મેદુરતાની માયા

આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાની કાંઈ ઝાઝી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીને પાછો લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો – લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે! આષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્રવૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાનીય અજબ માયા હોય છે! કેટલીક ઊમિર્ઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐશ્વર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.

કિંચિત્ : 1960

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.