ચિઠ્ઠી

રજાનો દિવસ હતો અને હું ચોકમાં હીંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું, ‘કોઈ મળવા આવ્યું છે.’ મળવા આવનારને અંદર લાવવા મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ ઉપર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મૂક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, “હું ગઈ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચા વેચનારા પોતાની ચાની તારીફ આપની આગવી કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાની દુકાન છે ત્યાંની ચા આ બંનેથી સારી છે. કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઇચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો. તા.ક. આ માણસ મારા સગામાં છે.” ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મુકાય છે એમ મને લાગ્યું પરંતુ ‘સંબન્ધમાભાષણ પૂર્વમાહુઃ! (વાતચીત થઈ એટલે તરત મૈત્રી થયેલી ગણાય છે) એ રઘુવંશનું વચન લક્ષમાં લઈ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું. તે બોલ્યો:

“મારા ભાણેજ છગનલાલ માટે વહીવટદાર સાહેબ વધારે પગારની જગાની ભલામણ નથી કરતા. છગનલાલને આ જગ્યાએ અઢી વરસ થયાં. અને વસ્તીપત્રકમાં પીંજારાના મહોલ્લામાં એને ગાળો ખાવી પડેલી. પણ છગનલાલ રુશ્વત ખાય છે એમ કહી નોંધણી-કામદારે વહીવટદાર સાહેબના મનમાં ખોટો વહેમ ઘાલ્યો છે, પણ નોંધણી કામદારની મરજી એ જગા પોતાના ભાઈબંધ અમથાલાલના દીકરા છોટાલાલને અપાવવાની છે. બહારથી એમ બતાવે છે કે અમથાલાલ સાથે મારે ભાઈબંધી નથી. પણ, નોંધણી-કામદાર અહીં આવ્યા પહેલાં સાવલીમાં હતા ત્યારે અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે રહેતા હતા. એ કહે છે કે હું દસ ઘર છેટે રહેતો હતો એ ખોટું છે. ત્રણ ઘર છેટે રહેતા હતા એવો પુરાવો હું આપ સાહેબને બતાવું.”

મેં કહ્યું, “મારે એવો પુરાવો શું કામ જોવો પડે?”

“વહીવટદાર સાહેબને ખાતરી કરાવાય કે નોંધણી-કામદારને અમથાલાલ સાથે ભાઈબંધી છે.”

“તમારે તેમને ખાતરી કરાવવી હોય તો તમે કરો.”

“નાયબ ફોજદાર સાહેબને પૂછશો તો તે પણ હા કહેશે.”

“શાની હા કહેશે?”

“સાવલીમાં અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે નોંધણી-કામદાર રહેતા હતા. એક ઊંટની ચોરીની તપાસ કરવા નાયબ ફોજદાર સાહેબ ત્યાં ગયા હતા. રાવળિયાનું ઊંટ હતું અને બજાણિયા ચોરી ગયા એવું ચારણ લોક કહેતા હતા.”

“આ બધી હકીકત મને કહેવાની શી મતલબ છે?”

“વહીવટદાર સાહેબ ઉપર આપ સાહેબ ચિઠ્ઠી લખી આપો કે છગનલાલ રુશ્વત નથી ખાતો અને બચરવાળ છે, તો એની ભલામણ કરે.”

“કયા ગામના વહીવટદાર અને તેમનું નામ શું?”

ચિઠ્ઠીના પ્રાર્થીએ ગામ અને નામ કહ્યાં. મેં કહ્યું, “પણ હું એ સાહેબને ઓળખતો નથી. કોઈ દિવસ એમને મળ્યો નથી.”

“પણ આપને તો એ નામે ઓળખતા હશે. આપનું નામ તો જાણીતું છે. એટલું લખી આપો કે ‘છગનલાલ રુશ્વત નથી ખાતો અને બચરવાળ છે માટે ભલામણ કરશો તો તો ગરીબ માણસનું કામ થાય.”

“હું છગનલાલને ઓળખતો નથી. એ ગામે હું કોઈ દિવસ આવ્યો નથી તો હું શી રીતે કહી શકું કે એ રુશ્વત નથી ખાતો? એ બચરવાળ છે તે બતાવવા તો તમે વહીવટદાર સાહેબ આગળ એનાં છોકરાંને લઈ જઈ ઊભાં કરજો. મેં કાંઈ એનાં છોકરાં જોયા છે?”

