આકાર કે આકારાત્ મુક્તિ?

રૂપસંસિદ્ધિનું મહત્ત્વ આજની વિવેચનામાં ઓછું થતું જાય છે એવું સંભળાવા લાગ્યું છે. હમણાં જ થયેલા એક સંવિવાદમાં પણ ‘આજના કવિઓ આકારમાંથી મુક્તિ મેળવવા ઇચ્છે છે’ એવું વિધાન થયેલું. આ વલણને આપણે રોમેન્ટિક ઉદ્રેકનો પુન:પ્રાદુર્ભાવ ગણાવીને અટકી જઈએ તે નહીં ચાલે.

પશ્ચિમમાં પલટાતી આબોહવા જોઈને અહીંની આબોહવાની એંધાણી આપનારા કેટલાક છે. એક મિત્ર યેઇલ યુનિવસિર્ટીમાં જઈને હમણાં જ પાછા આવ્યા છે. એમણે કહ્યું, ‘પહેલાં તો હું ‘ફોર્મ’નો આગ્રહી હતો, પણ યેલ જઈને આવ્યા પછી મને લાગે છે કે એ વલણ ખોટું હતું.’ જ્ઞાન તો જ્યાંથી મળે ત્યાંથી પ્રાપ્ત કરવું જોઈએ. એમાં કશું ખોટું નથી. પણ છેલ્લામાં છેલ્લાં બદલાતાં વલણોથી અભિજ્ઞ રહેવું એ એક વાત છે, અને એ પ્રમાણે આપણા અભિપ્રાયોને ગોઠવતા રહેવું એ બીજી વાત છે. કદાચ આ બદલાતા વલણના મૂળમાં જ્યોફ્રે હાર્ટમેનનો ‘Beyond Formalism’ નિબન્ધ રહેલો છે, એ નિબન્ધમાં જ એમણે ઉલ્લેખ્યું છે તેમ ‘યેલ ફોર્માલિઝમ’ને થોડાં વર્ષ પહેલાં એફ. ડબલ્યુ. બેઇટ્સને પડકાર્યું હતું અને ખાસ કરીને ક્લીન્થ બ્રૂક્સ, રેને વેલેક અને ડબલ્યુ. કે. વીમ્સાટની વિચારણાને લક્ષમાં રાખીને આ ચર્ચા કરી હતી, બેઇટ્સનને મતે આ ફોર્માલિઝમ એટલે રસતત્ત્વને સાહિત્યમાંના માનવસન્દર્ભથી નોખું પાડીને જોવાનું વલણ. હાર્ટમેન આ વિધાનને સુધારીને એને આ રીતે રજૂ કરે છે: ‘ફોર્માલિઝમ’ એ માત્ર એક પદ્ધતિ છે. એ દ્વારા કળામાં રહેલા માનવસન્દર્ભને એના રૂપગત ઘટકોના અભ્યાસથી પ્રકટ કરવામાં આવે છે. રૂપ અને સામગ્રી અથવા સંભાર બે નોખાં પાડી શકાય એવાં છે એનું આ વિધાનથી અભિપ્રેત નથી. માનવસન્દર્ભ અને રૂપરચનાને અભિન્ન રૂપે જોઈ શકાય એવું કોઈ રચનાનું અર્થઘટન થઈ જ ન શકે એવું પણ અહીં અભિપ્રેત નથી. અહીં કદાચ એટલું જ ઉદ્દિષ્ટ છે કે સાહિત્યનો અભ્યાસી એ બે વચ્ચે પૂર્વાપરતા યોજે છે અને એમાં એ રૂપરચનાને પહેલાં મૂકે છે. એણે સ્વીકારેલી પદ્ધતિને અનુસરીને એ આમ કરે છે. આવી પદ્ધતિથી અભ્યાસની પ્રવત્તિને જરૂરી શિસ્ત આવે છે. કોઈ પણ સન્નિષ્ઠ અભ્યાસીને શિસ્તના આવા આવશ્યક અંકુશથી મુક્ત થવાનું ભાગ્યે જ પરવડે. રૂપરચના શું છે તે જાણ્યા વિના એને અતિક્રમી જવાની વાત કોઈ કરી જ ન શકે, પણ મુશ્કેલી તો એ વાતની છે કે રૂપરચનાને મહત્ત્વ આપનારા એ સિદ્ધાન્તમાંથી ફલિત થતી બધી ઉપપત્તિઓને સ્વીકારવાનું સાહસ કરતાં ખંચકાતા હોય છે. તેવી જ રીતે રૂપરચનાને મહત્ત્વ આપવાના વિરોધીઓ કે એને અતિક્રમી જવાનો આગ્રહ રાખનારાઓ તો વળી રૂપરચનાવાદીઓના કરતાં પણ વધુ અમૂર્ત સ્વરૂપનાં અને દુરાગ્રહી મન્તવ્યો આગળ આવીને અટકે છે.

