાંત પંક્તિઓનું ‘કુપિત રાક્ષસીના શબની મહીં’ પણ એનું એટલું જ સશક્ત કાવ્ય હતું. માત્ર એના અવાજમાં જ અનેક વાર સાંભળેલું ને એના અવાજ સાથે જ અદૃશ્ય થયેલું એ કાવ્ય કાગળ પર જો સચવાયું હોત તો આ સંગ્રહની ને ગુજરાતી કવિતાની એક અવિસ્મરણીય કૃતિ આપણને સાંપડી હોત. 

– રમણ સોની 

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book