કાવ્યના સાટામાં ચુમ્બન!

‘સિદ્ધાર્થ’ જર્મન લેખક હરમાન હેસ્સેની પ્રસિદ્ધ નવલકથા છે. હેસ્સેએ અઢી હજાર વર્ષ પહેલાંના ભારતવર્ષની ભૂમિકામાં એ કથા લખી છે. ગૌતમ બુદ્ધનું બીજું નામ સિદ્ધાર્થ હતું, પરંતુ આ નવલકથાનો સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધથી જુદો, એમનો તરુણ સમકાલીન છે. ગૌતમ અને આ સિદ્ધાર્થ વચ્ચે એક સામ્ય હતું અને તે હતું પરમ શાંતિની શોધ. ગૌતમે લગ્ન પછી અને જરાવ્યાધિ અને મૃત્યુનાં દર્શન પછી પત્ની અને નાના પુત્રને ત્યજીને મહાભિનિષ્ક્રમણ કર્યું હતું. એક રીતે એમણે રાજપાટ છોડી દીધું, પણ આ સિદ્ધાર્થ તો પહેલેથી જ પરમની શોધમાં જવા દૃઢસંકલ્પ છે અને લગભગ કાચી વયે જ પોતાના એક સાથી ગોવિંદ સાથે ગૃહત્યાગ કરી તપની દિશામાં ચાલ્યો જાય છે.

સાધનાની અને સિદ્ધિની અનેક ભૂમિકાઓમાંથી એ પસાર થાય છે, પણ એની શોધ પૂરી થતી નથી. એટલે સુધી કે ગૌતમ બુદ્ધને સાંભળ્યા પછી પણ એને કોઈ અંતિમ માર્ગ જડતો નથી. એ ચિર અન્વેષી છે. અન્વેષણની વૃત્તિ એને એ સમયની પ્રસિદ્ધ રૂપસુંદરી અને ચોસઠ કલાનિપુણ ગણિકા કમલા પાસે લઈ જાય છે. ફાટેલાં ચીવર પહેરેલો શ્રમણ સિદ્ધાર્થ કમલાને એના સુંદર બગીચામાં જ્યારે જુએ છે ત્યારે એ ‘તપસ્વી’ એના રૂપથી મુગ્ધ થઈ જાય છે. કમલા પાસે જઈને એ માગણી કરે છે : ‘મને પ્રેમની કલા શિખવાડ.’

આંખોમાં કામણ આંજી કમલા એને પૂછે છે : ‘તને શું આવડે છે?’

સિદ્ધાર્થે જવાબ આપ્યો :

હું રાહ જોઈ શકું છું.
હું વિચાર કરી શકું છું.
હું ઉપવાસ કરી શકું છું.

પણ આટલી વસ્તુ જ પર્યાપ્ત નહોતી, પ્રેમની કલામાં કમલાનો શિષ્ય બનવા માટે.

“બીજું કંઈ નથી આવડતું તને?” એમ કમલા પૂછે છે.

એટલે સિદ્ધાર્થ કહે છે :

“કંઈ નહીં, પણ હા, હું કવિતા રચી શકું છું. કમલા, તું મને કાવ્યના સાટામાં ચુંબન આપીશ?”

(Will you give me a kiss for a poem?)

નવલકથા વાંચતાં વાંચતાં આ પ્રસંગ આવતાં જરા થંભી જવાયું હતું. ‘A Kiss for a poem?’ – કાવ્યના સાટામાં ચુંબન? કેટલો મોટો ઉપહાર માગ્યો હતો સિદ્ધાર્થે કમલા પાસેથી? કમલાએ કાવ્યના સાટામાં ચુમ્બન આપવાની હા પાડી, શરત એટલી હતી કે એ કાવ્ય એને પસંદ આવવું જોઈએ. સિદ્ધાર્થે શીઘ્ર કવિતા રચી દીધી :

Into her grove went the fair Kamala,
At the entrance of the grove stood the brown
Saman.
As he saw the lotus flower,
Deeply he bowed.
Smiling acknowledged Kamala,
Better, thought the young Samana
To make sacrifices to the fair Kamala
Than to offer sacrifies to the gods.

પ્રતિભાવમાં કમલાએ તાલીઓ બજાવી અને એનાં કંકણ રણકી ઊઠ્યાં. એણે કહ્યું, “તારી કવિતા ઘણી સરસ છે અને એ માટે તેને ચૂમવામાં કશું ગુમાવવાનું નથી.”