“નોંધણી-કામદારે ખોટો વહેમ ઘાલ્યો છે તેથી એ માર્યો જાય છે.”

“જુઓ ભાઈ, હું તમને નથી ઓળખતો, વહીવટદાર સાહેબને નથી ઓળખતો, નોંધણી-કામદારને નથી ઓળખતો, છગનલાલને નથી ઓળખતો. હું આ કામમાં શી રીતે વચ્ચે પડું?”

“અમથાલાલની બધી ખટપટ છે. છોટાલાલને જગા અપાવવા માટે એ અમલદારોના કાન ભંભેરે છે. ઊંટની ચોરીના કામમાં પણ એણે બહુ ખટપટ કરેલી… એનો કોઈ કાકો પણ ખટપટીઓ છે.”

“તેમાં મારે શું?”

“ગોવિંદલાલભાઈએ આપને કાગળ લખી આપ્યો છે. આપ સિવાય મારે બીજો આધાર નથી.”

“ગોવિંદલાલભાઈ સાથે મેળાપ થયાનું મને યાદ રહ્યું નથી, પણ મને એમણે સંભાર્યો તે મહેરબાની કરી છે. તમે એમના શા સગા થાઓ?”

“એમની દીકરીના દીકરાની સગાઈ મારા મામાની છોડી વેરે થવાની છે.”

“તમારી હકીકત મેં સાંભળી લીધી. હું ચિઠ્ઠી લખી આપી શકું તેમ નથી.”

“પણ સાહેબ, મારો ભાણેજ રુશ્વત ખાતો નથી અને બચરવાળ છે.”

“હું ક્યાં કહું છું કે એ રુશ્વત ખાય છે અને બચરવાળ નથી?”

“તો સાહેબ ચિઠ્ઠી—”

“ચિઠ્ઠીની વાત કરશો જ નહિ. હવે બંધ કરો.”

છગનલાલના પ્રમાણિકપણા વિશે અને બહોળા કુટુંબ વિશે ઘણાં આગ્રહનાં વચનો સાંભળી મારે એ માણસને આખરે વિદાય કરવો પડ્યો.

નવલકથા આગળ વાંચવી મેં શરૂ કરી. પણ, અડધું પાન વાંચ્યું એટલામાં તો બીજો મળનાર આવી પહોંચ્યો. તેણે આપેલો કાગળ હું વાંચતો હતો. એટલામાં તેણે પાટ પર બેઠા બેઠા ઊંચું ડોકું કરી તથા લાંબો હાથ કરી બૂમો પાડી કે ‘જગાભાઈ! આવોને! ભગાભાઈ! આવોને! ગગાભાઈ! આવોને! એમ કહી બારણે ઊભેલા પાંચ-છ માણસોને તેણે ચોકમાં બોલાવ્યા અને તેઓ આવી તેની જોડે પાટ ઉપર બેઠા. મને આપેલો કાગળ મારા ઓળખીતાનો હતો. તેથી આ મહાશયને મેં સકારણ ગણી આગમનકારણ પૂછ્યું. પ્રથમ આવનારે કહ્યું. “અમારા ગામમાં સરકાર સુધરાઈ ખાતું કાઢે છે.”

મેં કહ્યું, “બહુ સારું”

બધા બોલી ઉઠ્યા, “શું બહુ સારું? કર નાખે તેથી અમે બધા વેપારી માર્યા જઈએ.”

“ગામમાં રસ્તા થશે, દીવાબત્તી થશે; નિશાળ નહિ હોય તો નિશાળ થશે, દવાખાનું થશે. એ બધું કાંઈ કર નાખ્યા વગર થાય?”

“અમારે તો એમાંનું કાંઈ ના જોઈએ. નિશાળ તો હોય છે તે સરકારને બંધ કરવી હોય તો બંધ કરે. છોકરા નજીકને ગામ જઈ ભણશે. પણ સુધરાઈ ના જોઈએ. અમારું ગામ તો ખાડાટેકરાવાળું છે. તેમાં સુધરાઈને શું કરવી છે? આજ લગી સુધરાઈ વિના ચાલ્યું અને હવે સુધરાઈ શા માટે કાઢે છે?”

“એ બધું મને શા માટે કહેવા આવ્યા છો?”

“દીવાનસાહેબ ઉપર ચિઠ્ઠી લખી આપો કે અમારા ગામમાં સુધરાઈ ના કાઢે.”

