‘કાવ્યશાસ્ત્ર’ : એક ભૂમિકા

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. એરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. એરિસ્ટોલ પોતે જ પ્રોટોગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને એરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથાપ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટિસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિતકલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયસ્ટીયસ નોંધે છે. ડેમોક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં કવિતા પર એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને એરિસ્ટોફેનસ જેવા નાટ્યકારોએ ટ્રેજેડીની કલા અંગે મામિર્ક વિધાનો કર્યાં છે. એરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો કોઈ સાહિત્યશાસ્ત્રના પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તો સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A poet’ નામનું નાટક રચ્યું હતું. એરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયોટસે ‘A Poet’ નામે કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે એરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચંતિકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. એરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભાં કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે.

2

લિસીયમ વિદ્યાધામમાં એરિસ્ટોટલે પોતાના શિષ્યો સમક્ષ જે વ્યાખ્યાનો આપ્યાં હતાં તેનું ટાંચણ તે આ ‘કાવ્યશાસ્ત્ર’. આ ટાંચણ વ્યાખ્યાતાએ પોતે પોતાપૂરતું કર્યું હોય તે એક શક્યતા છે; અને એના કોઈ શિષ્યે વ્યાખ્યાનો ટાંચણ રૂપે ટપકાવી લીધાં હોય એ બીજી શક્યતા છે. ગિલ્બર્ટ મરે પહેલી શક્યતા સ્વીકારે છે. તેઓ કહે છે :

‘The style of the poetics suggests the MS of an experiencex lecturer, full of jotting and adscripts, with occasional phrases written carefully out, but never revised as a whole for the general reader.’

25મું પ્રકરણ તો માત્ર ટાંચણિયા છે. વિચારસરણી સળંગ સૂત્ર રૂપે કંતાતી આવે એવું નથી બનતું; એટલું જ નહિ, કોઈ કોઈ જગાએ તો તંતુ જ તૂટી ગયેલા છે. આને કારણે ઊભી થયેલી સંદિગ્ધતાએ વિવેચકો અને અભ્યાસીઓને કસોટીએ ચડાવ્યા છે. એવાં સંદિગ્ધ સ્થાનો જ માત્ર નહિ, પણ આખા Poeticsની વિચારણાને સમજવા માટે એરિસ્ટોટલના અન્ય ગ્રંથોનો અભ્યાસ પણ જરૂરી બની રહે છે. એરિસ્ટોટલની ફિલસૂફીના વિચારસંદર્ભમાં એનો નાટ્યવિચાર વિલોકવાની વાત ગ્યુઈથેએ કરેલી તે આ કારણે. કેટલાક વિચારતંતુઓ વણસંધાયા રહી ગયા છે તો કેટલાક અન્ય ગ્રંથોમાં હાથ લાગે છે. છઠ્ઠા પ્રકરણની શરૂઆતમાં ટ્રૅજેડીની વ્યાખ્યા આપ્યા પછી એરિસ્ટોટલ કહે છે કે કોમેડીની વાત હવે પછી કરીશું. પણ એ વાત જ પછીથી મળતી નથી. એના ગ્રંથ ‘Politics’માં એ કેથાસિર્સનો મુદ્દો છેડે છે ને કહે છે એની વિગતવાર ચર્ચા ‘Poetics’માં મળશે, પણ ‘Poetics’માંય એ મુદ્દો ચર્ચ્યા વિનાનો જ રહ્યો છે. બાયવોઠર, આથી એવું વિચારવા પ્રેરાયા છે કે ‘Poetics’નો બીજો ખંડ હોવો જોઈએ જે આપણને મળ્યો નથી. એ બીજા ભાગમાં એરિસ્ટોટલે કોમેડી અને કેથાસિર્સની વિગતે ચર્ચા કરી હોવી જોઈએ. દસમી સદીની એક એવી હસ્તપ્રત મળી પણ આવી છે જેમાં કોમેડીની ચર્ચા છે. પણ એ હસ્તપ્રત પર ક્યાંય એરિસ્ટોટલનું નામ નથી. બાયવોટર એને ‘sorry fabrication’ કહે છે; અને લેન કૂપર તો એના આધારે ‘An Aristotelian Theory of Comedy’ નામનો ગ્રંથ પણ રચી બેઠા છે.

