સુન્દરતા

સુન્દર હું, જુઓ માનવી ભંગુર, પાષાણનું સ્વપ્ન જાણે!
સ્તન મારાં, ચૂર્ણ થયાં કાંઈ કેટલા ય જેના વડે,
પ્રેરે પ્રેમ કવિના હૃદયમહીં શાશ્વત ને મૂક
જડ પદાર્થના જેવો: નિશ્ચલ, અનન્ત.

દુર્ગમ સ્ફિન્ક્સની જેમ નીલિમાના સિંહાસને બેસું,
હિમ શા હૃદય જોડે ભેળવું હું હંસતણી શુભ્રતા
રખે રેખાભંગ કરે એવા ભયે તિરસ્કારું ચંચલતા
કદિ ય ના આંસુ સારું કે ના કદિ વેરું સ્મિત.

ઔદ્ધત્યની ભંગિમાને જોઈ મમ
– શીખી જે હું પૂતળાંઓ પાસે –
કવિઓ જીવન ગાળે કેળવવા એને!

કારણ કે ભોળવવા આજ્ઞાંકિત પ્રેમીઓને
આ રહ્યાં નયન મારાં પારદર્શી ને વિશાળ
– વિશુદ્ધ દર્પણ જેમાં લસી ઊઠે સહુ કાંઈ.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.