શેક્‌સ્પિયરના ‘ઘરવતનની છાયામાં’

ઇંગ્લૅન્ડમાં લંડન તો હોય જ, પણ તે ઉપરાંત જે સ્થળો નજરે જોવાની ઇચ્છા હતી, તે તો શેક્‌સ્પિયરનું ગામ ઍવન કાંઠેનું સ્ટ્રૅટફર્ડ, પ્રકૃતિ કવિ વર્ડ્ઝવર્થના રહેણાંકનો લેક ડિસ્ટ્રિક નામથી પ્રસિદ્ધ સૌન્દર્ય-વિસ્તાર અને એનું ઘર ‘ડેવ કૉટેજ’, વિદ્યાધામો ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજ અને કૅન્ટરબરીનું કેથિડ્રલ. આ બધાં સ્થળો વિષે કલ્પનાઓ બહુ કરી હતી, આ સ્થળો વિષે પ્રવાસીઓનાં વર્ણનો વાંચ્યાં હતાં, ચિત્રો જોયાં હતાં. શેક્‌સ્પિયરના વતન સ્ટ્રૅટફર્ડનું ઍવન નદી તરફ જતા ઝાડી- ઝૂક્યા એક માર્ગનું ચિત્ર ‘The Lover’s Walk’ જોઈ એક સ્વપ્નિલ દુનિયામાં ખોવાઈ જવાયું હતું અને એક ‘લવર’ની ભૂમિકામાં એ માર્ગે ચાલવાનું સ્વર્ગીય સુખ કોઈના હાથમાં હાથ રાખી ચાલવાનો રોમાંચ અનુભવવાની ઇચ્છા થઈ ગયેલી.

કેવું હશે વિશ્વના આ મહાન નાટકકારનું વતન, સીમ અને એના શૈશવને સમૃદ્ધ કરનારી શાંતપણે વહી જતી ઍવન! રવીન્દ્રનાથની જેમ શેક્‌સ્પિયરને નિશાળ બહુ ગમી હોય એવું લાગતું નથી, એટલે વર્ગમાં ગાપચી મારીને કે એ વખતની ગ્રામરસ્કૂલોમાં એ શક્ય ન હોય તો રજાના દિવસોમાં આસપાસના વિસ્તારોમાં રઝળપાટ અને પોતાથી મોટી એન હાથવે સાથેની દોસ્તી અને કહેવાતી કોઈના ખેતરોમાંથી કરેલી સસલાની ચોરી – એવા બધા પ્રસંગો વાંચી કવિજીવનની કલ્પનાની તો અનુકૂળતા હતી.

શેક્‌સ્પિયરે બચપણ કિશોરાવસ્થાનાં અને જીવનનાં છેલ્લાં થોડાં વર્ષ (બાવન વર્ષે તો કવિએ આ પૃથ્વીના રંગમંચ પરથી ચિર નિષ્ક્રમણ કરેલું!) સ્ટ્રૅટફર્ડમાં આવીને વસેલા. વચ્ચેનો ગાળો લંડન અને એનું ગ્લોબ થિયેટ૨. સ્ટ્રૅટફર્ડ જવાની ઇચ્છા, કાલિદાસની ઉજ્જયિનીએ જવા જેવી સંમોહનકારી હતી. પરંતુ કાલિદાસ ઉજ્જયિનીના રાજકવિ ભલે હશે, પણ એમનું વતન ક્યાં? શૈશવ ક્યાં ગાળ્યું હશે? વિદ્યા ક્યાં ભણ્યા હશે? એ વિષે આપણે કંઈ જાણી શકતા નથી. ઉજ્જયિની માટે ‘મેઘદૂત’માં એમણે પક્ષપાત ન બતાવ્યો હોત તો એ નગર સાથેનો એમનો સંબંધ સ્થાપવામાં પણ અનુમાન જ કરવું પડ્યું હોત.