3

એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રના અભ્યાસમાં એક ભૂમિકા રૂપે પ્લેટોના કવિતાવિષયક વિચારોનો અભ્યાસ કરવો જરૂરી થઈ પડે છે. પ્લેટોએ કવિતા પર જે હુમલો કર્યો તેના ઉત્તર રૂપે એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રની રચના થયેલી જોઈ શકાય છે. પ્લેટોએ કહેલું કે સત્યથી કવિતા તો ત્રણ ડગલાં દૂર રહેલી છે, કારણ કે જે સત્ય છે તે તો ‘World of Ideas’ છે, આ વિશ્વના દેખાવો તો એનાં પ્રતિબિંબો છે; અને ચિત્રકાર કે કવિતાકાર કે પ્રતિબિંબોનાં પણ પ્રતિબિંબો ઉપજાવે છે. બીજું, કવિતામાં દેવદેવીઓનાં ચરિત્રો સામાન્ય માનવી કરતાંય નીચી કોટિનાં આલેખાયાં હોવાનું જણાયું છે. ત્રીજું, કવિતાનો આનંદ હીનકક્ષાનો આનંદ છે, કારણ કે આત્મનો જે હીન અંશ–લાગણીતંત્ર–તેને કવિતા પોષે છે, ઉશ્કેરે છે; અને ચોથું, માનવીએ વીર બનવાનું શીખવું જોઈએ તેને બદલે ટ્રૅજેડીના નાયક દ્વારા એ વિપત્તિમાં માથે હાથ દઈને બેસવાનું, રોતલ બનવાનું, શીખે છે. આ બધાં કારણોસર પ્લેટોએ કવિતાને અને પરિણામે કવિને દેશનિકાલ કરવા જોઈએ એવું મંતવ્ય રજૂ કર્યું હતું. એરિસ્ટોટલે આ મુદ્દાઓનો સીધો ઉત્તર નથી આપ્યો, પણ એની નજરમાં પ્લેટો રહેલો છે તે વાત તો ‘Poetics’ના પાને પાને પ્રતીત થાય છે. એરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય તો અને પ્લેટોના વિદ્યાધામમાં એણે વીસ વર્ષો ગાળ્યાં હતાં. વિદ્યાર્થી તરીકે, શિક્ષક તરીકે અને લેખક તરીકે ઈ.સ. પૂર્વે 367થી 347 સુધી એણે પ્લેટોના સાન્નિધ્યમાં કામગીરી બજાવી હતી. પ્લેટોના વિચારોની એના પર ઘણી ઊંડી અસર હતી એટલે પ્લેટોએ ઊભા કરેલા પ્રશ્નોને તે પોતાની રીતે વિચારે છે, પણ પ્રશ્નો તો પ્લેટોએ જ એના મનમાં રોપી આપ્યા છે. બંનેની વિચારણા જુદે જુદે માર્ગે જાય છે પણ ભૂમિ તો એક જ છે. સમૃદ્ધ જંદિગીના સંદર્ભમાં પ્રત્યેક વસ્તુની ઉપયોગિતા પ્લેટોના વિદ્યાધામમાં વિચારાતી હતી. કવિતા અને અન્ય લલિત કલાઓ પણ એમાંથી બાકાત નહોતી. એરિસ્ટોટલ કવિતાનો કવિતા રૂપે વિચાર કરે છે એ ખરું, પણ ઉપયોગિતાની વિચારણાથી એ સદંતર મુક્ત નથી. ઉપયોગી કલાઓ અને લલિત કલાઓ વચ્ચેનો ભેદ ત્યારે પડેલો નહોતો. બંને વચ્ચેની ભેદરેખા પર આંગળી મૂકનાર એરિસ્ટોટલ પહેલો છે; અને એ દૃષ્ટિએ પ્લેટો કરતાં એ જુદા રસ્તે જ નહિ, ઘણે આગળ પણ જાય છે.

