૨૦. સરઘસની રાતે

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ

અમારો ગુણિયલ ગૂર્જર દેશ !

કૃષ્ણચંદ્રની કૌમુદીઊજળો

કીધ પ્રભુએય સ્વદેશ,

અમારો ગુણિયલ ગૂર્જર દેશ !

−ન્હાનાલાલ

જનાર્દનના આશ્રમમાં અત્યારે ઉત્સવ થઈ રહ્યો હતો. અહિંસાસૂચક ધવલ ધ્વજને પણ ફરકાવવો નહિ એવી સરકારની આજ્ઞાને તોડવા માટે આશ્રમવાસીઓ તૈયાર થઈ ગયા હતા. પ્રભાતમાં એક સરઘસ કાઢવાનો નિશ્ચય જાહેર કરી તેનો કાર્યક્રમ પણ જનાર્દને નિર્ણીત કરી દીધો હતો. સરઘસ નીકળતા પહેલાં આખી રાત વિતાવવાની હતી; પરંતુ ઉત્સાહને હિલોળે ચઢેલો માનવસમુદાય શાંતિથી રાત્રિ પસાર કરી શકે એમ નહોતું. હજારેક વર્ષથિ વીરરસનું સેવન ભૂલતા આવેલા ગુજરાતીઓના નાનકડા ટોળામાં અત્યારે વીરરસનો સાગર ઊછળી રહ્યો હતો. થનગનતા અશ્વ ઉપર શોભતા વીર સરખી અધીરાઈ સહુના મુખ ઉપર દેખાતી હતી.

જનાર્દનની આંખમાં તેજ ઊભરાયાં. તે મનમાં બોલ્યા :

‘ગુજરાતની આ મર્દાનગી સદા કાયમ રહે !’

ક્ષણભર તેના હૃદયમાં ઉત્સાહનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો. ઉત્સાહના આવેશમાં તેણે ગરદન સહજ ઊંચકી. જે સ્થળે સ્મશાન સરખી ભયાનક શાંતિ હતી તે સ્થળમાં તેણે જીવનનો ઝરો વહેવરાવ્યો હતો; ગાઢ તંદ્રામાં શિથિલ થઈ સૂતેલા સમાજના એક ભાગને તેણે દોડતો બનાવી દીધો હતો. ફટાકડો ફૂટતાં થડકી જતાં હૃદયો બંદૂકના મૃત્યુમય ગર્જનને તુચ્છકારે એવાં બનાવી દીધાં હતાં. તેનાં પાપ બળી ભસ્મ થતાં ! તેની તપશ્ચર્યા ફળી ! દુર્બળને દેવ બનાવતી સંજીવન તેને હાથ લાગી ! તેની સાધનામાંથી સિદ્ધિ પ્રાપ્ત થઈ !…

ટિન્ !

મંજીરાંની જોડી થોડે દૂર ખખડી. અહંભાવમાં ઘસડાઈ જતો સાધક મંજીરાંનો એ રણકાર સાંભળી ચમકી ઊઠયો.

‘શું મેં જીવન નથી પ્રેર્યું ? તેના છોભીલા પડેલા અહંભાવે પ્રશ્ન કર્યોં.

ટિન્ !

ફરી મંજીરાંનો ટંકાર થયો.

‘હું કોણ ?’ મંજીરાંના ટંકારા સાથે જ જનાર્દનના હૃદયમાં પ્રતિપ્રશ્ન થયો. ધના ભગતને દોરતો કિસન અંધારામાંથી અજવાળામાં આવ્યો; જાણે જનાર્દનના પ્રશ્નનો ઉત્તર ન હોય !

‘આવો ભગત ! અત્યારે તમને જ હું ઝંખુ છું.’ જનાર્દને ધના ભગતને પાસે બોલાવ્યા. અભિમાનના પૂરમાં ઘસડાતા જતા તેના હૃદયને આ અંધ ભક્ત આશ્રયરૂપ લાગ્યો.

‘ભાઈ ! ભગવાનને ઝંખો. એની કિરપા હોય તો તણખલાના મેરુ બને.’ ધના ભગત બેસતાં બેસતાં બોલ્યા.

