તૃતીય ખણ્ડ

સુધીન્દ્રનાથ દત્ત

1

            આ વીસમી શતાબ્દીનો
હું છું સમવયી; મજ્જમાન બંગોપસાગરે, વીર
નથી, તોયે જન્મથી જ ઝૂઝ્યો છું હું, વિપ્લવે વિપ્લવે
વિનષ્ટિની ચક્રવૃદ્ધિ જોઈ; મનુષ્યધર્મના સ્તવે
નિરુત્તર, અભિવ્યક્તિવાદે અવિશ્વાસી, પ્રગતિમાં
જેટલો ના પછાત હું, તેથી વધુ વિમુખ છું અતીતથી,
કારણ ભૂતના નિર્બદ્ધાતિશયે તથા ભવિષ્યના
નિષેધે છું હાલ ત્રિશંકુ ; ને આ ભગ્ન જગતની
વચ્ચે દ્વૈપાયન આપણે સૌ છીએ, જાણીને કે અજાણતાં
નાસ્તિના વિવર્ત માત્ર.

સુધીન્દ્રનાથે એમના ‘યયાતિ’ નામના કાવ્યમાં, યયાતિને મુખે પોતાનો પરિચય કરાવતી, આ પંક્તિઓ લખી છે. એમાં મહાભારત લખનાર દ્વૈપાયન તેમ જ ત્રિશંકુ અને યયાતિ – આ ત્રણ પાત્રોનો નિર્દેશ છે. આ ત્રણેય પાત્રો આપણી સંસ્કૃતિનાં મુખ્ય લક્ષણોનાં પ્રતીકરૂપ બની રહ્યાં છે. નાના પરિશ્રમથી સ્વર્ગનું ઇન્દ્રાસન પામીને આખરે, ભોગલિપ્સાથી પેટે ચાલનાર, સર્પની દશાને પામનાર યયાતિ તે આજનો માનવ જ. ભૌતિક સુખસિદ્ધિનું ઇન્દ્રાસન પામીને એ આજે સર્પની જ દશાને પામ્યો છે. એના ઝેરના કોથળી એ ઠાલવતો જ જાય છે. સિદ્ધિના ઉત્તુંગ શિખરને રચનાર પોતે જ પેટે ચાલે છે! જે અદ્વૈતની આજ સુધી એણે શોધ ચલાવી, તે આખરે તો એને હાથતાળી આપીને છટકી ગયું. દેવયાની અને શમિર્ષ્ઠાનું કલંકપ્રધાન દ્વૈત જ એને નસીબે રહ્યું! શાશ્વતીનું શમણું પણ ઢીલું નીકળ્યું. એકબાજુ બંધિયાર ભૂતકાળ ને બીજી બાજુ નિષિદ્ધ ભવિષ્ય – આ બે વચ્ચેની સૂચ્યગ્ર ભૂમિને માટેનો અધિકાર પ્રાપ્ત કરવા એ કુરુક્ષેત્ર રચ્યા કરે છે. એની આ ત્રિશંકુ દશા જ એણે ભોગવવી રહી.

વળી આ દશામાંય, કેમ્યૂ મહામારીમાં જે વિદ્રોહનું સખ્ય અને ઐક્ય કલ્પે છે તેવું, સખ્ય કે ઐક્ય એને ઉપલબ્ધ નથી. દરેક માનવી, પોતપોતાના જુદા દ્વીપમાં હદપારી ભોગવતો વસે છે. આપણે બધા જ દ્વૈપાયન છીએ, ને પળે પળે તસુભોંયને માટે ચાલી રહેલા મહાભારતનું વર્ણન જ આ હદપારીનું દુ:ખ ભૂલવાનું એકમાત્ર ઓસડ છે. આવી પરિસ્થિતિમાં આપણે કોઈ મહાસત્તાના અંશ છીએ એમ કહેવાનો કશો અર્થ નથી. આપણે નાસ્તિના જ વિવર્તરૂપ છીએ. આ પંક્તિમાં કવિએ શ્લેષ રચના કરીને પ્રતિભાબળે આવા સમૃદ્ધ સંકેતો ઉપજાવ્યા છે. શ્લેષાલંકારનો આવો સમર્થ વિનિયોગ ખરે જ વિરલ છે.

