આંતર દર્શન : ઉમાશંકર જોશી

પ્રહલાદ પારેખની કવિતા વિશે–

૧. ‘નીતરાં પાણી’

૧૯૩૧થી ૧૯૪૦ એ દસકો ગુજરાતી સાહિત્યમાં કવિતાનો ગણાશે. સિદ્ધહરત કવિઓમાંથી પણ કવિશ્રી, પ્રો. અને કવિશ્રી ન્હાનાલાલ, પ્રો. ઠાકોર અને કવિશ્રી ખબરદારની મહત્ત્વની ગણી શકાય એવી કાવ્યપ્રવૃત્તિ આ દસકાને ફાળે જમા થઈ છે. ન્હાનાલાલના મહાકાવ્ય ‘કુરુક્ષેત્ર’ ના મોટા ભાગના કાંડ આ દસકામાં પૂરા થતાં અર્વાચીન ગુજરાતને એક દીર્ધકાવ્યરૂપ રચના મળે છે. ખબરદારે મનનપ્રધાન પદ્યગ્રંથ ‘દર્શનિકા’ આપ્યો તે પણ આ દસકામાં જ. અને પ્રો. ઠાકોરના સૉનેટ, ખંડકાવ્ય, વર્ણનકાવ્ય અને કથાકાવ્યના અનેક નવા નવા પ્રસિદ્ધ અપ્રસિદ્ધ પ્રયોગોનો સમય તે પણ આ. તે પછી કાવ્યક્ષેત્રમાં જેમનો પ્રવેશ થયો તે ‘શેષ’નાં પણ મોટા ભાગનાં કાવ્યો આ સમયમાં રચાયાં. આગલા દસકામાં જ કવિ તરીકે પ્રતિષ્ઠા પામી ચૂકેલા એવા મેઘાણી, સ્નેહરશ્મિ અને ચંદ્રવદનના કાવ્યસંગ્રહો આ દસકામાં મળ્યા એટલું જ નહિ પણ તેમની મુખ્ય મુખ્ય રચનાઓ પણ આ સમય દરમ્યાન થઈ.

પણ આ દસકાને કવિતાને માટે સર કરી લીધો તે તો મનસુખલાલ, ઇન્દુલાલ, સુંદરજી બેટાઈ, શ્રીધરાણી, સુંદરમ્, પતીલ, કરસનદાસ માણેક, બાદરાયણ, રામપ્રસાદ શુકલ, પૂજાલાલ વગેરે નવકવિઓના વેગ અને આવેગભર્યા પ્રયત્નોએ. આ નવીનોએ થોડી વાર તો જાણે કે ગુજરાતને કાવ્યપ્લાવિત કરી મૂક્યું. થોડીવાર સૌને એ ગમ્યું પણ ખરું. પણ પછી તરત તેનો પ્રતિકાર પણ શરૂ થયો. એ કુદરતી હતું. નવી કવિતા સમાજજીવનની જેટલી કડક વિવેચના કરતી ન હતી તેટલી સમાજે નવી કવિતાની કરવી શરૂ કરી. એ સમયમાં નવકવિઓએ ડહોળી નાખેલા વાતાવરણમાં આવવાનું સદ્ભાગ્ય કહો કે દુર્ભાગ્ય કવિઓના એક બીજા નવતર સમુદાયને મળ્યું. એ નવતર કવિઓની હારમાં સહેજે ઝળકી આવે એવા ‘સ્વપ્નરથ’, ‘ઉપવાસી’, અરાલવાળા, ‘કોલક’, પ્રબોધ-પારાશર્ય, હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રજારામ રાવળ, ગોવિંદ સ્વામી, અશોક હર્ષ, નાથાલાલ દવે, પ્રહ્લાદ પારેખ, –કેટલાં નામ ગણાવવાં? પણ આ જેવાં છે તેવાં નામની માળા આગળ ચલાવતાં જ દૂર અદૂરના ભવિષ્યમાં વચ્ચે કોઈ મહાકવિનાં નામ પણ આવી જશે ને?

આટલી પશ્ચાદ્ – અને પાશ્વર્ભૂમિકા પોતાની મેળે ધ્યાન ખેચે એવી છે. પણ તે રજૂ કરવામાં બીજો પણ આશય છે.

ઘણી વાર કલાકારની કૃતિઓને તપાસવા બેસતાં આપણે આસપાસના ઇતિહાસનું દર્શન કરવાની જરૂર જોઈએ છીએ. મને આ કાવ્યસંગ્રહ જોઈને એમ થાય છે કે હમેશાં એવા તત્કાલીન પરિસ્થિતિના અભ્યાસથી જ કલાકારની કૃતિઓનો તાગ મેળવવાનો આગ્રહ રાખવો એ બરોબર નથી. ‘બારી બહાર’ ના લેખકે ૧૯૩0ના પ્રચંડ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો એ હું જાણું છું. અમે વીરમગામ છાવણીમાં સાથે જ હતા. છતાં એમનાં આ કાવ્યો જુઓ. દસકાના શરૂઆતના કવિઓએ જે બલિદાન, મુક્તિ, શહાદત, શંખનાદ, અશ્રુ, રુધિર, યજ્ઞજ્વાળા વગેરે સળગતા શબ્દો અને તેની પાછળની સ્વાતંત્ર્યની બાવનાઓનો છૂટે હાથે–મોંએ ઉપયોગ કર્યો છે તેવું અહીં તો કાંઈ જ દેખાતું નથી. એ જ કવિઓએ બેત્રણ વરસ પછી દલિત, પતિત, શોષણ, ભૂખ, બાળમજૂર, વર્ગભેદ, વગેરે શબ્દોનો ઉદ્ધોષ ભારે શોરપૂર્વક કર્યો હતો. પણ તે જુવાળનો પણ અણસારો ક્યાંક

ભૂખના માર્યા, દુ:ખના માર્યા, થાતા ગુનેગાર;
(‘માનવકંઠ’)

એવી પંક્તિઓમાં મળે છે તે જ.

અને બીજું : નવીનોએ બહિરંગમાં જે પરિવર્તનો કર્યાં છે તેનું માહાત્મ્ય પન આ સંગ્રહમાં બહુ નહિ દેખવા પામો. માથે ચડી વાગેલો એવો છંદ તે આમાં કવચિત્-કવચિત જ જોશો. લખવાનો અભખરો પણ અહીં નથી. પ્રવાહી પદ્યને બદલે શ્લોકબંધનો આગ્રહ વિશેષ દેખાય છે. નવીનતાને ખાતર જ લીધા હોય એવા જે હડફેટે ચડયા હોય તે વિષયને આમાં સ્થાન મળેલું લાગતું નથી. શબ્દ પ્રયોગો અંગે પણ આ કવિએ આ દસકામાં નામચીન થઈ પડેલી એવી ભાંગતોડ કે ઠરડમરડ કરી નથી. ‘બનાવટી ફૂલોને’ જેવું નવા વિષયનું કાવ્ય મળે છે ત્યારે કવિહૃદયે એને પરત્વે તીવ્ર સંવેદન અનુભવ્યું છે એની પ્રતીતિ થયા વગર રહેતી નથી.

આનો અર્થ હું એટલો જ કરું છું કે શ્રી પ્રહ્લાદ પારેખ અને બીજા નવીનતર કવિઓ એવા સમયે આવ્યા છે કે માત્ર છંદપ્રયોગથી કે વિષયની નવીનતાથી, શૈલીના લહેકાથી કે ભાષાના ફટાટોપથી સામાને આંજી નાખવાનું હવે સુકર નથી; અને એથી એમણે ભાવની નિર્ભરતા ઉપર, રસની ગહનતા ઉપર જ આધાર રાખવાનો રહે છે. એનો અર્થ એ નથી કે આ કવિઓ યુગબળો કે યુગપરિવર્તોથી છેક જ અલિપ્ત છે. તેઓ મન ફાવે ત્યારે પ્રાસંગિક ઘટનાઓને પણ કાવ્યવિષય તરીકે અપનાવે છે. પણ જેમને હું નવીનતર કવિઓ કહું છું તેમનું લક્ષણ મને અવશ્ય એ લાગે છે કે તેઓ આગળનાઓ કરતાં સવિશેષપણે સૌન્દર્યાભિમુખ છે. આ લક્ષણ શ્રી પ્રહ્લાદ પારેખની રચનાઓમાં સાંગોપાંગ દેખાય છે.