“એમ શી રીતે બને? રાજ દીવાન સાહેબને ચલાવવું અને હું અહીં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખું કે આમ કરજો અને આમ ના કરજો! રાજવહીવટના કામમાં મને માથું મારવાનો શો હક?”

“આપ દીવાન સાહેબને લખો કે આ ગામ સુધરાઈ કાઢવા સરખું નથી. સુધરાઈથી ગામમાં ખટપટ જાગશે માટે સુધરાઈ કાઢવી ન જોઈએ.”

“દીવાન સાહેબે તજવીજ કરીને અને કાગળો વાંચીને જે અભિપ્રાય બાંધ્યો હોય તે મારી ચિઠ્ઠીથી ફેરવી નાંખે એ આપની માગણી વ્યાજબી છે? જેને માથે રાજની જવાબદારી હોય તે નક્કી કરે કે ફલાણાં પગલાં લેવાં કે ન લેવાં. હું એમાં મારો અભિપ્રાય આપી શકું નહિ.”

“…ભાઈએ તો કહ્યું કે તમે જશો એટલે ચિઠ્ઠી લખી આપશે.”

“મારે કેવી રીતે વર્તવું એ નિર્ણય કરવાની થોડીઘણી છૂટ તો મને ખરી કે નહિ?” એ ગામમાં સુધરાઈ સ્થપાયાથી પડવાનાં દુ:ખ વિશે અનેક કલ્પનાઓ સંભાળવી ડેપ્યુટેશન ઘણી આનાકાનીથી વિદાય થયું.

નવલકથાનું પાનું હું પૂરું કરી રહ્યો એટલે એક વહોરાને લઈ એક માણસ આવ્યો. તેણે કહ્યું, ‘…ભાઈએ કહ્યું છે કે આ વહોરાજીની હકીકત માટે એને ચિઠ્ઠી લખી આપવા જેવું છે.’ સંદેશો કહી તે ચાલતો થયો અને વહોરાજીને બક્ષીસ રૂપે મૂકતો ગયો. વહોરાજીને પૂછતાં માલૂમ પડ્યું કે કોર્ટમાં તેની અપીલ ચાલવાની હતી તે કોર્ટના ન્યાયાધીશ પર તેને ચિઠ્ઠી જોઈતી હતી. મેં કહ્યું, “ઇન્સાફના કામમાં ચિઠ્ઠી અપાય નહિ.”

“હું બી એવી ચિથ્થી માગુંચ કે ઇનસાફ કરજો.”

“એવી ચિઠ્ઠીનો અર્થ એ થાય કે તમે સાધારણ રીતે ગેરઇન્સાફ કરો છો પણ આ કામમાં ઇન્સાફ કરજો.

“એ સાહેબ હંમેશ ઇન્સાફ જ કરે છે.”

“ત્યારે ચિઠ્ઠીની જરૂર શી?”

“ફક્ત જમની અને દાબી આંખ જેતલો ફરક રાખે એતલી મારી અરજ છે.”

“મતલબ કે મારે લખવું કે આ વહોરાજી તરફ પક્ષપાત કરી ગેરઇન્સાફ કરજો?”

“નહિ સાબ, આદમ જાતને દાબા-જમનીમાં ફરક કરવો પરે છે.”

“ઈન્સાફ કરનારને તો જેનું ખરું હોય તે જમણો અને જેનું ખોટું હોય તે ડાબો. તમારું ખોટું જણાય તોપણ ન્યાયાધીશ તમને જમણા ગણે એવી ભલામણ શી રીતે કરી શકાય?”

“…ભાઈએ તો કહ્યું કે તમને જરૂર ચિથ્થી લખી આપસે.”

“એ સાહેબ તો મોટા માણસ છે. એમણે આવી ભલામણ કરી તેથી બહુ નવાઈ લાગે છે. પણ ઇન્સાફના કામમાં ન્યાયાધીશને હું કદી ચિઠ્ઠી લખતો નથી કે ભલામણ કરતો નથી.”