સુધીન્દ્રનાથ, બંગાળમાં જેમને ત્રીસીના કવિઓ કહીને ઓળખાવાયા છે તે, ત્રીસીના કવિઓ પૈકીના પ્રમુખ કવિ છે. રવીન્દ્રનાથે ‘સભ્યતાર સંકટ’માં વ્યગ્રતા પ્રકટ કરી, એમને પણ લાગ્યું કે ચારે બાજુ નાગિણીના વિષાક્ત ઉચ્છ્વાસથી વાતાવરણ ગૂંગળાવનારું બન્યું છે, ત્યારે શાન્તિની લલિત વાણી ઉચ્ચારવી એ નિર્દય ઉપહાસ છે. એ વાતાવરણ આ કવિઓને તો ગળથૂથીમાંથી મળ્યું. કલ્પિત વિષાદના કેફમાં ચકચૂર બનીને તન્દ્રાળુ હૃદયના નિરવયવી ભાવને એવી જ શિથિલ, ધૂંધળી ભાષામાં ઉદ્ગાર રૂપે પ્રકટ કરવાનો વિલાસ હવે કવિઓને પરવડે તેમ નહોતો. રવીન્દ્રનાથની મોટા ભાગની રચનાઓનું જગત હવે આ કવિઓને અજાણ્યું લાગવા માંડ્યું હતું. સુધીન્દ્રનાથે જ કહ્યું છે: ‘રવીન્દ્રસાહિત્યમાં જે દેશ અને કાળનું પ્રતિબિમ્બ પડે છે તેની સાથે આજકાલના દેશકાળનો મેળ એટલો તો નહિવત્ છે કે એને પરીલોક કહીએ તોય કશું ખોટું નહીં.’

રોમેન્ટિક કવિઓનાં અતિકથન, ભાવુકતા તથા રચનાશિલ્પની પ્રતિક્રિયા રૂપે આ ત્રીસીના કવિઓએ પોતાની રચનામાં રચનાનો સન્નદ્ધ બંધ, આકારની દૃઢતા; ભાવુકતાને સ્થાને પોતાના કાળની સ્પષ્ટ સુરેખ નિર્ભ્રાન્ત નિર્મમ ચેતના; અતિરંજિત વર્ણનને સ્થાને મિતભાષી કે અલ્પભાષી વ્યંજના લાવવાનો પ્રયત્ન કર્યો.

સુધીન્દ્રનાથે આ સાધનાની દીક્ષા માલાર્મે પાસે લીધી. એમણે પોતે જ આ સ્પષ્ટ રીતે ‘સંવર્ત’ના આમુખમાં કહ્યું છે; ‘માલાર્મેએ પ્રવર્તાવેલો કાવ્યાદર્શ જ મારો અન્વિષ્ટ આદર્શ છે; હું પણ શબ્દને જ કવિતાનું મુખ્ય ઉપાદાન માનું છું; મારી આ કૃતિને શબ્દપ્રયોગની પરીક્ષા રૂપે વિવેચવી.’