આ કવિની કૃતિઔ આટલી જ ? એવો પ્રશ્ન કોઈ ને થાય તો તેનો ઉત્તર પણ ઉપરના વર્ણનમાંથી મળી રહેશે. ભાવને ઘૂંટી ઘૂંટીને આપવાનો, સૌન્દર્યદર્શનને સુરેખશિલ્પમંડિત કરવાનો, આગ્રહ મનમાં બંધાતો જાય પછી પરિણામ એ આવે કે ફાલ ઓછો ઊતર્યો તો એમાં આશ્ચર્ય પણ શું ? પ્રવાહી પદ્યના ઓઠા નીચે ભાવનું ડહોળાણ છુપાવવું બહુ સહેલું છે અને ભાવની ધનતા સિદ્ધ નથી થઈ તે સહેજમાં પકડાવા દીધા સિવાય સેંકડો પંક્તિમાં કાવ્ય વહાવી શકાય. પણ મુક્તક કે સુભાષિત શૈલીમાં ચોટ સાધ્યા વગર છૂટકો જ નહિ. પ્રવાહી શૈલીના વિરોધમાં આ શબ્દોક નથી. કહેવાનું એટલું જ છે કે લઘુકાવ્ય લખતી વખતે લાંબા વર્ણનકાવ્ય, કથાકાવ્ય કે મહાકાવ્ય માટે વધુ ઉચિત એવી પ્રવાહી શૈલીનો હમેશાં આગ્રહ રાખવાને બદલે ઊર્મિકવિતાને અનુકૂળ એવી મુક્તક શૈલીનો પણ ઉપયોગ આપણે ત્યાં થતો રહે એ ઇચ્છવાજોગ છે. પાણીદાર મોતી જેવાં ઊર્મિકાવ્યો, રસની ઘૂંટેલી કણિકાઓ જેવી શ્લોકપંક્તિઓ આ કવિમાંથી ઘણા સારા પ્રમાણમાં મળી રહેશે. વિષયની વિવિધતા માટે વલખાં મારવાને બદલે કવિએ માનવીના ચિરંતન મનોભાવોને આલેખવામાં જ આનંદ માન્યો છે. માનવહૃદયની ગૂઢ ઉત્સુકતા, તીવ્ર વેદના, નિસ્તલ નિરાશા અને અમોધ મુદિતા કવિ સહેજમાં શબ્દરથ કરી શકે છે. શ્રી પ્રહ્લાદ પારેખે માનવહૃદયને જ જાણે પોતાનો કાવ્યવિષય બનાવ્યો લાગે છે. બહિરંગ અને અંતરંગ અંગે જે કવિ સ્થિર અને સુડોળ તત્ત્વો પર નજર રાખતો હોય તેની રચનાઓ બહુ નયે સંભવે. મને આ સંબંધમાં છએક વરસ પહેલાં પાર્લામાં પ્રો. ઠાકોરે આધુનિક કવિતા વિશે જાહેરમાં બોલતાં વાપરેલા શબ્દો યાદ આવે છે. તેઓશ્રીએ કહ્યું હતું : ‘નેવનાં પાણી નીતરાં નહિ ને નીતરાં પાણી ઝાઝાં નહિ.’

શ્રી પ્રહ્લાદ પારેખની કૃતિઓમાં ‘નીતરાં પાણી’ હોવાનો ગુણ છે. અને તે, પોતે ડહોળાણના વાતાવરણમાં ઊછર્યા હોવા છતાં. આ તો તેમનો પ્રથમ કૃતિસંગ્રહ છે અને તેઓ હજી તો યુવાન છે. એટલે નીતરાં પાણી ‘ઝાઝાં’ મેળવવાની આશા રાખવાનો પણ આપણને હક્ક છે.

૨. આંખ, કાન અને નાકની કવિતા

મહાત્માજીએ શ્રી મુનશીના ‘ગુજરાત એન્ડ ઇટષસ લિટષરેચર’ની પ્રસ્તાવનામાં સાહિત્ય આદિ કલાઓ ‘sensuous’–ઇંદ્રિયગ્રાહ્ય હોય છે એવા લેખકના વર્ણન સામે સહેજ જાણે કે ટકોર કરી છે. પણ શ્રી મુનશીનું એ કથન ભાગ્યે જ ખોટું ઠરાવી શકાય.. લલિતકલાઓનો એ ગુણ છે કે તેમનું કોઈ ને કોઈ ઇંદ્રિયથી ગ્રહણ થઈ શકે છે, એટલું જ નહિ પણ તેની ‘અપીલ’–દાદ પણ જેમ કોઈ ને કોઈ ઇંદ્રિયને વિશેષ હોય તેમ વધારે સારું. કવિતા મૂળ તો કાનનો વિષય છે. છતાં કવિ માત્ર આપણા કાનનું જ રંજન કરીને બેસી રહેતો નથી. તે શબ્દો દ્વારા ચિત્રો ઉઠાવી આપણી નજર આગળ ખડાં કરી દે છે આપણાં કાન અને આંખને સંતોષવાનો તો ઘણુંખરું કવિઓ પ્રયત્ન કરતા હોય જ છે. પણ કોઈ કોઈ કવિઓ આપણી બીજી ઇદ્રિયોનું પણ ઉદ્બોધન કરે છે. દરિયાનું એવું વર્ણન કરે કે પાણીની ખારાશ તમારી જીભ ઉપર વસી જાય. એટલું જ નહિ, નાકને પણ તેની ખબર પડે. આમ આપણી વિવિધ ઇદ્રિયોને રોકી, તેમની દ્વારા પોતાના કલ્પનાપ્રદેશની વિવિધ ઇદ્રિયગ્રાહ્ય સમૃિદ્ધને આપણા કલ્પનાદેશમાં સંક્રાન્ત કરવા કવિ બીડું ઝડપે છે. કોઈ વિરલા જ એમાં પૂરી સફળતા તો મેળવે છે. જાણકારો કહે છે કે કાલિદાસ અને કીટષસ જેવા કવિઓમાં આ આવડત ગજબની હતી.

આપણા આ કવિયુવકની રચનાઓને આંખ, કાન અને નાકની કવિતા કહેવાનું મને મન થાય છે, આંખ, કાન અને નાકના ડૉક્ટરો વિશે તો સાંભળ્યું હશે. પણ જેમ ડૉક્ટરો એકાંગી નિપુણતા (સ્પેશલાઇઝેશન) કેળવે છે તેમ કોઈ કોઈ કલાકારો પણ એકાદ ઇદ્રિયનાં સંવેદનો સવિશેષ નિરૂપવામાં નિપુણતા મેળવે છે. શ્રી પ્રહ્લાદ પારેખની કૃતિઓમાંથી દૃષ્ટાંતો લઈ આ વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ મેળવીએ.

પહેલાં ધ્યાન ખેંચાય છે કવિએ ઠેરઠેર રમતાં મૂકેલાં. સુરેખ ચિત્રો તરફ. થોડાંક જોઈએ:

અને, દિન અમાસને, વિધુવિહીન સિંધુ હસે; (‘હસું’)

ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,

અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત નટી! (‘અમારી મહેફિલો’)

અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો,

અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો. (‘અવધૂત’)

….વાદ્ય વર્ષા લઈ,

વગાડી, નચવે સરોવર, નદી અને નિર્ઝરો. (‘અવધૂત’)

સૂતેલ ટૈંટિયું વળી, ક્ષિતિજ ઉપરે વાદળાં. (‘સૂર્યોદય’)

ચારે તે આરે ભેટે સરોવર,

નદીઓને હાથ ના હૈયાં રહ્યાં; (‘વર્ષા’)

તરંગોના શાને તુજ શરીર રોમાંચ ઊપડે? (‘સિંધુને’)

સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય, (‘જૂઈ’)

બધાં ચિત્રો પણ કવિની કવિતાની લહરી આવતાં જાણે કે આપણી કલ્પનામાં ઝોલાં ખાય છે. ચંદિકાની ગેરહાજરીમાં પણ હસતા સિંધુનું વર્ણન કવિએ એક જ પંક્તિમાં, સ્વરવ્યંજન-સંકલનાની અજબ સુરાવટથી ખડું કરી દીધું છે. બીજી વાર વળી એને હર્ષિત થયેલો જુએ છે ત્યારે કવિ એના તરંગોને રોમાંચ કહી સિંધુની મૂર્તિ જાણે કે આપણને પ્રત્યક્ષ કરાવી દે છે. વર્ષા ઉપર કવિને બહુ વહાલ લાગે છે. મૂઠીઓ ભરી ભરીને રંગો ઊડવતી અને નદીઓને બહાવરી કરી મૂકતી વર્ષાનું લાડથી એ વર્ણન કરે છે વર્ષાનું વાદ્ય વાગવા માંડે છે ત્યાં નદી, સરોવર ને નિર્ઝર નાચવા માંડે છે. અને ‘ચારે તે આરે ભેટે સરોવર’!–જાણે જોઈ જ રહો. કોઈ વાર બાલસહજ ૠજુતાથી ક્ષિતિજ પર ટૈંટિયું વળીને પડેલાં વાદળોનું કવિ દર્શન કરે છે, તો કોઈ વાર એની કરાલતાનો પણ પરિચય કરી લે છે ને કરાવે છે. કોઈ ગેબી અવધૂતની આપણને ઓળખ આપવી છે તો કવિ એનો હાથમાં ગડગડાટ કરતા મેઘનો શંખ મૂકી દે છે એટલે કામ પત્યું. અને છતાં કાંઈ અધૂરું હોય તો એના ઉપરણાનો ફફડાટ પણ આપણને સંભળાવ્યો છે. એને તે ઓછો રોશમજરીનો ઉપરણો હોય? એ તો અવધૂત. ઉપરણારૂપે સાક્ષાત્ ભગવાન માતરિશ્વા જ વહી રહે છે.
આવડા નાનકડા સંગ્રહમાં પણ તારાઓ વિશે અનેક ચિત્રાંકનો મળશે.