આનો બે રીતે પ્રતિવાદ કરી શકાય: એક તો એ બતાવી આપીને કે બંને પક્ષના આગ્રહીઓ સરખા પ્રકારનો તર્કદોષ કરતા હોય છે. જ્યોર્જીસ પુલે(સાહિત્યમાં કાલતત્ત્વ વિશે વિચારનાર સમર્થ ફ્રેન્ચ ચિન્તક) જેવા પોતે કલ્પતા પણ નહીં હોય એટલી હદે અસંપ્રજ્ઞાતપણે, રૂપરચનાને જ પુરસ્કારતા દેખાય છે. જ્યાં રૂપરચનાની ચર્ચા એવા વિવેચકો નથી કરતા ત્યાં તે કૃતિ વિશે કશું મહત્ત્વનું એઓ કહી નથી શક્યા એવી જ છાપ પડે છે. આથી એવા જ નિર્ણય પર આવી શકાય કે રૂપરચનાના સિદ્ધાન્તને અતિક્રમી જવાનો તબક્કો હજી આવ્યો નથી. એમ કરવું આપણે માટે દુષ્કર પણ છે.

એક જ કૃતિ વિશેના બે જુદા જુદા અભિગમોની શક્યતા તો આપણે સ્વીકારીએ જ છીએ. વિવેચનમાં એ પૈકીનો એક જ અભિગમ સાચો એવું આગ્રહી આત્યન્તિક વલણ ધરાવી ન શકાય. તેમ છતાં કયો અભિગમ વધુ પ્રમાણભૂત ગણાય તેની કૃતિલક્ષી તાકિર્ક ભૂમિકા તે તે અભિગમના પુરસ્કર્તાઓએ રજૂ કરવાની રહે. ભાષાના ઉપયોગ વિશે આજે એ અંગેની દાર્શનિક ભૂમિકાનો સવિશેષ પરિચય પામીને તથા અદ્યતન વિવેચનામાં થતા એ વિશેના ઊહાપોહથી પ્રમાણમાં વધુ અભિજ્ઞ બનીને આવી વિશિષ્ટ સજ્જતા પ્રાપ્ત કરીએ અને એનો પ્રયોગ કોઈ તદ્દન અર્વાચીન નહીં એવી કોઈ કવિની રચનાની બાનીની ચર્ચા પરત્વે કરીએ તો બે પ્રશ્ન થાય: કવિની બાની પરત્વે આપણે જે વિધાનો કરીએ છીએ તેની પાછળ રહેલી સૈદ્ધાન્તિક ભૂમિકા તો એ કવિની રચના પછીની નીપજ છે. આ એક પ્રકારનો વ્યુત્ક્રમદોષ નહીં ગણાય? જે વિચારપ્રવૃત્તિ ભાષાના વિનિયોગ પરત્વે કવિના ચિત્તમાં થઈ હોવાનો સમ્ભવ નથી તેનું આરોપણ આપણે એના પર કરતા હોઈએ એવું ન બને? આપણે ત્યાં ‘કાન્ત’ની કેટલીક કવિતાની ચર્ચામાં આવું થયેલું લાગશે. વિપરીત લક્ષણા અને વિરોધનો ઉપયોગ કાવ્યમાં કેવો ઉપકારક થઈ પડે તેની સૈદ્ધાન્તિક ચર્ચા આપણે આજે પશ્ચિમમાંના બીજા ભાષાવિદોનાં વિધાનોને લક્ષમાં લઈને કરીએ. પણ કોઈ કવિએ નૈસગિર્ક રીતે જ, એવી કશી સમ્પ્રજ્ઞાત ભૂમિકાનો આધાર લીધા વિના ભાષાનો એવો વિનિયોગ કર્યો હોય તો એના પર આવી કશી ભૂમિકાનું આરોપણ કરવું ઉચિત લેખાશે? પણ આવા પ્રશ્નોનો આપણે ધારીએ તેટલી સહેલાઈથી જવાબ આપી દઈ શકતો નથી. કોઈ પણ વિવેચનવ્યાપારમાં સર્જકનું કેટલું વિવેચકનું કેટલું – એનો હિસાબ ચોખ્ખો આપી શકાતો નથી. એક અન્તિમે જઈને આપણે એમ કહીએ કે કૃતિ તો નિમિત્ત છે, પણ એ નિમિત્તની યોજના એવી રીતે થઈ છે કે જેથી એને વિશેની અર્થઘટનની સમ્ભાવનાઓ નિયન્ત્રિત થાય. બીજી રીતે જોઈએ તો કળાતત્ત્વમાં જ એવું કશું છે જે હમેશાં પૂરેપૂરું સ્ફુટ કે નિશ્ચિત દૃઢ સંકેતવાળું બનીને રહી શક્તું નથી. એની સંકેતમાં સન્દિગ્ધતા છે. પણ એનું કારણ સર્જકની અશક્તિ નથી. એનું configuration જ એવું છે કે એને એક કરતાં વધુ રીતે આપણે સિદ્ધ કરી શકીએ છીએ, અને એ બધી રીતો પ્રમાણભૂત હોઈ શકે. અલબત્ત, આ પ્રમાણભૂતતાની માત્રા ઓછીવત્તી હોય અને તે કૃતિને આધારે જ નક્કી થઈ શકે.