4

પ્લેટોએ એના ‘Republic’માં કવિતા પર હુમલો તો કર્યો, પણ પછી, કોણ જાણે કેવા ભાવથી, કવિતાપ્રેમીને છેલ્લે છેલ્લે એ એક આહ્વાન આપી બેઠો છે. પ્લેટો લખે છે :

‘We will give her champions, not poets themselves but poet-lovers, an opportunity to make her defence in plain prose and shor that she is not only sweet – as we well know – but also helpful to society and the life of man, and we will listen in a kindly spirit. For we shall be gainers, I take it, if this can be proved.’

એરિસ્ટોટલને આ ગદ્યખંડની જાણ હતી અને તેથી એને નજરમાં રાખીને જ જાણે કે એ ‘કાવ્યશાસ્ત્ર’માં આગળ વધ્યો છે. Poetics’નું જે સ્વરૂપ રચાયું, જે પ્રશ્નોના ઉત્તરો એમાં આપવાનો પ્રયત્ન થયો, તેનું કારણ આ આહ્વાનના સ્વરૂપમાં રહેલું પણ દેખાય છે.

5

વિવેચનમાં આજે પ્રયોજાતી Plot, character, chorus, action, episode જેવી સંજ્ઞાઓ એમની મૂળ અર્થચ્છાયા સાથે એરિસ્ટોટલમાં જોવા મળે છે. એ દૃષ્ટિએ, પશ્ચિમી સાહિત્યવિવેચનનો અભ્યાસ કરનારને માટે આ ગ્રંથનો અભ્યાસ અનિવાર્ય બની રહે છે. હમ્ફી હાઉસ કહે છે : One of the main reasons why I believe it good that the Poetics should be read at the very beginning of a university course in literature is that it shows these essential current terms in their earliest formal context, related to a literature that you can read, at least in translation.’

એરિસ્ટોટલના આ ગ્રંથમાં સંજ્ઞાઓ અમુક ચોક્કસ સંદર્ભમાં પ્રયોજાયેલી છે. સંદર્ભ પ્રમાણે એમના સંકેત નક્કી કરવા એ અભ્યાસીનું કાર્ય છે. વિવેચનનો ઇતિહાસ, ખરું જોઈએ તો, સંજ્ઞાઓના ભિન્ન ભિન્ન સંદર્ભોમાં થતા નાના-મોટા અર્થફેરફારોનો ઇતિહાસ છે. સંજ્ઞાઓ લપટી પડી ન જાય, પરિભાષા એનો પ્રાણ ગુમાવી ન બેસે એટલા માટે સંજ્ઞાઓના સંદર્ભો તપાસીને એમના સંકેતો જમાને જમાને નક્કી કરવા પડતા હોય છે. જેમને અમુક સંજ્ઞાના ઉપયોગનો ઇતિહાસ ખબર ન હોય તેઓ આવા સંકેતો નક્કી કરવામાં મુશ્કેલી ઊભી કરતા હોય છે. mimesis–’અનુકરણ’–જેવી એકાદ સંજ્ઞા લઈ જોવાથી આજ સુધીમાં કેવા કેવા ભિન્ન ભિન્ન સંકેતોમાં એ પ્રયોજાતી આવી છે તેની ખાતરી થશે. એરિસ્ટોટલે પ્રયોજેલી સંજ્ઞાઓનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવાની જવાબદારી અભ્યાસીને શિરે રહેલી છે.