સુધાભરી તારક-પ્યાલીઓને
આકાશથાળે લઈ રાત આવે;
(‘બારી બહાર’)

બીજે એક ઠેકાણે પણ તારાને ચંદાની મટુકીનું પાણી પીવા માટેની પ્યાલીઓ તરીકે વર્ણવ્યા છે :

….ત્યાં રાત્રિ, નિજ મટુકી-ચંદા શિર ધરી,
લઈ આવે પીણું અજબ ભરિયું એ મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
(‘અમારી મહેફિલો’)
તારાઓને આંખો સાથે પણ અનેક વાર કવિ સરખાવે છે. આ સરખામણીમાં પોતામાં કાંઈ નવીનતા નથી પણ આ પંક્તિ જુઓ તો :
તારા નેને નિજ ભીરતમાં વિશ્વ જોતું જણાય;
(‘અકારણ અશ્રુ’)
તારાઓને શુચિતાનાં–શુદ્ધતાનાં પ્રતીક–ચિહ્નરૂપે પણ એક સ્વચ્છ, સુંદર પંક્તિમાં ઓળખાવ્યાં છે :
પ્રતીક શુચિતા તણાં, –અહીંહતીં ઝગે તારલા;
(‘સૂર્યોદય’)
તો બીજી કોઈ વખત એકાદ તારાને ખરતો જઈ કવિ એને અશ્રુકણ ગણવા પ્રેરાય છે:
….નીરખિયું આભને ગાલ થૈને
વ્હેતું વેગે ધરણીદિશમાં તારલા-અશ્રુબિન્દુ;
(‘અકારણ અશ્રુ’)
બેત્રણ બીજાં ચિત્રદર્શનો જોઈએ :
એક વાર અમે બંને સામસામે હસ્યાં, અને પિછાન પૂર્ણ એ લાગી અમારાં બેઉંનાં મને.
(‘જાણીતી અજાણી’)
કેટલું મધુરું, નિખાલસ અને ભરીભરી પ્રસન્નતાવાળું ચિત્ર છે! પછી એ જ હૃદયને પૂરી રીતે જાનીતી (અને બીજા કયા પરિચયની આ ટૈંકીશી જિન્દગીમાં કિંમત પણ છે?) પણ વ્યાવહારિક રીતે – સામાજિક રીતે અજાણી બાલાનું સહેજ મલકાટથી લાડભર્યું વર્ણન કર્યું છે તે જુઓ :
બારી પાસે મુજ થઈ જતી ક્યાંક રોજે સવારે,
નાની પાડી પગલી, મુખડું રાખતી કૈંક ભારે;
એક નાના બાળકનું પણ ચિત્ર આપ્યું છે :
….જાય છે બાળ ચાલ્યું;
પુષ્પે, પર્ણે, તૃણ સકલમાં સાંભળે હર્ષગાણું.
એ યે ગાતું કુસુમ,–તૃણમાં જાગતો હર્ષકંપ!
જાયે ધીમે ડગ, ફૂલ કને ઝાલવાને પતંગ.
(‘બારી બહાર’)

બાળકને ‘ગાતું કુસુમ’ કહેવાતું સાંભળી, આપણાં રોમમાં પણ, તૃણને મુકાબલે એ જડ ન હોય તો, હર્ષકંપ જાગ્યા વગર રહેશે? એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતા પતંગિયા બા–ર કરતાંયે એને ધીમે ડગલે ઝલવા જતા બાળકનું ચિત્ર વધારે છટકણું છે. પેલા બાળકને પતંગિયું ઝાલવામાં સફળતા મળી કે કેમ તે આપણે જાણી શકતા નથી, પણ એનું ચિત્ર તો કવિએ પકડી પાડયું છે, એમાં શંકા નથી.
આંખથી જો કાંઈ પકડી શકાતું નથિ તો કાનની મદદ મેળવવા મન પ્રેરાય છે. તેમણે અનુવાદ માટે પસંદ કરેલી કવિતાનો અંધ કહે છે:
નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય :

ધીમા ધીમા સૂર થા જે પડતાં તારા પાય,
સુણી ને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા.

આ નાનકડા કાવ્યસંગ્રહમાં કાનને સારું એવું મહત્ત્વ મળ્યું છે. બે રીતે : લયવાહી સ્વરવ્યંજનસંકલનાની કલાથિ અને સાંભળવાના વિષયને – અવાજને કાવ્યમાં આપેલા પ્રાધાન્યથી.

પદ્યરચના એટલી સાફ છે, ભાષા એટલી સરળ અને પસંદગી વાળી છે કે લેખકે શબ્દનું વર્ણમાધુર્ય પોતાની કૃતિઓમાં બની શકે તેટલું ઉતારવા પ્રયત્ન કર્યો છે. લેખકને એ સહજ છે એમ જણાઈ આવે છે. કાવ્યોમાં આંતરપ્રાસ અને વર્ણસગાઈ ઠેર ઠેર દેખાય છે. એના દાખલા અહીં ખડકીશ નહિ. માત્ર ઉપર આપેલા બાળકના વર્ણનને મોટેથી વાંચવા ભલામણ કરું છું. અને ઢાળ બંગાળ તરફનો છે પણ જો ફાવી જાય તો નીચેની પંક્તિઓ ગાઈ જુઓ તોયે ખોટંુ નહિ :

તવ રંગથી સહુ પતંગ અંગ દે ભરી,
પુનિત પ્રાંતે લઈ જતી અમ મન કદી હરી!
(‘પરી’)

કવિએ પોતાનું મનોગત આપણી આગળ રજૂ કરી દેવા માટે ઘણી વાર વિશિષ્ટ વર્ણરચનાનો આશરો લીધો છે. ‘અવધૂતનું ગાન’ માં અવધૂતનું વર્ણન માત્ર અવાજની મદદથી હૂબહૂ કરી દીધું છે :

એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
‘બારી બહાર’ કાવ્યમાં સાધુનું વર્ણન છે તે પણ વર્ણોની સુરાવટથી આપણને પ્રત્યક્ષ પ્રતીત થાય છે :
ઉચ્ચરીને ‘અહાલેક !’ કોઈ સાધુ જતો વહી,
સંદેશો સર્વ સંતોનો બારણે બારણે દઈ.

કુશળ વર્ણરચનાનો મને ઉત્તમોત્તમ પુરાવો છેલ્લા કાવ્ય વિદાય’ માં લાગે છે.

કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

†આ પંક્તિમાં ૨, ૮ અને ૧૨ અક્ષરે દીર્ધ ‘ઈ’ ના ઉચ્ચારનાં આવર્તનો થતાં જાણે કે કોઈ ને હીબકાં લેતું આપણે સાંભળતા ન હોઈએ એમ થાય છે. છઠ્ઠા અક્ષરે ‘ઓ’ આવે છે તે જાણે વચ્ચે વેદનાથી ‘ઓ !’ થઈ ગયું ન હોય !

અવાજની સૃષ્ટિને કાવ્યનો વિષય બનેલી પણ આપણે આ કાવ્યોમાં ઘણીવાર જોઈએ છીએ. શ્રીમતીનો શિરોવધ કરવા પુરરક્ષક આગળ વધે છે ત્યાં,
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.

(‘છેલ્લી પૂજા’)
વર્ષામાં કવિ સંગીત–સંગીત જ જુએ છે:
અંગુલિ વીજની કોણે આ ફેરવી,
શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ?
(‘વર્ષા’)

મેઘશંખ ફૂંકતા અવધૂતની ઓળખાણ તો આપણે અગાઉ કરી લીધી જ છે. આછાપાછા અવાજ પકડવા પણ કવિ ઊંચેકાન રહે છે. ‘અંધ’ (માણસનો દેખતો છતાં ન દેખતો આત્મા ?) પોતાના આતમરામને વીનવે છે :

વસ્ર તણો ફફડાટ સુણું હું,–એટલો રે’જે પાસ:
પણ અવાજોથી કવિ લોભાઈ ગયા નથી. આ દુનિયામાં સૌથીયે વાચાળ કશું હોય તો તે મૌન જ છે. આ મૌનનો મહિમા કાવ્યસંગ્રહમાં ડગલેપગલે વરતાય છે.
શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
લઈ જવા ભાવનો ભાર મારો,
(‘વાંછા’)

–એમ એ જ્યારે જુએ છે ત્યારે હૃદયને આંસુમાં વહાવી કૃતાર્થ થાય છે.
ઉરે હતી વાત હજાર કે’વા,
કિંતુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડયા;
*
મળી મળી નેન વળી જતાં ફરી
અકથ્ય શદે વદી વાત ઉરની;
(‘અબોલડા’)
પછી તો ના વાતો, પ્રિય-અધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.
(‘વાતો’)
ફૂટેલ ઉર વાદ્યનું ધરીશ પાયમાં મૌન હું.
(‘પદે’)
સહીશ, રહી મૌન, હું સકલ ઊર્મિ-આઘાતને;
(‘શ્રદ્ધા’)
લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે
વાસી રાખ્યું: મુજ પ્રબળ ઇચ્છા નહીં જાણતો એ ?
(‘માગણી’)

જોવાનું એ છે કે કવિ જેવા વાચાળ પ્રાણી કને મૌન પોતાનો મહિમા ખોલે છે. કવિ જિંદગીભર ગાતો રહે, છતાં મૌનના કમાડ પાછળ જે હૃદયસસમૃદ્ધિ વાસી રાખી હોય–વાસી રાખવી પડે, તેનું શું? તે કોઈ આવીને લૂંટી લે એવી પ્રબળ ઇચ્છા રાખવી, એવી ‘માગણી’ કરવી એનોયે શો અર્થ ? છતાં શ્રી પ્રહ્લાદ પારેખે ભલે એટલો મૌનભંગ કર્યો. આપણને તો વેદનમધુર એવું આરંભનું સુંદર કાવ્ય ‘માગણી’ મળી ગયું. એમનું એ જાણે.
મૌનની મૂંઝવણ અને તેમાંથી નિષ્પન્ન થતું સાÃદર્ય કવિએ પકડયું છે એ બતાવવા આટલું બસ થશે. આ તો વ્યિક્તનું વ્યથામય મુદ્દા ભર્યું મૌન. તેમાં કવિ ભલે રાચે. સમિષ્ટમાં મૌન, અકારણ પરાણે પાળવું પડતું મૌન, એ જુએ છે ત્યારે તો એ ત્રાસી જાય છે ને આક્રંદ કરી ઊઠે છે :

લોકની વાણી આજ રૂંધાણી, બંધ એ માનવકંઠ ;
(‘માનવકંઠ’)

આવો કવિ આટલી ઊંડી વેદના ભર્યા શબ્દ કહે તો બસ ગણાવું જોઈએ. ધણના ધર્ધરાટ ને દાતરડાંના કરકરાટ, ખાંડાંના ખણકાર ને ક્રાંતિના કડકાર એ ન વર્ણવે તોયે એની માનવતા માટેની સહાનુભૂતિ છાની રહેવાની નથી.