કાવ્ય એટલે ભાષાની અભિવ્યક્તિની શક્તિઓ સમર્થ આવિષ્કાર. આવી શક્તિના આવિષ્કારને માટે શબ્દને એના રૂઢ, શબ્દકોશમાં આપેલા, અર્થથી મુક્ત કરીને, કાવ્યમાં એવો અપૂર્વ સન્દર્ભ રચીને પ્રયોજવો કે જેથી એની બધી જ સમ્ભાવ્ય દ્યોતના પ્રકટ થઈ શકે; પછી શબ્દનો કોઈ જડ નિશ્ચિત અર્થ રહે નહીં; એને બદલે શબ્દ પોતાની આજુબાજુ અનેકવિધ સમૃદ્ધ શક્યતાઓની નીહારિકા વિસ્તારે. આવી શબ્દયોજના માલાર્મેને ઇષ્ટ છે, પણ માલાર્મે શબ્દનું કૈવલ્ય એક વિશિષ્ટ પ્રકારના ઇન્દ્રિયસંમોહનરૂપ સંગીતમાં જુએ છે. આ માલાર્મેના શિષ્ય વાલેરીને અભિમત નથી. આ પરત્વે સુધીન્દ્રનાથ વાલેરીને અનુસરે છે. એમને આવા સંમોહનને સ્થાને બલિષ્ઠ અર્થઘટના ઇષ્ટ છે. આથી જ એઓ, વાલેરીની જેમ, પ્રેરણા પ્રત્યે શંકાની દૃષ્ટિથી જુએ છે. એમણે કહ્યું છે: ‘પ્રેરણામાં અલૌકિકનો આભાસ રહ્યો છે, તેથી સાહિત્યસર્જનમાં એ ઉપકરણને હું સ્વીકારતો નથી. એને બદલે હું તો સચેતતાને જ વળગી રહ્યો છું.’ પ્રેરણાને સ્થાને સાવધ અને જાગ્રત એવી સચેતતા જ એમને ઇષ્ટ છે. કવિનો એકાગ્ર સંકલ્પ જ ચિરપરિચિત એવા ઉપકરણસમૂહને અસામાન્ય વિન્યાસથી અદ્ભુત બનાવી દે છે. વિન્યાસના પર એઓ ભાર મૂકતા હોવાથી કાવ્યરચનામાં અથાક પરિશ્રમનું મહત્ત્વ જ એમણે, પ્રેરણાને સ્થાને, સ્વીકાર્યું છે. વાલેરીએ પણ એક સ્થળે કહ્યું છે કે કવિ જે શબ્દને પ્રયોજે છે, તેની દીર્ઘકાળ સુધી પ્રતીક્ષા કરતો હોય છે. આ સુદીર્ઘ પ્રતીક્ષાનો ભાર એ શબ્દને નવું ગુરુત્વ અર્પે છે ને પછીથી એ ભાવકના આસ્વાદની સામગ્રી બની રહે છે. સંગીતની રહસ્યમય તરલ બાષ્પતામાં શબ્દસૃષ્ટિનો વિલય માલાર્મેને ઇષ્ટ હતો. કારણ કે રહસ્યલોકનું અનુસન્ધાન આવા શબ્દની કેડીએ એને શોધવું હતું. વાલેરી કે સુધીન્દ્રનાથ આવા કોઈ રહસ્યલોકની શોધમાં નીકળ્યા નથી. ઇન્દ્રિયની સીમાને ઉલ્લંઘવાને બદલે એની સીમામાં રહીને જ સઘનતાનું નિર્માણ કરવું એમને પસંદ છે; શબ્દ, વચમાં અર્થનું વ્યવધાન ઊભું કર્યા વિના, સીધાં કલ્પનો કે પ્રતીકો ઉપજાવીને કવિના હાર્દને ભાવકના ચિત્તમાં સંક્રાન્ત કરે એ એમને પણ ઇષ્ટ છે. આથી વ્યાકરણના અન્વયને સ્થાને એમણે પ્રતીકોનો કે કલ્પનોનો અન્વય જ ઇષ્ટ લેખ્યો છે. કવિ વાસ્તવિકતાનો તાળો મેળવી આપતો નથી, પણ એના જૈયહૈકૈબચહાને સૂચવે છે; આથી વર્ણન નહીં પણ વ્યંજના એનું અભીષ્ટ છે. સન્દિગ્ધતાને ટાળવાનું આથી શક્ય બને નહીં. સુધીન્દ્રનાથની કવિતા દુર્બોધ ગણાય છે તેનું કારણ એમની આ વિશિષ્ટ રચનાપદ્ધતિમાં રહેલું છે. એઓ સાધારણ વિશેષણને સ્થાને ગુણવાચક વિશેષણ કે ભાવવાચક નામ વાપરે છે; વસ્તુથી ગુણનું નિરપેક્ષ સ્વયંસમ્પૂર્ણ અસ્તિત્વ નિરૂપે છે ને પ્રતીકો તથા કલ્પનોનો આશ્રય લે છે.