બે-ત્રણ આશ્રમવાસીઓ પરસ્પરની સામે જોઈ હસ્યા. એક જણે ધીમેથી કહ્યું :

‘ભગવાનને બીજો ધંધો જ નહિ હોય એમ દેખાય છે !’ પરંતુ બધાથી એ વાક્ય સંભળાયું નહિ.

‘ખરું છે, ભગત !’ જનાર્દન બોલ્યો. ‘નહિ તો આવી પ્રચંડ શહેનશાહતની સામે થઈ મરવાની મરદાનગી અમારામાં આવવી અશક્ય જ છે.’

‘સતને માટે મરવામાં મોક્ષ જ છે. પણ મરવાનોયે મોહ ન જોઈએ.’ ધના ભગતે મૃત્યુની કિંમત ઘટાડી દીધી. અહંભાવથી પ્રાપ્ત થયેલું મૃત્યુ પણ દૂષિત બને છે, સત્ત્વગુણથી ચડિયાતી એક માનસિક ભૂમિકા છે તેનું એ અંત્યજે સૂચન કર્યું. ગુણાતીત અવસ્થામાં જ માનવી ઈશ્વરસાન્નિધ્ય મેળવે છે; સત્ત્વગુણ ધારણ કરનારથી પણ તે આગળ વધી જાય છે.

જનાર્દનને પણ લાગ્યું કે આ યુવકોના પવિત્ર અને સાત્ત્વિક ઉત્સાહને હજી પણ વિશુદ્ધ બનાવવાની જરૂર છે. તે પોતે જ અહંભાવમાં ઘસડાઈ જતો હતો; પછી સ્વદેશ-સ્વધર્મ-સ્વાધિકારના આદર્શો સેવતા યુવકો તેમાં ઘસડાય એની નવાઈ નહિ. સહુમાંથી ‘સ્વ’ ટાળ્યા સિવાય પરમ વિશુદ્ધિ તો ન જ મળે.

‘ભગત ! તમને બોલાવ્યા છે તે ઈશ્વરસ્મરણ માટે. મને અને મારા મિત્રોને તે વગર એવું જ મિથ્યાભિમાન ઊપજશે કે સત્યકર્મોને કરનાર અમે જ છીએ. કાંઈ ભજન બોલો.’

‘જનાર્દને સંન્યાસી થઈ જવું જોઈએ.’ તેમ કરીને પણ અહીં રહેવું ન જોઈએ.”હિમાલય ચાલ્યા જવું.’ ‘નહિ તો આપણને બધાંને ભગતડાં બનાવી દેશે.’

જનાર્દન ન સાંભળે એમ આશ્રમવાસીઓમાં પરસ્પર વાત ચાલી. જનાર્દનની વધતી જતી ધર્મઘેલછા સહુને અણગમતી થવા લાગી હતી. જેમાં તેમાં ઈશ્વરસ્મરણનો આગ્રહ રાખવો એ સમય અને શક્તિનો નિરર્થક વ્યય કરવા સરખું હતું.

‘હજી હિંદુસ્તાન ધર્મથી ધરાયું લાગતું નથી.’ કોઈ બબડી ઊઠતું.

છતાં જનાર્દનના કાર્યથી વિરુદ્ધ પડવાની તત્પરતા કોઈ બનાવતું નહિ. ઈશ્વરસ્મરણની ફરજ સહુને માથે નહોતી એટલે જેમને પ્રાર્થનામાં શ્રદ્ધા ન હોય તે પ્રાર્થનામાં સામેલ ન થાય તોપણ ઘણી વખત પ્રાર્થનાગીતના રસભર શબ્દો, શબ્દઘોર, શબ્દભાવ વગેરેથિ આકર્ષાઈ અશ્રદ્ધાળુઓ પણ તેમાં સામેલ તો થતા જ.

દેશભક્તે પ્રભુભક્તની સહાય લીધી. ધના ભગતે એકતારાને ઝણઝણાવ્યો અને મંજીરાંની મધુર કિણકિણી શરૂ કરી.

‘ધના ભગત ! શું ગાશો ?’ એક જણથી રહેવાયું નહિ, તેણે પૂછયું.

‘આવડશે એવું ભગવાનનું નામ ! બીજું શું ?’