આંખ અને કાન જ્યાં સહાયરૂપ થવામાં મોળાં પડે છે ત્યારે ઘણી વાર નાક મદદે દોડી આવે છે. કવિનો ‘અંધ’ આ બાબતમાં આપણને સાચે રસ્તે દોરશે. પગરવને અણસારે ડગલાં માંડવાનો મનસૂબો એણે કર્યો હતો. છતાં કાન દગો દે તો ? ત્યાં એના હાથમાં કોઈ બીજો સ્પર્શક્ષમ તંતુ આવી લાગે છે, જેને ઝાલીને આગળ વધી શકાય. આ તંતુ તે સુંગધનો :

ઝૂલતો તારે કઠે તાજાં ફૂલડાં કેરો હાર;
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર:
ઝાલીને તાર એ તારો,
માંડું છું પાય હું મારો.

‘કામિની’ પુષ્પની સુવાસ પોતે ઓળખિ શકે એ પહેલાં કવિ બહાવરો બનીને આમતેમ જુએ છે ને મનને પૂછે છે :
મઘમઘતે અંગે આ પંથે ગઈ કોઈ નવપરિણીતા ?
વા પ્રેમીને મળવા કાજે કોઈ ગઈ યોવનમત્તા ?

આ સૌરભથી કોઈ વાર ડરવા જેવું પણ ખરું. કવિ એથી નાયક પાસે કહેવડાવે છે કે પેલાં મુકુલો (કળીઓ) જો આપણી ગૂજગોિષ્ઠ સાંભળી જશે તો કાંઈ ઠીક નહિ થાય કેમ કે તેઓ

…શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો ક’શે સકલ કથની એ અનિલને;
(‘વાતો’)

†શ્રી પ્રહ્લાદ પારેખની સૌરભપ્રીતિ એ મને એમની એક લાક્ષણિકતા લાગે છે. એ પ્રીતિનો મઘમઘાટ એમની રચનાઓમાં વરતાઈ આવ્યા વગર રહેતો નથી. એટલું જ નહિ, જે શાશ્વત આનંદની ચિત્ત નિરંતર રટણા કરિ રહે છે તેને પણ એ સુરભિપૂરરૂપે પોતાના આત્મામાં વહી આવતો કપે છે. ‘આજ’ માંની થોડીક પંક્તિઓથી એ સમજાય છે :

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,

આજ આકાશથી તારલા માંહીથી
œહેકતી આવતી શી સુગંધી !

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?

ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિપૂર ?

આ કવિમાં આંખ, કાન અને નાકનું માહાત્મ્ય કેટલું છે એ બતાવવા આટલું બસ છે. ખરી વાત તો એ છે કે આપણી ઇદ્રિયોને અનુભવગ્રહણ માટે ઉદ્બોધી કવિ એવી કોઈ સૂક્ષ્મ રીતે પોતાની વાત આપણી મનોભૂમિમાં પહોંચાડી દેતો હોય છે કે કોઈ એક જ ઇદ્રિય કરતાં ઘણી વાર એકસામટી બેત્રણ ઇદ્રિયો કામ આપતી હોય એવું પણ બને છે. ‘એક લંગોટી, એક ભંભોટી’માં કાન અને આંખની મદદથી કવિના દર્શનની આપણને પ્રતીતિ થાય છે. ‘અંધ’ને પોતાના આતમરામને ગળે ઝૂલતા તાજાં ફૂલના હારથી પોતાના હૃદય સુધી આવતા સૌરભતારને વળગીને ડગલાં માંડતો બતાવ્યો છે તેમાં આંખ, નાક અને સ્પર્શેદ્રિય ત્રણે અનુભવગ્રણમાં આપણને ખપ લાગે છે.
કવિની મુશ્કેલી જો કોઈ હોય તો તે પહેલી ને સૌથી મોટી એ છે કે પોતાના મનોગતના હવાઈ સ્વરૂપને ઇદ્રિયગ્રાહ્ય, સ્પર્શક્ષમ, અણે ધન (concrete)કેવી રીતે બનાવવું. જે ભાવમય છે તેને સામાના ભાવપ્રદેશમાં જ પહોંચાડવું તો છે, પણ તેમ કરવાનો માર્ગ આ એક જ છે કે તેનું ધનીકરણ કરવું. આથી કાંઈ કવિનું ભાવમય વસ્તુ પાર્થિવ બની જતું નથી. પાર્થિવતા તો સાધન, વાહન, વિવર્ત, માત્ર છે. જે એક જણમાં ભાવમાય છે તે પાર્થિવરૂપે પ્રગટ થઈ પાછું અન્યમાં ભાવમય બને કૃતકૃત્ય થાય છે : આ વચલી લીલા તે જ કલા.

ઉપરની મુશ્કેલીમાંથી માર્ગ કરવા માટે ઇદ્રિયોની ગ્રાહકતા-ગ્રહણશીલતાને ઉદ્બોધવાની – ઉત્તેજવાની કલાકારોને ગરજ રહે છે. ઘણી વાર તેઓ વ્યત્યયનો આશરો પણ લે છે, એટલે કે આંખનો વિષય દેખવાનો છતાં આંખથી સૂંઘવાની વાત કરે ને કાનથી દેખવાનું કહે. કવિઓનું ભલું પૂછવું. પણ આ માત્ર હસવાની જ વાત નથી. ‘મૃચ્છકટિક’ના કર્તાએ શકાર પાસે આવો વ્યત્યય માત્ર હાસ્ય માટે કરાવ્યો છે. પણ ઘણી વાર બીજા કવિઓએ ગંભીર અને સૂક્ષ્મ સંવેદનો જગવવા માટે પણ આ ભયભર્યો છતાં અનિવાર્ય માર્ગ લીધો છે. અહીં શ્રી પ્રહ્લાદ પારેખમાંથી જ થોડાં ઉદાહરણ જોઈએ : ‘એ યે ગાતું કુસુમ’ (‘બારી બહાર’) અને ‘ગાનનો ગેરુ રંગ’ (‘અવધૂતનું ગાન’) એ બે આવા વ્યત્યયનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. ‘માનવકંઠ’ માં તેઓ કહે છે : ‘તારલાને છે તેજની વાણી, ફૂલની વાણી ગંધ.’ તેજ કાનનો વિષય હોય એમ કવિ ઠસાવવા કરતા ન હોય ! અને ફૂલ ને દેખવાનું છે તેની ગંધ જે સૂંઘવાની છે તેનું કાનથી ગ્રહણ કરવા કવિ આપણને સૂચન કરે છે ! ‘અંધ’ નો સૌરભતાર તો આપણે થોડી વાર ઉપર હમણાં જ જોયો – અરે સૂંઘ્યો ! ‘અવધૂતનું ગાન’ માં વળી ધરતી ને આભ ગાનના તારે સંધાય છે. કાન તમારા કંઈ કામ નહિ આપે. હિંમત હોય ત એ તાર ઝાલી લો. વળી ઊંચે તારકના પલકાર અને નીચે હૈયાના થડકાર, –’તેની વચ્ચે મૂંગો મૂંગો વહે છે અંધાર.’ અંધાર વળી કયે દિવસે બોલતો જ હતો જે?-તમે પૂછશો. ત્યારે તમારા પ્રશ્નના પ્રતિધ્વનિ રૂપે શ્રી સ્નેહરશ્મિની પંક્તિ તમને સામી આવી ભટકાશે : ‘અંધકારના દૂર પડઘા પડે.’

આ કવિની રચનાઓમાં જેમ ‘નીતરાં પાણી’નો ગુણ છે, તેમ ઇદ્રિયગ્રાહ્યતાનો પણ સારા પ્રમાણમાં ગુણ છે. પોતાના દિલની વાતને તે સહજલીલાથી આપણી આગળ હાજર કરી બતાવે છે.

૩. છટકણો ભાવો

ઉપર સૂચન કર્યું છે કે આ કવિનું મન માનવીહૃદયની વિવિધ ભાવપરિસ્થિતિઓ ગાવા ઉપર છે. અને માનવીહૃદય બીજું ઘણુંબધું હશે પણ સાથે સાથે ગોપનશીલ પણ છે. એની વાત એ ઝટ પકડાવા દેતું નથી.