રચનાબન્ધને દૃઢતા અર્પવા માટે એઓ સંસ્કૃતની સમાસપદ્ધતિનો આશ્રય લે છે. રવીન્દ્રનાથ સંસ્કૃતના ભાષાવૈભવને પ્રયોજે છે. એથી જુદી જ રીતે સુધીન્દ્રનાથે એનો વિનિયોગ કર્યો છે. દરેક શબ્દના વજનને સમતુલા જાળવીને એઓ વાપરે છે; પ્રાસના દોરમાં શબ્દોનું મણકાજૂથ પરોવાઈને પોતાનું આગવું વજન ખોઈ બેસે એવું એમની પદ્યરચનામાં બનતું નથી. ‘યયાતિ’ સર્પાવસ્થાને પામ્યો એ સૂચવવાને એમણે એ કાવ્યની પદ્યરચનામાં આંતરપ્રાસ અને યતિની રચના એવી રીતે કરી છે કે પંક્તિઓની ગતિમાં સર્પની કુટિલ ગતિનું ચિત્ર મળી રહે. સંસ્કૃતના કવિસમયો કે રૂઢ સંકેતોથી એઓ સાત ડગલાં દૂર રહે છે. જયદેવાનુસારી લલિત પદરચનાના એઓ વિરોધી છે. એમાં ‘રેણુ’ ‘વેણુ’ અને ‘ધેનુ’ના પ્રાસ ગોઠવીને એની પાછળ આત્મોપલબ્ધિના દારિદ્રને ઢાંકવાનો પ્રયત્ન હોય છે એમ એઓ માને છે. સંગીન બલિષ્ઠતાનો જ એઓ આગ્રહ રાખે છે. બોલચાલની ભાષાના સ્તરથી ઊંચેના સ્તરે કવિતાની ગતિ હોય છે, આથી બોલચાલની ભાષાનું ભરણું એમને ઇષ્ટ નથી. આપણે જે કાળમાં જીવીએ છે તે કાળની જટિલ સમસ્યાનો ભાર જાણે એમની કાવ્યસૃષ્ટિ પર તોળાઈ રહ્યો હોય એવો આપણને, એમનાં કાવ્ય વાંચતાં, અનુભવ થાય છે. વળી, વાલેરીનાં ઘણાં કાવ્યોમાં હોય છે તેમ, સુધીન્દ્રનાથની કવિતામાં, કવિ પોતાના જ બીજા સ્વરૂપ સાથે સંવાદ ચલાવતા હોય છે. આ internal monologue કે drama of two souls in one breast એ અર્વાચીન કવિતાનું વિશિષ્ટ રૂપ છે; કારણ કે કવિ જેવો સંવેદનશીલ જીવ પોતાની અંદર અનેક છિન્નભિન્ન અંશોના ઘાતસંઘાતને લઈને જીવતો હોય છે. સુધીન્દ્રનાથની ‘પથ’ જેવી કેટલીક કવિતામાં માનસશાસ્ત્રી યુંગ જેને collective unconscious કહે છે તેનો – આખી જાતિની પ્રચ્છન્ન ચેતનાનો પ્રભાવ પણ વરતાય છે. આવા ગુણોને કારણે એમણી ‘સંવર્ત’માંની કવિતા મહાકાવ્યના પરિમાણને સિદ્ધ કરે છે.

કવિઓની આગલી પેઢીએ કાવ્યના અર્થ અને આવેગની મજ્જાને શોધીને સાવ નિચોવી નાંખી હતી, ને કેવળ પડઘાઓથી ભરેલી મરુભૂમિમાં કવિતાનું હાડપિંજર પડી રહ્યું હતું. એ દીર્ણ, શીર્ણ, જીર્ણ હાડપિંજરમાં પ્રાણ પૂરવાનું કામ નવી પેઢીને ભાગે આવ્યું. એને માટે સૌ પ્રથમ મિથ્યા આડમ્બરનો મોહ છોડવો પડ્યો. કાલચેતનાને આત્મસાત્ કરવાની શક્તિ કેળવવી પડી. આમ કરવા જતાં નાસ્તિક, વસ્તુવાદી વગેરે ગાળ ખાવી પડી. સુધીન્દ્રનાથે અવિકલતા અને અકપટતાને જ એમની કાવ્યસાધનાના મૂલ મન્ત્ર તરીકે સ્વીકાર્યા. સુધીન્દ્રનાથ જેવા કવિની નિરાશા કે હતાશા તે વ્યક્તિગત દુ:ખનો નિ:શ્વાસ નથી; યુગચેતનાના સ્પન્દે સ્પન્દિત થઈ ઊઠતી ચેતનાનો સજાગ પ્રતિભાવ છે. આ યુગચેતના જ સુધીન્દ્રનાથની કવિતાનું ચોથું પરિમાણ બની રહે છે. એઓ માલાર્મેની જેમ માને છે કે, કવિતા ભાવથી નહીં, પણ શબ્દથી લખાય છે. આથી એમની કવિતામાં ભાવાળુતા કે ઉદ્ગાર ઉચ્છ્વાસને ઝાઝું સ્થાન નથી. શબ્દો ઢીલાપોચા નહીં પણ સ્ફટિકની કાન્તિમય કઠિનતા ધારણ કરનાર હોય છે.