‘ભગવાનનું નામ બહુ થઈ ગયું. કાંઈ શૂર ચડે એવું ગાઓ. અમે તો રણે ચડવાના છીએ.’ એક બહાદુરે સૂચના કરી.

‘એમ કે બાપા ? ભલે; ભલે; રણે ચડો. પણ ભાઈ ! ભગવાનના મારગમાં કાયરનો પગ નથી, હોં ! ભક્તિ ખાંડાની ધારથીયે તીણી છે. એમાંયે મરવું પડે છે !’

એટલું કહી ધના ભગતે એકતારાના નાદ સાથે પોતાનો સાદ મેળવી ભજન લલકારવા માંડયું :

રસના ભર્યા રે, એ તો રંગના ભર્યા.

શૂરના સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

માથાં મૂક્યાં છે કાપી હાથવડે વેગળાં,

જોગણીનાં ખપ્પરોને ભાવે ભર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

વાજે છે ડંકા ને ગાજે અનાહત,

સોહં સોહં નાદ શંખે પૂર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

તપનાં તો તીર અને ભક્તિતણા ભાલા,

પ્રેમના પટા રમે એ સંતો નર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

ઝૂઝે છે વીર ધીર, ખેલંતા મર્દખેલ,

કામ ક્રોધ લોભના ચૂરા કર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

ધારી જે ટેક નેમ મારતાં ચૂકે નહિ,

મુક્તિને દ્વાર એ તો જઈને ઠર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

નીરખે છે નેણ ભરી આત્માની જ્યોતને,

એવા મરજીવા સાચા મર્યા.

શૂર સાચના સિપાઈઓ આનંદ ભર્યા.

શરૂઆત એકલા ધના ભગતે કરી, જરા રહી તેની સાથે કિસને પોતાનો સાદ મેળવવા માંડયો. જનાર્દન કિસનની સાથે ગાવામાં સામેલ થયા. હાસ્ય, રુદન અને સંગીત એ માનવહૃદયની ભાવત્રિવેણી : તેનાં વહન શરૂ થાય એટલે તે સહુને પ્રવાહમાં ખેંચી જ જાય. સંગીતના એક-બે શોખીનોએ પણ ધીમે ધીમે પોતાનો સાદ તેમાં પૂર્યો. સહુનાં હૃદય હાલવા લાગ્યાં અને જેનાથી ન રહેવાયું તેમણે ગીતને ઝીલવા માંડયું. ગીત ઘટ્ટ બનતું ગયું. વિવિધ નાદ છતાં તેમાંથી એક જ રવ અને એક જ તાલ સ્પષ્ટ તરી આવતો હતો. અનેકમાં એકનું દર્શન કરાવતા આ સમૂહસંગીતે બાકી રહેલાંને પ્રવાહમાં ઘસડયાં અને થોડા સમયમાં એકએક વ્યક્તિએ ગીત ઝીલવા પણ માંડયું.

ગીતઘેલા બનેલા સમાજે ગીતની ધૂનમાં જોયું પણ નહિ કે ટોળાની પાછળ ચાર-પાંચ સરકારી અમલદારો પણ આવીને ઊભા હતા. સરિતાની વેગમાં સહુ ઘસડાય છે. કેટલાક પર્વતો અને ટેકરાઓ પ્રવાહની સામે અડગ ઊભા રહે છે, અને સરિતાને તેનો પ્રવાહ ફેરવવાની આવશ્યકતા ઊભી કરે છે. પહાડ સરખા સરકારી અમલદારો આવા સંગીત-પ્રવાહમાં ઘસડાય તો તેમની અચલ પ્રતિષ્ઠા ઘટી જાય. અમલદારો સંગીતથી પર રહ્યા. રાજ્ય-અમલમાં સંગીતના માર્દવને અવકાશ છે જ નહિ. આર્યસ્મૃતિકારોએ પોતાના નિયમો શ્લોકબદ્ધ રચનામાં યોજી સંગીતનું મહત્ત્વ સ્વીકારેલું છે; પરંતુ દયાસાગર ઈસુના અનુયાયીઓનાં શાસનોમાં મીઠાશની જરૂર રહી જણાતી નથી. કર્કશ, કઠોર અને કઠણ ગદ્યમાં રચાયલા તેમના નિયમો એ કંઈ કઠોરતાનું પ્રતિબિંબ હશે ?