ડાબી-જમણી આંખના ફિલસૂફી મને અનેક પ્રકારે ફરીફરીથી સમજાવી વહોરાજી ઘણી નામરજીથી વિદાય થયા. પરંતુ નવલકથા આગળ વાંચવાનું મારા નસીબમાં નહોતું. મારો જૂના વખતનો જાણીતો અને સરકારી નોકરીમાંથી બરતરફ થયેલો એક કારકુન તરત દાખલ થયો. તેની બરતરફીના હુકમમાં રહેલી ભૂલો વિશે વિસ્તારી વિવેચન તેણે મને અનેક વાર સમજાવ્યું હતું. અને તેની પુનરુક્તિ માટે હું સજ્જ થયો. પરંતુ હવે તેણે જુદી દિશામાં વહાણ વાળ્યું હતું. તે બોલ્યો, “મારી પ્રથમની નોકરી પાછી મેળવવાની માથાકૂટ મેં મૂકી દીધી છે. મને બીજી નોકરી મળે તો બસ છે. તમે મારા છોકરાને નિશાળમાં નોકરી અપાવી પણ ઇજનેર ખાતામાં નોકરી માટે મેં અરજી કરી છે. માટે ઇજનેર સાહેબ પર મને ચિઠ્ઠી આપો કે એમના ખાતામાં જો નોકરી મારા લાયક હોય તો મને રાખે. અને ઇજનેર સાહેબના ઉપરી સાથે તમારે ઓળખાણ હોય તો તેમના પર ચિઠ્ઠી લખી આપો અને વસૂલાત ખાતાના મોટામાં મોટા અધિકારી સાથે તમારે પિછાણ હોય તો તેના પર ચિઠ્ઠી લખી આપો કે તમારા તાબાના સૌ અધિકારીઓને ભલામણ કરજો કે રૂ. ૭૫ની જગા ખાલી પડે ત્યારે પહેલી આ માણસને આપે. અને જંગલખાતાના ઉપરીને તમે ઓળખતા હો તો તેના ઉપર ચિઠ્ઠી લખી આપો કે ખાલી પડતી જગા આ માણસને આપજો. અને હાલ જગા ખાલી ન હોય તો નવી જગા કહાડી આપજો. તમે લખશો તો જરૂર નવી જગા કહાડશે. મીઠા ખાતાના ઉપરીને તો તમે ઓળખો છો માટે તેના પર ચિઠ્ઠી લખી આપો કે મારો માણસ છે. માટે આને જગા આપ્યા વગર ચાલે તેવું નથી; કોઈ એમની વિરુદ્ધ કહે તો સાંભળશો નહિ.”

“તેના કરતાં હું તમને ગવર્નર જનરલ પર ચિઠ્ઠી લખી આપું તો કેમ?”

“શી ચિઠ્ઠી લખી આપશો?”

“ચિઠ્ઠીમાં એમ લખું કે આ માણસને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા આપજો. કેમ કે નાણાં વિના એ બહુ દુ:ખી થાય છે.”

“તમારે મન તો મશ્કરી છે પણ અમે કામધંધા વગર હેરાન થઈએ છીએ.”

“ત્યારે તમે જુદા જુદા અમલદારો પર મારી પાસે અણઘટતી ચિઠ્ઠીઓ લખાવી મારી હાંસી કરવાના પ્રયત્નો કરો છો એ તમારા ધ્યાનમાં નથી આવતું? એવી માગણી હું કરું તે તેઓ સ્વીકારી શકે?”

“માગણી કરવામાં તમારું શું જાય છે? મારું નસીબ હશે તો કોઈ જગાએ જોગવાઈ થઈ જશે.”

“તમારે મન તો એમ કે વાગે તો તીર, નહિતર ટપ્પો! હું મૂરખ ગણાઉં તેની તમને ચિંતા નથી.”

“સાહેબ, આટલી ઉમ્મરે મારી નોકરી ગઈ. હવે હું શું ધંધો કરું? બરતરફ થયેલા માણસને નોકરીમાં રાખવા કોઈ ખુશ ના હોય એ શું વાજબી છે? પરમેશ્વરને કોઈ કહેનાર નથી કે એ લોકોને આવી કુબુદ્ધિ કેમ આપે છે?”

“મને એવો વિચાર આવે છે કે બધું મૂકી તમને પરમેશ્વર પર ચિઠ્ઠી લખી આપું કે ‘આ માણસને સ્વર્ગમાં દાખલ કરજો. એણે કાંઈ પુણ્ય કર્યાનું તો મારા જાણવામાં નથી. પણ એ મારો ઓળખીતો છે.’ પછી તમારે આ દુનિયાની વાતોની કાંઈ પરવા જ કરવાની નહિ, અને તમે સ્વર્ગમાં જઈ તમને થયેલા અન્યાય વિશે પરમેશ્વર સાથે સવાલજવાબ કરજો.”