 

2

1930માં પ્રકટ થયેલા સંગ્રહ ‘તન્વી’માં જ શૂન્યતાના અનુભવનો અણસાર વરતાય છે. એમાંના ‘શ્રાવણ સન્ધ્યા’ નામના કાવ્યમાં આ શૂન્યતાનો અનુભવ મૂર્ત થયો છે: એ શ્રાવણની સાંજે દિશાઓના છેડા સંકોચાઈ ગયા છે, ઝંઝાવાતે આણેલી પાંશુલ સમતા બધું એકાકાર કરી નાંખે છે. એ ઝંઝાવાતની પ્રમત્ત ઝાપટથી કાળ પણ મૂર્ચ્છામાં ઢળી પડ્યો છે, પ્રહરોના ચહેરા ભૂંસાઈ ગયા છે, ઉષા સન્ધ્યામાં કશો ભેદ રહ્યો નથી. એ જ સંગ્રહમાં અન્યત્ર કવિ સ્પષ્ટ રૂપે શૂન્યનો ઉલ્લેખ કરે છે: છાયાહીન, અફાટ વિસ્તરેલી શૂન્ય મરુભૂમિમાં જ મારાં દિશાભૂલ્યાં નયનો અન્તિમ આધારને શોધે છે.

જરઠતા, ક્ષયાભિમુખી ‘યયાતિ’તાનું પ્રથમ ચિત્ર પણ કવિ અહીં આપે છે. એ ચિત્ર, એમાં રહેલા કવિકર્મને કારણે, આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે:

            મેઘમુક્ત ઘનનીલ અંબરની માંહે
મુમૂર્ષુ માઘનો ચન્દ્ર રાજે
જાણે કોઈ જરાગ્રસ્ત દ્રાવિડના શ્યામલ લલાટે
સદ્ય શુભ્ર ચન્દનનું કૌલિક તિલક
વંશની પુરાણી કીર્તિ વર્ણવવા ચાહે મૌનસ્વરે
શક્તિ અર્થ છે ના, વ્યર્થ આભિજાત્ય ધરી રાખે
કિંવા જાણે વાર્ધક્યની ફાટે
યૌવનસ્મરણદીપ્ત આકાંક્ષાની આંખ…

વાર્ધક્યની તરડમાંથી ડોકાતી, યૌવનના સ્મરણથી તગતગતી, આ આકાક્ષાની આંખ તે યયાતિની જ આંખ.

‘ક્રન્દસી’માં આ ભાવનો વધુ વિકાસ થયેલો છે. એમાં રોમેન્ટિક ભાવાળુતાને કવિ હડધૂત કરે છે. એના વશીકરણના મદથી છલકાતા જામને કવિ ઠોકરે મારે છે. રાતનું માંદલું મોઢું તારાથી ભરાઈ જાય, ત્યારે પેલે પારની ઉત્સુક અમરાવતીનું આરતીટાણાનું નિમન્ત્રણ આવ્યું છે, એમ માનવાની ભૂલ હવે કવિ કરવા તૈયાર નથી. કવિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે:

            ઢાંકવાને સડેલાં શબની ગન્ધ
રજનીગંધાનો છોડ સ્મશાનમાં રોપવો ના મારે.