તો સર્જકનું પોતાનું શું? વિવેચક ગાંઠનું કઈ હદે ઉમેરી શકે? આસ્વાદમાં મૌલિકતાનું તત્ત્વ હોઈ શકે? એ માત્ર બૌદ્ધિક મૂલ્યાંકન છે? ઉચ્ચાવચતાનો નિર્ણય છે? આ પ્રશ્નો નવા નથી. કોઈ ને કોઈ રૂપે આ પ્રશ્નો પુછાતા રહે છે. દર વખતે આપણે થોડે ઘણે અંશે જુદા પડતા જવાબો શોધી લાવીએ છીએ.

સર્જકનો પોતાનો આ આસ્વાદકર્મમાં ફાળો શો? એ વિશે નોર્થ્રોપ ફ્રાયનું આ વિધાન યાદ રાખવા જેવું છે:

‘It has been said of Boehme that his books are like a picnic to which the author brings the words and the reader the meaning. The remark may have been intended as a sneer at Boehme, but it is an exact description of all works of literary art without exception.’

પ્રશ્ન એ છે કે કઈ વિવેચનપદ્ધતિ વધુ સાચી? મને લાગે છે કે ‘સાચી’ કે ‘ખોટી’ જેવી સંજ્ઞાઓ અહીં વાપરવી ન જોઈએ. કઈ વધુ કાર્યક્ષમ તે જ આપણે જોવું જોઈએ. આ પરત્વે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. દરેકના પુરસ્કર્તા એની તાકિર્ક ભૂમિકા રજૂ કરે છે. આપણે ત્યાં આગ્રહી વલણો છે. પણ એ પરત્વે જેટલો અભિનિવેશ છે તેટલી તર્કનિષ્ઠા નથી. જુદે જુદે સમયે જુદી જુદી સાહિત્યિક શૈલીઓ પ્રવર્તતી દેખાય છે. વ્યંગનું તત્ત્વ અખામાં પણ હતું અને આજના નવીન કવિઓમાં પણ છે. છતાં એ બેમાં જે રીતિગત ભેદ પડે છે તે શેને આભારી છે? જો આ પ્રશ્નની ચર્ચા કરીએ તો આપણે એ પરત્વે કયા કયા મુદ્દાને પ્રસ્તુત લેખવા જોઈએ? રૂપરચનાના દૃષ્ટિબિન્દુને સ્વીકારનાર જુદા જુદા ગાળાના બે કવિઓની વ્યંગાત્મક રચનાને તપાસતાં ભાષામાં એ વ્યંગને પ્રયોજવાની રીતિ પર ભાર મૂકશે. જ્યારે બીજો વિવેચક એ વ્યંગની content, એને માટે જવાબદાર સામાજિક પરિસ્થિતિ, તે સમયના ભાવકો તે સમયની કાવ્ય વિશેની વિભાવના આ મુદ્દાઓને પણ પ્રસ્તુત ગણીને ઐતિહાસિકતાનો પણ વિવેચનવ્યાપારમાં પ્રવેશ કરાવશે. તો આ બેમાં કઈ પદ્ધતિને રસાસ્વાદની દૃષ્ટિએ વધુ કાર્યક્ષમ લેખવી જોઈએ? આ સમ્બન્ધમાં હાર્ટમેનના આ વિધાનને લક્ષમાં રાખવું ઘટે:

‘The only kind of ideal or objective interpretation is that in which we can crosscheck our terms (rather than particular exegeses or conclusions) by relating them to the poetક્કs own or those prevalent in the poetક્કs milieu.’