એ વાત ખરી કે, કાલિદાસ બે હજાર વર્ષો પહેલાં થઈ ગયા, શેક્‌સ્પિયરને તો ચારસોથી થોડાં વધારે વર્ષ (૧૫૬૪-૧૬૧૨). એટલે સ્ટ્રૅટફર્ડમાં અંગ્રેજ પ્રજાએ એમના જન્મનું ઘર કે પછી નવું ખરીદેલું ઘર અને એમના અંતિમ દફનનનું સ્થળ – ગામનું ટ્રિનિટી દેવળ, આ બધું સાચવ્યું છે. સ્ટ્રૅટફર્ડના દફતરે એના પિતાની કારકિર્દીની અને કવિના લગ્નની નોંધ પણ મળે. સ્ટ્રૅટફર્ડના એમના ઘરના ફોટા જોયેલા. પણ આપણે માટે તીર્થભૂમિ-સ્વરૂપ સ્ટ્રૅટફર્ડ ન જઈએ તો પછી ઇંગ્લૅન્ડની ભૂમિ પર પગ દેવાનો શો અર્થ?

એક સવારે વ્યોમેશભાઈ એમની મોટરગાડી લઈને અમને સ્ટ્રૅટફર્ડ લઈ જવા આવ્યા. સાથે એમનાં પત્ની ક્ષમા અને નાની દીકરી. આ પણ વિપુલ કલ્યાણીની ગોઠવણ. સ્ટ્રૅટફર્ડની સ્વપ્નભૂમિ તરફ, અમે જતા હતા. જેમ જેમ લંડન નગરથી દૂર થઈએ તેમ ઇંગ્લૅન્ડનો ગ્રામવિસ્તાર આપણા મનને મોહિત કરે.

ઊંચાનીચા જતા માર્ગો, રમ્ય ઢોળાવવાળી ટેકરીઓ પર ચરતાં ઘેટાં. એ માર્ગ વચ્ચે સ્ટ્રૉબેરીનાં ઘણાં ખેતરો આવ્યાં, ત્યાં પાટિયા પર લખેલું હતું.– Pick Your Strawberry. ખેતરમાંથી આપણે જાતે વીણી લઈ શકીએ. એના પૈસા આપવાના નહિ. ધરાઇને ખાઓ : વ્યોમેશે સમજાવ્યું. પણ અમે અનુભવ માટે પણ સ્ટ્રૉબેરી ખાવા રોકાઈ શકીએ એમ નહોતા. વચ્ચે વચ્ચે ફાર્મશોપ્સ પણ આવે. પબ – બિયર – મદિરાની દુકાનો તો આવે જ.

રવિવારનો દિવસ હતો એટલે સ્ટ્રૅટફર્ડ જનાર પ્રવાસીઓ પણ હતા. સ્ટ્રૅટફર્ડ પહોંચ્યા તો સ્વાગતનું પાટિયું –

Welcome to Stratford – upon – Avon

અમે શેક્‌સ્પિયરના ગામની બહારના પાર્કમાં એક વૃક્ષની છાયા નીચે બેઠાં. વ્યોમેશભાઈએ ગાડી પાર્ક કરી. મલબેરી ઝાડની છાયા નીચે બેસી બપોરનું ખાણું લીધું. પાર્કમાંથી અમારી પ્રિય ઍવન નદી દેખાતી હતી, જેમાં કેટલાક લોકો હોડી ચલાવી રહ્યા હતા. ઍવનમાં તરતા હંસો(બતકો)નાં ચિત્રો જોયેલાં તે પણ – અત્યારે ચક્ષુ સામે છે. કાલિદાસે જેમ વિદિશાની વેત્રવતીનું વર્ણન કરી, આપણે માટે આજે પણ એ સમયના દૃશ્યફલકને શબ્દસ્થ કર્યું છે એવું ઍવનનું શેક્‌સ્પિયરે કર્યું છે કે નહિ?

અમારે મન શેક્‌સ્પિયર અને આપણા હવે સદ્ગત પ્રોફેસર એસ. આર. ભટ્ટ જાણે જોડાયેલા છે. એમની પાસે શેક્‌સ્પિયર ભણવાનો લહાવો લીધો છે. એમણે શેક્‌સ્પિયરની ચારસોમી જન્મશતીના વર્ષમાં ૧૯૬૪માં ‘સંસ્કૃતિ’માં ઉમાશંકરના આગ્રહથી લેખમાળા કરેલી. એકેએક અંકની રાહ જોઈએ. પછી તો એ પુસ્તક રૂપે પ્રગટ થઈ છે. એમણે શેક્‌સ્પિયરનાં અનેક પાત્રોની ઉક્તિઓ અમારી સ્મૃતિમાં રોપી દીધી છે.