અને છતાં એ કહી દેવાની તાલાવેલી પણ એની ભારે હોય છે. લેખકને આ બાબત શું કહેવું છે?
હૈયાની જાણો છો જાત ? કે’વી હોયે કંઈયે વાત,
તોયે કે’વી ને ના કે’વી, –બન્ને કરવાં એકી સાથ !
(‘હૈયું’)

ઝલાવા માગતા છતાં હાથતાળી દઈને ભાગી જતા કેટલાક નાજુક ભાવો આ સંગ્રહમાં શબ્દરથ થયેલા જોવા મળે છે. અશમ્ય આતુરતા તો એના નામ ‘બારી બહાર’ માં અભિપ્રેત છે. આત્મા જાણે કે એક ઠેકાણે બેઠો બેઠો બહિર્જગત તરફ ઉત્સુકતાથી, કદી કૌતુકથી, પરંતુ ઉત્કંઠાથી જોઈ રહે છે. બહારનું સર્વ કંઈ એને ‘આવ,’ ‘આવ,’ કહી આમંત્રે છે અને પોતની આસપાસ જડતાના વીંટળાયેલા થરો ખંખેરી એ સહુ તરફ જવા એનામાં અદમ્ય ઝંખના જગાડે છે.
લેખક બારી તરફ વારેઘડીએ વળે છે : ‘બારી ઉઘાડી, બારણે જોતાં શ્રાવણ-મેઘલી રાત!’ (‘શ્રાવણ’), ‘ખુલ્લી મારી બારી પાસ સૂતો’તો જોતો આકાશ’ (‘કામિની’). છતાં જે જોવાનું છે તે સર્વસ્વ અથવા તો તેનો રહસ્યભાગ તે બારી બહાર જ જોવા મળશે એવી ભ્રમણામાં કવિ નથી.

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર!
(‘મારા રે હૈયાને તેનું પારખું’)

આમાં છે તેવી પરિતૃપ્તિ પણ કોઈ કોઈ કાવ્યમાં અંકાઈ છે. છતાં વિશેષ તો એમાં વેદના, અમૂંઝણ, આરજૂ, સમર્પણ, સંન્યાસ વગેરે ભાવોનું આલેખન જોવા મળે છે. કહે છે :

આવે ત્યારે દઈ નવ શંકુ અંતરે જે ભર્યું તે,
જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે :
(‘માગણી’)

પછી ઉમેરે છે : તેથી તો કહું છું કે જે દેવાનું છે તે આપીશ એમ માની રાહ ન જોતો. તારે જ એ લૂંટી લેવાનું છે. મારી એ ઇચ્છા પણ તું જાણતો નથી કે ? ‘બનાવટી ફૂલોને’ કવિ પ્રશ્ન પૂછે છે તેમાં પણ સમર્પનનો જ ભાવ છે : તમે સૂર્યચંદ્રના ઉદયથી પ્રફુલ્લતા માગી છે? ‘વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું છે? પછી આત્મસમર્પણ તો શેના જ જાણો ?

ન જાણો નિંદું છું,
પરન્તુ પૂછું છું :
તમારાં હૈયાંના ગહન મહીંયે આવું વસતું:
‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.’?

‘કામિની’ માટે કવિએ સમર્પણની ભાવના જ કલ્પી છે :
અધીર એ આપી દેવાને અંતરની સુરભિ સઘળી,
તેથી તો આ વાયુ કેરી છલકી જાતી સૌ લહરી.

કોઈ વાર અસ્પષ્ટ ભવિષ્યની આશા, આકાંક્ષા, આશંકા કવિએ ગાઈ છે :

વિરોધો વચ્ચે આ ઝરણ ઉરનું, નિત્ય વહશે
દિશે તારી, મારું : તુજ ઝરણ તેને શું મળશે ?
(‘એક મિત્રને’)

તો કોઈ વાર ગત આનંદની અતૃપ્તિ પણ શબ્દરથ કરી છે :

પ્રવાહ બે મળે અને, મળી, ભળી, વહી રહે,
પ્રવાહ એકથી કદી વહેણ બે થઈ વહે ;
તેમ આપણે મળ્યાં, ભળ્યાં, અને વહી રહ્યાં,
પ્રવાહ એકનાં પછી વહેણ બે સમાં થયાં.
(‘મળ્યાં અને જુદાં પડયાં’)

જાયે ત્યારે જ થાયે : હૃદય મહીં હતો આવિયો સ્નેહ આ તો !
(‘જાણિતી અજાણી’)

છતાં કવિ હૃદયને અતૃપ્તિ વાગોળી વાગોળીને હિજરાઈ જવા દેતા હોય એમ લાગતું નથી. સ્નેહને, ઉદાત્ત સ્નેહને ઉચિત એવી સંન્યાસભાવનાનો એ, આખા સંગ્રહના કદાચ ઉત્તમોત્તમ કાવ્ય ‘વિદાય’માં પુરસ્કાર કરે છે. અપાર વેદનાથિ, પણ ભારોભાર દૃઢતાથી, ‘કદી નહિ કહું’ એ શબ્દોમાં તે કહે છે – મને જ તું સ્મરણમાં રાખજે એમ હું નહિ કહું. મારાથી અધિક કોઈ મળે તેને તારે હૈયે થાપજે. આપણે

પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
અને
કઠોર થઈ ને કદીક તુજ આંસુ જોયા કર્યા;
કઠોરતાનું વર્ણન કેટલું અપૂર્વ અને ૠજુકરુણ છે! વળી
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં

આ આત્મીયતા પછી પણ

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;

એમ કહી બીજા જોડે નવું હૃદયજગત રચી જૂનું વિસારે મેલવા વિનવે છે અને વધારામાં વિનવે છે :

છતાંય સ્મરણે ચડી વિષળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.

બનવાજોગ છે, ક્યારેક, પછી ભલે ક્ષણવાર, હું તારી સ્મૃતિમાં આવી જાઉ. કદાચ તને તારી નવીન હૃદયસૃષ્ટિમાં એટલો વિક્ષેપ પડશે. પણ એનું શું કરવું ? એ જ કે તારા ચિત્તની ઉદારતાથિ તો હું વાકેફ છું જ, તો એની અત્યારે જ ક્ષમા માગી રાખું છું.

આમાં નથી શહાદનો ખોટો આડંબર કે નથી દયાની પૌરુષહીણ યાચના. આની જોડે કવિશ્રી ન્હાનાલાલના ‘ઇન્દુકુમાર’–(૩)માંની ઇન્દુની ઉક્તિ સરખાવવી ઠીક પડશે. ‘અમે સ્મરણોના સંગી, માફ કરજે બાલા,’ એમ ઇન્દુકુમાર કહે છે. અને યૌવનની રમણા માટર અન્યને સ્વીકારવા અનુમતિ આપે છે. છેવટે તોયે એનાથી કહ્યા વગર રહેવાતું નથી કે ‘પડયા અંતરાય ભેદી દયા ઝરજે બાલા.’ કવિશ્રીનું ગીત અત્યંત હૃદયદ્રાવક છે. પરન્તુ શ્રી પ્રહ્લાદ પારેખના આ કાવ્યમાં નાયકે પોતાનો સ્મરણો આવશે કે નહિ તે વિશે સેવેલું મૌન અને પ્રેમપાત્રને સ્મરણોથી અસ્વસ્થતા થવાની શક્યતા વિશે બતાવેલી ચિન્તા મને બહુ જ સંયમશીલ અને પૌરુષવાળાં લાગે છે. આ કાવ્ય ‘વિદાય’ માં હૃદયદૌલ્યનો છાંટો સરખો નથી.

હૃદયની મુલાયમ લાગણીઓને, અડવા જાઓ ને કરમાઈ જાય એવી લજામણીના છૌડ જેવી લાગણીઓને આ રીતે કુશળ કવિઓ સફળતાપૂર્વક સ્પર્શે છે. અને તે આંસુથી તેમને ખરડાવા દીધા સિવાય. આસંસુ પણ ડોકિયું કરતાં ખંચાઈ જાય એવી વેદના કદાચ આવી નાજુકાઈ અને
નિખાલસતાથી જ શબ્દાંકિત કરી શકાય.

હૃદયની મુલાયમ લાગણીઓને, અડવા જાઓ ને કરમાઈ જાય એવી લજામણીના છોડ જેવી લાગણીઓને આ રીતે કુશળ કવિઓ સ્ફળતાપૂર્વક સ્પર્શે છે, અને તે આંસુથી તેમને ખરડાવા દીધા સિવાય. આંસુ પણ ડોકિયું કરતાં ખંચાઈ જાય એવી વેદના કદાચ આવી નાજુકાઈ અને નિખાલસતાથી જ શબ્દાંકિત કરી શકાય.
હૃદયના ભાવો ગાતાં ગાતાં કવિઓ કેટલીક વાર આ દુનિયાના ડંખથી ત્રાસી નિસર્ગમાં કે એવે કોઈ ઠેકાણે ભાગે છે. આવી છુટકારાની વૃત્તિને બદલે બીજું જ કાંઈ આ કવિતામાં મળે છે. ‘લહાણું’ કાવ્યના કવિત-મનહર છંદમાં કવિએ સરળતાથી પોતાની વાત મૂકી છે.
મલિન ગલીઓ વહેવાર તણી જોઉં બહુ,
થતું ત્યારે, ઉર લઈ કયમ કરી આંહીં રહું ?

