પદાઘાત

સંસ્કૃત કવિઓ કહેતા કે નાયિકાના પદાઘાતથી અશોક પ્રફુલ્લ થઈ ઊઠતું, માઘથી ફાગણની દિશા તરફ વળેલી સૃષ્ટિને પણ આવી જ કોઈ નાયિકાના પદાઘાતનો ધન્ય સ્પર્શ થયો લાગે છે. ચારે બાજુ બધું મુકુલિત થઈ ઊઠ્યું છે, ને અહીં હૃદયના અન્ધ અગોચર નેપથ્યમાં પણ પ્રકટી ઊઠેલાં મુકુલની સૌરભના ભારે બધું ફાટું ફાટું થઈ રહ્યું છે. આ નથી સહેવાતું – અહીં આનન્દ અને વેદનાના છેડા એકબીજામાં ભળી જાય છે, અહીં ભાષાનો પ્રદેશ પૂરો થાય છે. જીવનમાં બેચાર ક્ષણ પણ જો આ ભાષાથી અસ્પૃષ્ટ એવી કુંવારી ધરતી પર આવીને ઊભા રહેવાનું મળે તો! કવિતામાં શબ્દોનું રૂપ પણ કાંઈક આવું જ હોવું ઘટે. એ શબ્દનો તર્જનીસંકેત મૌનની દિશામાં હોય, એ શબ્દને અનુસરીને જતાં આપણે મૌનમાં ઓગળી જતાં હોઈએ એવું લાગવું જોઈએ. અર્થની અને અર્થના સંક્રમણ(કે અભિનયન?)ની બધી રકઝક ને ખટપટ, એના વાદપ્રવાદ, એનું વ્યાકરણ – આ બધા જટાવિસ્તારની પછી કશી જરૂર ન રહે. ઘણી ઊંચા પ્રકારની કવિતાનો આસ્વાદ લેતા હોઈએ છીએ ત્યારે નિ:શેષ લુપ્ત થવાનો અનુભવ થાય છે. સાચી કવિતાની કદાચ આ પણ એક કસોટી હોય – એણે આપણા કેટલા શબ્દોના કોલાહલનો મૌનમાં મોક્ષ સાધી આપ્યો, ન જાને!

પણ માઘના અન્તના આ દિવસો નથી જીરવાતા, આ માઘની સૃષ્ટિને જોતાં એને કદી આષાઢની મેદુરતાનો સંસ્પર્શ થયો હશે એ માન્યામાં આવતું નથી – એટલું બધું સોનું છૂટે હાથે વેરાયું છે, સુગન્ધનો એવો તો ફુવારો ઊડે છે, ને આ હવા જાણે કોઈ પ્રગલ્ભા પોતાના પાલવમાં પ્રિયતમને સંગોપીને ભગાડી લઈ જવા અધીરી બની હોય તેમ ચારે બાજુથી આવીને આપણને લપેટી લે છે. આવા જ દિવસે વૃદ્ધ આન્દ્રે જિદ અકળાઈને બોલી ઊઠ્યો હતો :

The last four days have been more beautiful than one can say; more

beautiful than I could endure. A sort of call to happiness in which all nature

conspired in a miraculous swoon, reaching a summit of love and joy in which

the human being has nothing further to wish for but death. On such a night one

would love to kiss the flowers, caress the tree-trunks, embrace any young and

ardent body whatever or prowl in search of it till dawn. Going off to bed alone,

as I have nevertheless to decide to do, seems impious.

કિંચિત્ : 1960

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.