અને એ ચુમ્બન કરવા તત્પર થઈ. તરતના કાપેલા અંજીર જેવા

કમલાના રતુંબડા હોઠ પર સિદ્ધાર્થે પોતાના હોઠ મૂક્યા અને પ્રણય કલાવિશારદ કમલાનું એક ચુમ્બન પામતાં જ મુગ્ધ સિદ્ધાર્થ અંદરબહાર અવળસવળ થઈ ગયો. જીવનની એક નવી જ અભિજ્ઞતા એને મળી. હવે પછી હરમાન હેસ્સેના શબ્દો જ કામ લાગશે :

Kamala kissed him deeply, and to Siddhartha’s great astonishment he felt how much she taught him, how clear she was, how she mastered him, repulsed him, and how after this long kiss, a series of other kisses, all different, awaited him… At that moment he was like a child astonished at the fullness of knowledge and learning which unfolded itself before his eyes…

માર્લોના ફાઉસ્ટે પોતાનો આત્મા શેતાનને વેચીને જ્યારે હેલનની માગણી કરી અને હેલન આવીને ઊભી રહી ત્યારે ફાઉસ્ટ બોલી ઊઠેલોઃ

Sweet Helen, Make me immortal with a kiss.

એક ચુમ્બન કરી તું મને અમર બનાવી દે.

તપનો માર્ગ છોડી સિદ્ધાર્થ પણ કમલાનો પ્રણયી શિષ્ય બને છે, પણ કવિતાથી એટલું તો ધન નથી મળવાનું કે તે કમલાનો મિત્ર બની શકે, એટલે કમલાના સૂચનથી વેપારમાં પડી અઢળક કમાય છે પણ પછી વાત લાંબી અને જુદી છે. એમાં પણ અંતે ખોજ તો રહી છે અને એ ખોજને અંતે સિદ્ધાર્થને એનો જવાબ મળ્યો છે નદી પાસેથી. વહેતા રહેવાનો જવાબ, વહેતા જીવનનો જવાબ.

આ ‘સિદ્ધાર્થ’ કૃતિ ઉપરથી એક સુંદર ફિલ્મ અંગ્રેજીમાં ઊતરી છે. કોનરેડ રુક્સ દિગ્દર્શિત એ ફિલ્મમાં સીમી ગરેવાલે કમલાની મોહક ભૂમિકા કરેલી છે. થોડાં વર્ષ ઉપરની જ વાત છે.

હું આ બધી લાંબી ભૂમિકા તો એટલા માટે કરી રહ્યો છું કે એક કાવ્ય શું અને કેટલું કહી શકે તે કહેવા. આજના જમાનામાં એક કાવ્યની કેટલી શક્તિ? કેટલી ઉપયોગિતા? કાવ્ય વાંચવાની જરૂર ખરી? કાવ્ય રચવાની જરૂર ખરી? કેટલા કવિઓ કાવ્ય રચતાં રચતાં ફના થઈ ગયા છે? કવિતા એમને માટે ધર્મ, પંથ, ઈશ્વર જે કહો તે, અને છતાં ઓડેન જેના કવિને જ કહેવું પડે : Poetry can make nothing happen. કાવ્યથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય નહીં. છતાં હજારો વરસથી કવિતા રચાતી આવે છે, વંચાતી આવે છે. ભલે અલ્પસંખ્ય લોકોમાં પણ એ અલ્પસંખ્ય લોકો ભાષાની, સંવેદનાની સૂક્ષ્મતાને જાળવી રહ્યા છે.

આવું એક અલ્પસંખ્ય લોકો-રસિકોનું એક ભાવકવૃન્દ દર મંગળવારે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવનમાં છેલ્લા એક વરસથી કવિ નિરંજન ભગતને કવિતા વિષે બોલતા સાંભળવા આવે છે. આ મહાનગરની પચ્ચીસ લાખની વસતીમાં માત્ર પચ્ચીસ કાવ્યપ્રેમીઓનું મળવું એ પણ એક ઘટના છે. આશ્ચર્ય એ છે કે, એમાં ભાષાસાહિત્યના રૂઢ પ્રોફેસરો ભાગ્યે જ આવતા હોય છે. તરુણો ઘણા છે. વેપાર વ્યવસાયમાં પડેલા શ્રી દિનેશ દલાલ જેવા તો હોય, કાવ્યરસિક ગૃહિણીઓ પણ હોય, મંગળવારે સાંજે છ વાગ્યે એટલે નિરંજન ભગતની વાણી વહેતી થાય.

એ વાણી આખા વિશ્વની શબ્દસૃષ્ટિમાં લઈ જાય. એક મંગળવારે તેઓ ગ્રીક કવયિત્રી સાફો વિશે બોલતા હતા. ઈ.સ. પૂર્વે થયેલી આ કવયિત્રીને મીરાં સાથે સરખાવતાં એનાં સજાતીય પ્રેમકાવ્યોની ચર્ચા કરી હતી. નારીના નારી માટેના પ્રેમ માટે વપરાતી સંજ્ઞા ‘લેસ્બિયાનિઝમ’ લેસ્બોસની આ કવયિત્રી સાથે જોડાય છે. એની એક કાવ્યપંક્તિ આવી હતી :

“હું મારા નાનકડા હાથથી સ્વર્ગને કેવી રીતે અડકી શકું?”

