રૂપાન્તર

પ્રચલિત શિષ્ટસમ્માન્ય નીતિની ફૂટપટ્ટીએ સીધી લીટી દોરીને સુરેખતાનો આગ્રહ રાખનારો ભદ્ર લોકોનો એક વર્ગ હંમેશાં વિવેચનાના ક્ષેત્રમાં વગ ધરાવતો હોય છે. સુરેખતા એ જ એમને મન સૌથી મોટું મૂલ્ય છે. જે સુરેખ ન બને તેને શિષ્ટ સુરુચિના રબરથી ભૂંસી નાંખવું એ પવિત્ર ફરજ છે. પણ જીવનના અક્ષાંશરેખાંશ સુરેખતાની મર્યાદા સાચવીને ચાલતા નથી. ગમે તેવી સમાન્તર સીધી રેખાઓ આખરે તો દૂર જતાં વંકાઈને ભેગી થઈ જાય છે. જે સીમિત છે તે જ અમુક નિશ્ચિત માપ જાળવીને ચાલી શકે છે, તમે એને દૂર સુધી પ્રસરવા દો કે તરત જ ઘરઆંગણેનાં માપતોલને એ ઉલ્લંઘી જાય છે. આથી જીવનને ઉપાદાન તરીકે સ્વીકારીને સર્જક એનું રૂપાન્તર કરે ત્યારે એ મેટામોર્ફોસિસને ડિસ્ટોર્શન કહીને ભાંડવાની અસહિષ્ણુતા જે લોકો બતાવે છે, તેમને જો એમની આ અસહિષ્ણુતાની વક્રતા – સુરેખતાનો અભાવ – બતાવીએ તો વળી વધારે વંકાઈ જાય! સર્જનમાત્ર જીવનાલમ્બી છે, જીવનાશ્રયી છે એ તો સાચું, પણ જે આલમ્બન કે આશ્રય છે તે અન્તરાયરૂપ નથી બનતું. જેને અમુક વર્ગ ‘જીવન’, ‘વાસ્તવિકતા’ કહીને ઓળખાવે છે તેની સાથે પદ ગોઠવીને ચાલવાની જવાબદારી સર્જકને માથે વિવેચન ઠોકી બેસાડે ત્યારે સર્જનમાત્ર ક્રાન્તિ બની રહે એવી અનિવાર્યતા ઊભી થાય છે. જીવન સાથેનો સાહિત્યનો સમ્બન્ધ તપાસવાની પદ્ધતિની ઘટતી મીમાંસા થતી નથી, ‘જીવન’વાદીઓનાં કેટલાંક ગૃહીતો પડકાર્યા વિનાનાં રહી જાય છે. રિલ્કે જેવા તો એમ કહેતા કે જીવનની સાર્થકતા એ સાહિત્યના ઉપાદાન લેખે પોતાને ખપાવી દે તેમાં જ રહી છે. જે સાહિત્યમાં જીવન આ રીતે ખપી જતું નથી તે અકૃતકાર્ય – અકૃતાર્થ બની રહે છે.

ક્ષિતિજ : 12-1961

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.