આ પાર્કમાં શેક્‌સ્પિયરના સ્મારક રૂપે એમનાં જે ચાર મુખ્ય પાત્રો છે તેનાં શિલ્યો અને કેટલીક નાટ્યોક્તિઓ કંડારેલી છે. શેક્‌સ્પિયર એનાં આ બધાં પાત્રોથી અમર છે :

(૧) ફૉલસ્ટાફ

(૨) પ્રિન્સ હાલ

(૩) હૅમ્લેટ

(૪) લેડી મેકબેથ

મૉન્યુમેન્ટ પર કોતરી છે, મૅકબેથની પેલી જાણીતી પંક્તિઓ:

Life’s but a walking shadow…

લેડી મેકબેથની પ્રતિમા – હાથથી બીજો હાથ પકડ્યો છે, જે પર પડેલા રાજા ડંકનના લોહીના ડાઘ જાણે ભૂંસાતા નથી એ મુદ્રામાં કદાચ પેલી જાણીતી ઉક્તિનો સંદર્ભ હોય :

All the perfumes of Arabia
will not sweeten this little hand.

હૅમ્લેટની મુદ્રા પાગલના અભિનયમાં છે – તેના હાથમાં ખોપરી છે. (એટલે તો કહેવાય છે : There is method in his madness.) શેક્‌સ્પિયરના ‘હેન્રી ચોથો’ નાટકનું કેન્દ્રીય પાત્ર છે જ્હોન ફૉલસ્ટાફ. ભટ્ટસાહેબે એમના ગ્રંથમાં એને માટે લખ્યું છે કે, ‘જેવો ડેન્માર્કનો રાજકમાર હેમ્લેટ, તેવો જ ‘વરાહશિર’ મધુશાળાનો ‘રાજા’ ફૉલસ્ટાફ. ગ્રંથની બાંધણીમાં ભરાઈ રહેવાને બદલે સંસારમાં સર્વકાલીન બનેલું પાત્ર છે. શેક્‌સ્પિયરની અદમ્ય હાસ્યવૃત્તિનો શ્રેષ્ઠ ચમત્કાર એટલે ફૉલસ્ટાફનું સર્જન. શેક્‌સ્પિયરે અપાર વહાલથી એને શણગાર્યો છે…’

એટલે એનું સ્થાન સ્ટ્રૅટફર્ડમાં પ્રવેશતાં સૌને નજરે પડે એવા સ્મારકમાં હોય જ ને!

અનિલાબહેન તો શેક્‌સ્પિયરનાં અધ્યાપિકા. કંઈ કેટલાય પંક્તિખંડો મેકબેથ, હૅમ્લેટમાંથી યાદ કર્યા. અમે ઍવનનો પૂલ પસાર કરી સ્ટ્રૅટફર્ડની પથ્થરજડિત સડકે ચાલતા શેક્‌સ્પિયરના ઘરે – જન્મસ્થળે, જ્યાં આવી પંક્તિઓ ઉદ્‌ધૃત હતી :

‘To kiss this shrine
They come from the far corners of the earth.’

શેક્‌સ્પિયરના જન્મસ્થળે નાનકડું પ્રવેશદ્વાર. પ્રવેશ માટે ટિકિટ રાખવામાં આવી છે. પ્રવેશતાં મુખ્ય ખંડની બારી શેરીમાં પડશે. એ જ લાકડાના મોભ, ફાયરપ્લેસ. શેક્‌સ્પિયરના અવસાન પછી એ પબ્લિક હાઉસ થયેલું, ત્યાં પછી પબ હતી, પછી એક કસાઈએ એ ખરીદ્યું હતું. એ પછી ‘સ્વાન’ અને ‘મેઇડન હેડ’ નામકરણ થયું. પછી ૧૮૪૭માં એ ઘર રાષ્ટ્રીય સ્મારક તરીકે ખરીદાયું. એ વખતે જ્યારે એ ઘરનું લીલામ થયું ત્યારે એવી જાહેરખબર છપાઈ હતી કે, ‘ધ મોસ્ટ ઓનર્ડ મૉન્યુમેન્ટ ઑફ ધ ગ્રેટેસ્ટ જીનિયસ ધૅટ એવર લિવ્ડ.’

આ ઘરમાં પગ દેતાં જ તીર્થભૂમિમાં પગ દેતા હોઈએ એવું લાગ્યું, પણ પેલા ખંડની બારીમાંથી બહાર રસ્તા પર જોતી મારી નજરમાં કિશોર શેક્‌સ્પિયરની નજર નહોતી?