6

‘અનુકરણ’ સંજ્ઞા એક કરતાં વધારે અર્થમાં એરિસ્ટોટલ પ્રયોજે છે. કવિતાના ઉદ્ભવહેતુઓમાં અનુકરણની વૃત્તિનો એ સમાવેશ કરે છે ત્યાં એનો એક અર્થ છે. (કાવ્યશાસ્ત્ર પૃ. 7). બધી જ કલાઓને જ્યારે તે અનુકરણશીલ કહીને ઓળખાવે છે ત્યારે કલાસર્જનવ્યાપારમાં પ્રવર્તતા કોઈ મહાનિયમની એ વાત કરે છે અને ત્યાં એનો બીજો અર્થ છે. પહેલો અર્થ દર્શાવતો ગદ્યખંડ આ ગ્રંથમાં પ્રક્ષિપ્ત હોવાનું કેટલાક વિવેચકો માને છે. એમ હો વા ન હો, એ ગદ્યખંડમાં કલા વિશેની એક મહત્ત્વની વાત કહેવાઈ છે : ‘અનુકૃત વસ્તુઓમાં અનુભવાતો આનંદ પણ કંઈ ઓછો સનાતન નથી. અનુભવનાં તથ્યોમાં આપણને આનો પુરાવો મળી રહે છે. જે વસ્તુઓને આપણે દુ:ખપૂર્ણ રીતે જોઈએ છીએ તે જ વસ્તુઓની સૂક્ષ્મ વફાદારીથી થયેલી પ્રતિકૃતિનું ભાવન કરવામાં આપણે આનંદ અનુભવીએ છીએ – જેમ કે અત્યંત ઘૃણાજનક પ્રાણીઓ અને મૃતદેહોની પ્રતિકૃતિઓ.’ અહીં જે આનંદની વાત કરેલી છે તે માત્ર પૂર્વપરિચિતતાને કારણે જન્મતો આનંદ નથી. વ્યવહારજગતમાં જે કદરૂપું છે, શોકજનક છે તે વાસ્તવ-તથ્ય પણ જ્યારે કલાકૃતિના જગતમાં આવે છે ત્યારે સુંદર બની રહે છે અને આનંદનું કારણ થઈ શકે છે. આ આનંદ નકલમાંથી જન્મતો બાલસહજ આનંદ નથી, પણ વધુ ઉચ્ચ પ્રકારનો અને સૂક્ષ્મ આનંદ છે. એરિસ્ટોટલે પોતે જ એને નકલથી ઊંચે ઉઠાવીને વાત કરી છે : ‘જો તમે મૂળ વસ્તુને ન જોઈ હોય તો આનંદ અનુકરણજન્ય નહિ હોય પણ આલેખન, રંગવિધાન કે એવા કોઈ અન્ય કારણ પર આધારિત હશે.’ કલાના ભાવનનો આનંદ માત્ર વસ્તુગત્ નથી પણ structure અને pattern પર આધારિત છે એ મહત્ત્વની વાત અહીં આ રીતે કહેવાઈ છે.