“હજી તો મારે ઘણું જીવવું છે. રસ્તો ખોદનારા મજુરોની હાજરી લખવાની હંગામી નોકરી મને મળે તેવી ચિઠ્ઠી લખી આપો એટલે બસ છે. હું રુશ્વત લીધા માટે બરતરફ થયો નથી પણ વગર રજાએ ગેરહાજર રહ્યા માટે બરતરફ થયો છું એટલું ચિઠ્ઠીમાં સમજાવજો.”

ચિઠ્ઠી લઈ તે વિદાય થયો. પણ, સૂર્ય આથમે ને ચંદ્ર ઊગે તેમ તેની પીઠ અદૃશ્ય થઈ ને તરત એક કંટ્રાટી દાખલ થયો. એણે મ્યુનિસિપાલિટીની નિશાળનું મકાન બાંધવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ બાંધકામમાં ચૂનાને ઠેકાણે છારું વાપર્યું હતું. ઈંટો પાકી લાલને બદલે આમરસી વાપરી હતી. લાકડાં મલબારી સાગને બદલે વલસાડી સાગ વાપર્યાં હતાં, પાટિયાં આખાંને બદલે ફાટોવાળાં વાપર્યા હતાં. વળીઓ ઓછી જાડાઈની વાપરી હતી. અને સ્ક્રૂને બદલે ખીલા વાપર્યા હતા. પાયા શરત પ્રમાણે ઊંડા કર્યા નહોતા; એવાં કારણોથી મ્યુનિસિપાલિટી તરફથી કોન્ટ્રાક્ટના પૈસા મળતા નહોતા. મેં પૂછ્યું, “મ્યુનિસિપાલિટી આ વાંધા કાઢે છે તે ખોટા છે?”

“બીજા અદાવતીયા કંટ્રાટીઓની નનામી અરજીઓ પરથી મ્યુનિસિપાલિટીએ આ વાંધા કહાડ્યા છે!”

“પણ કોઈએ આ વાંધાના ખરાખોટાપણા વિશે તજવીજ કરી છે?”

“સરકારી ઇજનેર ખાતાના ઓવરસિયરે મ્યુનિસિપાલિટીના લખાણ ઉપરથી તજવીજ કરી છે.”

“તેમણે શો રિપોર્ટ કર્યો છે?”

“તેમણે તો લખ્યું છે કે મકાન તદ્દન રદી છે અને પાડી નાખવું જોઈએ.”

“એટલે આ વાંધા એમને ખરા લાગ્યા છે?”

“હા, પણ મારા અદાવતિયાની ખટપટથી આ કામ ઊભું થયું છે.”

“કામ ઊભું થવાનું કારણ ગમે તે હોય, પણ તમે કોન્ટ્રાક્ટ પ્રમાણે બાંધકામ કર્યું નહિ અને નબળું મકાન કર્યું તો તમને મ્યુનિસિપાલિટી નાણાં શી રીતે આપે?”

“સાહેબ, હું માર્યો જાઉં છું. મારે માલ માટે વેપારીઓનાં બીલ ચૂકવવાનાં છે અને કડિયા-સુતારના રોજ ચૂકવવાના છે. મ્યુનિસિપાલિટી પૈસા ન આપે તો હું શી રીતે નાણું પતાવું? ”

“કપટ કર્યું તો તેનું ફળ ભોગવો.”

“કપટ શાનું! બધા કંટ્રાટીઓ એમ જ કરે છે. આ તો છીંડે ચડ્યો તે ચોર. કંટ્રાટ પ્રમાણે બધું કામ કરે તો કંટ્રાટીઓ કમાય શું? વચમાંના નાના નોકરોનાં મન મનાવવાં પડે અને હરીફાઈમાં કંટ્રાટની રકમ તો ઓછી રાખવી પડે. ચશમપોશી વિના ધંધો જ ચાલે નહિ.”

“એ નીતિશાસ્ત્ર તમને મુબારક હો. પણ, હું કામમાં શું કરી શકું?”

“મ્યુનિસિપાલિટીના સેક્રેટરી સાહેબ ઉપર આપ ચિઠ્ઠી લખી આપો તો મારું કામ થાય.”

“એવી ચિઠ્ઠી લખી આપું કે મ્યુનિસિપાલિટીનું હિત બગાડી આ માણસને નાણાં આપજો?”

“સેક્રેટરી સાહેબ તો ધારે તે કરી શકે.”