કવિ જાણે છે કે નટરાજના નૃત્યના તાલ બધી વખતે શ્રવણસુભગ હોતા નથી; સર્જનના સૂરમાં આસન્નપ્રસવની વેદનાનો આર્તનાદ પણ કદીક સંભળાય છે. કવિ એક વિરાટ ફલક પર આ હેતુશૂન્યતાની છબિ આંકી દે છે; એની અદામાં અભીપ્સ લાખ તારાના કમ્પનમાં મૂર્ત થાય છે; એનો છિન્નભિન્ન થયેલો દીર્ઘર્ નિ:શ્વાસ, પવનની ઝાપટથી સૂસવી ઊઠતા વાંસના વનમાં વ્યક્ત થાય છે; અવ્યક્તતાના ગર્ભમાંથી રહસ્યની નિરુદ્દેશતા તરફ જવાનો સેતુ બાંધવા એ મથે છે. રવીન્દ્રનાથની ‘સોનાર તરી’ને વિશે સુધીન્દ્રનાથ પ્રશ્ન પૂછે છે: સમૃદ્ધિથી ભરેલી એ સોનાનાવડી વિદેહ-નગરમાં જ મૂકી આવ્યા કે શું? એલિયટે આ અનુર્વરા ભૂમિને વર્ણવતાં કહ્યું:

            This is the dead land,
This is cactus land,

ફ્રેન્ચ કવિ સેન્ટ જો’ન પેર્સે એ યુગના માનવીને એમના મહાકાવ્ય ‘Winds’માં straw man of the straw year કહીને ઓળખાવેલ છે. સુધીન્દ્રનાથ આ સ્થિતિને વર્ણવવા શાહમૃગનું પ્રતીક યોજે છે. પ્રતીક દ્વારા કવિએ આજના માનવીની સત્યની સમ્મુખ થવાની અશક્તિને પ્રકટ કરી છે. કવિ પૂછે છે:

            અન્ધ થયે પ્રલય અટકી જાશે?

નિર્ભ્રાન્ત બનીને કવિ તો કહી દે છે કે, તરડ પડેલા ઈંડાને મનના સન્તાપથી સાંધી શકાવાનું નથી. એના કરતાં તો કાંટાળા વનમાં નવો સંસાર વસાવવો શું ખોટો? ત્યાં કાંઈ નહીં તો કડવું પાણી તો મળશે. જે લોકાન્તરમાં જવાની ભ્રાન્તિ સેવે છે, તેને કવિ આ લોકમાં બાંધવા ઇચ્છે છે. રેતીમાં માથું ઢાંકી દેનાર શાહમૃગનું આત્મધ્યાન વિનાશનું જ બીજું નામ છે. યયાતિના વાર્ધક્યની વન્ધ્યતાનું બીજું ચિત્ર કવિ હેમન્તની સન્ધ્યાના વર્ણનથી આંકે છે.

            સહસા હેમન્ત સન્ધ્યા કો ઘરડી વેશ્યા જેવી
અવ્યથ ક્ષયની વ્યાપ્તિ ઢાંકતી’તી ઘેરા રંગલેપે.

આ હેમન્તની વન્ધ્ય સંધ્યા તે માલાર્મેની કવિતામાં જે sterile winter છે તેનું જ વેશાન્તર છે. વાર્ધક્યમાં માત્ર વન્ધ્યત્વ જ નથી, એ ચાલી ગયેલા યૌવનની સ્મૃતિથી પિડાય છે, ને નપુંસક કામની વ્યર્થ વ્યાકુળતાને ભોગવે છે.

‘ઓર્કેસ્ટ્રા’ અને ‘સંવર્ત’માં કવિ વધારે વ્યાપક ફલક પર આ અનુભવની માંડણી કરે છે. લોકશાહીનું ટોળું કવિને ગભરાવી મૂકે છે:

…ડર લાગે છે લોકોનો. જનસંઘ વિભીષિકા…ભારતનો સામ્યવાદ તે દીવામાં એક સાથે ધસી જવા મરણિયાં બનેલાં પતંગિયાંનો સામ્યવાદ છે…કવિને પ્રેમમાં પણ પૂર્ણતાના ઐશ્વર્યનો અનુભવ થતો નથી. પ્રેમના ઉત્કટ આવિર્ભાવથી પણ કવિનું શૂન્ય કદી પરિપૂર્ણ થતું નથી. કવિના હૃદયના એ અતલ અભાવના પટ પર પ્રેમનું અજસ્ર દાન નેતિનું પ્રમાણ જ મૂકી જાય છે! ઋગ્વેદના હિરણ્યગર્ભસૂક્તના ઋષિની જેમ કવિ પણ પૂછી ઊઠે છે: કસ્મૈ દેવાય હવિષા વિધેમ? ‘સંવર્ત’માં કવિ પોતાને ક્ષણવાદી બૌદ્ધ તરીકે ઓળખાવે છે; શાશ્વતમાં એમને શ્રદ્ધા નથી.

