પરિચય

પ્રહ્લાદ જેઠાલાલ પારેખ
(જ.૨૨, ઑક્ટોબર ૧૯૧૧ – અવ. ૨, જાન્યુઆરી ૧૯૬૨)

ગાંધી-વિચાર-સંવેદના ધરાવતી દક્ષિણામૂર્તિ શાળા (ભાવનગર)માં અભ્યાસ કરીને પછી ૧૯૩૦ની આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ કરનાર પ્રહલાદ પારેખની કવિતામાં ગાંધી-પ્રેરિત માનવ-કરુણા તો છે જ, પરંતુ એમની કવિતા સમાજ-અભિમુખ રહેવાને બદલે સૌંદર્ય-અભિમુખ બને છે –એ એનો વિશેષ છે. એમની ૨૨ની વયે ચાર વરસ એ શાંતિનિકેતનમાં, રવીદ્રનાથના સાન્નિધ્યમાં રહે છે, એ એમની કવિતાની દિશા બદલવામાં નિર્ણાયક બને છે. ત્યાંથી આવીને એ જીવનભર શિક્ષક રહે છે –પહેલાં ભાવનગરમાં પછી ઘણો વખત મુંબઈમાં. ત્યાં જ ૫0ની વયે એમનું અવસાન. એમનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘બારી બહાર‘. એ ઉપરાંત એમણે ‘સરવાણી‘ નામે ગીતસંગ્રહ આપ્યો. બાળકો માટે કાવ્યો અને વાર્તાઓ લખી. (જે અપ્રગટ છે.) એ ઉપરાંત એમણે ભાઈબહેનના શૈશવનું નિરૂપણ કરતી એક સળંગ ગદ્યકથા પણ પ્રકાશિત કરેલી.

કૃતિ-પરિચય

બારી બહાર (૧૯૪૦)ની કાવ્યરચનાઓ ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપે છે. ગાંધીયુગીન કવિતાના સામાજિક વાસ્તવમાંથી, ઇદ્રીયાનુભવોના આંતર-વિશ્વમાં સરકતી આ કવિની કવિતા માનવ-સંવેદનાનો ઝીણો તાર રણકાવતી, હૃદયના નાજુક ભાવોને મધુર છંદ-લયથી વ્યક્ત કરતી રહે છે. એ કાવ્યરચનાઓ પ્રેમ, પ્રકૃતિ અને સંવેદન-પ્રેરક વિષયોને ગીતો દ્વારા, સંસ્કૃત છંદોમાં તેમજ માત્રામેળી લયોમાં નિરૂપણ પામી છે. ‘બારી બહાર’, ‘આજ અંધાર…’, ‘જૂઈ’, ‘વાતો’, ‘વિદાય’, ‘ઘાસ અને હું’ એમનાં ખૂબ જ જાણીતાં થયેલાં કાવ્યો છે. ‘બારી બહાર’ની અનેક આવૃત્તિઓ થઈ છે એ પણ આ કાવ્યોની મહત્તા બતાવે છે.

તો, એ સંવેદન-રંગો અને સૂરોના કવિતા-પ્રવાહમાં પ્રવેશીએ…

(પરિચય – રમણ સોની)

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.