‘શો આ વેશ કાઢયો છે ? ભજનો ગાયે તે સ્વરાજ્ય મળે ?’

નૃસિંહલાલે પોતાની પાસેના એક બીજા પોલીસ અમલદારને કહ્યું. તે અમલદાર પણ હસતા હતા. ઈશ્વરની સહાય શોધતા અસહાય પામર માનવીઓથી શસ્ત્રસજ્જ અને કાર્યદક્ષ બ્રિટિશ શાસનની સામે થઈ શકાય એમ માનવા તેમનું મન ના પાડતું હતું; લોકોનો આ કંગાલ પ્રયત્ન હાસયપાત્ર હતો. તેઓ હસ્યા અને બોલ્યા :

‘જુઓ ને, નૃસિંહલાલભાઈ ! સ્વરાજ્ય મળવાનું હશે ત્યારે મળશે. પણ આ બહાને, આંધળા લૂલા કીરતનિયાઓ, ધંધારોજગાર વગરના પરવારતાઓ, અને પારકે પૈસે મઝા કરનાર ખટપટિયાઓને તો રોટલો મળશે !’

વિરુદ્ધ પક્ષનો તિરસ્કારભર્યો ઉલ્લેખ કરવામાં મઝા આવે છે; પરંતુ પોતાના સહકર્મચારીની ટીકા સાથે નૃસિંહલાલ પૂરેપૂરા સંમત થયા નહિ. ધનો ભગત ચક્ષુરહિત હતો; કોઈ અપંગ માનવી પણ એ ટોળામાં હશે; ધંધા વગરનો મુફલિસ અને ખાનગી લડાઈઓમાંથી પોષણ મેળવતો કોઈ ખટપટિયો પણ તેમાં સ્થાન પામ્યો હોય; એ બધું ખરું પરંતુ જનાર્દન તો સંસ્કારી હતો, અરુણે ઊંચી કેલવણી લીધી હતી અને નૃહસિંહલાલનો જ પુત્ર આમાં સામેલ થયો હતો. એને મુફલિસ કે ખટપટિયો કેમ કહી શકાય! આ હિલચાલમાં એવું તે શું આકર્ષણ હતું કે સરકારનું નિમક ખાનારા વફાદાર અમલદારોના ભણેલાગણેલા સંસ્કારી પુત્રો પણ તેમાં જોડાયા હતા ?

નૃસિંહલાલના વિચારો અટક્યા. ભજન એકાએક બંધ થયું અને આખા વાતાવરણમાં શાંતિ છવાઈ રહી. એ શાંતિમાં પણ ગીતનાં અશબ્દ આંદોલનો ઊછળી રહ્યાં હતાં. પાંચેક ક્ષણની દિલ હલાવતી નઃશબ્દતામાંથી એક ઊંચો સ્વર પ્રગટી નીકળ્યો :

‘વંદે….!’

ભેગી થયેલી સમગ્ર જનતાએ તેની પ્રચંડ પુરવણી કરી :

‘માતરમ્ !’

ફરી એક વાર સૌએ ગર્જના કરી :

‘વંદે….માતરમ્ !’

માતાને સહુ કોઈનાં વંદન હો ! અંધ હોય કે અપંગ હોય, ખલ હોય કે સાધુ હોય, અમીર હોય કે ફકીર હોય, રાય હોય કે રૈયત હોય, વિદ્વાન હોય કે વિદ્યારહિત હોય, તોપણ માતા માતૃભૂમિ સહુનાં વંદન ઝીલે છે, સહુને પોતાની છાતી સાથે ચાંપે છે, સહુને પોતાના ખોળામાં સુવાડે છે. મા અને માતૃભૂમિને સ્વર્ગથીયે મોંઘાં કહ્યાં છે એમાં શું ખોટું છે ?