આ પ્રજાની પોતાની વિભૂતિઓ પ્રત્યેની સમ્માન-ભાવના અને એની ઇતિહાસચેતના એવી છે કે શક્ય બધું જ સચવાયું છે. જે ગ્રામર સ્કૂલમાં શેક્‌સ્પિયર ભણ્યો હશે તે નિશાળનું સોળમી સદીનું એક ડેસ્ક પણ લાવીને અહીં મૂકવામાં આવ્યું છે.

ઘરમાં લાકડાંના મોભ, ફાયરપ્લેસ બધું એ જ રૂપે. અમે મેડા પર ચઢ્યાં. લાકડાંનું ફર્નિચર એ જૂના સમયનું, લાગે કે લાકડું બરાબર ઘડાયું નથી. મેડા પરની બારીમાંથી ઘરમાં તડકો આવી રહ્યો હતો.

ઘરના આંગણામાં ફૂલછોડ વાવવામાં આવ્યા છે તે તો અત્યારનાં જ. શેક્‌સ્પિયરના ઘર-વતનની સ્મૃતિમાં એક છોડ પરથી એક પર્ણ ચૂંટી લીધું. (-જે અદ્યાપિ જાળવી રાખ્યું છે!)

પછી અમે સ્ટ્રૅટફર્ડના રોયલ શેક્‌સ્પિયર થિયેટર ભણી ગયાં. ‘મિડ સમર નાઇટ્સ ડ્રીમ’, ‘હૅમ્લેટ’, ‘રોમિયો જુલિયેટ’ આદિ નાટકો ભજવવાની તારીખો હતી, પણ આજે અમારે કમભાગ્યે રવિવાર હતો. આજે કોઈ નાટક ભજવાશે નહિ. કદાચ ભજવાતું હોત તો અમારે પહેલેથી ટિકિટોની વ્યવસ્થા કરવી પડત.

અમે હોલી ટ્રિનિટી ચર્ચ ભણી ગયાં, જ્યાં શેક્‌સ્પિયર ચિર નિદ્રામાં પોઢેલ છે. ઇંગ્લૅન્ડની અનેક વિભૂતિના દૈહિક અવશેષોને પ્રસિદ્ધ વેસ્ટમિન્સ્ટર એબીમાં સન્માનનીય સ્થાન આપવામાં આવે છે. શેક્‌સ્પિયરના અવશેષ પણ ત્યાં પછીના સૈકામાં લાવવામાં આવ્યા હોત, જો એણે પોતાની કબર પર કોતરવા નીચે પ્રમાણેનો મૃત્યુલેખ ન લખી રાખ્યો હોત:

Blest be the man who spares these stones
And curse be he that moves my bones.

હવે અમે હતાં અને વિપિંગ વિલોની છાયામાં વહેતી ઍવન હતી. એને કિનારે જઈને બેસવાનું સુખ. કવિ આ નદીકિનારે કેટલું રઝળ્યા હશે? એક હોડીમાં પ્રવાસીઓની ટોળી ગીત ગાતી પસાર થતી હતી અને હોડીની લગોલગ બતકો તર્યે જતાં હતાં, તેથી એક દૃશ્ય રચાતું હતું. મને થયું : અહીં ક્યાંક આટલામાં જ પેલી છબીમાં જોયેલી ‘લવર્સ વૉક’ની પગથી હશે. પણ અહીં તો એટલાં બધાં પ્રેમી યુગલો હાથમાં હાથ રાખી કે પ્રણયની એવી અંતરંગ મુદ્રામાં જતાં હતાં કે બધે જ જાણે ‘લવર્સ વૉક’.

પછી સ્ટ્રૅટફર્ડની શેરીઓમાં થોડું ફરી, બીજી વાર હેનલે સ્ટ્રીટમાંથી શેક્‌સ્પિયરનું એ ઘર આંખમાં ભરી વિદાય લીધી.

*

સાંજ પડી હતી. સૌ પ્રવાસીઓની જેમ અમે ઘર ભણી વળ્યાં. ક્ષમાની નાની દીકરી પણ અમારી સહપ્રવાસિની હતી. એને યાદ રહેશે કે આ મહાન નાટકકારના ગામની એણે આટલી નાની વયે મુલાકાત લીધી હતી!

