મારી જમીન

હિન્દ જેવા સુરસાળ દેશની પડતી કોઈ કાળે સંભવે નહિ, પણ તેને આપણે આણી છે તેનું મોટું કારણ જમીન-પૃથ્વીમાતા-સાથે આપણે અસહકાર કર્યો છે એ જ લાગે છે. આ પાપ મોટે ભાગે આપણું એટલે ઉજળિયાત વર્ગનું છે. અને એને માટે માતાએ શિક્ષા પણ સરસ ફરમાવી છે. એ શિક્ષા તે—દેશોદ્ધાર કાજે ભાષણો કર્યા કરવાં, લેખો લખવા ને છાપાં છાપવાં, પરદેશીઓને પાયે પડીપડીને કે પડકારીને સુધારા ભીખવા, ઇત્યાદિ. આ સોનાની બેડીઓનો ચળકાટ અને ઝણકાર આપણને એટલો વહાલો છે કે તેમાંથી છૂટવાનો વિચાર સરખો આપણને ન આવે. પણ મારે તો એ બેડીઓ તુર્ત તોડી નાખવી, વહેલામાં વહેલી તકે ધરતીમાતનું શરણું ફરી શોધવું, અને ઉન્નતિનો જે માર્ગ મોટા-મોટા નેતાઓને પણ હજી સૂઝ્યો જણાતો નથી તેને અમલમાં પણ મૂકીને દેશ પર અપાર ઉપકાર ચઢાવવો, નેતાઓને શરમિંદા કરી મૂકવા અને મારે પોતાને અમરત્વના પંથે પળવાનો લાગ સાધવો, આવો નિશ્ચય મેં એક સુંદર સવારે કર્યો.

પણ આ ઉત્સાહના તાણમાં, જમીન સાથે પુનઃ સહકાર એટલે શું એ કહેવાનું તો રહી જ ગયું.

જ્યારે આજનાં નગરોની માયાવી સંસ્કૃતિ આર્યાવર્તમાં પ્રસરી નહોતી ત્યારે એક જુદી જ સંસ્કૃતિ અહીં ખીલતી હતી. એ વેળા ત્રણે વર્ણો દેવી વસુંધરાને હરકોઈ રૂપે, રાત અને દહાડો, સારુંયે જીવન, સેવી શકતા. બ્રાહ્મણ હોય તે સ્નાનસંધ્યા, વેદાધ્યયન કે ઉપદેશ માટેનાં પર્યટનમાં ધરતી અને કુદરતનો અખંડ સહચારી રહેતો; ક્ષત્રિય યુદ્ધ કે મૃગયા દ્વારા એવા જ અનુભવ લેતો; અને વૈશ્યે તો ખેડૂત અથવા સાહસિક વણઝારા તરીકે પૃથ્વી અને પૃથ્વીના વિવિધ પ્રદેશોને ઘડીભર પણ ભૂલવાના નહોતા. એ પ્રજા પોતાની ધરિત્રીને ઉવેખવાની હિંમત કે જડતા કેળવી શકી નહોતી એટલે ધરિત્રી પણ એને બળવાન સ્વતંત્ર અને સંતોષી રાખતી.

જમીન સાથેનો જે સહકાર એ કાળે સાધી શકાતો તેનો હજારમો ભાગ પણ આપણે નસીબે હોય તો કેવું સારું! તો પછી, એ લોકોની જેમ જ, પૃથ્વીની દૃઢતા, વૈશાલ્ય અને રસમયતા, તેની પોષક પ્રફુલ્લતા અને અમોઘ શક્તિ એ સર્વ પણ આપણાં થાયઃ બાગ કે ખેતરમાં મહેનત કરવાની ટેવ પડે તો આપણે નીરોગી થઈએ. આપણે ગાય-બળદ વસાવીએ તો ઘેર દૂઝાણાં થાય અને બજારુ દૂધ-ઘીના ઝેરથી બચીએ. આપણાં શાક, અનાજ ને ખડના વેચાણમાંથી પૈસાપ્રાપ્તિ પણ સારી થાય. અને સાચા ખેતીકાર તરીકે શહેર બહાર કે અધજંગલમાં કાયમનો વાસો કરવાનો હોય, તો ખુલ્લી હવાના જેટલા ફાયદા વૈદ્યકશાસ્ત્રમાં વર્ણવ્યા છે તેટલા મેળવવા ઉપરાંત, ચોરલુટારા સામે ઝૂઝવાની કદીક જરૂર પડે ત્યારે, નીડરતા, શૌર્ય, સમયસૂચકતા વગેરે ગુણોના પણ કેવડા મોટા ભંડાર આપણે બની શકીએ!