જગતનાં રાજ્યશાસનોમાં માતૃત્વની ભાવના જ્યાં સુધી નહિ જાગે ત્યાં સુધી તેમાં કઠોરતા રહેવાની. અશક્ત અને અપંગને ભૂખે મરવ દેનાર માનસિક દુર્લભતાના દયાપાત્ર દર્દીઓને તેમનાં સ્ખલનો માટે સજા કરી કેદમાં પૂરનાર, ઊંચનીચ અને ગરીબતવંગરના ભેદને સ્થાયી બનાવનાર, હારજીતની પટાબાજી ખેલી પડોશની પ્રજાઓ સાથે નિરંતર કજિયો કરનાર રાજ્યસત્તા કે વંદનયોગ્ય માતા નથી| એ તો કોઈ રુધિરતરસી રાક્ષસી છે. જેને વંદેમાતરમ્ના જયઘોષથી હિંદવાસીઓ વધાવે છે એ માતાને રુધિર ખપતું નથી. એ પરમ સાત્ત્વિક જનની આખા જગતને અહિંસા, દયા અને પ્રેમનો આદેશ આપતી ઊભી છે ! માનવજાતનો વિકાસ પશુતા ઉપર અવલંબીને રહ્યો નથી પણ પ્રેમ ઉપર અવલંબીને રહ્યો છે, એના પ્રત્યક્ષ દૃષ્ટાન્ત રૂપ બનેલી મૈયાને સદાય વંદન હો !

‘વંદે…માતરમ્ !’

જયધ્વનિ ચાલુ જ હતો. અરુણે ટોળાની પાછળ ઊભેલા પોલીસ અમલદારને જોયા, એટલું જ નહિ; પરંતુ પોતાના જૂના દોસ્ત રહીમખાનને પણ જોયો. રહીમખાન મૅજિસ્ટ્રેટ હતો.

કૉલેજમાં બંને સાથે હતા. કૉલેજમાં અરુણ અને રહીમ એક જ જાતની અભિલાષા સેવતા. હિંદની મુક્તિ માટે તેમણે અનેક યોજનાઓ ઘડી મૂકી હતી; પરંતુ વિદ્યાભ્યાસ મૂક્યા પછી અરુણ હંસાવાદી ક્રાંતિકારીઓમાં ભળ્યો, જ્યારે રહીમ અંગ્રેજ સરકારની મુસ્લિમોને મેળવી લેવાની યોજનાનો લાભ પામી એકદમ સરસ નોકરીએ ચડી ગયો.

એમાં રહીમનો વાંક નહોતો. અરુણના પિતા એક અમલદાર હતા, એને જોકે તેણે આત્મદમનથી પોતાની જરૂરિયાતો ઘણી જ ઓછી કરી નાખી હતી, છતાં તેને આર્થિક સગવડ વેઠવાની જરૂર નહોતી. રહીમ એક ગરીબ મુસલમાનનો પુત્ર હતો; તેના પિતાનું ભારે દેવું તેણે આપવાનું હતું; કુટુંબના ભરણપોષણનો ભાર તેને માથે હતો; તેનાં લગ્ન નાનપણમાં થયેલાં હતાં; તાત્કાલિક કમાણી મેળવ્યાદ્ સિવાય તેને છૂટકો નહોતો. હિંદુમુસ્લિમ સંગઠનમાંથી ઉદ્ભવતા પ્રચંડ રાષ્ટ્રવાદના પડઘા સાંભળી સ્વરક્ષણ શોધતી પરદેશી રાજ્યપ્રણાલિકાએ બંને કોમના અહંભાવને જાગૃત કર્યો અને તેણે મુસ્લિમોને રાજ્યસેવામાં વિશેષ લાભ આપવાની દેખીતી રાજનીતિ ધારણ કરી, એ અહંભાવને પોષવા માંડયો. ગરીબ રહીમને એકાએક ડેપ્યુટી કલેક્ટરની જગા મળી, અને અરુણે જ તે જગા સ્વીકારવા તેને આગ્રહ કર્યે.

અરુણ આગ્રહમાં અર્થ સમાયેલો હતો. રહીમનો ઉપયોગ ખરે વખતે સારી રીતે થઈ શકશે એમ તેને ખ્યાલ હતો. હિંસક ક્રાંતિવાદના ગુપ્ત પ્રચારકાર્યમાં સરકારી નોકરીને પણ સ્થાન હતું.