‘અનુકરણ’થી પોતાને કયો વ્યાપાર અભિપ્રેત છે તેની ચોખવટ એરિસ્ટોટલે ક્યાંય નથી કરી. તે કાળે વિવેચનમાં વપરાતી પરિભાષામાંથી એણે આ શબ્દ વારસામાં લઈ લીધો છે. પણ એરિસ્ટોટલનું મહત્ત્વ એ છે કે એ સંજ્ઞાને એ પોતાની રીતે પ્રયોજે છે ને ત્યાં પ્લેટોથી એ જુદો પડે છે. માત્ર ઇન્દ્રિયસંનિકર્ષમાં આવતા પદાર્થોનું અનુકરણ એરિસ્ટોટલને અભિપ્રેત નથી. એ કહે છે કે કલા ‘ચરિત્રો, લાગણીઓ અને ક્રિયા’નું અનુકરણ કરે છે. એણે બાહ્યવિશ્વના અનુકરણ કરતાં મનોવિશ્વ–આંતરવિશ્વ–ના અનુકરણ પર ભાર મૂક્યો છે. તેથી જ, કદાચ, તે કહે છે કે સંગીત અન્ય કલાઓ કરતાં સૌથી વધુ અનુકરણશીલ છે. કલા તો અનુકરણ દ્વારા બાહ્ય વાસ્તવની સીમાઓને ઉલ્લંઘી જઈને આભ્યંતરના અસીમ વાસ્તવને આંબે છે. એરિસ્ટોટલ જ્યારે કહે છે કે કવિતા ઇતિહાસ કરતાં વધુ તાત્ત્વિક અને વધુ સનાતનને સ્પર્શે છે ત્યારે આ સંદર્ભમાં આપણે એને સમજી શકીએ. પ્લેટોના ‘નકલ’ના સિદ્ધાંતથી એરિસ્ટોટલ ખૂબ દૂર નીકળી જાય છે. એને મન અનુકરણ એટલે નકલ નહિ, પણ સર્જન, એટલે કે કવિકર્મ. છંદો લખતાં આવડે તેથી કવિ ન થવાય, ‘અનુકરણ’ આવડે તો કવિ થવાય; એટલે એમ્પિડોક્લિસ કવિ નહિ પણ હોમર કવિ ખરો.

7

ટ્રેજેડીના અસ્તિત્વની ઉપયોગિતા સિદ્ધ કરવાના પ્રયત્નમાંથી કેથાસિર્સ–વિવેચન–ની વિભાવનાનો જન્મ થયો છે. ‘કેથાસિર્સ’થી એરિસ્ટોટલને કઈ માનસિક પ્રક્રિયા અભિપ્રેત છે, એ તેણે ક્યાંય સ્પષ્ટ કર્યું નથી. એની સંદિગ્ધતાએ અભ્યાસીઓને અનેક પ્રકારના અર્થો સૂચવવા પ્રેર્યા છે. બનવાજોગ છે કે એરિસ્ટોટલે જ્યારે આ સંજ્ઞાનો પ્રયોગ કર્યો હશે ત્યારે એનો અમુક ચોક્કસ સંકેત પ્રચલિત હશે.

સંગીત જેવી કલા દ્વારા મનની તંગ પરિસ્થિતિમાંથી માનવી ઉપશમની સ્થિતિમાં આવી શકે છે એ તે વખતે ઘણી જાણીતી વાત હતી. પ્લેટોના ‘Laws’માં એના ઉલ્લેખો મળે છે. ઉત્કટ ભાવાવેશ કે ભાવાવેગની સ્થિતિમાંથી ભાવસમતુલાની સ્થિતિમાં ચિત્તને માટે અમુક પ્રકારના સંગીતનો અને નૃત્યનો ઉપયોગ થતો હોય તેના ઉપરથી એરિસ્ટોટલને કેથાસિર્સની વિભાવના સ્ફુરી હોવાની શક્યતા છે.

ગિલ્બર્ટ મરે થોડી જુદી વાત કરે છે. તેઓ કહે છે કે પ્રાચીન ગ્રીસમાં ડાયોનિસિયસની સ્તુતિમાં ભજવાતાં નાટકોનો હેતુ જ ધર્મશુદ્ધિનો હતો. તેઓ કહે છે કે એરિસ્ટોલના જ સમયમાં, ઈ.સ. પૂર્વે 361માં, ગ્રીક ટ્રૅજેડીનો રોમમાં પ્રવેશ થયો ત્યારે એનો ઉદ્દેશ કલાગત નહિ પણ ધામિર્ક વિશોધનનો હતો : આ અર્થમાં Katharmos શબ્દ વપરાતો. એરિસ્ટોટલ Katharsis સંજ્ઞા એ પ્રચલિત વ્યવહારમાંથી લઈ આવે છે, પણ એનો પ્રયોગ પોતાની રીતે – એમાં નવો અર્થસંભાર ભરીને – કરે છે.