રવીન્દ્રનાથે ‘ક્ષણિકા’માં ક્ષણનું મહિમાગાન ગાન ગાયું છે, તેથી વિભિન્ન રીતે સુધીન્દ્રનાથ ક્ષણની માયાને વર્ણવે છે: પ્રેમની અર્ધપ્રકટ સ્વીકૃતિ પ્રિયાના હોઠ પર ક્ષણભરને માટે થરકીને રહી જાય છે. એ ક્ષણ કે અર્ધી ક્ષણના પર સાત સાત અમરાવતી વસાવી શકાય. કવિ પ્રેમને પણ પૂરી નિર્ભ્રાન્ત અવસ્થામાં જ સ્વીકારે છે. એ જાણે છે કે પ્રિયાના પર વારી જઈને, એને રૂપરૂપનો અમ્બાર કહીને સંબોધવી તેય ખોટું છે, ને એ કુરૂપા પણ નથી. પ્રિયાનો સ્નિગ્ધ કેશપાશ એક દિવસ તુષાર ધવલ થઈ જશે, રજનીગન્ધાના જેવી એની દેહયષ્ટિ ધૂળમાં રગદોળાશે ને રતિપરિમલ ફુગાઈ જશે તે કવિ જાણે છે. આ પ્રેમને અનુભવતી વેળાએ મનના આદિમ અન્ધકારમાં ભરાઈ બેઠેલા પ્રાગૈતિહાસિક હિંસક પશુનો ચિત્કાર નાડીના લોહીમાં પડઘા પાડે છે, તેય કવિ ઢાંકતા નથી.

આ સૃષ્ટિના વિધાતાનું તો ક્યારનુંય અપમૃત્યુ થઈ ચૂક્યું છે! એનું પ્રેત અવગતિ પામીને જાણે ક્યાંક એકસરખું રડ્યા કરે છે. એ ભગવાનને નિત્ય, સત્ય, મંગલમય નહીં પણ વ્યર્થ કહીને જ કવિ સંબોધે છે; સર્વનાશનો પ્રતિકાર કરવાને અશક્ત ભગવાન કેવળ ‘નામ સર્વસ્વ’ છે ; એ આપેલી પ્રતિજ્ઞા ભૂલી ગયેલા કલ્કી છે, પેલા શિવ ને એનું ત્રિશૂલ તે નરી કિંવદન્તિ છે, કારણ કે અહીં તો ક્ષણે ક્ષણે અશિવને જ પ્રકટ થયેલું જોઈએ છીએ. કવિ ઉગ્ર વ્યંગમાં વિધાતાને પ્રાર્થે છે:

            હે વિધાતા,
વીતી ચૂકી શતાબ્દીના પૈતૃક વિધાતા,
દીયો મને ફરી દીયો અગ્રજનો અટલ વિશ્વાસ,
હુંય મારા વડીલોની જેમ
જેથી ગણું તમને ક્રીત, પદાનત
મારા આજ્ઞાવાહી દાસ.
એમની જ પેઠે
મંડુકના કૂંપે મને સદાકાળ રાખો ભગવાન!

કવિ ભગવાનને તો સ્વીકારતા નથી. કાળને સ્વીકારે છે. આ કાળ ચક્રાકારે ઘૂમે છે. એ કાળનું સદા ઘૂમતું અલાતચક્ર અનાદિ અમાવાસ્યાને જ ગોચર કરાવે છે; આ ભયંકર વિશાળ મહાકાલ જ સૌથી મોટો શત્રુ છે. નિષ્ફળતા શત્રુ નથી, જીવવાને માટે આવશ્યક એવી વ્યથા પણ શત્રુ નથી; સૌથી પ્રબલતમ શત્રુ કાળ છે.

આ વિશ્વમાંની આપણી સાચી સ્થિતિ વિશેની નિર્ભ્રાન્ત વિશદ સંવિત્તિને કવિ સર્પદંશથી થતી વિષની ત્વરિત સંવિત્તિ જોડે સરખાવે છે. વાલેરીએ પણ કહ્યું છે:

            Its Poison, my Poison
Lit me with its knowing?

