પરિચય

 

રસિક ઝવેરી (જ. 1911 – અવ. 1972)

આગવી અને આકર્ષક શૈલીના આ પ્રવાસ-લેખકે જીવનનાં 30 વર્ષો ઝવેરીનો વ્યવસાય કરેલો, મુંબઈમાં. એ પછી, 1951થી ગ્રંથાગાર પુસ્તકાલય અને ગ્રંથાગાર માસિક શરૂ કર્યાં . થોડોક સમય અખંડઆનંદ અને સમર્પણમાં સંપાદન-વિભાગમાં કામ કર્યું. અને વળી, ભારતીય વિદ્યાભવનના નાટયવિભાગ કલાકેદ્રમાં પ્રચાર-અધિકારીની કામગીરી બજાવી. આમ એમનું જીવન અને કાર્ય બહુઆયામી, વિવિધ પાસાંવાળું હતું.

બે વાર એમણે લંડન-પ્રવાસ કરેલો એના ફળસ્વરૂપે એમણે ચાર પ્રવાસપુસ્તકો આપ્યાં છે : એમનું ખૂબ જાણીતું થયેલું અલગારી રખડપટ્ટી અને એ ઉપરાંત સફરનાં સંભારણાં તથા દિલની વાતો ભાગ 1 અને 2. અખૂટ જીવનરસ, મનુષ્યમાંનો રસ અને સ્થળદર્શનનો રસ – એણે એમનાં પુસ્તકોને સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બનાવ્યાં.

અલગારી રખડપટ્ટી

આ નાનકડી પુસ્તિકાએ એના લેખક રસિક ઝવેરીને ગુજરાતીના પ્રવાસ-સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું. આ પુસ્તકનું સૌથી મોટું આકર્ષણ તો લેખકની રસિક પ્રવાહી શૈલી છે. એમણે જે આલેખ્યાં છે એ દૃશ્યચિત્રોને આપણે સીધાં જ અનુભવી શકીએ એવો એમના ગદ્યનો જાદુ છે. બીજી અગત્યની બાબત એ છે કે, શું ભારતમાં કે શું લંડનમાં, મનુષ્યમાત્ર સરખા – માયાળુ, વિલક્ષણ અને સ્નેહપાત્ર હોય છે, એવું રસિકભાઈનું અનુભવ-દર્શન. એટલે એમને સ્થળના વૌવિધ્ય પાછળ મનુષ્યમન એકસરખું હૃદ્ય લાગે છે.

રમૂજી આનંદી પ્રસંગો તેમ જ કરુણ અને કરુણાસભર વ્યિક્તઓનાં રેખાંકનોને લીધે આ પુસ્તક એક વાર વાંચવા લીધા પછી છોડવાનું મન નહીં થાય.

તો, પ્રવેશીએ?

(પરિચય: રમણ સોની)

License

અલગારી રખડપટ્ટી Copyright © by રસિક ઝવેરી. All Rights Reserved.