આ સર્વતોભદ્ર વિચારોથી પ્રેરાઈ, મારાં શરીર તિજોરી, કુટુંબ, મન અને આત્માની એકસામટી ઉન્નતિ સાધવાની ઇચ્છાથી, મેં જમીન-ભલે હમણાં તો થોડી, ખરીદવાનો નિરધાર કર્યો.

એ ખરીદી માટેના પૈસા, કાયદાકાનૂન, ખતપત્તર-એવી બધી સ્થૂળ ચીજોની ચિંતા હાલ ને હાલ કરવી ઠીક લાગતી નથી. વધારે સૂક્ષ્મ વાતો–જેવી કે, એ જમીન તરફ મારે કેવા ભાવથી વર્તવું, કઈ ભાવનાથી તેને સાચવવી—પહેલી વિચારી લેવી જોઈએ.

જમીનના માલિક થવાનું તો ઘણાને સૂઝે છે; કેટલાકને તો એ વાતનો છંદ જ લાગેલો જોઈએ છીએ. મારી ઓળખાણના એક પૈસાદાર ગૃહસ્થ તદ્દન બિનવારસ મરવાના છે છતાં આજકાલ એમની જમીનભૂખ એટલી બધી ઊઘડી છે કે તેઓ એક પછી બીજું, ને ત્યાર પછી ત્રીજું, એમ ઘરો ને જમીનો ખરીદ્યે જ જાય છે. આ છંદ નહિ તો બીજું શું?… પણ હું તો સંયમપૂર્વક કામ કરીશ. જમીનના માલિક કરતાં મિત્ર વધુ રહીશ; બનશે તો તો, અત્યાર પહેલાં જ મિત્ર રૂપે રહેલી જમીનને મારી કરીશ. આ મારા કાતરિયાની લગોલગ જ ઉત્તર તરફ બે-ત્રણ પડતર જેવા ટુકડા છે એમાંથી એકાદ લઈ લીધો હોય તોપણ શું ખોટું? ને જૂનાં સ્મરણો તાજાં રાખશે અને નવાંને ખીલવશે. પાસે જ ઉત્તરથી દક્ષિણમાં સાબરમતી વહે છે. એનો અમોલો સહચાર પણ મારે નહિ તજવો પડે, જો હું આ જમીનમાંથી ખરીદી કરીશ તો. એ વિશાળ અને ગંભીર અને પ્રેરણાદાયિની સરિતા — પણ સાબરમતીસ્તોત્ર રચવાનો આ અવસર નથી.

ત્યારે — મેં એ જમીન ખરીદી; અથવા, ધારો કે ખરીદી. તેની તરફ કેવી ભાવનાદૃષ્ટિ કેળવવી એ પણ નક્કી થયું. એ જ દૃષ્ટિએ તેના સૌથી મોટા ઉપયોગો શા શા?… પણ ના, ઉપયોગ પહેલાં પણ શોખની નજરે જોઈ લેવું ઘટે. ઉપયોગવાદી તો કોણ થાય?—સ્થૂળપ્રેમી હોય તે થાય.

નદીના બરાબર તીર પર જ ખેતર થશે; મોટે મળસકે ઊઠીને એમાં લટાર મારવાની કેવી લહેર આવશે?

ત્યાં રોજ સવારે, ઉનાળા ને ચઢતા શિયાળામાં, પૂર્વાકાશના, ખાસ કરીને કોમળ પ્રતિપળ પલટાતા રંગોની મોજ આગળ શું સામ્રાજ્યોના ભવ પણ તુચ્છ નહિ નીવડે? પછી, એ જમીનની વચ્ચોવચ બાંધેલ નાનકડા ઘાટીલા બંગલાના આગલા ભાગમાં આવીને બાગમાં થોડું ખોદવાનું. ઓ—તેનો આનંદ! … … આ મારો ઉદ્ગાર તમને વધુ પડતો લાગે છે? લાગે જ ને? તમે એ મજા કદી ભોગવી નથી. એમ તો મેં પણ ભોગવી નથી. પણ પોચીપોચી માટીમાં (મજૂરની જેમ આખો દહાડો નહિ પણ) સવારના થોડા કલાક કોદાળી હુલાવવાથી અને માટી ઊખડતી જાય તેમ તેમ તેને બે હાથે ખાડામાંથી ઉશેડી લેવાથી જે તાજગી તન અને તેમજ મનમાં આવ્યા વિના રહેતી નથી, લોહી ઝડપબંધ ફરવા લાગે તેનો જે આહ્લાદક ઉલ્લાસ રગેરગમાં પ્રગટ્યા વિના રહેતો નથી, તેનાં એવાં તો સરસ સરસ વર્ણનો મેં વાંચ્યાં છે—કાગળ પરથી નયનો દ્વારા પી લીધાં છે—કે એ વાત સાંભરતાં જ મારું હૈયું હરખથી ભરાય છે. અને તેમાંએ, હવે જ્યારે એ અનુભવ કલ્પનાના પ્રદેશમાંથી મારા નિત્યજીવનમાં અવતરવાનો છે, જ્યારે એ દૈવી ઘડી બહુ દૂર નથી, ત્યારે તો હું ઘેલછાની હદે પહોંચીને આનંદના ઉદ્ગાર કાઢું એમાં નવાઈ શી?