કવિ પોતાની સ્થિતિ વિશે પૂરેપૂરા નિર્ભ્રાન્ત છે:

            અતલ શૂન્યના રોષે પડ્યો છું હું સાવ નિરાશ્રય
……. નિરાલમ્બ નૈરાશ્યના નિ:સંગ અંધારે.

એ અંધકારમાં જેના પ્રાણ ચાલી ગયા છે એવા પ્રકાશનું પ્રેત રઝળતું દેખાય છે. આ વિરૂપ વિશ્વમાં મનુષ્ય એકાકી છે.

આ શૂન્યમાંય કવિના બુલંદ ‘અહમસ્મિ’નો બુદ્બુદ ઊઠે છે. કવિ કહે છે:

            નિખિલ નાસ્તિના માને સોહંવાદ ગજાવ્યો છે મેં.

યૌવનનો અમૃતસંચય કાળની ક્ષણોરૂપી અસંખ્ય અલિ લૂંટી જશે ને મર્મમાં કેવળ અવેદ્ય અભાવ જ પડ્યો રહેશે. આ જાણવા છતાં કવિ પૂરી સ્વસ્થતાથી કહે છે:

            મૃત્યુની માધુરી કિન્તુ બચી, ચાલ્યા આવો અહીં
સજાવીએ અમરાવતી
અસાધ્ય સિદ્ધિનો જુગ આવશે ના પાછો તે હું જાણું તોય રુદ્ર ભવિષ્યને ઝંખું.

સુધીન્દ્રનાથ રુદ્ર ભવિષ્યને ઝંખનારા કવિ હતા. કવિ પોતાને કરુણાન્ત થવાને નિર્માયેલા નાટકના ઉદ્યોગી નાયક તરીકે ઓળખાવે છે. એમણે જે રાજ્ય કલ્પેલું તે તો ન્યાય, ક્ષમા, મૈત્રી, મનીષા – આ ગુણોને આધારે ટકી રહેતું રાજ્ય હતું. પણ આજે તો બોમ્બર વિમાન, તોપગોળા ને પાયદળથી ટકતું રાજ્ય જોવાનું રહ્યું. આજે તો શાન્તિ ને કલાન્તિમાં કશો ફેર રહ્યો નથી. જાતિભેદથી માણસો વિખૂટાં પડી ગયાં છે; કેવળ સરમુખત્યારો જ નિરંકુશ છે. એમની વજ્રમુષ્ટિની પકડમાં બધાં જકડાઈ ગયાં છે. કોટ, કિલ્લા, ખાઈ, ગુપ્તચર, રક્ષક વગેરેની જંજાળ રચ્યા છતાં, આ સરમુખત્યારો ઉન્નિદ્ર છે. નદીએ નદીએ સેતુ ભાંગતા રહે છે, નગરે નગરે રણ સરજાય છે. શિથિલકુંડલી શેષનાગ આજે કીટનો ખોરાક બન્યો છે. સુધીન્દ્રનાથ આપણા યુગનું આ ચિત્ર એમની કવિતામાં સ્થિર હાથે આંકી ગયા છે. માનવની આ સ્થિતિને એમણે સ્થિર દૃષ્ટિએ જોઈ છે, ને એ જોઈને ભયાકુલ બનીને, લાગણીથી થરથર કંપતી, શિથિલ વાણીમાં એના ઉદ્ગાર નથી કાઢ્યા. બંગાળના એક વિવેચકે કહ્યું છે તેમ, logic અને passionનો વિરલ સમન્વય એમની કવિતામાં દેખાય છે. કવિતા જનસાધારણ માટે છે, એમ એમણે કદી માન્યું નહોતું. હતાશાને પ્રગલ્ભતાથી વર્ણવતાં એઓ ખંચકાયા નહોતા. જીવન પ્રત્યેની, માનવમાત્ર પ્રત્યેની પ્રબળ આસક્તિ જ એમની આ હતાશાના મૂળમાં રહેલી છે. જો એમણે ઉદાસીનતા કેળવી હોય તો સોંઘી શ્રદ્ધાનો શુકપાઠ સરળ થઈ પડ્યો હોત. યુગચેતનાને પોતાના વિરલ કવિકર્મથી આપણને ગોચર બનાવનાર એ કવિને વંદન.

License

કાવ્યચર્ચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.