હૃદયવાળાંને માટે આ એક ભારે મૂંઝવણનો પ્રશ્ન છે. કવિ વિચારે છે કે

જઈ ત્યારે રહું હવે તારલાની સાથમાં ?
જીવતર વા વિતાવું સુમન-સંગાથમાં ?

પણ આ તો આપણા પ્રકૃતિપ્રિય કવિ નરસિંહરાવ મનુષ્યોથી ત્રાસી કુદરતમાં જઈ ‘ફૂલની સાથે રમત’ કરવા પ્રેરાય છે એના જેવી જ વાત થઈ! ના, બંનેનાં દૃિષ્ટબિંદુમાં ફેર છે. નરસિંહરાવ કહે છે:

‘તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,
રહી મનુજ-સમૂહે રે વદન કરમાઈ ગયું.’

આ કવિ પણ વહેવારની મલિન ગલીઓ જોઈ અકળાય છે. મનુષ્યની સૃષ્ટિમાં સૌન્દર્ય નથી એમ નથી. પણ એને પકડવા વલખાં મારતા જીવોની ચર્ચા કવિની વેધક નજરથી છૂપી રહી શકતી નથી.

સુંદરતા જોઈ મારું મન જ્યારે કોળી ઊઠે,
અફસોસ ! પકડવા તેને બહુ લોક છૂટે.
નવા નવા વેશ કાઢી મતલબ આવે રોજ;
હસવામાં જોઉં છૂપું ઝેર ત્યારે થાતો શોચ.

તો? કવિ શોચે છે કે કાં તો તારા કાં તો ફૂલની સોબતમાં જીવન ગાળું. નરસિંહરાવ કલુષિત માનવીજીવનનો ‘દિન એક તો’ ફૂલની સાથે રમત કરીને નિર્ગમે છે ને આનંદે નિર્ગમે છે, કેમ કે ફૂલના હર્ષશોક નિર્દભ હોય છે. આંતરબાહ્ય જીવનમાં ભેદ હોતો નથી.

‘કદી હાસ કરંતાં રે તો નિશ્ચે આનંદભર્યાં,
કરમાઈ કદી સૂતાં રે તો સત્યે દુ:ખે જ ગળ્યાં.
જેવું અંતર થાયે રે ત્હેવું તમ મુખડું દિસે,
જેવું મુખ દેખાયે રે ત્હેવું તમ હૃદય વિશે.’

પણ આપણા કવિને આવી પ્રતીતિ અને તજ્જન્ય આનંદ નથી તો આપી શક્તા તારા કે નથી આપી શકતાં ફૂલ. એનું કારણ એ આપે છે :

અરે, પણ માનવીનું મન મારું કેમ રહે
એમની સંગાથ ? એ તો માનવીનું ઉર ચહે.

આમ ભાગેડુ થઈ ને કુદરતમાં જવા ક્ષણવાર વિચાર તો કર્યો પણ તરત મન પાછું પડે છે અને કવિ પાછો મનુષ્યજગત તરફ વળે છે. નરસિંહરાવને આપી શકે છે એટલો આનંદ આ કવિને ફૂલ (કે તારા) આપી શકતાં નથી. છતાં કવિ ફૂલને ઉતારી પાડે છે એમ નથી.

એમને તો દિલ નહીં; અને, ધારો, દિલ હશે,
માનવીના દિલ સાથ મેળ એનો જામશે ?

તો પછી

રૂડું એથી આંહી રહું માનવીની સાથમાં :
કદી વળી સમજશે એ જ મારી વાતમાં.

આપણી ભાષામાં મને જો કોઈ કરુણ પંક્તિઓ વાંચવા મળી હોય તો ઉપરની છેલ્લી લીટી પણ તેમાંની બેશક એક છે. ‘કદી’ અને ‘વળી’ જેવા સાદા ગુજરાતી શબ્દો કદી કદી વક્તવ્યને કેટલી ચોટ આપી શકે એ પણ અહીં સમજાય છે.
આમ આપણે જોઈએ છીએ કે કવિ વળી વળીને માનવીહૃદય તરફ જ નજર કરે છે અને એના સ્પશ્ર્ય-અસ્પશ્ર્ય સર્વ કોઈ ભાવોને ગાવમાં જ કૃતકૃત્યતા અનુભવે છે.
પ્રકૃતિવર્ણન અને ખાસ તો હૃદયભાવને મૂર્તતા આપતી સહેજે સ્મરણમાં રહી જાય એવી અને પ્રસંગ પડયે ટાંકી શકાય એવી અનેક પંક્તિઓ આ સંગ્રહમાં મળે છે. અવતરણક્ષમતા (quotability) એ સારી કવિતાનું એક લક્ષણ છે, અને એવી કવિતા સામે દુર્બોધતાનો આરોપ, જે આજની કવિતાને રોજનો થઈ પડયો છે તે, ભાગ્યે જ મૂકી શકાય.

૪. અનુસર્જન

એક વિદ્વાને પોતાના કવિમિત્રના કાવ્યનાં ટિપ્પણ લખ્યાં અને તેમાં દેશપરદેશના કવિઓની મળતી આવતી રચનાઓના ઉતારા પણ છૂટે હાથે આપ્યા. વાચકો જે હમેશાં કવિ અને ટિપ્પણકાર કરતાં વધારે ચતુર હોય છે તેમણે તરત જ ચુકાદો આપી દીધો કે એ કવિએ બીજા કવિઓમાંથી ચોરી કરિ છે, એટલું જ નહિ પણ કવિના મિત્રે પણ એમ છે એ બતાવવા જ ટિપ્પણમાં સરખામણીઓ નોંધી છે. આ દાખલાને કિલ્પત ગણશો તોયે ચાલશે. કહેવાનું એટલું જ છે કે જ્યારે બીજા કોઈ કવિમાં આપણા જેવી વાત મળી રહે છે ત્યારે આપણને પેલી ‘મહાન પુરુષો રીતે વિચાર કરે છે’ એ મતલબની અંગ્રેજી કહેવત તરત યાદ આવે છે. પણ જો એ વાત આપણા સિવાય બીજા કોઈની હોય તો બેધડક આપણે બોલી ઊઠવાના : ‘જોયું ? આબાદ ચોરી કરી લાવ્યો છે !’

આ પ્રશ્ન સાહિત્યની દુનિયામાં એટલો બધો નાજુક ગણાય છે કે એની છેડતી કરવા જતાં આ યુવાન કવિને કદાચ કોઈ રીતે મારાથી અન્યાય થઈ જાય છતાં બની શકે તેટલી સ્વચ્છતાથી આ સંગ્રહમાંનાં કેટલાંક કાવ્યો વિશે જે થોડુંક જણાવવું જરૂરી લાગે છે તે રજૂ કરીશ.

‘દાન’ નામે ખંડકાવ્ય છે તે શ્રી રવીદ્રનાથ ઠાકુરના ‘કથા ઓ કાહિની’માંના ‘શ્રેષ્ઠ દાન’ નો ગુજરાતી અવતાર છે. મુક્ત નિર્ઝર – એ નાનકડું કાવ્ય પણ રવીદ્રનાથનાં નાનપણનાં કાવ્યોમાંના એક ‘નિર્ષરેર સ્વપ્નભંગ’ નામે આશરે સોએક લીટીના કાવ્ય ઉપરથી છે. ‘છેલ્લી પૂજા’–ખંડકાવ્ય શ્રી રવીદ્રનાથના પ્રસિદ્ધ કથાકાવ્ય ઉપરથી યોજાયંુ છે.

આ કૃતિઓને આપણે અનુવાદ કહી શકીએ તેમ નથી. એ રૂપાંતર પણ નથી. ત્યારે છે શું? સહેજ તપાસ કરતાં જોવા મળે છે કે તે તે કૃતિ દ્વારા શ્રી રવીદ્રનાથ જે અનુભવ શબ્દમંડિત કરવા ઉદ્યત થયા છે તે જ અનુભવનો આ કવિ પણ ગુજરાતી ભાષા દ્વારા પુરસ્કાર કરવા માગે છે. એટલે કૃતિ પાછળનું રહસ્ય તે આ કર્તાનું સર્જન નથી છતાં રહસ્ય સ્વીકારીને પણ કર્તાએ કહેવાનો પ્રકાર પોતાને મનફાવતો પસંદ કર્યો છે. આવી રચનાને આપણે તેમાંનું રહસ્ય ઉછીનું લેવાયું હોઈ, સર્જન ન કહી શકીએ એ બરોબર છે. આપણે એને અનુ-સર્જન કહીશું ? આપણા કવિ મેઘાણીની કેટલીક રચનાઓ તે નહિ અનુવાદ, નહિ રૂપાંતર, ઘણીવાર અનુસર્જનની કોટિની હોય છે. એમાં કર્તા પોતે સ્વતંત્ર સર્જન કરતો હોય તેટલી શિક્ત ઘણું ખરું વાપરતો હોય છે.