કેથાસિર્સનો ઉલ્લેખ એરિસ્ટોટલે ‘politics’માં કર્યો છે. ત્યાં વૈદકશાસ્ત્રની વિરેચનરીતિની એણે દૃષ્ટાંત રૂપે વાત કરી છે. શક્ય છે કે બાર્નેસ જેવા વિદ્વાનને Katharsisનો લાક્ષણિક અર્થ તારવવાનું એ વાંચીને સૂઝ્યું હોય. બાર્નેસના મતે Katharsis એ વૈદકીય પરિભાષાનો શબ્દ છે અને તેનો ઉપયોગ એરિસ્ટોટલે લક્ષણાની રીતે–Metaphorical–કર્યો છે. કરુણા અને ભય જેવી મૂલત: દુ:ખદ લાગણીઓને ઉદ્બુદ્ધ કરીને એમનું સંમાર્જન કરવાનું કામ ટ્રૅજેડી કરી છે. એવી લાગણીઓ, પછીથી, વ્યવહારજીવનમાં અનુભવવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે માનવી એમનો સ્વસ્થ ચિત્તે સામનો કરે છે અને સમતુલા ગુમાવી બેસતો નથી.

બૂચર કહે છે કે કેથાસિર્સની વિભાવનામાં એરિસ્ટોટલને માત્ર આટલું જ અભિપ્રેત હોય એવું નથી. ‘માનસિક સંતુલન’ તો કાવ્યાસ્વાદની માત્ર એક ભૂમિકા છે. કેથાસિર્સની પરિણતિ તો રસાનુભૂતિમાં છે.

હમ્ફ્રીહાઉસ એરિસ્ટોટલની કેથાસિર્સની વિભાવનાને ‘wider ethical context’માં જોવાનું સૂચવે છે. એ વાત સાચી છે કે જીવનના અનુલક્ષમાં એરિસ્ટોટલે ટ્રૅજેડીના અસ્તિત્વની સાર્થકતા પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એનું વલણ બોધલક્ષી કે નીતિલક્ષી નથી. ટ્રૅજેડીનું (કે કવિતા સમગ્રનું) કાર્ય–function અમુક હેતુ માટે હોવું જોઈએ એવું એણે ક્યાંય કહ્યાનું જાણમાં નથી.

8

પ્લેટોની ચોખલિયા શિસ્તમાંથી એરિસ્ટોટલ બહાર આવે છે અને પ્લેટોએ અપનાવેલું સંવાદનું સ્વરૂપ એ છોડી દે છે એ નોંધપાત્ર ઘટના છે. પ્લેટો એકાદ ગૃહીત લઈને પછી સંવાદમાં એને દલીલપરમ્પરા દ્વારા સાબિત કરવાનો બૌદ્ધિક પ્રયત્ન કરે છે જ્યારે એરિસ્ટોટલ એવા કોઈ ગૃહીતનો પૂર્વસ્વીકાર કર્યા વિના વસ્તુગત સત્યની શોધ કરે છે. તે સમયે સાહિત્યની કોઈ પુખ્ત સિદ્ધાન્તસરણી અસ્તિત્વમાં નહોતી આવી. એટલે કેટલીક જગાએ એરિસ્ટોટલ પોતાની રીતે અક્ષુણ્ણ માર્ગે આગળ વધે છે અને એવાં કેટલાંક સ્થાનોમાં અસંગતિઓ પ્રવેશવા પામી છે. પરંતુ સાહિત્ય-તત્ત્વવિચારના કેટલાક મૂળભૂત પ્રશ્નો રોપી આપવાનું કાર્ય આ ગ્રંથમાં એને હાથે થયું છે અને એ પ્રશ્નો ત્યારપછી ચર્ચાતા જ રહ્યા છે. જ્યાં સુધી આ સનાતન પ્રશ્નો છે ત્યાં સુધી આ ગ્રંથનાં સ્થાન અને માન રહેવાનાં છે.

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.