આ cross-checking જરૂરી છે એ સાચું, પણ જો અહીં પ્રમાણભાન કે ગૌણપ્રધાનનો વિવેક ન જળવાય તો રસાસ્વાદની મુખ્ય પ્રવૃત્તિ જ વિસારે પડે એવો ભય રહે છે. સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહે છે અને તે એ કે કૃતિ ગમે તે કાળમાં લખાઈ હોય, પણ આપણે જ્યારે એને માણીએ છીએ ત્યારે આપણા જમાનાની વિશિષ્ટ સાહિત્યિક આબોહવામાં ઘડાયેલી આપણી સંવેદનાથી એને માણીએ છીએ. આથી જ આપણે જોઈએ છીએ કે કેવળ પ્રાસંગિકતા પર આધાર રાખનારી કૃતિઓ, સમકાલીન મર્યાદાઓમાં જ બંધાઈ રહેલી કૃતિઓ સમય જતાં ઓછી આસ્વાદ્ય રહે છે. એની બિનસાહિત્યિક આનુષંગિક વિગતો માટે એનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ થતો રહે એ વાત જુદી છે. આ સાથે જ બીજો પણ એક મુદ્દો સ્પષ્ટ થાય છે અને તે એ કે સામયિકતાને અતિક્રમી જાય તેવું કશુંક તત્ત્વ કૃતિમાં હોય છે. આ તત્ત્વ તે કૃતિની contentમાં નથી હોતું, પણ એની રૂપરચનામાં એટલે કે એના રસતત્ત્વમાં રહ્યું હોય છે,

ઘણી વાર એક જ કૃતિમાં અમુક કૃતકાર્ય બનીને નિરુપયોગી થઈ ચૂકેલી શૈલીની ઉત્થાપના અને નવીન શૈલીની સ્થાપના જોવામાં આવે છે. પણ સાથે એ હકીકત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આ કંઈ શૈલીઓના વિનિયોગના નિદર્શન રૂપે કરવામાં નથી આવ્યું હોતું. એનો તે કૃતિ સાથે organic સમ્બન્ધ હોય છે. જો એમ નથી હોતું તો સાહિત્યતત્ત્વ પોતે જ એવી કૃતિમાં આનુષંગિક બની રહે છે. કાલાનુક્રમના ઇતિહાસ ઉપરાંતનો કૃતિની અંદર એના અવયવોના રચનાસમ્બન્ધનો પણ ઇતિહાસ હોય છે. વિવેચકે આ ઇતિહાસતત્ત્વને પણ ધ્યાનમાં લેવું જોઈએ,

રૂપરચનાનો વ્યાપાર જે સિદ્ધ કરે છે તે અમુક કૃતિ પરત્વે અને તે કૃતિ જે સમયમાં થઈ તે પરત્વે જ મહત્ત્વનું હોય છે એવું નથી. એ તત્ત્વ રસકીય પ્રક્રિયાના ઘટક રૂપે સદા કાળને માટે ઉમેરાઈ જાય છે. આથી જ તો આજની સંવેદનાને કેટલીક વાર મધ્યકાલીન શૈલીનો વિનિયોગ કરીને નિરૂપિત કરવામાં આવી છે. જે સિદ્ધ થઈ ચૂક્યું છે તેની અનેકવિધ શક્યતાઓને તો ચકાસી જોવાની રહે છે. આ અર્થમાં દરેક રચનારીતિમાં કે શૈલીમાં બે તત્ત્વ ઓછેવત્તે અંશે રહ્યાં હોય છે: ઇતિહાસાતીત અને ઇતિહાસસીમિત, વિવેચનમાં આ બે વચ્ચેનો વિવેક સદા જાગ્રત રહેતો નથી તેથી કેટલીક ગૂંચ ઊભી થાય છે.

કોઈક કવિની બહારથી નૈસગિર્ક લાગતી શૈલીની અનાયાસતા કેવી રીતે સિદ્ધ થઈ તેનો ઇતિહાસ તે ગાળાની વિવેચના કદાચ આપતી ન હોય તો, તેટલા પૂરતું, તે ગાળાની કવિતાની વિભાવના અને અન્ય કવિઓની રચનાના પરિપ્રેક્ષ્યમાં એની કૃતિઓને મૂકવાની જરૂર પડે પણ historicityનું એથી વિશેષ હોવું ન ઘટે. સમ્ભવ છે કે આજે પ્રયોજાતી અને નવી લેખાતી રચનારીતિનાં મૂળ આ પહેલાંના કોઈ યુગની રચનારીતિમાં મળી આવે. રોમેન્ટિક ઉદ્રેક તથા પ્રશિષ્ટતા દરેક જમાને જ neo-romantic અને neo-classicને નામે આવ્યા કરે છે. છતાં એની પછીનાં એનાં રૂપાન્તરોનો અભ્યાસ ઉપકારક તો હોય જ છે.

એપ્રિલ, 1973

License

અરણ્યરુદન Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.