એક જ વિષય ઉપર દસ રચનાઔ હોય પણ અંતર્ગત રહસ્ય નોખાં નોખાં હોય તો તે તદ્દન સ્વતંત્ર સર્જનો જ બની રહે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પણ કોઈ વાર એક કૃતિ વાંચીને તેના પ્રતિઘાત રૂપે કાંઈ સૂઝે ને શબ્દમાં મૂર્ત થવા પામે તો તેને અનુસર્જનની કોટિમાં જ મૂકવું જોઈએ. ‘પ્રેમ’ એ કાવ્ય શ્રી મનસુખલાલ ઝવેરીના ‘બદલો !’ ના પ્રતિઘાત રૂપે છે એમ લેખકના કહેવાથી જાણું છું.

લેખકને પૂછવાથી એ પણ જાણું છું કે ‘સિંધુને’ એ કાવ્ય શ્રી ‘શેષ’ ના ‘સખિ ! જો ઉદધિ તણે ઉરે’ વાળું ગ્રંથારંભે મૂકેલું કરુણસુંદર કાવ્ય પ્રગટ થયા પહેલાં જ પ્રગટ થયેલું. મને લાગે છે કે સહેજે દરેકને સ્વતંત્ર રીતે સૂઝે એવી અમાસ-પૂર્ણિમાની ભરતીઓ વિશેની કલ્પના છે. મેટ્રિક સુધીમાં ભણાવવામાં આવે છે એટલી ભૂગોળ પણ કલ્પના છે. મેટ્રિક સુધીમાં ભણાવવામાં આવે છે એટલી ભૂગોળ પણ કલ્પનાને એટલી સામગ્રી આપવા પૂરતી ગણાય. છતાં આવી બાબતમાં દરેકનો કાવ્યાંતર્ગત અનુભવ કેટલો તો નિજનિજના વ્યિક્તત્વથી અંકિત હોય છે ! શ્રી શેષના વૌતાલીય સાથે આ ‘સિંધુને’ સરખાવવાથી પ્રતીતિ થશે.

‘અકારણ અશ્રુ’ માં આએભને ગાલ થઈને પસાર થા અશ્રુબિંદુ સાથે ખરતા તારાને સરખાવ્યો છે તે અર્વાચીન અંગ્રેજ કવિની તેવી જ એક ઉપમાની યાદ આપે છે એમ કહું તો દૂધમાંથી પોરા કાઢવા બેઠો છું એમ જ કોઈ કહેશે. ભાઈ પ્રહ્લાદ પારેખે શાંતિનિકેતન – વિશ્વભારતીમાં ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં એ કવિ ડેઇવિસની કૃતિથી વાકેફ નથી તે માની શકાય એવું છે પણ લગભગ મળતા લેઇકના વર્ણનથિ ડેઇવિસ પણ બિનવાકેફ હશે ? આવી બાબતોમાં મને લાગે છે કે કવિઓને વિસ્તૃત વાચનનું માન આપવા કરતાં એમને સહજસિદ્ધ એવી કલ્પનાશિક્તની લીલાને જ જવાબદાર ગણવી એ વધારે ઠીક પડશે.
શ્રી પ્રહ્લાદ પારેખમાંથી એક દૃષ્ટાંત લઈ આ વાત પૂરી કરીએ. ‘હતે તું સંગાથે !’ કાવ્ય જુઓ.

કડીને છેડે શિખરિણીના આદિ છ અક્ષરો લાવીને સચોટ શિલ્પરચના સાધી છે તે તો અપૂર્વ છે જ, પણ પંક્તિ અધૂરી લટકતી મૂકી દેવાથી આખા કાવ્યનો મુખ્ય ધ્વનિ – આયુષ્યની અધૂરપ નિરૂપવાનો – સહજમાં પ્રસ્ફુટ થાય છે. હૃદયમાં શિશિર હોય કે વસંત હોય, રટણા એક જ જાગે છે કે ‘હતે તું સંગાથે!’ જીવનના વિશિષ્ટ અનુભવોના રહસ્યસારમાં ભાગીદારી પડાવવા, હૃદય નિરંતર ઝંખ્યા કરે છે, ‘હતે તું સંગાથે !’ ૧૬ મી પંક્તિ છે :
નિહાળી કૈં ભવ્ય,
પણ ત્યાં જ કવિની જરી અટકે છે, કેમ કે ચિત્તમાં એક વિચાર સ્ફુરી આવે છે : ‘ભવ્ય જ શા માટે ?’ ત્યાં બીજી એક લીટી કલમે ચડી ગઈ :
નિહાળી વા રમ્ય,
અહીં આપણે બોલી ઊઠવાના : ‘ઓહ ! આ નો જ્રજ્જાદ્બદ્બદઙદ્બ દ®દ્બÆજાદ્બ: વાળી કાલિદાસની વાત જ થઈ !’
શાકુંતલ (અંક ૫)ના તે શ્લોકનો ચાલતી કલમે જેવો બેસે તેવો અનુવાદ જ આપું છું :

રમ્યો નિહાળી, મધુરા સુણતાં જ શબ્દ,
સૌખ્યે ડૂબેલ પણ ઉત્સુક થાય જીવ;
તે તો સ્મરે હૃદયથી, ઉરને–અજાણી
જન્માંતરોની સ્થિરભાવભરેલ પ્રીતિ.

કાલિદાસે તારણ કાઢયું છે તે તો તેની મહાકવિની પ્રતિભાવને પણ ક્વચિત જ સાંપડે એવું અબોધપૂર્વ દર્શન છે. આપણા કવિને રમ્યવસતુઓ નિહાળીને ચિત્તમાં સ્ફુરાયમાણ થતા જન્માંતરોના સખ્યની વાત નથી કરવી. માત્ર જીવનના આવા પરમમંગલ કે પરમકરુણ – જે બંને સચેત હૃદયો માટે સરખા જ આવકારપાત્ર–પ્રસંગોએ ‘હેત તું સંગાથે !’ તો કેવું, – એટલી વિરહવેદના જ ગાવી છે, અને તે કાલિદાસ કરતાં જુદી જ વાત છે.

મને માનવાને કારણ છે કે કવિએ હૈયાઉકલતથી જ આ વાત ગાઈ છે. છતાં કોઈ ને કાલિદાસ સાથે તેનો સંબંધ જોડવો હોય તો હું એ બાબત દુરાગ્રહ ન રાખું. કીર્તિના બજારમાં મહાકવિઓએ પોતે જ જેમ મહાભારતાદિમાંનાં ભર્યાં ભર્યાં ગોદામોના માલનું છૂટક વેચાણ (retail sale) કરવામાં બાકી રાખી નથી તેમ એ મહાકવિઓની રચનાઓમાંથી પણ અનેક કણિકાઓ વીણીવીણી કલાની મદદથી સુરેખ બનાવી આપણે સફળતાથી રસભોગી વર્ગ સુધી પહોંચાડી શકીએ તો કશું ખોટું નથી. માત્ર સ્વતંત્ર, સ્વયંપર્યાપ્ત કૃતિના રૂપમાં એ કણિકાઓ આપવી જોઈએ. આ કરવામાં પણ કવિપ્રતિભાનો પૂરો પરિચય કરાવવાનો રહે છે. જો કોઈ એમ કહે કે ના ના, આગળનાઓએ ગાયેલા ભાવને ગાવા એમાં તે શી મોટી વાત છે, તો હું એને બીજીત્રીજી વાત સંભળાવવાને બદલે એટલું જ નમ્રભાવે કહીશ : ‘ખરું, આ તમારા ચરણ આગળ ભૂતકાળનાં પાંચેક હજાર વરસોનો કવિતાવારસો મૂક્યો. એમાંથી સ્વયંપર્યાપ્ત અને સ્વતંત્રપણે પ્રાણ ધારણ કરી કાળ સામે ટકી શકે એવી માત્ર ચાર લીટી કરી આપો. આખું જગત કૃતાર્થ થશે.’

ત્યાં જ મુશ્કેલી છે તો ! લોટ, દાળ, ચોખા અને મીઠું, મરચું વગેરે ષડ્રસની સમાગ્રી મળવાથી જ વાત પતી જતી નથી. પેટની ભૂખ ભાગે એ સ્થિતિ લાવવા માટે તો એ બધી સામગ્રી ઉપર કંઈક કીમિયો કરવો રહે છે. આત્માની ભૂખ પણ માત્ર છૂટક છૂટક સામગ્રીથી ભાગતી નથી, કીમિયાગરનો હાથ એ સામગ્રીને અડવો જોઈએ છે.

ભાઈશ્રી પ્રહ્લાદ પારેખનો હાથ ધારે ત્યારે કીમિયાગરનો હાથ થઈ શકે છે એ જોનારા જોઈ શકશે. જ્યારે જ્યારે ખરેખર બીજા મહાલેખકમાંથી એ કાંઈ લે છે ત્યારે ત્યારે પોતની સમગ્ર શિક્તનો એને લાભ આપી, એને પોતાની કલ્પનાની પેદાશ હોય એમ લડાવી એક ઉત્તમ અનુસર્જન એ આપણને આપે છે. ઉદાહરણ તરીકે, ‘છેલ્લી પૂજા’નો છેલ્લો શ્લોક છે તેનું વસ્તુ ટાગોરમાં ન હોવા છતાં પોતાની રચનાની પરાકાષ્ઠા રૂપે કવિએ પોતા તરફથી મૂક્યો છે.