પછી ફૂલના રોપને પાણી પાવાનું—બંગલાનાં પગથિયાં સામે જ તેના થોડાક નાના નાના ક્યારા એક લંબચોરસ વિભાગમાં રચાયા હશે. મોગરો ને ગુલાબ અને સામસામી કમાનો પર જૂઈની ને ગુલબંકાવલીની વેલોઃ બસ, શરૂઆતમાં આટલું ઘણું. અતિઘણાં ફૂલ વસાવવાં એ તો આપણી સુગંધશક્તિને જડ માની લેવા બરાબર છે. જેનામાં એ શક્તિ ન ખીલી હોય કે મૂર્છા પામી ગઈ હોય તે જ સામટાં ફૂલ વચ્ચે બેસીને તેના મઘમઘાટથી મગજને તર કરવાનાં ફાંફાં માર્યાં કરે. સાચા રસિકને માટે તો ઉપર કહી તેટલી સામગ્રી પૂરતી છે.

જમીનના એક ભાગમાં શાકના પણ થોડા વેલા ઉછેરવા પડશે. ઘણાંખરાં શાકના વેલા જ હોય છે, ખરું ને? કે કોઈના રોપ પણ ખરા? સંભારીએઃ વાલોળ, ચીભડું, કહોળું—એટલાંના તો વેલા જ હોય છે. વાલોળ વિશે તો પ્રત્યક્ષ પ્રમાણ ટાંકી શકું તેમ છું. અમે આ ગામની પડોશે મણિનગરમાં રહેતાં ત્યારે વાડીઓમાં ભટકી ભટકી શાક લાવવાનું મારે માથે હતું અને ત્યાં મારા દેખતાં જ પેલો દુઃખિયારો, પણ ઉદ્યોગી પટેલ અને તેની પટલાણી વેલા પરથી એ શાક તોડી આવતાં એમ સાંભરે છે. ચીભડાંના વેલા હોય એવું સાંભળ્યું છે એટલું જ. અને કહોળું—તેની તો એક દૃષ્ટાંતકથા જ છે એ કેમ ભૂલી ગયા?

એક બાવો નાળિયેરી નીચે બેઠો હતો. પાસે જ વેલાઓ પર મોટાં બધાં કહોળાં પાક્યાં હતાં. નાળિયેરીની અસાધારણ ઊંચાઈ અને તેનું સાધારણ નાનું ફળ, અને બીજી બાજુ જમીને ઘસડાતા વેલાઓ પરનાં અસાધારણ મોટાઈવાળાં કહોળાં—આ વિરોધ બાવાજીથી ન ખમાયો. એમની કલાદૃષ્ટિ કંપી ઊઠીઃ ‘અરે પ્રભુ! તું પણ કેવો! આવા ઊંચા ઝાડને આટલુંક અમથું ફળ આપ્યું છે અને આ નીચા નીચા વેલાના ભાગ્યમાં આવડાં જબ્બર કહોળાં?’ ત્યાં તો ધબ્બ દઈને ઉપરથી એક નાળિયેર એમના માથાના જમણા ઢાળ સાથે અથડાયું. થોડું વાગ્યું પણ ખરું. પણ એની જગ્યાએ એકાદ કહોળું હોત તો પોતાના શા હાલ થાત એ વિચારે બાવો ઈશ્વરના અગાધ ડહાપણ પર આફરીન થયો; અને નાળિયેરી પર કહોળાં ન ઉગાડવા ખાતર તેનો નમ્ર ભાવે પાડ માન્યો.

વારુ, ત્યારે, શાક પણ હાલ તો આટલાં બસ છે. ને ફૂલનું પણ પતી ગયું. એ બેની સંભાળમાં જ સવારનો મોટો ભાગ તો જશે; પણ જમવાને હજી થોડી વાર હશે. ત્યાં લગી શું કરવું?