સ્ટ્રેટફર્ડથી લંડન આવતાં રસ્તે ઑક્સફર્ડ આવે. ઑક્સફર્ડના કૅમ્પસને તો નિરાંતે સમય કાઢીને જોવો જોઈએ, પણ ભાઈ વ્યોમેશને અમારી ઇચ્છાનો આદર કરવાની ‘ઇચ્છા’ થઈ. કહે : આપણે યુનિવર્સિટીની પ્રદક્ષિણા તો કરી લઈએ. ત્યાં મને યાદ આવ્યું – ડૉ. કેતકી કુશારિ ડાયસન ઑક્સફર્ડની પાસે જ કિડલિંગ્ટનમાં રહે છે. ૧૯૮૩ના વર્ષમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફેલો તરીકે એક વર્ષ માટે નિમંત્રિત થઈ હું વિશ્વભારતી, શાંતિનિકેતનમાં હતો તે વેળા વિઝિટિંગ ફેલો તરીકે કેતકી પણ આવેલાં, કલકત્તા ભણેલાં, પછી ઑક્સફર્ડ. ઑક્સફર્ડમાં પીએચ.ડી., બંગાળી અને અંગ્રેજીનાં લેખિકા, બંગાળીમાં નવલકથા, કાવ્યો, વિવેચન, લખ્યું છે. તેમનું પ્રસિદ્ધ પુસ્તક તે રવીન્દ્રનાથ અને વિક્ટૉરિયા ઓકામ્પોના પત્રવ્યવહારનું વિદ્વત્તાભર્યું સંપાદન. ‘In your Blossoming Flower Garden’. સંશોધનના નમૂનારૂપ એ ગ્રંથ છે. એ પછી એમણે રવીન્દ્રનાથનાં ચૂટેલાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ ‘I will not let you Go.’ નામથી કરેલો છે, જે પુષ્કળ પ્રશંસા પામ્યો છે. (હમણાં પ્રગટ થયેલું પુસ્તક તે ઑક્સફર્ડ તરફથી બુદ્ધદેવ બસુનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ : ‘Selected Poems of Buddhdev Bose.’) એમનો ઘરનો નંબર પણ મારી ડાયરીમાં હતો. મેં પૂછ્યું : કિંડલિંગ્ટન જઈ શકાય? વ્યોમેશની રોડસેન્સ પ્રબળ. એણે ૬૩ બાનબરી રોડનું સરનામું બરાબર જાણી લીધું. કેતકીએ શાંતિનિકેતનમાં મને લીલીશાહીમાં કિંડલિંગ્ટન અને નજીકના બાનબરી વિષે એક જોડકણું લખી આપેલું તે યાદ કરી, બાનબરી આવતાં મેં કહ્યું: નજીકમાં જ કેતકીનું ઘર હશે. એ જોડકણું તે :

Ride a cock horse
to Banbary cross
see a fine lady
upon a fine horse
Ring on her fingers
and bells on her toes
she shall have music
wherever she goes…

અમે બાનબરી રોડ પર ઘર નંબરો જોતા એકદમ 63 નંબર ધરાવતા કેતકીના ઘરે જઈને ઊભા. હું માની શકતો નહોતો કે તેમને હું અહીં ઑક્સફર્ડમાં મળીશ. એ તો મને જોઈને આશ્ચર્યચકિત. એમને ખબર હતી કે, હું ઇંગ્લૅન્ડ – લંડન આવ્યો છું. પણ અહીં? કશી સૂચના વગર? પ્રસન્નતાથી પુસ્તકોથી ભરેલા એમના ઘરમાં લઈ ગયાં. એમના પતિ, રૉબર્ટનો અને બે પુત્રોનો પરિચય કરાવ્યો. અમારી પાસે સમય નહોતો. થોડી વાતચીત, ઠંડુ પીણું પી વંટોળિયાની જેમ આવ્યાં હતાં તેમ નીકળી ગયાં.

સાંજ પડી ગઈ હતી. ઑક્સફર્ડની મુખ્ય ઇમારતોની પ્રદક્ષિણા કરી. એ વિદ્યાધામમાં ફરવું પણ સરસ્વતીપૂજાથી ઓછું નહોતું. એક ઇમારત આગળ ઊભા રહેતાં તો કેટકેટલા વિચાર આવી ગયા.

રાત પડ્યે અમે ક્રિઝન્ટ રાઇઝ પહોંચી ગયાં.

License

યુરોપ-અનુભવ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book