પરુંતુ રહીમ કૉલેજનાં સ્વપ્ન ભૂલી સરકારી નોકરીના યંત્રનો ઉપયોગી વિભાગ થઈ પડયો હતો. હિસાબભર્યા ક્રાંતિવાદનાં વિવિધ ચક્રોની ઘટના નિહાળી અરુણ એક વર્ષ માટે અહિંસનો અખતરો કરવા તત્તપર થયો હતો; પરંતુ અહિંસા ક્રાંતિની વિરોધી નથી – ખૂનામરકીની વિરોધી છે. સ્થાપિત રાજશાસન ક્રાંતિનું વિરોધી છે, પછી તગે ક્રાંતિ હિંસાભરી હોય કે અહિંસાભરી. રાજશાસનની કોઈ અસહ્ય ઊણપમાં ક્રાંતિનો જન્મ છે. વ્યક્તિની માફક સમષ્ટિને પણ મિથ્યાભિમાન થાય છે. રાજશાસન પોતાની ખામી કે ઊણપ દેખી શકાતું નથી, એટલે એ ખામી તરફ જે કોઈ આંગળી ચીંધે એને તે પોતાનો દુશ્મન જ દેખે છે; પછી એ ખામી બતાવનાર કોઈ દયાનો સાગર ગાંધી હોય કે ઝારનું કુટુંબનિકંદન કરી નાખનાર વજ્રહૃદયયી લૅનિન હોય !

બંને મિત્રો – અરુણ અને રહીમ સામસામા પક્ષમાં ઊભા હતા, આવતી કાલની સવારમાં ધ્વજ-સરઘસનું તૂત ઊભું કરી લોકોને ખરીખોટી રીતે ઉશ્કેરવા મથનાર જનાર્દન અને અરુણ સરખા ચક્રમોને સમજાવવા અને ન સમજે તો ડરાવવા મૅજિસ્ટ્રેટ તેમ જ અમલદારો હાજર થયા હતા.

બંને પક્ષ ધર્મસંકટ ઊભું કર્યું હતું. અરુણ અને રહીમ જીવજાન મિત્રો હતા; ખુદ પોલીસ અમલદાર નૃસિંહલાલનો જ પુત્ર કંદર્પ સરઘસમાં ધ્વજ લઈને મોખરે ચાલવાનો હતો.

‘આવો મૅજિસ્ટ્રેટ સાહેબ ! નૃસિંહલાલભાઈ ! પધારો.’ વંદે માતરમ્ની ગર્જના શમ્યા પછી જનાર્દને વિવેક કરી બંને અમલદારોને આવકાર આપ્યો.

અહિંસાવાદમાં કોઈ વ્યક્તિ પ્રત્યેની શત્રુતાને સહેજ પણ અવકાશ નથી. અહિંસાવાદને કોઈ સમાજઘટના સાથે નહિ, એ સમાજઘટનાને શક્ય કરતી કોઈ વિચારપ્રણાલિકા સાથે શત્રુતા હોય છે. વ્યક્તિ પ્રત્યે તેને વેર નથી. વ્યક્તિમાં આવિષ્કાર પામતા કોઈ બેડોળ માનસ પ્રત્યે તેને વેર છે. વ્યક્તિનો નાશ કર્યાથી પરંતુ વ્યક્તના માનસને ફેરવ્યાથી પોતાનું કાર્ય સિદ્ધ થયું તે માને છે. બંધ અણે મોક્ષના કારણરૂપ મન છે, શરીર નહિ. એ ગીતાના મહાકાવ્યને ફીલસૂફીના પટામાંથી બહાર કાઢી, સામાન્ય જીવન વ્યવહારમાં પણ તેને ઉપયોગમાં લેવાનો અખતરો અહિંસામાં સમાયેલો છે.

એટલે રાજ-અમલની સામે ઝૂઝવા છતાં અમલદારો જાત પ્રત્યે અહિંસાવાદીને વે ઉત્પન્ન થવું ન જોઈએ. જનાર્દન સરખો અહિંસાવાદી

મૅજિસ્ટ્રેટ અને નૃસિંહલાલ જનાર્દનની પાસે જઈ બેઠા.

License

દિવ્યચક્ષુ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.