મારી જમીન પરના એ ભાગમાંની દક્ષિણે આંબાની નાની સરખી ઘટા છે. ત્યાં એક આંબાડાળે મજબૂત નવાનક્કોર દોરડાનો હીંચકો બાંધ્યો છે. શો મજાનો હીંચકો! એને સંભારતાં મને જેમ ઉમળકો આવે છે તેમ થોડી અફસોસની લાગણી પણ થાય છે. એમ નહિ કે એ કોઈ ગમખ્વાર બનાવનું સાધન થવાની બીક લાગે છે. એની પર કોઈ હોંસે હોંસે હીંચકવા માંડે. ઘણું હીંચકે, ખૂબ હીંચકે, ને પછી એના આનંદના કેફમાં સમતોલપણું ખોઈને જમીન પર ‘ધમ્મ’ દઈને પટકાય તો? આવા ખ્યાલો મને સતાવતા નથી. પણ એક જણનો કઢંગો શોખ યાદ આવીને અફસોસ કરાવે છે. અમારાથી બે-ત્રણ ઘર દૂર એક શેઠિયો રહે છે. તેના કમ્પાઉન્ડમાં ઝાડે હીંચકો બાંધવાને બદલે ખાસ્સી બેરા લાકડાની ઘોડી અને મોભ કરાવીને તેમાં એક મામૂલી ઝૂલો લટકાવ્યો છે. કેટલું બેહૂદું! એનું નામ જ જમીન સાથે અસહકાર અને કુદરતની દુશ્મની; નહિ તો, દેવની દીધેલ ખુલ્લી ચોખ્ખી હવામાં જે હીંચકો બંધાય એને તે વળી કોઈ દહાડો લાકડાના ચોકઠા વચ્ચે પૂરવાનો હોય? આ સવાલ તમને ગેરવાજબી લાગતો હોય તો વિચારી જુઓ કે બાગમાંના શિષ્ટ હીંચકાઓ ઝાડ પર જ બંધાયા છે કે નહિ. કાશીરાજ શેવતીને ઝુલાવે છે એ આવા હીંચકા પર જ; અને એવો જ પ્રસંગ ટૉમસ હાર્ડીની ‘ધ સર્ટિટ’ કે એવા કોઈક નામવાળી નવલિકામાં છે, ત્યાં પણ લખનારે લાકડાના બનાવટી ટેકા તો નથી જ ઊભા કરાવ્યા.

અને ન જ કરાવે. થોડીઘણીયે જીવન જોગવી જાણવાની શક્તિવાળો લખનાર હોય તો સમજે કે બાગમાંના હીંચકા પર આપણે ધીરે-ધીરે-ધીરે, આપણા અણમૂલ ગૌરવની કાંકરીયે ખરે નહિ એવી રીતે, હીંચકવાનું હોતું નથી. ત્યાં તો ગૌરવ ને ભાર ને વક્કર બધાંને વગરશોકે વગરસંકોચે તિલાંજલિ આપવાની હોય છે. બાગમાં હીંચકવું એટલે અનન્તતા સાથે તાળી ઝીલવી. એ ખેલમાં ખોટાં ગૌરવ આડે આવે તે કેમ ચાલે? હીંચકો પૂરબહારમાં હિલોળા લે ત્યારે એક છેડે જાણે તમે અંતરિક્ષમાં વિહરો અને બીજે છેડે બસ એકલી પૃથ્વી ને પૃથ્વી જ દેખો, અને એ બંને પળે તમારો જીવ ક્ષણવાર સ્થળકાળની હસ્તીને નીસ્તીમાં પલટી નાંખતો, જાણે કેવળ અનિર્વાચ્ય પરમાનંદનું—પણ જે વાચ્ય નથી તેનું વર્ણન શાને? વાત એ છે કે બાગમાંના હીંચકાની પૂરેપૂરી ને ખરી લહેજત તેની કુદરતી સામગ્રી અને કુદરતી વાતાવરણ સિવાય નથી આવતી, તેથી જેને જેને પોતાની અક્કલમંદી, આબરૂ અને રસવૃત્તિ માટે દરકાર હોય તેણે ઝાડ અને દોરડાં સિવાયની ચીજોનો ઉપયોગ ન કરવો પણ મારી જેમ સવારની મહેનતનો થાક ઉતારવા, ભૂખને તીવ્ર કરવા, જમ્યા પહેલાં કેટલીક મિનિટ એકાંત ઘટામાંના અનુપન સ્વર્ગીય હીંચકા પર વિતાવવી.

જમીન સાથે સહકાર કરવા સંબંધી આટલો બોધપાઠ (તેમજ કાલ્પનિક પદાર્થપાઠ) હાલને કાજ બસ નથી? કલ્પના આ ભવમાં કદી વાસ્તવ બનશે તો એના અનુભવોને જોરે તમને એ વિષયનું એક આખું શાસ્ત્ર રચી આપતાં હું જેવા સિદ્ધહસ્ત શાસ્ત્રીય લેખકને ક્યાં વાર લાગે તેમ છે?

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.