સ્વર્ગ કેટલે ઊંચે? અને મારો હાથ? માનવની લઘુ-સીમિત શક્તિ અને બીજી બાજુ અનંત વિશ્વ. આ બે વચ્ચેના વિરોધની એક અલંકાર વિનાની સાદી પંક્તિમાં કેવી સચોટ અભિવ્યક્તિ છે! સાફોની કવિતામાંથી વિરહની વેદના ટપક્યા કરે છે, આજે બે-અઢી હજાર વરસથી. કદાચ એટલાં જ વર્ષનો અંતરાલ પાર કરી એક બીજા કવિની વાણી પહોંચી હતી એ પહેલાંના એક મંગળવારે. લેટિન કવિ કાતુલ્લુસની. એની એક લઘુ કવિતા હતી :

હું ચાહું છું
અને હું ધિક્કારું છું.
તમે કહેશો એ કેવી રીતે બને?
હું એ જાણતો નથી, પણ એની વ્યથા જાણું છું.

વ્યથા. agony એનો અંગ્રેજી પર્યાય છે, પણ એ માટે મૂળ લેટિનમાં જે શબ્દ છે તેનું ચિત્ર તો કંપાવી દે તેવું છે : એક વ્યક્તિને સજારૂપે, એનો એક હાથ એક દિશામાં જતા ઘોડા સાથે અને બીજો હાથ બીજી દિશામાં જતા ઘોડા સાથે બાંધી – એ બન્ને ઘોડાને બે વિરુદ્ધ દિશામાં દોડાવવામાં આવે. ‘ક્રોસ’નો પર્યાયવાચી એ શબ્દ, અંગ્રેજી ‘એગની’ કે ‘વ્યથા’માં એની તીવ્રતા ક્યાંથી? બે વિરોધીભાવો વચ્ચે રહેંસાતા કવિની આ કવિતા ક્યારેક આપણે આપણા જીવનમાં નથી અનુભવતા? કાવ્ય આપણી સંવેદનાનો વિસ્તાર લાધે છે. આપણી ચેતનાને સમૃદ્ધ કરે છે. કવિતા ન રચાતી હોત તો, સુંદર શું એ કદાચ ન જાણવા પામત. કવિતા ન રચાતી હોત તો, પ્રેમ શું એ કદાચ ન અનુભવી શકત. જૈવ આકર્ષણ – નર અને નારી વચ્ચેનું આકર્ષણ – એ પ્રેમ નથી જ નથી. પ્રેમ જુદી જ ચીજ છે એ કવિતા કહે છે. એ ચૂપચાપ કહેતી હોય છે, ધૂમધડાકાથી નહીં. એનો અવાજ બહુસંખ્ય લોકોને સંભળાતો નથી, પણ એ બહુસંખ્ય લોકોની ભાષા છેવટે તો સંસ્કારાતી હોય છે કવિતાથી. એલિયટે એટલે તો કવિતાના સામાજિક પ્રયોજનની વાત કરી છે.

એલિયટે કહ્યું છે કે, ભલે બધા માણસો કવિતા ન વાંચતા હોય, પણ જો એમ સાંભળવા મળે કે અમુક ભાષામાં કવિતા રચાતી બંધ થઈ ગઈ છે, તો એક મહારોગનું ચિહ્‌ન સમજવું. એ ભાષાની સૂક્ષ્મ અભિવ્યક્તિ ધીરે ધીરે મરી જવાની, ભાષા સપાટ બની જવાની. એટલે કવિતા ન વાંચનાર વ્યક્તિ પોતે જ ભાષામાં વ્યવહાર કરે છે, એની એ. ભાષા જાડી બની રહે, આખા સમાજને એથી અપાર હાનિ થવાની. એટલે ભલે કવિતા રચનાર અલ્પસંખ્ય કવિઓ અને એના ભાવકો હોય, પણ એ અંતે તો આખા સમાજની ભાષાને સજીવ રાખે છે.

ભોળા સિદ્ધાર્થને કદાચ ખબર નહીં હોય, છતાં પોતાને આવડતી આ એક જે કલા, એની વાત કરી કલાકોવિદ રૂપસુંદરી કમલાને એક અકિંચન તપસ્વીએ લાગલો જ પ્રશ્ન કરેલો :

Will you give me a kiss for a poem?

એક ચુમ્બનમાં કેટલું બધું હોઈ શકે, એની સિદ્ધાર્થને આ પહેલાં ક્યાં ખબર હતી? કવિતાએ એને એનું ચુમ્બન રળી આપ્યું. એ ચુમ્બને સિદ્ધાર્થને જીવનમાં અનંત સમૃદ્ધિની અભિજ્ઞતા આપી. કવિતાનું પણ એ જ કાર્ય છે.

[૨૮-૫-૮૯]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.