“શું ધારે? તમારા બાંધકામ માટે ઇજનેર ખાતાએ રિપોર્ટ કર્યો હશે, એમણે પોતે રિપોર્ટ કર્યો હશે, સરકારી ઓવરસિયરે રિપોર્ટ કર્યો છે, તે છતાં તમને નાણાં અપાવાનું શી રીતે ધારે?”

“બધા કાગળ એક જ તુમારમાં છે.”

“તેથી શું?”

“એ તુમાર ગુમ થઈ જાય તો હું બીજા સારા રિપોર્ટ મેળવી શકું.”

“સેક્રેટરી સાહેબને દગો કરવાની ચિઠ્ઠી લખું એવી સૂચના કરતાં શરમ નથી આવતી?”

“સાહેબ, હું માર્યો જાઉં છું. બચરવાળ છું હું ગરીબ માણસ છું. આપ ભલામણ ન કરશો પણ ચિઠ્ઠી લખી આપો તો બસ છે. હું તે ચિઠ્ઠી લઈને સેક્રેટરી સાહેબને આપીશ. ચિઠ્ઠીમાં ગમે તે લખજો.”

“ગમે તે લખીશ તો ચાલશે.”

“હા સાહેબ.”

“નોટપેપર લઈ તે પર મેં ચિઠ્ઠી લખી આ પ્રમાણે વાંચી સંભળાવી: “આ ચિઠ્ઠી લાવનાર જે માગણી કરે છે તે એવી અઘટિત છે કે હું તેની ભલામણ કરું જ નહિ પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી અને સ્વાર્થથી અંધાપો આવે છે તેના નમૂના તરીકે આ માણસને આપની પાસે મોકલું છું. એ કહેશે તેથી આપને ક્રોધ ચઢશે, પણ કામના બોજામાં રમુજ પણ થશે.

તે બોલી ઊઠ્યો, “સાહેબ! આવી ચિઠ્ઠી?”

“તમે તો કહો છો ને કે ગમે તેવી ચિઠ્ઠી લખશો તો ચાલશે.”

“ગમે તેવી એટલે મને ગમે તે રીતે ફાયદો કરે તેવી.”

“હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો તમે કરવા ધારેલા દગા વિશે હું પોલીસને ખબર આપીશ.”

“કંત્રાટી” ચાલ્યો ગયો. અને “ગમે તેવી” ચિઠ્ઠી પડી રહી.

ચિઠ્ઠીના પ્રાર્થયિતાઓની ‘લેવી’ સાંજ સુધી ચાલુ રહી. નોકરી માટે, બદલી માટે, ઘર ભાડે આપવા માટે, વરકન્યાના સગપણ માટે, મફત મોતિયો કાઢવા માટે, વેપારની ભાગીદારીમાં સામેલ કરવા માટે, કરામાં બારણું મૂકવા દેવા માટે, રસોઈઓ આપી દેવા માટે, વગેરે કામ કરવા માટે ભલામણની ચિઠ્ઠીઓ માગનારા એક પછી એક આવતા જ ગયા. મને શક પડ્યો કે મારે બારણે કોઈએ પાટિયું માર્યું હશે કે “આ ઠેકાણે ચિઠ્ઠીઓ અપાય છે.” તે માટે હું ઓટલે જઈને જોઈ આવ્યો પણ એવું પાટિયું જોવામાં આવ્યું નહિ. પ્રાત:કાલે આશા રાખી હતી કે આજે રજા છે. તેથી આરામ લેવાશે, નવલકથા વંચાશે, અને દહાડાની થોડી ઊંઘ લેવાશે તે બધી આશા વ્યર્થ ગઈ. સૂર્યાસ્ત થતો હતો ત્યારે સ્વ. મણિશંકરના ‘વસંતવિજય’માંના એક શ્લોકમાંના થોડા શબ્દ બદલી હું ઉચ્ચારવા લાગ્યો,

ઘેલી બની બધી સૃષ્ટિ ચિઠ્ઠીમાં હાલ નહાય છે!
હાય! એક જ આ મારા હૈયામાં કૈંક થાય છે.

ચિઠ્ઠી લખી આપવાનો હક કોઈને વેચાતો લેવો હોય તો એક પૈસા માટે ‘કુલ-અભરામ-ન-દાવે’ ‘અઘાટ’ વેચાણ કરી આપવા હું ખુશ છું.

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.