૫. ‘ગાનનો ગેરુ રંગ’

આ સંગ્રહની કોઈ લાક્ષણિકતા હોય તો તે તેનાં દિલચશ્પ ગીતો છે. માનવહૃદયના મુલાયમ ભાવો સહજ બાનીમાં મુકાયેલા અહીં જોઈએ છીએ. આ કવિની ગીતરચનામાં એક જાતની ૠજુતા છે, બાલસહજતા છે. તેના નમૂનાઔ અહીં આપવા બેસું તો તો ચોપડીનો મોટો ભાગ ફરી છાપવા જેવું થાય. ‘માનવકંઠ’, ‘તારો ઇતબાર’, ‘અવધૂતનું ગાન’, ‘મારા રે હૈયાને તેનું પારખું’, ‘આજ’, ‘અંધ’, ‘એકલું’ અને ‘આવશે’ એ ગીતો એકવાર એમનો આસ્વાદ લીધા પછી ભૂલવાં એટલાં બધાં મુશ્કેલ છે કે મૂળ ગ્રંથમાં એક વાર છપાયાં છે તે જ બસ છે.

‘જૂઈ’, ‘કામિની’, અને ‘શિવલી’ એ ત્રણ, લેખકની સૌરભપ્રીતિની ખુશબોથી મધમધતાં પુષ્પવિષયક ગીતો છે.
‘પરી’, ‘હે મંગલ!’, ‘શી કસોટી, હાય !’ અને કાંઈક અતિસુખનું દુ:ખ એ બંગાળી ઢાળમાં ઢળાયાં છે. કવિએ પોતાનાં બધાં ગીતો કાનથી જ જાણે કે રચ્યાં લાગે છે.૧

ગીતોમાં લેખક ભાવની તીવ્રતા સહેલાઈથી સાધી શકે છે:

૧. સરખાવો : ‘His ear speaks to him.’-પૉલ વાલેરી : ધ આર્ટ ઑફ પોએટ્રી’ (૧૯૫૮) પૃ. ૧૭૪. (૨૧-૧-‘૬0.)
કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર :
એવું રે લાગે આજે એકલું !
(‘એકલું’)

કોઈ વાર ‘તારલા માંહીથી હેકતી આવતી શી સુગંધી !’ કહી એ આશ્ચર્યથિ જઈ રહે છે. કોઈ વાર બાળક બનીને પૂછે છે :

તારા જો આભે હસતા તો ધરતી પર જૂઈ મલકાય :
શાને હસતાં ? એવી તે શી બંને વચ્ચે વાતો થાય ?
(‘જૂઈ’)

કોઈ વાર કવિ અતાગ વેદનાથી અકળાય છે, અમળાય છે :

જે તીરથની જાત્રી ચાલી આવી દિવસરાત્રી,
એ તીરથ નહિ પહોંચાય ?
– શી કસોટી, હાય !

‘દરિયાને’ ગીતમાં લેખકે આપણને અનેક ‘મસ્ત લકીર આપી દીધી છે. પહેલું તો દરિયાનું–સર્વત્ર ગાન, ગાન ને ગાન મચાવતા દિરયાનું –સહજલીલાથી વર્ણન જ કેવું કર્યું છે ! –

હો દરિયા-ફકીર !
આ રે કાંઠે ગાતો, ગાવા જાતો પેલે તીર.

આમાં કાંક જાદુઈ સરળતા છે અને આ ગીતમાં માનવીના મનને બનાવવામાં કાંઈ બાકી મૂકી છે ? એમને ‘મનજી’ કહ્યા છે. પ્રકૃતિ પોતાનાં ગીતસર્જનો ગીતવર્ષનો માટે સહેજ પણ મમભાવ રાખતી નથી, તયાં આપણા આ ‘મનજી’ પોતાની રચના માટે તો શોરબકોર મચાવે છે કે

‘….મારું મારું મારું છે એ ગાન !
–દોડે એ તો, ઝાલ્યા રે’ ન લગીર,’

માણસના ‘મનજી’ ન ભારે ઠેકડી કરી છે અને તે યોગ્ય જ કર્યું છે. છતાં આખા નિરૂપણ પાછળ કવિસહજ સહાનુભૂતિ નથી એમ કોણ કહેશે ?
‘આવશે’ ગીતમાં મોલન પહેલાંની ઉત્કટ છતાં માદકતાવિહોણી પ્રસન્નમંગલ મુદિતા અંકાઈ છે :

ધીમા ધીમા વાજો આજ સમીર,
સાગર-વીરા ! લેજે આઘાં નીર ?
મારો રે આવે છે વા’લમ, હૈયા કેરો હીર.

લેખકે કોઈ અસ્પશ્ર્ય મધુરતા આ ગીતથી સર કરી છે. હૃદયની મિલનાતુરતા તો જુઓ :

મારા હૈયે કરિયા લાંબા હાથ,
આવીને એ પૂરી કરશે બાથ;
તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ.

શ્રી પ્રહ્લાદ પારેખની કૃતિઓ વિશે આટલું કહ્યા પછી એમની ત્રુટિઓ અને ઊણપો વિશે કશું ન કહું તો રસિકોનો દ્રોહ કર્યો ગણાય. આ કાવ્યસંગ્રહ જોતાં તેમાં કેટલેક ઠેકાણે છંદોરચનાની સૃષ્ટિશ્લષ્ટતાનો અભાવ લાગે છે, કડી કડી વચ્ચેનું બંધન શિથિલ જણાય છે. ગાતો વિશે એમ કહી શકાય તેવું નથી. જોકે ‘હે મંગલ!’ એ ગીતમાં ‘બહુ જુગો જળ જીવનનાં વહી’ એ પંક્તિ એકાએકક વચ્ચે દ્રુતવિલંબિતનો સંવાદ ચિત્તમાં ઉપજાવે છે એ સહેજ વિચિત્ર છે. લેખક ઘણું ખરું પ્રાસ મેળવે છે. છતાં ‘મુક્ત નિર્ઝર’માં ટાગોરની લાંબીલચક કૃતિને માત્ર બાર લીટીમાં અંતના ‘ભેટી’- ‘લેટી’ ની કડક પ્રસરચનાની પકડથી સમાવી છે તેવી સફળતા બધા પ્રાસમાં દેખાતી નથી. પ્રાસ લાવવો તો પછી તે સબળ અને કાર્ય સાધક હોય એ જરૂરી છે. ભાષાની બાબમાં પણ લેખકની કચાશ કોઈવાર સાલે એવી છે. છંદોમાં કેટલાક શિથિલ અને દૂષિત શબ્દપ્રયોગ મળશે. બધા જ આધુનિકોનું એમ છે એવું કહી હું બચાવ નહિ કરું. બધાઓએ જ સુધરવું પડશે કહેવું બરોબર છે.

‘અપ્સરી’, ‘મુકુલ’નો નારીજાતિમાં પ્રયોગ (‘વાતો’), ‘પૂર’ શબ્દનો અતિ-ઉપયોગ આવી વસ્તુઓ ઘણાને ખૂંચશે. ‘શબ્દો’ની શિક્તથી કવિ જાણકાર છે જ (પૃ. ૧૪૪) એટલે ભવિષ્યમાં એમનો વાકષપ્રભાવ વધતો જશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. પણ લોકવ્યવહારના – બોલચાલના પ્રયોગો લેખકને સારા પ્રમાણમાં હસ્તગત છે. ‘ભટૈરિયાં’, ‘ભંભોટી’, ‘મનજી’ માંનો ‘જી’, ‘ભોરની ભરનિદ્રા’માં ‘ભોર’નો ગંભીર ધોષ, ‘એવા વળી શાને ભરે ભાર’ વગેરે પ્રયોગો લેખકની રચનાઓને ઓર રીતે માતબર બનાવે છે.

લેખક હજી યુવાન છે, આ એમનો પ્રથમ કૃતિસંગ્રહ છે, એટલે કલ્પનાની પ્રગલ્ભતા, વિષયોની વિવિધતા અને ભાષાપ્રૌઢિ અંગે આ સંગ્રહમાં આપણને ઊણપ લાગે તો હવે પછીની રચના ઓમાં એનો એ ખંગ વાળી આપશે એવી આશા રાખીએ. આમાં એમણે જે ૠજુકરુણ સુંદર કવિતા આપી છે એ માટે જ આપણે એમના જેટલા ૠણી રહીએ એટલું ઓછું છે. મને એમની કૃતિઓનો અભ્યાસ કરવાની તક મળી તેને પરિણામે જે વસ્તુઓ કહેવા જેવી સૂઝી તે અહીં રજૂ કરી છે. ભાઈશ્રી પ્રહ્લાદ પારેખની કૃતિઓનો વાચકોને રસાસ્વાદ કરાવવા ઉપરાંત નવિનતર કવિઓની અને નવીનોની પણ – રચનાઓનો આ રીતનો અભ્યાસ કરવાની વૃત્તિને કદાચ પોષણ મળશે એવી આશા પણ સાથે સાથે ખરી.

છેવટે, શ્રી પ્રહ્લાદ પારેખે ‘હે મંગલ !’ માં ગાયેલી પ્રાર્થનાનો એક અંશ ભગવાન મહાકાલને ઉદ્દેશીને આગળ કરું છું, આપણા આ ઉદયોન્મુખ યુવકની સુકુમાર કવિતાના યાત્રિક આત્માને એ પોતાને ચરણે સ્થાન આપે એવી આશા સાથે :

હે દયામય ! સ્થાન દે, તવ પાસ આવ્યું પથિક જલ
હે મંગલ ! હે મંગલ !

આનંદનગર, અમદાવાદ.૨૨-૧0-૧૯૪0

ઉમાશંકર જોશી

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.